આજે ઓપિનિયન પોલ, અને કાલે? 

પ્રિય મિત્રો,

આશા છે કે તમારા પરિવાર અને સ્વજનો સાથે દિવાળી ઘણી સરસ પસાર થઈ હશે.

કોંગ્રેસના મિત્રો ઓપિનિયન પોલ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી રહ્યા છે. આ અંગેના લેખ હું છેલ્લા થોડા દિવસોથી અખબારોમાં, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર વાંચી રહ્યો છું. આ અંગેની બે ટ્વીટ્સે મારુ ધ્યાન ખેંચ્યુ. બીજેડીના જય પંડ્યાએ આ અંગે પ્રતિભાવ આપતા લખ્યુ, “હવે પછીનુ પગલું – ઓપિનિયન(અભિપ્રાય) ઉપર પ્રતિબંધ”. ચેતન ભગતે ટ્વીટ કર્યું, “ઓપિનિયન પોલ ઉપર પ્રતિબંધથી વધુ સારુ છે ઓપિનિયન ઉપર જ પ્રતિબંધ મૂકી દો અને એથીય વધુ સારુ તો એ રહેશે કે પોલ (ચૂંટણી) ઉપર જ પ્રતિબંધ મૂકી દો.”

મિત્રો, આ કટાક્ષમાં ગહેરો અર્થ રહેલો છે.

જે લોકોએ આઝાદી બાદ ભારતીય રાજકારણ અને કોંગ્રેસની રીતરસમોનો થોડો ઘણો અભ્યાસ કર્યો છે તેમને કોંગ્રેસની આવી માંગણીથી આશ્ચર્ય નહિ થાય. બંધારણીય સંસ્થાનોને કચડી નાખવાની કોંગ્રેસની વૃત્તિ અને સત્તાના મદમાં રાચીને નાગરિકોના વાણીસ્વાતંત્ર્ય અને તેમને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા રોકવાની આ મુરાદને અત્યંત કમનસીબ કહી શકાય.

હજી એ વાતને લાંબો સમય નથી થયો જ્યારે યુપીએ સરકારે ટ્વીટર હેન્ડલ સસ્પેન્ડ કરી દીધા હતા. આમ કરીને સરકારે સોશિયલ મીડિયા પર થતી ટીકાઓ પ્રત્યે પોતે કેટલી અસહનશીલ છે તેનો પરિચય આપી દીધો હતો. તે સમયે સોશિયલ મીડિયા ઉપર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની તરફેણ કરતા લોકોની લાગણીમાં મારી સહમતિના પ્રતિકરૂપે મેં મારા ટ્વીટરના ડીસ્પ્લે પિક્ચર ઉપર કાળો પટ્ટો મૂક્યો હતો. ૨૦૧૧ માં બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે ઘણા કેન્દ્રિય મંત્રીઓએ સોશિયલ મીડિયા ઉપર નિયંત્રણ મૂકવાની વાત કરી હતી. વક્રતા પણ તે દિવસે સો વાર લાજી મરી હશે! થોડા મહિના પહેલા મુંબઈની એક રેસ્ટોરાંએ સર્જનાત્મક રીતે પોતાની રીસિપ્ટમાં યુપીએની નીતિઓની વિરુધ્ધમાં અભિપ્રાય વ્યક્ત કર્યો તો તેને ધાકધમકીઓ આપવામાં આવી.

વડાપ્રધાનના ૧૫ ઓગષ્ટના સ્વાતંત્ર્ય દિવસના ભાષણના ટેલિવિઝન કવરેજ અંગે એક કેન્દ્રિય મંત્રાલય દ્વારા મીડિયાકર્મીઓને લખવામાં આવ્યું, અને તે પણ બે મહિના બાદ. આજે જ્યારે દેશ મોંઘવારીથી ત્રસ્ત છે અને બેરોજગારી વધી રહી છે ત્યારે પણ આવો બેશરમ નજારો જોવો પડી રહ્યો છે. યુપીએ સ્પષ્ટ રીતે સાવ ખોટી બાબતોને પ્રાધાન્ય આપી રહી છે. રાષ્ટ્રિય મહત્વ ધરાવતા તાકીદના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આ સરકાર બિલકુલ ગંભીર ન હોય તેવી બાબતોમાં ઊર્જા વેડફી રહી છે.

હું મીડિયાના મિત્રોને પૂછવા માંગુ છું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર તરાપ મારતા આ પ્રસ્તાવ સામે તેઓ ચૂપ કેમ છે?

ઓપિનિયન પોલ માટે મને કોઈ વિશેષ પ્રેમ છે એવુ નથી. તેની મર્યાદાથી હું સારી રીતે પરિચિત છું. આ જ્ઞાની વિશ્લેષકોએ એવી તો ખાતરીથી કહેલું કે ૨૦૦૨ ની ચૂંટણીઓમાં ગુજરાતની જનતા ભાજપની વિરુધ્ધમાં મતદાન કરશે. ૨૦૦૭ અને ૨૦૧૨ માં પણ તેમણે આવુ જ કહ્યું હતું. પણ જનતાએ તેમને ખોટા પાડ્યા.

પણ એક અગત્યનો સિધ્ધાંત દરેક પક્ષ અને સરકાર માટે સાચો છે. મહાભારતમાં ભિષ્મથી લઈને અર્થશાસ્ત્રના કૌટિલ્ય સુધી આપણને શીખવવામાં આવ્યુ છે કે પ્રજાના મત સાથે સૂમેળ સાધવો કેટલો જરૂરી છે. જે સરકાર પ્રજાના અભિપ્રાયની અવગણના કરે છે તે ચોક્કસ સત્તાથી ફેંકાઈ જાય છે.

ભારતમાં ઓપિનિયન પોલનુ પ્રદર્શન મિશ્ર પ્રકારનુ રહ્યુ છે. ક્યારેક તેમની આગાહી સાચી પડે છે, તો ક્યારેક ખોટી. ઓપિનિયન પોલના તારણોનુ શું કરવું તે અમારા રાજકીય પક્ષોએ નક્કી કરવાનુ હોય છે.

જો તારણ અમારા પક્ષે હોય તો આત્મસંતુષ્ટ થઈને બેસી રહેવામાં અમને કોઈ રોકવાનુ નથી, કે પછી અતિવિશ્વાસમાં રાચ્યા વિના પ્રયાસો ચાલુ રાખવા માટે પણ અમે સ્વતંત્ર છીએ.

તે જ રીતે જો તે અમારી તરફેણમા ન હોય તો આંકડાઓને નકારી કાઢતા પણ અમને કોઈ રોકશે નહિ, કે પછી અમારી ભૂલો સુધારીને જરૂરી પ્રયત્નો કરવા પણ અમે સ્વતંત્ર છીએ.

ઓપિનિયન પોલના તારણમા આપણને જે સાંભળવુ હોય એ સાંભળવા ન મળે એટલે સાવ અંતિમવાદી પગલાઓ ભરવા તે સાવ બાલિશ હરકત છે.

મારી ચિંતા ઓપિનિયન પોલ ઉપર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પૂરતી સિમિત નથી. કાલે ઉઠીને આ જ તર્કને આધારે કોંગ્રેસ ચૂંટણી સમયે કટારલેખ, તંત્રીલેખ અને બ્લોગ ઉપર પણ પ્રતિબંધ લગાવી શકે. જો તેઓ ચૂંટણી હારી જાય તો ચૂંટણીપંચ ઉપર પ્રતિબંધ મૂકવા માંગશે અને જો કોર્ટ તેમને સહકાર ન આપે તો કહેશે કે કોર્ટ ઉપર પણ પ્રતિબંધ મૂકી દો! આખરે તો આ એ જ પાર્ટી છે જેણે કોર્ટના એક કડવા ચૂકાદાને કારણે દેશ ઉપર કટોકટી લાદી દીધી હતી.

મને ખુશી છે કે મારા સાથી અરુણ જેટલીએ પોતાના એક લેખમા પણ આ જ મુદ્દા ઉઠાવ્યા છે. 

મને પૂછો તો આનો ઉકેલ ઘણો સરળ છે. કોંગ્રેસની આવી આપખુદી અને વિધ્વંસકારી ચાલાકીઓનો સામનો કરવાને બદલે સારુ તો એ છે કે આ લોકશાહી-વિરોધી કોંગ્રેસ પક્ષને ઓપિનિયન પોલમાં તો જાકારો આપીએ જ, પણ જેનું ખરુ મૂલ્ય છે તેવા પોલિંગ બૂથમાં પણ તેને જાકારો આપી દઈએ.

લોકો જ શ્રેષ્ઠ ન્યાયકર્તા છે!

નરેન્દ્ર મોદી

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
APEDA Facilitates First Export Of Premium Areko Cherries And Scentrose Plums From J&K To Singapore

Media Coverage

APEDA Facilitates First Export Of Premium Areko Cherries And Scentrose Plums From J&K To Singapore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.