સદભાવના મિશન એ ગુજરાતના સ્વાભિમાન અને ગુજરાત- ભકિતની ઐતિહાસિક ઘટના છે
સદભાવના મિશનની જનશકિતને રાજકીય ત્રાજવે તોલનારા બરબાદ થશે
મુખ્યમંત્રીશ્રીના સદભાવના મિશનના ઉપવાસ-તપમાં જોડાઇને જામનગરની જનશકિતએ અપૂર્વ ઉમળકો બતાવ્યો
જામનગરમાં એક દિવસના ઉપવાસ
સદભાવનાની શકિતમાં જનશકિતનો સાક્ષાત્કારઃભાવવિભોર થતા નરેન્દ્રભાઇ મોદી
જામનગર શહેર અને જિલ્લા માટે સાડાત્રણ હજાર કરોડના વિકાસ-સુખાકારીના કામોની ગૌરવભેર જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સદભાવના મિશનમાં જિલ્લા અભિયાન અંતર્ગત એક દિવસના ઉપવાસનું આજે જામનગરમાં સમાપન પ્રવચન કરતા સદભાવના મિશન એ ગુજરાતના ગૌરવ-સ્વાભિમાનનો સાત્વિક મિજાજ છે, ગુજરાતભકિતની અભિવ્યકિત છે, એમ ભાવવશ શબ્દોમાં જણાવ્યુ હતું.આ ઉપવાસના સંકલ્પમાં સ્વૈચ્છાએ ૧૧,૧૧૧ ઉપવાસી નાગરિકોએ પણ તપ કર્યુ હતું. સદભાવના મિશનમાં જનશકિતના આ સક્ષાત્કારથી ભાવવિભોર બનેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ કે જનતાનો આ સદભાવના માટેનો મિજાજ એ જ ગુજરાતના વિકાસનો પરિચાયક છે. શુધ્ધ સાત્વિક ઘટનાના આ અવસરે આટલો જનજુવાળ કેમ ઉમટે છે ? દિવસભર હજારો હજારો નાગરિક ભાઇ બહેનો સાથે હાથ મિલાવવાની આ આખી ઘટના વિરલ છે અને એને રાજકીય વિરાસતથી મૂલવી શકાય નહી એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે રાજકરણથી પર રહીને આ સદભાવના મિશનમાં જનતાના આશીર્વાદ મળ્યા છે એ એનું આગવું મહત્વ છે.જનતાના મતો કદાચ ચુંટણી જીતાડી શકે પણ આશીર્વાદ જીંદગીને સંતોષે છે.
સદભાવનાની શકિતના આ લાગણીભર્યા જુવાળને સમજવા માટે કોઇ પોલીટીકલ પંડિતનું ગજુ નથી. આ અપાર લાગણી, પ્રેમને રાજકીય ત્રાજવે તોલનારા થાપ ખાઇ રહયા છે એમ પણ તેમણે જણાવ્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ જામનગર શહેર અને જિલ્લા માટે રૂપિયા સાડાત્રણ હજાર કરોડના સુખાકારી-વિકાસના નવા કામો જાહેર કરતા જણાવ્યું કે એક પણ રૂપિયાનો દશ વર્ષમાં કરવેરો વધાર્યા વગર માત્ર ભૂતકાળની સરકારોની કટકી કંપનીઓનો ભ્રષ્ટાચાર બંધ કરીને જનતાના ભલા માટે, સુખાકારી માટે પાઇએ પાઇ ખર્ચી છે. આજે જેટલો બજેટનો હિસ્સો વિકાસ માટે આ જિલ્લા માટે જાહેર કર્યો તેટલું બજેટ આખા રાજયનું કોગ્રેસના સમયમાં પણ કયારેય નહોતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમ પણ જણાવ્યુ કે ગુજરાતના કોઇપણ વિસ્તારમાં રપ કીલોમીટરના અંતરમાં વિકાસનું કોઇને કોઇ કામ થતુ જોવા મળશે. વિકાસની વાત આવે અને દુનીયાના કોઇપણ ખૂણામાં જાવ તો ગુજરાતી હોવા સાથેની ઓળખથી આદરભાવના બધા દરવાજા ખુલી જાય છે. કોઇ ગુજરાત બોલે તો સામેથી વિકાસ બોલાય છે. ગુજરાતની આ વાહવાહી વિકાસના કારણે છે. પણ એના મૂળમાં તાકાત છે, છ કરોડ ગુજરાતી ભાઇઓ-બહેનોએ એકતા, શાંતિ અને ભાઇચારાની શકિત સિધ્ધહસ્ત કરી છે તે જ છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાત અને વિકાસ માત્ર પર્યાય જ નથી બની રહ્યા પણ દેશમાં કયાંય પણ વિકાસની તુલના કરવી હોય તો ગુજરાતના વિકાસના મોદી-મોડેલના જ માપદંડ ચાલે છે. જે લોકો ગુજરાતના વિકાસના મોડેલની સમજ ઇચ્છે છે તેમને કહેવું છે કે ગુજરાત મોડેલ એટલે જાતિવાદ-કોમવાદનો ખાત્મો અને એકતાનો, શાંતિનો રસ્તો અપનાવવો તે. જો વિકાસ કરવો હશે તો ટુકડા ફેંકીને વોટ પડાવવાનો રસ્તો છોડો, ગુજરાતે આ એકતા અને શાંતિના માર્ગે નક્કર વિકાસ કર્યો છે
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે ‘‘અગર રાજકીય ઇચ્છાશકિત હોય તો ધાર્યા પરિણામ લાવી શકાય એ ગુજરાતની સરકારે પૂરવાર કર્યુ છે. એનાથી જ છ કરોડ ગુજરાતીઓનો ભરોસો આ સરકાર ઉપર છે અને એનાથી જ ગુજરાતના લાખો નૌજવાનોને રોજગારીના અવસર પ્રાપ્ત થયા છે.’’ ગુજરાતને બદનામ કરનારને એક વાર સ્વીકાર કરવો જ પડશે કે તમે જે ગુજરાતને બેહાલ ગણો છો તે ગુજરાત તો સદવભાનાની શકિતનું ભરપૂર સામર્થ્ય ધરાવે છે એમ પણ તેમણે જણાવ્યુ હતું. ગુજરાતનું આ તપ એળે જવાનું નથી સદભાવનાની શકિતથી ભારતના વિકાસમાં સર્વાધિક યોગદાન આપતું રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.