પ્રિય મિત્રો,
પોતાના સમગ્ર જાહેર જીવન દરમ્યાન તેઓ નીતિમત્તા અને પ્રામાણિકતા જેવા મુલ્યોને સખ્તાઈથી વળગેલા રહ્યા. બેરિસ્ટર તરીકેની ધમધોકાર પ્રેક્ટિસ અને તમામ ભૌતિક સુખોને છોડીને તેઓ આઝાદીની લડાઈમાં જોડાયા. તેઓ દેશનાં પ્રથમ ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન બન્યા છતા પણ સાદગી સાથેનો તેમનો નાતો જળવાયેલો રહ્યો. ભારત જ્યારે આઝાદીનાં ઉંબરે હતું ત્યારે દેશમાં લગભગ ૫૦૦ જેટલા રજવાડા હતા. આ તમામ રજવાડાઓનાં કદ અલગ-અલગ હતા, અને તે દરેકનાં રાજાઓ સાથે વાત-વ્યવહારની રીત બિલકુલ અલગ રાખવી પડતી. આવા એક અત્યંત અગત્યનાં તબક્કા પર, તમામ રજવાડાઓને ભારતમાં ભેળવવાના વિરાટ કાર્યની જવાબદારી સરદાર પટેલનાં ખભે આવી હતી. આ અભિયાન પૂર્ણ કરવા તેઓ અડગ નિર્ધારથી લાગી પડ્યા, અને એક પછી એક તમામ રાજવાડા ભારતમાં ભળે એ બાબત તેમણે સુનિશ્ચિત કરી. સૌરાષ્ટ્રનાં જુનાગઢને ભારતમાં ભેળવવા માટે તેમણે કરેલા પ્રયાસો એક અખંડ ભારતનાં નિર્માણ માટેનાં તેમના વિઝનનું એક નાનકડુ ઉદાહરણ છે, જેના માટે આપણે કાયમ તેમના આભારી રહીશું.
સ્થિતિ એવી હતી કે કદાચ આઝાદીનાં બે મહિનામાં જ કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો બની જાત. પણ માત્ર સરદાર પટેલની ત્વરાને લીધે જ કાશ્મીર આપણા હાથમાં છટકી જતા બચી ગયું, એ વાત આપણે યાદ રાખવી જોઈએ. કાશ્મીર દેશનો એકમાત્ર એવો પ્રદેશ હતો, જેના માટે સરદારને છુટ્ટો હાથ આપવામાં આવ્યો નહોતો. મને ખાતરી છે કે જો કાશ્મીરને ભારતમાં ભેળવવાની પ્રક્રિયામાં સરદાર પટેલને છુટ્ટો હાથ આપવામાં આવ્યો હોત તો કાશ્મીરની સ્થિતિ આજે કાંઈક જુદી હોત. માત્ર કાશ્મીરની જ વાત નથી, હું ઘણીવાર કહું છું, જો આ દેશે સરદાર પટેલની દિશા અપનાવી હોત તો દેશની પરિસ્થિતિ ઘણી અલગ હોત. તેમના જમાનાનાં અન્ય મહાપુરુષોની જેમ સરદાર પટેલ પણ લોકોની ચર્ચાનો વિષય રહ્યા છે. ખરેખર, એક આઝાદ અને અખંડ ભારતનાં નિર્માણનાં સપનાને સાકાર કરવામાં સરદાર પટેલની ભુમિકાને માપવી કે સમજવી એ આપણી ક્ષમતા બહારની વાત છે. લોકોએ તેમને જુદા-જુદા ઉપનામોથી નવાજ્યા છે. કોઈ તેમને ભારતનાં બિસ્માર્ક કહે છે, તો કોઈ તેમને આધુનિક ભારતનાં ચાણક્ય તરીકે ઓળખે છે. સરોજીની નાયડુએ તેમને લોહની પેટીમાં રહેલ સુવર્ણ રત્ન સમાન ગણાવ્યા છે. કેટલાક વિચારકોએ તેમને બાજરાકુંડમાં ખીલેલાં નાજુક પુષ્પ સમાન ગણાવ્યા છે. કેટલાકે તેમને વૈદેહીનાં જનક સાથે સરખાવ્યા છે.
પોલિટિકલ સાયન્સ વિષયનાં એક વિદ્યાર્થી તરીકે અને ગુજરાત તથા દેશનાં ઈતિહાસ પ્રત્યે અત્યંત જુસ્સો ધરાવનાર વ્યક્તિ તરીકે હું, મારી સીમિત સમજણથી, સરદાર પટેલને એક એવી વ્યક્તિનાં રૂપમાં જોઉ છું જેણે મહાત્મા ગાંધીએ દર્શાવેલ સિધ્ધાંતોને જીવી બતાવ્યા છે. ૧૯૨૪ નાં બારડોલી સત્યાગ્રહથી લઈને, ખેડાનાં જનઆંદોલન દ્વારા તેમણે મહાત્મા ગાંધીની પરિકલ્પનાને અનુરૂપ આઝાદીની લડાઈનો પાયો નાખ્યો. સરદાર પટેલની સરખામણી અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે કરવી એ સરદાર પટેલને અન્યાય કરવા બરાબર ગણાશે. જાણીતાં ગુજરાતી વિચારક ગુણવંત શાહનાં શબ્દો મને યાદ આવે છે, “સરદાર અને બસ સરદાર, બીજુ કાંઈ નહિ!” સરદાર પટેલ આપણા દિલ અને દિમાગ પર અમર બનીને જડાઈ ચૂક્યા છે. એનો એક પુરાવો એ છે કે હજી આજે પણ ઘણી વખત તમને સાંભળવા મળશે કે, “જો આજે સરદાર સાહેબ જીવતા હોત તો...”. દેશનાં ગમે તે ભાગમાં જાવ, તમને આ શબ્દો સાંભળવા મળશે. દેશને કોઈપણ સંકટમાંથી ઉગારી લેવાની સરદાર પટેલની ક્ષમતા પર લોકોને અપાર વિશ્વાસ અને આદર છે. વિધિની વક્રતા છે કે જે પક્ષ માટે સરદાર પટેલે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખ્યું અને પોતાના આખરી શ્વાસ સુધી જેના શિસ્તબધ્ધ સૈનિક બનીને રહ્યા એ જ પક્ષે તેમની યોગ્ય કદર ન કરી. સરદાર પટેલને છેક ૧૯૯૧ માં ભારત રત્નનું સન્માન આપવામાં આવ્યું, તેમનાં મૃત્યુનાં ૪૧ વર્ષ વીતી ગયા બાદ, એથી વધુ કમનસીબ બીજું શું હોય? ગુજરાતમાં છેલ્લા દશક દરમ્યાન આપણે કાયમ સરદાર પટેલે બતાવેલા માર્ગ પર ચાલવાનો અને આવનારી પેઢીઓ માટે તેમના આદર્શો જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. આ મહાપુરુષને શ્રધ્ધાંજલિ આપવા આપણે સરદાર પટેલનાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’નું નિર્માણ કરવા જઈ રહ્યા છે. ૧૮૨ મીટરની ઉંચાઈવાળી આ વિરાટ પ્રતિમા નર્મદા કાંઠે આકાર લેશે, અને ભારતની એકતા અને અખંડિતતા તથા તેનાં ભવ્ય સાંસ્કૃતિક વારસાને જાળવનાર એક યાત્રાધામ સમાન બની રહેશે. આ જગ્યાએ ૧૮૫૭ થી ૧૯૪૭ સુધીની ભારતની આઝાદીની લડાઈને આવરી લેતું એક અત્યાધુનિક સંગ્રહાલય પણ ઉભુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો વિડિયો હું અહીં મુકી રહ્યો છું, આશા છે આપ સૌ જોશો. આ ખાસ દિવસ પર, હું આધુનિક ભારતનાં આ શિલ્પીને અને મને અત્યંત પ્રેરિત કરનાર ગુજરાતનાં આ મહાન સપૂતને નમન કરુ છું. મને ખાત્રી છે કે સરદાર પટેલ વર્ષોનાં વર્ષો સુધી આ દેશનાં લોકોને પ્રેરણા આપતા રહેશે. તમારો,
નરેન્દ્ર મોદી
Explore More
Media Coverage
Nm on the go
આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.
યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.
જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.
ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”
તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.
આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.
ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.
અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.
ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.
75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.
ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.
કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.

