પ્રિય મિત્રો,
આ સમય છે વિતેલા વર્ષને વિદાય આપવાનો અને આવનારા વર્ષનાં અભિવાદનનો. ૨૦૧૧ માં હર્ષ અને ખેદની અનેક ઘટનાઓ બની જે ૨૦૧૨ માટે આશા અને આશંકાઓ લઈને આવી છે. આ સમયે મને લાગે છે કે વિતેલા વર્ષમાં બનેલી ઘટનાઓની યાદ તાજી કરવી આપણા માટે ઉપયોગી બની રહેશે.
વર્ષ ૨૦૧૧ નું વર્ણન જો એક શબ્દમાં કરવું હોય તો એ શબ્દ છે: જનક્રાંતિ. ટાઈમ મેગેઝિન
‘
પર્સન ઓફ ધી યર
’ નો ખિતાબ જાહેર કરતું હોય છે. વર્ષ ૨૦૧૧ માટે તેણે ‘ધી પ્રોટેસ્ટર’ એટલે કે એક આમ આદમીમાં પ્રગટેલા ‘વિદ્રોહી’ ને પર્સન ઓફ ધી યર નું બિરુદ આપ્યુ. વિતેલું વર્ષ કોઈ એકાદ વ્યક્તિનાં સામર્થ્યનું નહોતું પણ જનતાનાં સામૂહિક સામર્થ્યનો અંદાજ આપણને જોવા મળ્યો. લોકોની, ખાસ કરીને યુવાનોની અપેક્ષાએ ખરી ન ઉતરી હોય એવી સરકારોને લોકોનાં વિરોધનો પરચો મળ્યો. જનસમૂહની સામૂહિક ચેતનાએ વર્ષોથી અચલિત એવી જનવિરોધી સત્તાઓ સામે પડકાર ફેંક્યો. આરબ દેશોમાં ઈજિપ્તથી લઈને મિડલ ઈસ્ટ અને છેવટે ગ્રીસમાં પણ આર્થિક મંદીને લઈને લોકોનો વિદ્રોહ જોવા મળ્યો. માનવજાતની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાં ગાજેલ વિદ્રોહનાં પડઘમ આપણને આત્મમંથન કરવા મજબુર કરે છે.
૨૦૧૧ માં જનસામાન્યમાં ઉઠેલી વિરોધની આંધીની વાત હોય તો ઘરઆંગણે બનેલી ઘટનાઓને કેવી રીતે વિસરી શકાય? વિશ્વભરમાં બનેલી ચળવળની ઘટનાઓમાં એક યા બીજી રીતે આપણો દેશ આગળ પડતો રહ્યો છે. આપણા માટે ગર્વની વાત તો એ છે કે દુનિયાભરની જનક્રાંતિઓમાં મોટાભાગની જનક્રાંતિઓ અહિંસક હતી. મહાત્મા ગાંધીજીને એથી મોટી શ્રધ્ધાંજલિ બીજી શું હોઈ શકે કે હજી આજે પણ જ્યારે દુનિયાભરની યુવાશક્તિ બંડ પોકારે છે ત્યારે ગાંધીચીંધ્યા રસ્તે ચાલવા પ્રેરાય છે. પછી તે આઝાદીની લડાઈ હોય કે ગુજરાતમાં તત્કાલિન સત્તાશાહી સામે પડકાર ફેંકતું ૧૯૭૪નું નવનિર્માણ આંદોલન હોય કે પછી ૧૯૭૫ નો કટોકટીકાળ હોય જ્યારે લોકશાહી મૂલ્યો સામે પેદા થયેલા ખતરા વિરુધ્ધ વિદ્રોહ ઉભો થયો હતો, ભારતે કાયમ અહિંસક વિદ્રોહની તાકાત દુનિયા સામે પૂરવાર કરી બતાવી છે.
ગત વર્ષે ભારતભરમાં લોકોની ચેતનાને પ્રજ્વલિત કરતું વિરોધનો વંટોળ ફરી વળ્યો. માંદા અર્થતંત્ર અને નબળા શાસન જેવા પરિબળો ઉપરાંત આ વર્ષ દરમ્યાન સત્તાનાં સૂત્રો દ્વારા સમવાય માળખા પર ગંભીર પ્રહારો થતા જોવામાં આવ્યા, જેણે દેશનાં લોકોને નિરાશ અને અધીરા બનાવી મૂક્યા. દેશનાં દરેક ગલી અને ખૂણામાં પ્રવર્તમાન કેન્દ્ર સરકારની ક્ષતિઓ તેનાં અનિર્ણાયક સરકારી શાસન અને અસમર્થતાની વાતો ચાલી. દેશભરમાં ફૂંકાયેલ વિરોધની આંધી આ તથ્યનું સમર્થન કરે છે.
પણ મુશ્કેલીનાં આ સમયમાં પણ એવી કેટલીક બાબતો છે જે આપણા માટે આશાનાં કિરણ સમાન છે. અતિશય નિરાશામાં સરી પડવાનાં બદલે કે અતિશય ટીકાત્મક બનવાનાં બદલે આપણે આ બાબતોને અવસર તરીકે જોવી જોઈએ. મારી ચીન મુલાકાત દરમ્યાન, હાલનાં વૈશ્વિક મંદીનાં કાળમાં એશિયા કેવી રીતે દુનિયાનું ગ્રોથ-એન્જિન બની શકે એમ છે તે અંગે મેં વાત કરી. પશ્ચિમનાં દેશોમાં મૂડીવાદના વળતા પાણી ભારત માટે એક અવસર સમાન છે - આ અવસર છે વિકાસનો, દુનિયાને આગેવાની પૂરી પાડવાનો અને દેશનાં લાખો લોકોને ગરીબીની ગર્તામાંથી બહાર લાવવાનો.
મિત્રો, તમામ જનઆંદોલનો માત્ર વિદ્રોહ સ્વરૂપે જ આકાર લે છે તેમ કહી શકાય નહિ. હું મારી જાતને નસીબદાર સમજું છું કે જનઆંદોલનનાં એક હકારાત્મક સ્વરૂપને નિહાળવાની તક મને મળી. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’નાં મંત્ર સાથે આવા જ એક અનોખા આંદોલને ગુજરાતમાં આકાર લીધો, જેમાં સહિયારા પુરુષાર્થથી વિકાસનાં લાભ દરેક નાગરિક સુધી પહોંચાડવાની ખેવના જોવા મળી. ગુજરાતમાં આપણું વિકાસનું મોડેલ ત્રણ ‘S’ઉપર આધારિત હતું – Speed, Scale અને Skill, જેમાં આ વર્ષે આપણે ચોથો
સદભાવનાનો ‘S’ ઉમેર્યો. ગુજરાતનાં વિકાસનો પરિચય દુનિયાને કરાવવા માટે એકત્રિત જનશક્તિને જોઈને હું ભાવવિભોર બની ગયો. રાજ્ય સરકારનાં મંત્રીશ્રીઓ સહિત સમગ્ર વહીવટીતંત્રનાં ટોચનાં અધિકારીઓએ ગામેગામ જઈને લોકોને તેમની દિકરીઓને શિક્ષણ આપવાનું આહવાન કર્યું, જેણે વિકાસનાં આ જનઆંદોલનને વેગ આપ્યો. ખેલમહાકુંભ ૨૦૧૧ માં ક્રિકેટની રમતમાં વિક્રમી જુમલો નોંધવનાર એક વિકલાંગ દિકરીની વાત એક સર્વસમાવેશક જનઆંદોલનનાં પુરાવા સ્વરૂપ હતી. આ કિસ્સાઓ મને યુવાપ્રતિભાઓનાં મહેરામણને બિરદાવવાની અને તેઓ દેશનાં વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપી શકે તેવું વાતાવરણ ઉભુ કરવા માટે વધારે પુરુષાર્થ કરવાની પ્રેરણા પૂરી પાડે છે.
આપણી લોકશાહી હજી યુવાવસ્થામાં છે અને સુદ્રઢ પણ છે. આજે દેશ જ્યારે સંખ્યાબંધ આંતરિક અને બાહ્ય પડકારોનો સામનો કરી રહ્યો છે ત્યારે મને વિશ્વાસ છે કે આપણે ભૂતકાળની જેમ આ વખતે પણ વધુ મજબુત બનીને બહાર આવીશું. સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મતિથિ નિમિત્તે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૨ ને ‘યુવાશક્તિ વર્ષ’ તરીકે ઉજવવાનું આયોજન કર્યું છે. જો યુવાશક્તિને પાંગરવાનો અવસર ન મળે તો આપણો વિકાસ પૂર્ણ ન કહેવાય. મને ખાતરી છે કે ‘યુવાશક્તિ વર્ષ’ યુવા પ્રતિભાઓ માટે ઝળકવાનો અવસર બની રહેશે.
૨૦૧૧નું વર્ષ આપણા માટે એક સ્પષ્ટ સંદેશ લઈને આવ્યું છે, કે જનશક્તિ જરૂરી તો છે પણ દેશની કાયાપલટ માટે પર્યાપ્ત નથી. જનશક્તિને જો સુશાસનનો સહકાર મળે તો જ સાચો અને લાંબાગાળાનો વિકાસ સાધી શકાય. જનશક્તિ અને સુશાસન – આ બંને ભેગા મળે તો ભલભલા લક્ષ્યાંક પાર પાડી શકાય, પછી એ ભ્રષ્ટાચાર-નાબુદી હોય કે કુપોષણ અને નિરક્ષરતાથી મુક્તિ. આપણા માટે અને આવનારી પેઢીઓ માટે એક ઉન્નત ભવિષ્યનાં નિર્માણનું સામાર્થ્ય તેમાં છે. ગુજરાતમાં સુશાસન, વિકાસ અને સોહાર્દ જેવા પરિબળોએ છ કરોડ ગુજરાતીઓનાં સામર્થ્યને બુલંદ બનાવ્યું છે. મને આશા છે કે ભારતીયો તરીકે આપણે આ વિકાસગાથાનું પુનરાવર્તન ભારત દેશ માટે પણ કરીશું. ૨૦૧૧નું વર્ષ જનસમૂહનાં વિદ્રોહની તાકાત પૂરવાર કરનાર નીવડ્યું. ૨૦૧૨નું વર્ષ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ નાં મંત્રથી જનસમૂહનાં સહકારની તાકાત પૂરવાર કરે એવી કામના કરીએ.
આપને અને આપના પ્રિય સ્વજનોને હું વર્ષ ૨૦૧૨ની શુભકામનાઓ પાઠવું છું. પરમશક્તિમાન પરમેશ્વરનાં આશિષથી નવા વર્ષમાં આપનું આંગણ ખુશીઓ અને સફળતાઓથી છલકાઈ ઉઠે એજ અભ્યર્થના.



