મારા પ્રિય વારાણસી વાસીઓ,

પ્રાચિન નગરી વારાણસી હજારો વર્ષોથી જ્ઞાન, શિક્ષણ અને સંસ્કૃતિનું પ્રતિક રહી છે. આ શિવની નગરી છે. શિવ કે જે વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચેના સમન્વય સેતુ છે. શિવ કે જેઓ સંસારને બુરાઇઓથી બચાવવા માટે સ્વયં ઝેર પીને નીકલંઠ તરીકે ઓળખાય છે. આજે સમગ્ર દેશની નજર વારાણસી ઉપર કેન્દ્રિત થઇ છે તો તેનું કારણ વારાણસીનું આ જ શિવ સ્વરૂપ છે કે જેઓ વિષ પી પણ શકે છે અને દેશને નિરાશાની ગર્તમાં ધકેલતા લોકોથી મુક્ત કરવા માટે ડમરૂ પણ વગાડી શકે છે.

Varanasi shall set in motion the wheels of change that will take India on the path of good governance.

એવું મનાય છે કે આ વારાણસીમાં ગંગા માતાનું સૌંદર્ય અને મહત્વ તેના ઉચ્ચતમ સ્તરને પ્રાપ્ત કરી લે છે અને ગંગાના દર્શન માત્ર જ મુક્તિનું માધ્યમ બની જાય છે. જોકે, આજે આ મોક્ષદાયિની ગંગા સ્વયં પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. હજારો કરોડ વ્યય કરવા છતાં પણ ગંગાની સ્થિતિમાં કોઇ બદલાવ આવ્યો નથી. ગંગા વારાણસીનું ગૌરવ છે અને અહીંના રહેવાસીઓની આન છે. ગંગાને તેનું ગૌરવ પાછું અપાવવા માટે વ્યાપક પ્રયાસની આવશ્યકતા છે.

વારાણસી ગંગા-જમુના સંસ્કૃતિનું પણ સૌથી મોટું કેન્દ્ર છે. હિંદુ ધર્મમાં તો આ સૌથી પવિત્ર શહેર તરીકે ઓળખાય છે અન તેની સાથે-સાથે જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ તેનું ખુબજ મહત્વ છે. ગૌતમ બુદ્ધે પોતાનું પ્રથમ પ્રવચન સારનાથમાં આપ્યું હતું. ભારત રત્ન બિસમિલ્લા ખાનની શહેનાઇની ગુંજ પણ હિંદુ-મુસ્લિમ એકતાની ઓળખ અહીંથી જ આપતી રહી છે. આના પરિણામે આજે વારાણસી આધ્યાત્મિક જ્ઞાનનું દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર છે.

નવી દિલ્હી દેશની રાજધાની છે. મુંબઇને નાણાકીય શહેર કહેવામાં આવે છે. આ યાદીમાં હું ઇચ્છું છું કે વારાણસી ભારતની બૌદ્ધિક રાજધાની બને. હું અને મારો પક્ષ આ દિશમાં ભરપૂર પ્રયાસો કરીશું. અમે કાશીને એવો શહેરના રૂપે વિકાસ કરીશું કે જે ભારતની સાંસ્કૃતિક અને બૌદ્ધિત ગતિવિધિઓનું કેન્દ્ર હોય અને જ્યાં જ્ઞાનનો નિરંતર પ્રવાહ હોય.

અહીં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય, સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય અને મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ જેવા વિશ્વસ્તરીય શિક્ષા સંસ્થાન છે, જેમની સાચવણી અને સતત વિકાસની જરૂર છે. આ સંસ્થાન માત્ર બનારસની જ ઓળખ નથી, પરંતુ ભોજપુરી ક્ષેત્રો સહિત સમગ્ર પૂર્વાંચલમાં જ્ઞાનની જ્યોત ચાલુ રાખવા માટે પણ આવશ્યક છે.

બનારસ પર્યટનનું મોટું કેન્દ્ર છે અને સાથે જ પોતાના હસ્ત-શિલ્પ અને કારીગરી માટે વિશ્વ વિખ્યાત છે. આમ છતાં પણ અહીંના યુવાનોને રોજગારી મળતી નથી. એક સમય હતો કે જ્યારે સમગ્ર દેશમાં બનારસી પાન અને બનારસી સાડીનું વર્ચસ્વ હતું અને જેનાથી હજારો લોકોને રોજગાર મળતો હતો, પરંતુ આજે આ બંન્ને પોતાના અસ્તિત્વ માટે લડાઇ લડી રહ્યાં છે. આટલા વર્ષોમાં આપણે બનારસ માટે કોઇ નવી બ્રાન્ડ તૈયાર કરી શક્યા નથી અને જુની બ્રાન્ડની ચમક ગુમાવી રહ્યાં છીએ.

આપણે વારાણસીની સમૃદ્ધ વિરાસતનો પુનરોદ્ધાર કરીએ તેની આવશ્યકતા છે. અહીંના કુટિર ઉદ્યોગો અને હસ્ત-શિલ્પના વ્યવસાયને પુનર્જીવિત કરીએ. અહીં રોજગારનું સર્જન કરીએ. આમ કરીને આપણે હજારો લોકોને તેમના ઘર પાસે રોજગાર ઉપલ્બધ કરાવવાની સાથે-સાથે વારાણસી માટે તેનું જુનુ ગૌરવ પણ પાછું લાવી શકીશું.

જોકે, આ તમામ બાબતો સારી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યા વિના હાંસલ કરી શકાશે નહીં. આજે બનારસ માર્ગ, દબાણ, જામ અને વિજળી-પાણી જેવી સમસ્યાઓથી ત્રસ્ત છે. આ સમસ્યાઓનું મોટું કારણ કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપેક્ષા છે. સરકારી વિભાગોમાં ઠેકેદારી તેમજ માફિયાઓની દખલ પણ એક કારણ છે. હું તમને ખાતરી આપું છું કે દિલ્હીથી લઇને બનારસ સુધી જનતાના ધનની લુંટ કરતા માફિયાઓના વર્ચસ્વને સંપૂર્ણ પણે નાબૂદ કરવામાં આવશે.

16મી લોકસભા માટે મતદાનની નિર્ણાયક ઘડીઓ આવી ગઇ છે. તમને યાદ હશે કે 20મી સદીના અંતિમ વર્ષોમાં દુનિયાભરના વિચારકો અને ચિંતકોએ જાહેરાત કરી હતી કે 21મી સદી ભારતની રહેશે. અને સદીના શરૂઆતના વર્ષોમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં આ ભવિષ્યવાણી હકીકત બનતી જોવા મળી રહી હતી. દુનિયા ભારત તરફ અપેક્ષાની નજરેથી જૂએ છે. દેશના યુવાનોમાં ગજબનો ઉત્સાહ હતો અને દરેક પરિવારો પાસે પોતાના બાળકોની સફળતાની વાતો હતી. જોકે, યુપીએના દસ વર્ષના કુશાસનને કારણે દેશ આગળ વધવાની જગ્યાએ પાછળ ધકેલાઇ ગયો અને આગળ વધી રહેલા ભારતની વાર્તાને અડધે જ છોડી દીધી.

મિત્રો આજે સમય આવી ગયો છે કે આપણે આ સ્થિતિમાં બદલાવ લાવીએ. કહેવાય છે કે દેશની રાજનીતિનું પ્રતિબિંબ વારાણસીમાં જોવા મળે છે. તો આપણે અહીંથી જ શરૂઆત કરીએ.

વારાણસી જ એવી જગ્યા છે કે જ્યાં ગંગા ઉત્તર વાહિની છે. શક્તિશાળી ગંગાની ધારા પણ અહીં પહોંચીને પોતાની દિશા બદલી દે છે. આથી જ તમારા શહેરથી જ મોટા પરિવર્તનની શરૂઆત થશે. દેશ ફરીથી સુશાસનના માર્ગે આગળ વધશે અને વારાણસીમાંથી નીકળેલો આ સંદેશ સમગ્ર દેશમાં નવી ભાવના જન્માવશે.

આ વિશ્વાસ સાથે.

કાલ હર ! કષ્ટ હર ! દુખ હર ! દરિદ્ર હર ! હર હર મહાદેવ ! ॐ નમઃશિવાય. જય જય બાબા વિશ્વનાથ જી કી.

આપનો નરેન્દ્ર મોદી

 

To read the Blog in Hindi, click here

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending

Media Coverage

Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.