મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુપીએ સરકારના સને ર૦૧૧-૧રના કેન્દ્રીય બજેટ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ભયંકર ભ્રષ્ટાચારોના વમળમાં ઘેરાઇ ગયેલી કેન્દ્ર સરકારે દેશની જનતાનું ધ્યાન બીજે દોરવા આ અંદાજપત્રમાં રાહતના નામે માત્ર છબછબીયાં જ કર્યા છે.

યુપીએ સરકારમાં ભ્રષ્ટાચારી કૌભાંડો, કાળજાળ મોંઘવારી, વિકાસના ક્ષેત્રોમાં અમલીકરણની નિષ્ફળતા અને ગવર્નન્સની દિશાશૂન્યતા ઉપર આ કેન્દ્રીય બજેટમાં ઢાંકપીછોડો કરવાના પ્રયાસો થયા છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કાળજાળ મોંઘવારીમાં પીડાતી જનતાને રાહત આપવાની કોઇ જ રાજકીય ઇચ્છાશકિતની પ્રતીતિ આ કેન્દ્રીય બજેટમાં થતી નથી. શહેરી મધ્યમ વર્ગ અને શહેરી ગરીબોની સદંતર ઉપેક્ષા જ થઇ છે. ખાદ્યચીજોના ફૂગાવાને ડામવા માટેના પગલાના વિશ્વાસનો સદંતર અભાવ બજેટમાં જોવા મળ્યો છે

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કેન્દ્રીય બજેટમાં વેસ્ટ બેંગાલ, કેરાલા અને તામીલનાડુમાં આવી રહેલી ચૂંટણીઓને ધ્યાનમાં લઇને ઉચ્ચ શિક્ષણ વિકાસના નામે કેન્દ્રીય સહાયની ખેરાત કરવામાં આવી છે ત્યારે ગુજરાતે દેશ આખાને માનવસંસાધન વિકાસમાં પથદર્શક બને એવી વિશિષ્ઠ વિશ્વકક્ષાની યુનિવર્સિટીઓ શરૂ કરી છે પરંતુ તેનો ઉલ્લેખ સુધ્ધા આ બજેટમાં નથી. કેન્દ્રની યુપીએ સરકારની રાજ્યો માટેની વહાલાં-દવલાંની આ નીતિ સમવાયતંત્રને નબળું પાડી રહી છે.

દેશની યુવાશકિતને રોજગારીના અને કૌશલ્ય સંવર્ધનના અવસર આપીને વિકાસમાં ભાગીદાર થવાની યુવાવર્ગની તમન્નાને પ્રોત્સાહન મળે તેવો વિશ્વાસ પૂરો પાડવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

કૃષિક્ષેત્રના સક્ષમ વિકાસ માટેની દૂરંદેશી કાર્યયોજનાને બદલે કિસાનોને રાહત-સબસીડીના નામે છૂટાછવાયા પગલાંથી ભારત જેવા કૃષિપ્રધાન દેશના અર્થતંત્રનો પ્રગતિનો અવસર ચૂકી જવાયો છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

કાળા નાણાંને નાથીને દેશના અર્થતંત્રને સંગીન બનાવવાના નક્કર પગલાં કે સ્વીસ બેન્કમાં પડેલાં કાળા નાણાં કઇ રીતે સ્વદેશમાં પાછા લવાશે તે અંગે કેન્દ્ર સરકાર મૌન સેવે છે.

ભ્રષ્ટાચારને નાથવા માટે કેન્દ્રીય નાણાં મંત્રીશ્રીએ સામૂહિક દાયિત્વની વાત કરીને જવાબદારીમાંથી છટકી જવાની કેન્દ્રની નિસહાયતા જ દર્શાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને થઇ રહેલા અન્યાય અને કેન્દ્ર સમક્ષના મહત્વના વિકાસલક્ષી પ્રશ્નોના ઉકેલ અંગેનો કોઇ પ્રોત્સાહક પ્રતિસાદ આ કેન્દ્રીય બજેટમાં જોવા મળતો નથી.

ગુજરાત ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં અગ્રેસર છે, પણ તેના પ્રશ્નો માટે કોઇ ખેવના રાખી નથી કે કોઇ પ્રોત્સાહન આપ્યું નથી. ઉલટું જવેલરી ઉદ્યોગ ઉપર ટેક્ષ નાંખવામાં આવ્યો છે જે જવેલરી ઉદ્યોગ ઉપર વિપરીત અને અવળી અસરો કરનારો બની રહેશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું છે.

કેન્દ્રીય બજેટથી સામાન્ય માનવીની સમસ્યાઓનું સમાધાન જોવા મળતું નથી એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે સમાજમાં અડધો હિસ્સો ધરાવતા નારીવર્ગના સશકિતકરણ માટેની આશા નિરાશામાં ફેરવાઇ ગઇ છે. ગુજરાત એકલાએ મિશન મંગલમ્ યોજના દ્વારા બે લાખ સખીમંડળોના હાથમાં રૂા. પ૦૦૦ કરોડના આર્થિક કારોબારનું કૌશલ્ય લાખો નારીશકિતના હાથમાં સોંપવાની અને ગરીબોના જીવનધોરણ ઉંચે લાવવાની ક્રાંતિકારી પહેલ કરી છે એમ તેમણે જણાવ્યું હતું.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રીય બજેટમાં ગ્રામપંચાયતોને બ્રોડબેન્ડ કનેકટીવિટી આપવાની, ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાની, આદિવાસી અને દલિત વર્ગના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ વધારવાની, આંગણવાડી કાર્યકરોના વેતનમાં વધારો કરવાની જાહેરાતો થઇ છે જેની પહેલ પણ ગુજરાત સરકારે જ કરી છે. તેમ જણાવ્યું હતું.

એકંદરે સામાન્ય જનતા માટે નજીવી રાહતના નામે આ કેન્દ્રીય બજેટ છેતરામણું બની રહેશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
As Naxalism ends in Chhattisgarh, village gets tap water for first time

Media Coverage

As Naxalism ends in Chhattisgarh, village gets tap water for first time
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 એપ્રિલ 2026
April 13, 2026

Nari Shakti, 7% Growth & Global Respect: PM Modi Leadership Formula India is Celebrating