અભિધમ્મ ધમ્મમાં સમાયેલું છે, ધમ્મને સાર રૂપે સમજવા મટે પાલી ભાષાનું જ્ઞાન જરૂરી છે: પ્રધાનમંત્રી
ભાષા એ માત્ર એક સંદેશાવ્યવહારનું માધ્યમ નથી, ભાષા એ સભ્યતા અને સંસ્કૃતિનો આત્મા છે: પ્રધાનમંત્રી
દરેક રાષ્ટ્ર તેના વારસાને તેની ઓળખ સાથે જોડે છે, કમનસીબે, ભારત આ દિશામાં ઘણું પાછળ રહી ગયું હતું, પરંતુ દેશ હવે લઘુતાગ્રંથિથી મુક્ત થઈને મોટા નિર્ણય લેવામાં આવતા દેશ હવે આગળ વધી રહ્યો છે: પ્રધાનમંત્રી
જ્યારથી નવી શિક્ષણ નીતિ હેઠળ દેશના યુવાનોને તેમની માતૃભાષામાં અભ્યાસ કરવાનો વિકલ્પ મળ્યો છે, ત્યારથી ભાષાઓ વધુ મજબૂત બની રહી છે: પ્રધાનમંત્રી
આજે ભારત ઝડપી વિકાસ અને સમૃદ્ધ વારસાના બંને સંકલ્પોને એક સાથે પૂર્ણ કરવામાં વ્યસ્ત છે: પ્રધાનમંત્રી
ભગવાન બુદ્ધના વારસાના પુનરુત્થાનમાં, ભારત પોતાની સંસ્કૃતિ અને સભ્યતાને પુનર્જીવિત કરી રહ્યું છે: પ્રધાનમંત્રી
ભારતે વિશ્વને યુદ્ધ નહીં, પરંતુ બુદ્ધ આપ્યા છે: પ્રધાનમંત્રી
આજે અભિધમ્મ પર્વ પર હું સમગ્ર વિશ્વને અપીલ કરું છું કે તેઓ યુદ્ધમાં નહીં પરંતુ શાંતિનો માર્ગ પ્રસસ્ત કરનારા ભગવાન બુદ્ધના શિક્ષાઓમાં સમાધાન શોધે: પ્રધાનમંત્રી
ભગવાન બુદ્ધનો દરેક માટે સમૃદ્ધિનો સંદેશ માનવતાનો માર્ગ છે: પ્રધાનમંત્રી
ભગવાન બુદ્ધના ઉપદેશો ભારત દ્વારા પોતાના વિકાસ માટે બનાવેલા રોડમેપમાં માર્ગદર્શન આપશે: પ્રધાનમંત્રી
ભગવાન બુદ્ધનાં ઉપદેશો મિશન લાઈફના કેન્દ્રમાં છે, સ્થાયી ભવિષ્યનો માર્ગ દરેક વ્યક્તિની કાયમી જીવનશૈલીમાંથી નીકળશે: પ્રધાનમંત્રી
ભારત વિકાસ તરફ અગ્રેસર છે અને તેનાં મૂળિયાં પણ મજબૂત કરી રહ્યું છે. ભારતનાં યુવાનોએ ન માત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીમાં દુનિયાનું નેતૃત્વ કરવું જોઈએ, પણ તેમની સંસ્કૃતિ અને મૂલ્યો પર ગર્વ પણ કરવો જોઈએ: પ્રધાનમંત્રી

નમો બુદ્ધાય!

સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજીજુ જી, ભંતે ભદંત રાહુલ બોધિ મહાથેરો જી, આદરણીય ચાંગચુપ છોદૈન જી, મહાસંઘના તમામ પ્રતિષ્ઠિત સભ્યો, મહાનુભાવો, રાજદ્વારી સમુદાયના સભ્યો, બૌદ્ધ વિદ્વાનો, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.

આજે ફરી એકવાર મને આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસના કાર્યક્રમમાં ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અભિધમ્મ દિવસ આપણને યાદ અપાવે છે કે માત્ર કરુણા અને સદ્ભાવના દ્વારા જ આપણે વિશ્વને વધુ સારી જગ્યા બનાવી શકીએ છીએ. અગાઉ 2021માં કુશીનગરમાં આવો જ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મને ત્યાં પણ તે કાર્યક્રમમાં ભાગ લેવાનો લહાવો મળ્યો. અને એ મારું સદ્ભાગ્ય છે કે મારા જન્મથી શરૂ થયેલી ભગવાન બુદ્ધ સાથેના સહવાસની યાત્રા અવિરત ચાલુ છે. મારો જન્મ ગુજરાતના વડનગરમાં થયો હતો, જે એક સમયે બૌદ્ધ ધર્મનું મહાન કેન્દ્ર હતું. એ પ્રેરણાઓને જીવીને, મને બુદ્ધના ધમ્મ અને ઉપદેશોનો ફેલાવો કરવાના ઘણા અનુભવો થઈ રહ્યા છે.

છેલ્લા 10 વર્ષોમાં, ભારતના ઐતિહાસિક બૌદ્ધ તીર્થસ્થાનોથી લઈને વિશ્વના વિવિધ દેશોમાં, નેપાળમાં ભગવાન બુદ્ધના જન્મસ્થળની મુલાકાત લેવાથી લઈને, મંગોલિયામાં તેમની પ્રતિમાના અનાવરણથી લઈને શ્રીલંકામાં વૈશાખની ઉજવણીઓ... I મને કેટલા પવિત્ર પ્રસંગોમાં ભાગ લેવાની તક મળી તેની યાદ અપાવી છે. હું માનું છું કે સંઘ અને સાધકોનો આ સંગમ ભગવાન બુદ્ધની કૃપાનું પરિણામ છે. આજે, અભિધમ્મ દિવસના આ અવસર પર, હું તમને અને ભગવાન બુદ્ધના તમામ અનુયાયીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આજે શરદ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર પણ છે. આજે ભારતીય ચેતનાના મહાન ઋષિ વાલ્મીકિજીની પણ જન્મજયંતિ છે. હું તમામ દેશવાસીઓને શરદ પૂર્ણિમા અને વાલ્મીકિ જયંતિની પણ શુભેચ્છા પાઠવું છું.

 

આદરણીય મિત્રો,

આ વર્ષે અભિધમ્મ દિવસની ઉજવણી સાથે તેની સાથે એક ઐતિહાસિક સિદ્ધિ પણ જોડાયેલી છે. ભગવાન બુદ્ધના અભિધમ્મ, તેમની વાણી, તેમના ઉપદેશો... પાલી ભાષા કે જેમાં વિશ્વને આ વારસો મળ્યો છે, આ મહિને ભારત સરકારે તેને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. અને તેથી, આજનો પ્રસંગ વધુ વિશેષ બની ગયો છે. પાલી ભાષાને ક્લાસિકલ લેંગવેજનો આ દરજ્જો, શાસ્ત્રીય ભાષાનો આ દરજ્જો, પાલી ભાષાનો આ આદર... ભગવાન બુદ્ધના મહાન વારસા માટેનું સન્માન છે. જેમ તમે બધા જાણો છો, અભિધમ્મનું મૂળ ધમ્મમાં છે. ધમ્મ અને તેના મૂળ અર્થને સમજવા માટે પાલી ભાષાનું જ્ઞાન જરૂરી છે. ધમ્મનો અર્થ છે, બુદ્ધના સંદેશા, બુદ્ધના સિદ્ધાંતો... ધમ્મ એટલે, માનવ અસ્તિત્વ સાથે સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ... ધમ્મ એટલે કે માત્ર મનુષ્યો માટે શાંતિનો માર્ગ... ધમ્મ એટલે, બુદ્ધના સર્વકાલીન ઉપદેશો... ..અને, ધમ્મ એટલે, સમગ્ર માનવતાના કલ્યાણની અચળ ખાતરી! આખું વિશ્વ ભગવાન બુદ્ધના ધમ્મમાંથી પ્રકાશ લઈ રહ્યું છે.

પણ મિત્રો,

દુર્ભાગ્યવશ, પાલી જેવી પ્રાચીન ભાષા, જેમાં ભગવાન બુદ્ધની મૂળ વાણી છે, તે આજે સામાન્ય ઉપયોગમાં નથી. ભાષા એ માત્ર વાતચીતનું માધ્યમ નથી! ભાષા એ સભ્યતા અને સંસ્કૃતિનો આત્મા છે. દરેક ભાષાના તેના મૂળ ભાવ તેની સાથે સંકળાયેલા છે. તેથી, ભગવાન બુદ્ધના શબ્દોને તેની મૂળ ભાવનામાં જીવંત રાખવા માટે પાલીને જીવંત રાખવાની જવાબદારી આપણા બધાની છે. મને ખુશી છે કે અમારી સરકારે આ જવાબદારી ખૂબ જ નમ્રતાથી નિભાવી છે. ભગવાન બુદ્ધના કરોડો અનુયાયીઓ અને તેમના લાખો ભિક્ષુકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે. હું પણ આ મહત્વપૂર્ણ નિર્ણય માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

 

આદરણીય મિત્રો,

ભાષા, સાહિત્ય, કલા, આધ્યાત્મિકતા..., કોઈપણ રાષ્ટ્રની આ વિરાસત તેના અસ્તિત્વને વ્યાખ્યાયિત કરે છે. તેથી જ, તમે જુઓ, વિશ્વના કોઈપણ દેશમાં ક્યાંક સો વર્ષ જૂની કોઈ વસ્તુ મળી આવે તો પણ તે સમગ્ર વિશ્વ સમક્ષ ગર્વથી રજૂ કરે છે. દરેક રાષ્ટ્ર તેના વારસાને તેની ઓળખ સાથે જોડે છે. પરંતુ કમનસીબે ભારત આ દિશામાં ઘણું પાછળ રહી ગયું હતું. આઝાદી પહેલા, આક્રમણકારો ભારતની ઓળખને ખતમ કરવામાં રોકાયેલા હતા... અને આઝાદી પછી, ગુલામી માનસિકતાનો ભોગ બનેલા લોકો... ભારત એક એવી ઇકોસિસ્ટમ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું જેણે આપણને વિરુદ્ધ દિશામાં ધકેલવાનું કામ કર્યું હતું. બુદ્ધ જે ભારતના આત્મામાં વસે છે...બુદ્ધના પ્રતીકો જે આઝાદી સમયે ભારતના પ્રતીકો તરીકે અપનાવવામાં આવ્યા હતા...તે જ બુદ્ધને પછીના દાયકાઓમાં ભૂલી ગયા હતા. પાલી ભાષાને તેનું યોગ્ય સ્થાન મેળવતા સાત દાયકા આમ જ નથી લાગ્યા.

પણ મિત્રો,

દેશ હવે તે હીનભાવનામાંથી મુક્ત થઈ ગયો છે અને આત્મસન્માન, આત્મવિશ્વાસ અને આત્મગૌરવ સાથે આગળ વધી રહ્યો છે, તેના કારણે દેશ મોટા નિર્ણયો લઈ રહ્યો છે. તેથી જ આજે એક તરફ પાલી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળે છે તો સાથે સાથે મરાઠી ભાષાને પણ એટલો જ સન્માન મળે છે. અને જુઓ કેવો ભાગ્યશાળી સંયોગ છે કે તે બાબા સાહેબ આંબેડકર સાથે પણ જોડાઈ જાય છે. આપણા બાબા સાહેબ આંબેડકર, બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી…તેમની ધમ્મની દીક્ષા પાલીમાં થઈ હતી, અને તેમની માતૃભાષા મરાઠી હતી. એ જ રીતે આપણે બંગાળી, આસામી અને પ્રાકૃત ભાષાઓને પણ શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપ્યો છે.

મિત્રો,

ભારતની આ ભાષાઓ આપણી વિવિધતાને પોષે છે. ભૂતકાળમાં આપણી દરેક ભાષાએ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આજે દેશે અપનાવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ આ ભાષાઓની જાળવણીનું માધ્યમ બની રહી છે. જ્યારથી દેશના યુવાનોને તેમની માતૃભાષામાં અભ્યાસ કરવાનો વિકલ્પ મળ્યો છે, ત્યારથી માતૃભાષા વધુ મજબૂત બની રહી છે.

 

મિત્રો,

અમારા સંકલ્પોને પૂર્ણ કરવા અમે લાલ કિલ્લા પરથી 'પંચ પ્રાણ'નું વિઝન દેશ સમક્ષ રજૂ કર્યું છે. પંચ પ્રાણ એટલે કે વિકસિત ભારતનું નિર્માણ! ગુલામી માનસિકતામાંથી મુક્તિ! દેશની એકતા! કર્તવ્યોનું પાલન! અને આપણાં વારસા પર ગર્વ! તેથી જ આજે ભારત ઝડપી વિકાસ અને સમૃદ્ધ વારસાના બંને સંકલ્પોને એક સાથે હાંસલ કરવામાં વ્યસ્ત છે. ભગવાન બુદ્ધ સાથે જોડાયેલી વિરાસતની જાળવણી આ અભિયાનની પ્રાથમિકતા છે. તમે જુઓ, અમે ભારત અને નેપાળમાં ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા સ્થળોને બુદ્ધ સર્કિટ તરીકે વિકસાવી રહ્યા છીએ. કુશીનગરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ શરૂ કરવામાં આવ્યું છે. લુમ્બિનીમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજનું નિર્માણ થઈ રહ્યું છે. અમે લુમ્બિનીમાં જ બૌદ્ધ યુનિવર્સિટીમાં બૌદ્ધ અધ્યયન માટે ડૉ. બાબા સાહેબ આંબેડકર ચેરની સ્થાપના કરી છે. બોધગયા, શ્રાવસ્તી, કપિલવસ્તુ, સાંચી, સતના અને રીવા જેવી ઘણી જગ્યાએ વિકાસના ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ત્રણ દિવસ પછી, 20મી ઑક્ટોબરે, હું વારાણસી જઈ રહ્યો છું...જ્યાં સારનાથમાં થયેલા ઘણા વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. આપણે નવા નિર્માણની સાથે આપણા ભૂતકાળને સાચવીએ છીએ. છેલ્લા 10 વર્ષોમાં, અમે વિશ્વના વિવિધ દેશોમાંથી 600થી વધુ પ્રાચીન વારસો, કલાકૃતિઓ અને અવશેષો ભારતમાં પાછા લાવ્યા છીએ. અને આમાંના ઘણા અવશેષો બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે. એટલે કે બુદ્ધના વારસાના પુનર્જાગરણમાં ભારત તેની સંસ્કૃતિ અને સભ્યતાને નવેસરથી રજૂ કરી રહ્યું છે.

આદરણીય મિત્રો,

બુદ્ધ પ્રત્યેની ભારતની શ્રદ્ધા એ માત્ર પોતાની જ નહીં પરંતુ સમગ્ર માનવતાની સેવાનો માર્ગ છે. અમે આ મિશનમાં વિશ્વના દેશો અને બુદ્ધને જાણતા અને માનતા તમામ લોકોને સાથે લાવી રહ્યા છીએ. હું ખુશ છું, વિશ્વના ઘણા દેશોમાં આ દિશામાં સાર્થક પ્રયાસો પણ થઈ રહ્યા છે. મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ સહિત ઘણા દેશોમાં પાલી ભાષામાં લેખોનું સંકલન કરવામાં આવી રહ્યું છે. અમે ભારતમાં પણ આવા પ્રયાસોને વધુ તીવ્ર બનાવી રહ્યા છીએ. પરંપરાગત પદ્ધતિઓ સાથે, અમે ઓનલાઈન પ્લેટફોર્મ્સ, ડિજિટલ આર્કાઈવ્સ અને એપ્સ દ્વારા પાલીને પ્રોત્સાહન આપવા તરફ પણ આગળ વધી રહ્યા છીએ. ભગવાન બુદ્ધ વિશે, મેં અગાઉ પણ કહ્યું છે - “બુદ્ધ બોધ પણ છે અને બુદ્ધ સંશોધન પણ છે”. તેથી, અમે ભગવાન બુદ્ધને જાણવા માટે આંતરિક અને શૈક્ષણિક સંશોધન બંને પર ભાર આપી રહ્યા છીએ. અને મને આનંદ છે કે આપણા સંઘો, આપણી બૌદ્ધ સંસ્થાઓ, આપણા સાધુઓ આ દિશામાં યુવાનોને માર્ગદર્શન આપી રહ્યા છે.

 

આદરણીય મિત્રો,

21મી સદીનો આ સમય...વિશ્વની ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ...આજે ફરી એકવાર વિશ્વ અનેક અસ્થિરતા અને આશંકાઓથી ઘેરાયેલું છે. આવી સ્થિતિમાં બુદ્ધ માત્ર પ્રાસંગિક જ નથી પણ અનિવાર્ય પણ બની ગયા છે. મેં એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું હતું કે ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે. અને આજે હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે આખું વિશ્વ યુદ્ધમાં નહીં પરંતુ બુદ્ધમાં જ ઉકેલ શોધશે. આજે, અભિધમ્મના અવસરે, હું સમગ્ર વિશ્વને અપીલ કરું છું – બુદ્ધ પાસેથી શીખો… યુદ્ધને ખતમ કરો… શાંતિનો માર્ગ મોકળો કરો… કારણ કે, બુદ્ધ કહે છે – ““नत्थि-संति-परम-सुखं” એટલે કે શાંતિથી મોટું કોઈ સુખ નથી. ભગવાન બુદ્ધ કહે છે –

“नही वेरेन वैरानि सम्मन्तीध कुदाचनम्

अवेरेन च सम्मन्ति एस धम्मो सनन्ततो”

વેરથી વેર, દુશ્મનીથી દુશ્મની શાંત નથી થતી. વેર અવેરથી, માનવ ઉદારતા સાથે સમાપ્ત થાય છે. બુદ્ધ કહે છે- “भवतु-सब्ब-मंगलम्” એટલે કે, સૌનું મગળ થાય, સૌનું કલ્યાણ થાય- આ બુદ્ધનો સંદેશ છે, આ માનવતાનો માર્ગ છે.

 

આદરણીય મિત્રો,

2047 સુધીનો આ 25 વર્ષનો કાર્યકાળ, આ 25 વર્ષને અમૃતકાલની ઓળખ આપવામાં આવી છે. અમૃતકાલનો આ સમય ભારત માટે સમૃદ્ધિનો સમય હશે. આ એક વિકસિત ભારતના નિર્માણનો સમયગાળો હશે. ભારતે તેના વિકાસ માટે જે રોડમેપ બનાવ્યો છે તેમાં ભગવાન બુદ્ધના ઉપદેશો આપણને માર્ગદર્શન આપશે. બુદ્ધની ધરતી પર જ સંભવ છે કે આજે વિશ્વની સૌથી મોટી વસ્તી સંસાધનોના ઉપયોગ અંગે સભાન છે. તમે જુઓ, આજે વિશ્વ આબોહવા પરિવર્તનના રૂપમાં આટલા મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. ભારત માત્ર આ પડકારોનો ઉકેલ શોધી રહ્યું નથી, પરંતુ તેને વિશ્વ સાથે શેર પણ કરી રહ્યું છે. અમે વિશ્વના ઘણા દેશોને જોડીને મિશન લાઇફ શરૂ કર્યું છે. ભગવાન બુદ્ધ કહેતા હતા - “अत्तान मेव पठमन्// पति रूपे निवेसये” એટલે કે કોઈપણ સારાની શરૂઆત આપણે આપણી જાતથી કરવી જોઈએ. બુદ્ધનું આ શિક્ષણ મિશન લાઇફના હાર્દમાં છે. એટલે કે, ટકાઉ ભવિષ્યનો માર્ગ દરેક વ્યક્તિની ટકાઉ જીવનશૈલીમાંથી નીકળશે.

જ્યારે ભારતે વિશ્વને ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ જેવું પ્લેટફોર્મ આપ્યું…જ્યારે ભારતે G-20ની અધ્યક્ષતામાં ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની રચના કરી…જ્યારે ભારતે એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડનું વિઝન આપ્યું…ત્યારે બુદ્ધના વિચારો પ્રતિબિંબિત થાય છે. તે આપણો દરેક પ્રયાસ વિશ્વ માટે ટકાઉ ભવિષ્યની ખાતરી કરી રહ્યો છે. ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર હોય, આપણું ગ્રીન હાઈડ્રોજન મિશન હોય, 2030 સુધીમાં તેને નેટ ઝીરો બનાવવાનું ભારતીય રેલવેનું લક્ષ્ય હોય, પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ વધારીને 20 ટકા કરવાનું હોય... એવી ઘણી રીતો છે જેમાં આપણે મદદ કરી શકીએ છીએ. જે આ ગ્રહને સુરક્ષિત રાખવાનો આપણો મજબૂત ઈરાદો દર્શાવે છે.

 

મિત્રો,

અમારી સરકારના ઘણા નિર્ણયો બુદ્ધ, ધમ્મ અને સંઘથી પ્રેરિત છે. આજે વિશ્વમાં જ્યાં પણ કટોકટી છે, ભારત પ્રથમ પ્રતિભાવકર્તા તરીકે હાજર છે. આ બુદ્ધના કરુણાના સિદ્ધાંતનું વિસ્તરણ છે. તુર્કીમાં ભૂકંપ હોય, શ્રીલંકામાં આર્થિક સંકટ હોય કે પછી કોવિડ જેવી મહામારી હોય, ભારતે આગળ આવીને મદદનો હાથ લંબાવ્યો છે. વિશ્વબંધુ તરીકે ભારત દરેકને સાથે લઈ રહ્યું છે. આજે યોગ હોય કે મિલેટ્સને લગતું અભિયાન હોય, આયુર્વેદ હોય કે કુદરતી ખેતીને લગતું અભિયાન હોય, અમારા આવા પ્રયાસો પાછળ ભગવાન બુદ્ધ પણ પ્રેરણારૂપ છે.

 

આદરણીય મિત્રો,

વિકાસ તરફ આગળ વધી રહેલું ભારત પણ પોતાના મૂળિયા મજબૂત કરી રહ્યું છે. અમારો પ્રયાસ છે કે ભારતના યુવાનો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિશ્વનું નેતૃત્વ કરે. અને આપણા યુવાનોને પણ તેમની સંસ્કૃતિ અને તેમના મૂલ્યો પર ગર્વ હોવો જોઈએ. આ પ્રયાસોમાં બૌદ્ધ ધર્મના ઉપદેશો અમારા મહાન માર્ગદર્શક છે. મને વિશ્વાસ છે કે, આપણા સંતો અને સાધુઓના માર્ગદર્શન અને ભગવાન બુદ્ધના ઉપદેશોથી આપણે બધા સાથે મળીને આગળ વધીશું.

 

હું આજે આ શુભ દિવસે, ફરી એકવાર આ પ્રસંગ માટે આપ સૌને શુભેચ્છા પાઠવું છું. અને પાલી ભાષા શાસ્ત્રીય ભાષા બનવાના ગૌરવની સાથે સાથે તે ભાષાના જતન અને સંવર્ધન માટે પણ આપણે સૌની સામૂહિક જવાબદારી બની જાય છે અને તેને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.

નમો બુદ્ધાય!

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s startup game-changer? ₹10,000 crore FoF 2.0 set to attract investors

Media Coverage

India’s startup game-changer? ₹10,000 crore FoF 2.0 set to attract investors
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing of renowned photographer Shri Raghu Rai
April 26, 2026

The Prime Minister has expressed deep sorrow over the passing of eminent photographer Raghu Rai, describing him as a creative stalwart who immortalised India’s vibrancy through his lens. Shri Modi noted that Shri Raghu Rai’s work was marked by extraordinary sensitivity, depth and diversity, capturing the many facets of life across India and bringing them closer to people.The Prime Minister remarked that his contribution to the world of photography and culture is unparalleled, and his passing is an irreparable loss to the artistic community.

The Prime Minister posted on X;

“Shri Raghu Rai Ji will be remembered as a creative stalwart, who captured India’s vibrancy through his lens. His photography had extraordinary sensitivity, depth and diversity. It brought people closer to the different aspects of life in India. His passing is an irreparable loss to the world of photography and culture. My thoughts are with his family, admirers and the photography fraternity in this hour of grief. Om Shanti.”