નવી પેઢીનો કૌશલ્ય વિકાસ એ રાષ્ટ્રની જરૂરિયાત છે અને આત્મનિર્ભર ભારતની આધારશીલા છે: પ્રધાનમંત્રી
કૌશલ્યની ઉજવણીએ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે: પ્રધાનમંત્રી
સમાજમાં કૌશલ્ય પ્રાપ્ત કામદારોનો યોગ્ય આદર કરવાનું આહ્વાન કર્યું
'પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના' હેઠળ 1.25 કરોડ કરતાં વધારે યુવાનોને તાલીમ આપવામાં આવી છે: પ્રધાનમંત્રી
ભારત સમગ્ર દુનિયાને હોંશિયાર અને કૌશલ્ય પ્રાપ્ત માનવબળ પૂરું પાડે તેવી વિચારધારા આપણા યુવાનોને કૌશલ્યવાન બનાવવાની વ્યૂહનીતિમાં કેન્દ્ર સ્થાને હોવી જોઇએ: પ્રધાનમંત્રી
ભારતના કૌશલ્યવાન કાર્યદળે મહામારી સામે અસરકારક રીતે લડવામાં મદદ કરી છે: પ્રધાનમંત્રી
યુવાનોના કૌશલ્ય, પુનઃકૌશલ્ય અને કૌશલ્ય વૃદ્ધિનું મિશન અવિરત આગળ વધવું જોઇએ: પ્રધાનમંત્રી
કૌશલ્ય ભારત મિશન નબળા વર્ગોને કૌશલ્ય પૂરું પાડીને ડૉ. બાબાસાહેબ આંબેડકરનું દીર્ઘદૃષ્ટિપૂર્ણ સપનું સાકાર કરી રહ્યું છે: પ્રધાનમંત્રી

નમસ્કાર!

વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે તમામ યુવા સાથીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! કોરોના મહામારી વચ્ચે આપણે બીજી વખત આ દિવસની ઉજવણી કરી રહયા છીએ.

આ વૈશ્વિક મહામારીના પડકારોએ વિશ્વ યુવા કૌશલ્ય દિવસનું મહત્વ અનેક ગણુ વધારી દીધુ છે. વધુ એક મહત્વપૂર્ણ બાબત એ છે કે આ સમયે આપણી આઝાદીનાં 75 વર્ષના પર્વની પણ આપણે ઉજવણી કરી રહયા છીએ. 21મી સદીમાં જન્મેલા આજના યુવા ભારતની વિકાસ યાત્રાને આઝાદીના 100 વર્ષ સુધી આગળ ધપાવવાની છે. આ માટે નવી પેઢીના યુવાનોમાં કૌશલ્ય વિકાસ થાય તે એક રાષ્ટ્રીય જરૂરિયાત છે અને આત્મનિર્ભર ભારતનો તે ખૂબ મોટો આધાર છે. વિતેલા 6 વર્ષમાં જે આધાર બન્યો છે, જે નવી સંસ્થાઓ બની છે તેની પૂરી તાકાત કામે લગાડીને આપણે નવેસરથી કૌશલ્ય વિકાસ મિશનને ગતિ આપવાની છે.

સાથીઓ,

જ્યારે પણ કોઈ સમાજ કૌશલ્યને મહત્વ આપે છે ત્યારે તે સમાજના કૌશલ્યમાં વધારો પણ થાય છે, ઉન્નતિ પણ થાય છે. દુનિયા આ બાબતને સારી રીતે જાણે પણ છે, પરંતુ ભારતની વિચારધારા તેના કરતાં પણ એક કદમ આગળ રહી છે. આપણાં પૂર્વજોએ કૌશલ્યોને મહત્વ આપવાની સાથે-સાથે તેની ઉજવણી પણ કરીને કૌશલ્યોને સમાજના ઉલ્લાસનો હિસ્સો બનાવી દીધા છે. તમે જુઓ, આપણે વિજયા દશમીએ શસ્ત્ર પૂજન કરીએ છીએ. અક્ષય તૃતિયાના દિવસે ખેડૂત પાકની, કૃષિ યંત્રોની પૂજા કરે છે. ભગવાન વિશ્વકર્માની પૂજા તો આપણાં દેશમાં દરેક કૌશલ્ય અને દરેક શિલ્પ સાથે જોડાયેલા લોકો માટે ખૂબ મોટો ઉત્સવ બની રહે છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં ઉલ્લેખ કર્યો છે કે –

विवाहदिषु यज्ञषुगृह आराम विधायके।

सर्व कर्मसु सम्पूज्योविश्वकर्मा इति श्रुतम्॥

આનો અર્થ એવો થાય છે કે વિવાહ હોય, ગૃહ પ્રવેશ હોય કે પછી કોઈ યજ્ઞ કાર્ય કે સામાજિક કાર્ય હોય, તેમાં ભગવાન વિશ્વકર્માની પૂજા, તેમનું સન્માન જરૂર કરવું જોઈએ. વિશ્વકર્માની પૂજા એટલે કે સમાજ જીવનમાં અલગ-અલગ રચનાત્મક કાર્ય કરનારા આપણાં વિશ્વકર્માઓનું સન્માન, કૌશલ્યનું સન્માન. લાકડાંના કારીગરો, મેટલનું કામ કરનારા લોકો, સફાઈ કર્મચારી, બગીચાની સુંદરતા વધારનાર માળી, માટીના વાસણ બનાવનાર કુંભાર, હાથવણાટ કરનારા વણકર સાથીદારો જેવા અનેક લોકો છે કે જેમણે આપણી પરંપરાને વિશેષ સન્માન આપ્યું છે.

 

મહાભારતમાં એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે-

विश्वकर्मा नमस्तेस्तुविश्वात्मा विश्व संभवः॥

આનો અર્થ એ થાય છે કે જેમના કારણે વિશ્વમાં ઘણું બધુ શક્ય બન્યુ છે તેવા વિશ્વકર્માને નમન કરૂં છું. વિશ્વકર્માને, વિશ્વકર્મા તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે કે તેમના કામ વગર, કૌશલ્ય વગર સમાજનું અસ્તિત્વ જ અશક્ય છે, પરંતુ કમનસીબે ગુલામીના લાંબા કાળ ખંડમાં કૌશલ્ય વિકાસની વ્યવસ્થા આપણી સામાજિક વ્યવસ્થામાં, આપણી શિક્ષણ વ્યવસ્થામાં ધીરે-ધીરે નબળી પડતી ગઈ હતી.

સાથીઓ,

શિક્ષણ આપણને એ જાણકારી આપે છે કે આપણે શું કરવાનું છે, તો કૌશલ્ય આપણને શીખવે છે કે વાસ્તવિક સ્વરૂપે કામ કેવી રીતે કરી શકાશે! આ સચ્ચાઈની સાથે, આ જરૂરિયાતની સાથે દેશમાં ‘સ્કીલ ઈન્ડીયા મિશન’ એ કદમથી કદમ મેળવવાનું અભિયાન છે. મને એ વાતનો આનંદ છે કે “પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના” ના માધ્યમથી અત્યાર સુધીમાં સવા કરોડ કરતાં વધુ યુવાનોને તાલીમ આપવામાં આવી છે.

સાથીઓ,

હું વધુ એક ઘટના બાબતે આપ સૌને જણાવવા માંગુ છું કે એક વખત કૌશલ્ય વિકાસ અંગે કામ કરી રહેલા કેટલાક અધિકારીઓ મને મળવા આવ્યા. મેં તેમને જણાવ્યું કે તમે આ દિશામાં કામ કરી રહ્યા છો તો તમે એવા કૌશલ્યોની એક યાદી બનાવો કે જેની આપણે આપણાં જીવનમાં સેવા લઈએ છે. તમને નવાઈ લાગશે કે જ્યારે તેમણે ઝડપભેર એક યાદી બનાવી તો આ યાદીમાં 900 કરતાં વધુ કૌશલ્યો મળી આવ્યા કે જેની આપણને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે આવશ્યકતા ઉભી થાય છે. તમે અંદાજ લગાવી શકો છો કે કૌશલ્ય વિકાસનું કામ કેટલું મોટું છે. આજે એ જરૂરી બન્યું છે કે શીખવાની સાથે-સાથે કમાણી કરવાનું કામ અટકવું જોઈએ નહીં. આજે દુનિયામાં કૌશલ્યોની એટલી મોટી માંગ છે કે જેનામાં કુશળતા હશે તે વૃધ્ધિ પામશે તે બાબત વ્યક્તિઓને પણ લાગુ પડે છે અને દેશને પણ લાગુ પડે છે. દુનિયા માટે ભારત એક સ્માર્ટ અને કુશળ મેન પાવર સોલ્યુશન આપી શકે તે બાબત આપણાં નવયુવાનોની કૌશલ્ય વ્યૂહરચનાના મૂળમાં હોવી જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખીને ગ્લોબલ સ્કીલ ગેપનું મેપીંગ કરવામાં આવી રહ્યું છે, જે એક પ્રશંસનીય કદમ છે. આપણાં યુવાનો માટે સ્કીલીંગ, રિ-સ્કીલીંગ અને અપ-સ્કીલીંગનું ધ્યેય સતત ચાલતું રહેવું જોઈએ.

મોટા-મોટા નિષ્ણાતો આજે એવી ધારણાં લગાવી રહ્યા છે કે જે ઝડપથી ટેકનોલોજી બદલાઈ રહી છે તે જોતાં આગામી ત્રણથી ચાર વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોનું રિ-સ્કીલીંગ કરવાની જરૂર ઉભી થશે અને તેના માટે આપણે દેશને તૈયાર કરવાની જરૂર પડશે. કોરોના કાળમાં આપણે સૌએ કૌશલ્ય અને કૌશલ્ય ધરાવતા માનવબળનું મહત્વ ખૂબ જ નજીકથી જોયું છે, તેનો અનુભવ કર્યો છે. દેશ કોરોના સામેની લડાઈ આટલી અસરકારક રીતે લડી શક્યો તેમાં આપણાં કુશળ માનવબળનું ખૂબ મોટું યોગદાન છે.

સાથીઓ,

બાબા સાહેબ આંબેડકરે યુવાનોના, કમજોર વર્ગને કૌશલ્ય પૂરૂ પાડવાની બાબત ઉપર ખૂબ જ ભાર મૂક્યો હતો. આજે કુશળતા પામેલા ભારતના માધ્યમથી દેશ બાબા સાહેબના આ દૂરદર્શી સ્વપ્નને પૂરૂં કરવા માટે અથાગ પ્રયાસો કરી રહ્યો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આદિવાસી સમાજ માટે ભારતે ‘ગોઈંગ ઓનલાઈન એઝ લીડર્સ’ એટલે કે GOAL પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ પરંપરાગત કૌશલ્યના ક્ષેત્રો કે જેમાં કળા હોય, સંસ્કૃતિ હોય, હસ્તકલા હોય કે ટેક્સટાઈલ હોય, આ બધામાં આદિવાસી ભાઈ-બહેનોની ડીજીટલ સાક્ષરતા અને કૌશલ્યને મદદ મળશે. તેમનામાં ઉદ્યોગસાહસિકતાનો વિકાસ થશે. આ જ રીતે વન ધન યોજના પણ આજે આદિવાસી સમાજને નવી તકો સાથે જોડવાનું અસરકારક માધ્યમ બની રહી છે. આપણે આવનારા સમયમાં આ જ રીતે અભિયાનોને વધારે પ્રમાણમાં વ્યાપક બનાવવાના છે. કૌશલ્યના માધ્યમથી પોતાને અને દેશને આત્મનિર્ભર બનાવવાનો છે.

આવી શુભેચ્છાઓ સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Samridh scheme boosts 373 Indian startups as government disburses over Rs 93 crore in funding

Media Coverage

Samridh scheme boosts 373 Indian startups as government disburses over Rs 93 crore in funding
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Share your ideas and suggestions for 'Mann Ki Baat' now!
February 05, 2026

Prime Minister Narendra Modi will share 'Mann Ki Baat' on Sunday, February 22nd. If you have innovative ideas and suggestions, here is an opportunity to directly share it with the PM. Some of the suggestions would be referred by the Prime Minister during his address.

Share your inputs in the comments section below.