ભાઈઓ અને બહેનો, આ મારૂં સૌભાગ્ય છે કે જે યોજના મારા દિલની અત્યંત નિકટ છે તે યોજનાના કર્મયોગીઓ, ઉદ્યમશીલ યુવાનોની સાથે તેમજ પરંપરામાંથી બહાર નિકળેલી બહેનો સાથે મને આજે વાતચીત કરવાની તક મળી છે. તમે એવા લોકો છો કે જે અગાઉથી તૈયાર કરાયેલા માર્ગ પર ચાલવાને બદલે પોતાનો માર્ગ સ્વયં નક્કી કરો છો. તમારા સાહસ અને ઈચ્છાશક્તિ દ્વારા તમે તમારો રસ્તો તૈયાર કરો છો. દેશની સમૃદ્ધિ અને સમાજની ખુશાલીમાં તમારૂં ઘણું મોટું યોગદાન છે. આજે મારી સાથે-સાથે સમગ્ર દેશ તમારા સૌના આ સાહસ અંગે તથા આ નિર્ણય અને આ પહેલની સાથે તમારી યાત્રાના સંસ્મરણો સાંભળવા માટે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આપ સૌની સાથે જોડાયો છે. હજુ હમણાં થોડા મહિના પહેલાં જ પ્રધાનમંત્રી નિવાસે મને મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે થોડો સમય વિતાવવાની તક મળી હતી. તેમના અનુભવ, તેમનો સંઘર્ષ, તેમની પ્રગતિ અંગેની વાતો સંતોષ પણ વ્યક્ત કરતી હતી અને મનને ગર્વથી પ્રસન્ન કરી દેતી હતી. એ દિવસે મેં નક્કી કરી લીધું હતું કે જ્યારે-જ્યારે મોકો મળે ત્યારે સમગ્ર દેશના મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરવાની તક હું શોધતો રહીશ. દેશભરના મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરીશ, ગોષ્ઠી કરીશ અને આજે ટેકનોલોજીના માધ્યમથી તમારો પણ સમય બચી ગયો છે અને મારો પણ સમય બચ્યો છે, પરંતુ આપણી વચ્ચે એવુ બંધન બંધાઈ ગયું છે અને એવા જ પ્રેમનો નાતો જોડાયો છે. તમારો અનુભવ અને તમારી ભાવનાઓ મને સીધે સીધી સાંભળવા મળી રહી છે. વચ્ચે કોઈ વ્યવસ્થાની જરૂર નથી.
દેશની અર્થ વ્યવસ્થાની મજબૂતી માટે તમારા જેવા ઉદ્યમી લોકોનું મહત્વપૂર્ણ યોગદાન છે, પરંતુ અગાઉ આ બાબત ઉપર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. તેમના અંગે ક્યારેય પણ વિચાર કરવામાં આવ્યો ન હતો. તમને ખબર છે કે આજથી 25-30 વર્ષ પહેલાં રાજકીય લાભ માટે લોકો લોન મેળાઓ ચલાવતા હતા અને જે લોકો રાજકીય સિદ્ધાંતમાં માનનારા હતા તેમના ચેલાઓ અને ઠેકેદારો વોટ બેંકની રાજનીતિથી આ બેંકોમાંથી રૂપિયા લઈ જતા હતા. તે પછી શું થયું તે કોઈ પૂછતું નથી અમે નથી કોઈ લોન મેળા કર્યા કે નથી કોઈ વચેટિયાઓને જગ્યા આપી. અમે દેશના નવયુવાનો, દેશની માતાઓ અને બહેનો, જે પોતાની પહેલ દ્વારા કંઈક કરવા માંગતી હોય, જાતે બેંકની ઓફિસમાં જઈને વાત કરવા ઈચ્છતી હોય અને જાતે પોતાની વાત મૂકી શકતી હોય તેવા લોકો માટે મુદ્રા યોજના મારફતે એક એવી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી કે જે ઈચ્છા ધરાવતા અને કંઈક કરવાનો ઈરાદો ધરાવતા દેશવાસીઓ માટે એક મોટો અવસર બની ગઈ. અમે અમારા નાના ઉદ્યમીઓ પર ભરોંસો કર્યો અને તેમના બિઝનેસ કૌશલ્ય ઉપર ભરોંસો કર્યો. મુદ્રા યોજના હેઠળ તેમને ધિરાણ આપવામાં આવ્યું, કારણ કે તે પોતાનો બિઝનેસ શરૂ કરી શકે, તેનો વિસ્તાર કરી શકે. મુદ્રા યોજનાથી માત્ર સ્વરોજગારની તકો જ ઉભી થઈ નથી, પરંતુ આજે તે રોજગારીને વધારવાનું કરવાનું કામ પણ કરી રહી છે.
આઝાદી પછી આપણાં દેશમાં લાયસન્સ રાજની એક મોટી બીમારી જોવા મળી છે. લોન એવા લોકોને મળતી હતી કે જેમને કોઈ ઓળખાણ હતી. કામ એવા લોકોનું થતું હતું કે જેમનું નામ જાણીતુ હતું. કોઈને કોઈ રીતે આ પ્રથાએ ગરીબ માણસને પ્રણાલીની બહાર ઉભો રાખી દીધો, કારણ કે તેની પાસે ન કોઈ મોટું નામ હતું, ન કોઈ પહોંચ હતી. આ એક એવું મોટું કારણ હતું જેનાથી હજારો, લાખો નાના ઉદ્યમી લોકો આટલા વર્ષો સુધી પોતાની કુશળતાના ધોરણથી પોતાનો વેપાર શરૂ કરી શકતા ન હતા અથવા તો તેનો વિસ્તાર કરી શકતા ન હતા. તેમણે આર્થિક મદદ માટે શાહુકારોની ચુંગાલમાં ફસાઈને રહી જવું પડતું હતું.
આ દેશમાં એક એવો સમય હતો કે જ્યારે ખુદ નાણાંમંત્રી મોટા ઉદ્યોગપતિઓ માટે ફોન કરીને લોન અપાવતા હતા. અને બીજી તરફ એક નાના ઉદ્યમીઓ શાહુકારને 30-40 ટકા વ્યાજ આપવાનાં ચક્કરમાં ફસાઈ જતા અને પૂરી જીંદગી દરમ્યાન તેમાંથી બહાર નિકળી શકતા ન હતા. આ વિષચક્રને ક્યારેક તો તોડવું પડે તેમ હતું. કોઈએ તો તોડવું પડે તેમ હતું. અમે એદિશામાં પ્રયાસ કર્યો અને અમે એમાં સફળ પણ થયા. આ વિષચક્રને અમે તોડી રહ્યા છીએ… ભરોંસાની અને વિશ્વાસની તાકાતથી. સરકારનો ગરીબ પર વિશ્વાસ, ગરીબોનો સપના પર વિશ્વાસ અને ગરીબની મહેનત પર વિશ્વાસ.
જો યુવાનોને દાયકાઓ પહેલાં મુદ્રા જેવી કોઈ યોજના મળી ગઈ હોત તો મને પૂરો વિશ્વાસ છે કે શહેરો તરફ સ્થળાંતરની સમસ્યા આટલી વિકરાળ બની ન હોત. બેંક બાંહેધરી વગર લોન મળવાથી, ઓછા વ્યાજ દરેલોન મેળવવાને કારણે યુવાનો પોતાના ગામ કે શહેરમાં રહીને પોતાની ક્ષમતા પર રોજગારી પ્રાપ્ત કરી શક્યા હોત. આજે ગરીબમાં ગરીબ વ્યક્તિને કોઈપણ પ્રકારની કોલેટરલ ગેરંટી (જામીનગીરી) વગર મુદ્રા લોન મળી રહી છે. આજે એક સામાન્ય વ્યક્તિ પણ કોઈપણ પ્રકારના ખાસ નામ અથવા ઓળખ વગરની વ્યક્તિ પણ મુદ્રા લોનની મદદથી ઉદ્યમી બની શકે છે અને આજે એવી પણ જરૂરિયાત નથી કે તમારો કોઈ મિત્ર કે સંબંધી સરકારમાં હોય જ. આજે દેશમાં કૌશલ્યની કોઈ ઉણપ નથી. દરેક વ્યક્તિ પાસે, પછી ભલેને તે કોઈ પણ ક્ષેત્રમાં હોય, કોઈ પણ વર્ગ સાથે જોડાયેલો હોય, તેની પાસે કોઈને કોઈ કુશળતા જરૂર હોય છે. જરૂરિયાત છે આવી કુશળતાને ઓળખ આપવાની, તેને પ્રોત્સાહન આપવાની. મુદ્રા યોજનાથી લોકોને અને ખાસ કરીને આપણાં યુવાનોની આ કુશળતાને તાકાત મળી રહી છે. જ્યારે કુશળતાને પ્રોત્સાહન મળે છે ત્યારે એ વધુ ખિલી ઉઠે છે. જીવનમાં પરિવર્તન આવે છે. માની લો કે કોઈની પાસે કપડાં પર ગૂંથણ કરવાનુંકૌશલ્ય હતો, તેણે મુદ્રા યોજના હેઠળ લોન મેળવીને કપડાં ઉપર ગૂંથણ કરવાનો ધંધો શરૂ કર્યો અને ધીરે-ધીરે તે ડિઝાઈનર કપડાંઓનું કામ પણ કરવા લાગશે. કોઈને પોતાનો હેન્ડલૂમ વ્યવસાય શરૂ કરવામાં મદદ મળી. મુદ્રા યોજનાએ એક તરફ દેશના સામાન્ય વ્યક્તિના કૌશલ્યને ખિલવવાનું કામ કર્યું છે. આ કૌશલ્યને ઓળખ આપવાનું અને લોકોને સશક્ત બનાવવાનું કામ કર્યું છે મુદ્રા યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 12 કરોડ લોનના માધ્યમથી પોણા છ લાખ કરોડની રકમ આપવામાં આવી છે.
ઘણીવાર એવું બને છે કે સરકારની પાસે યોજનાઓ માટે ભંડોળ હોય છે, પરંતુ તેનો પૂરો ઉપયોગ થઈ શકતો નથી. પણ તમને એ બાબત જાણીને આશ્ચર્ય થશે કે મુદ્રા યોજના એ એક એવી યોજના છે કે જેમાં લક્ષ્યાંકથી વધારે લોન આપવામાં આવી છે. એમાં પણ 28 ટકા એટલે કે સવા ત્રણ કરોડથી વધુ લોન એવા લોકોને આપવામાં આવી છે કે જેમણે પહેલી વખત કોઈને કોઈ કામકાજ શરૂ કર્યું હોય. આ એવા લોકો છે કે જે એક તરફ બેરોજગારીમાંથી નિકળીને રોજગાર પેદા કરવાની સ્થિતિમાં આવી ગયા છે. સૌથી મોટી આનંદની વાત એ છે કે આમાંથી 74 ટકા લાભાર્થી મહિલાઓ છે એટલે કે 9 કરોડથી વધારે ધિરાણો માત્ર મહિલાઓને આપવામાં આવ્યા છે. મહિલાઓ જ્યારે-જ્યારે આગળ વધે છે ત્યારે આર્થિક ગતિવિધીનું કેન્દ્ર બની જાય છે અને પૂરા પરિવારના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને તેમની વિચાર પ્રક્રિયા બદલાઈ જાય છે. સમાજ સશક્ત બને છે. આ રીતે મુદ્રા યોજના હેઠળ 55 ટકા લોકો પછાત સમાજના વ્યક્તિઓ છે, કે જેમને લોન મળી છે, એટલે કે કુલ 12 કરોડ લોનમાંથી 55 ટકા અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અથવા તો અન્ય પછાત વર્ગના સમાજના ઉદ્યમીઓને મળી છે. દાયકાઓથી આપણે ગરીબીના નામ પર સૂત્રોચ્ચાર સાંભળતા આવ્યા છીએ. ગરીબોના ઉત્કર્ષની વાતો જ સાંભળી છે, પરંતુ મુદ્રા યોજના એક એવી યોજના છે કે જે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર પછાત સમાજને આર્થિક અને સામાજિક બળ પૂરૂ પાડવાનું અને તેમને સશક્ત બનાવવાનું કામ કરી રહી છે.
જે કામબેંકોની સાથે શરૂ થયું હતું તેમાં આજે ધીરે-ધીરે અનેક સંસ્થાઓ જોડાઈને આગળ વધી રહી છે. આજે માત્ર 110 બેંકો જ નહીં, તેમના સિવાય 72 માઈક્રો ફાયનાન્સિયલ સંસ્થાઓ (એમએફઆઈ) અને 9 નોન- બેંકીંગ ફાયનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) પણ મુદ્રા લોન આપી રહી છે. બેંકોએ પણ મુદ્રા લોન લેવાની પ્રક્રિયાને સરળ બનાવવાનું પણ કામ કર્યું છે. દસ્તાવેજો આપવાની કામગીરી તણાવનું કારણ બને નહીં તે માટે કાગળો તૈયાર કરવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે. સ્વરોજગાર હોવું તે એક ગર્વની બાબત બની ગઈ છે અને તેનો પ્રેરણાસ્રોત આપ સૌ લોકો છો.


