“સંગીત એક એવું માધ્યમ છે જે આપણને આપણી સાંસારિક ફરજોથી વાકેફ કરે છે અને તે આપણને દુન્યવી આસક્તિઓને પાર કરવામાં પણ મદદ કરે છે”
“યોગ દિવસના અનુભવે સંકેત આપ્યો છે કે વિશ્વને ભારતીય વારસો અને ભારતીય સંગીતનો લાભ મળ્યો છે. માનવ મનના ઊંડાણને હલાવવાની ક્ષમતા પણ ધરાવે છે”
“વિશ્વની દરેક વ્યક્તિ ભારતીય સંગીત વિશે જાણવા, શીખવાનો અને લાભ મેળવવાનો હકદાર છે. તેની કાળજી લેવાની આપણી જવાબદારી છે”
“આજના યુગમાં જ્યારે ટેક્નોલોજીનો પ્રભાવ સર્વત્ર વ્યાપક છે ત્યારે સંગીત ક્ષેત્રે પણ ટેક્નોલોજી અને IT ક્રાંતિ થવી જોઈએ”
“આજે આપણે કાશી જેવા કલા અને સંસ્કૃતિના કેન્દ્રોને પુનઃસર્જિત કરી રહ્યા છીએ”

નમસ્કાર !

આ વિશેષ આયોજનમાં ઉપસ્થિત દુર્ગા જસરાજજી, સારંગદેવ પંડિતજી, પંડિત જસરાજ કલ્ચરલ ફાઉન્ડેશનના સહસ્થાપક નીરજ જેટલીજી, દેશ અને દુનિયાના સંગીતના તમામ જાણકારો, કલાકાર સમુદાય, દેવીઓ અને સજ્જનો.

આપણે ત્યાં સંગીત, સૂર અને સ્વરને અમર માનવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે સ્વરની ઊર્જા અમર હોય છે અને તેનો પ્રભાવ પણ અમર હોય છે. આવી સ્થિતમાં જે મહાન આત્માએ સંગીતને જ જીવ્યું હોય, સંગીત જ જેમના અસ્તિત્વના કણ કણમાં ગૂંજતું રહ્યું હોય તે શરીરનો ત્યાગ કર્યા પછી પણ બ્રહ્માંડની ઊર્જા અને ચેતનામાં અમર રહે છે.

આજે આ કાર્યક્રમમાં સંગીતના જાણકારો અને કલાકારો દ્વારા જે રજૂઆતો કરવામાં આવી છે, તેને કારણે જે રીતે પંડિત જસરાજજીના સૂર, તેમનું સંગીત આપણી વચ્ચે ગૂંજી રહ્યું છે. સંગીતની આ ચેતનામાં એવો અનુભવ થતો હોય છે કે જાણે પંડિત જસરાજજી આપણી વચ્ચે ઉપસ્થિત હોય અને સાક્ષાત રજૂઆત કરી રહ્યા હોય.

મને આનંદ છે કે તેમનો શાસ્ત્રીય વારસો આપ સૌ આગળ ધપાવી રહ્યા છો અને તેમના વારસાને આવનારી પેઢીઓ અને સદીઓ સુધી સુરક્ષિત કરી રહ્યા છો ત્યારે આજે પંડિત જસરાજજીની જન્મ જયંતીનો પવિત્ર અવસર પણ છે. આજના આ દિવસે પંડિત જસરાજ કલ્ચરલ ફાઉન્ડેશનની સ્થાપનાના આ અભિનવ કાર્ય માટે હું આપ સૌને અભિનંદન પાઠવું છું.

ખાસ કરીને હું દુર્ગા જસરાજજી અને પંડિત સારંગ દેવજીને શુભકામના પાઠવું છું. તમે પોતાના પિતાની પ્રેરણાને, તેમની તપસ્યાને સમગ્ર વિશ્વને સમર્પિત કરવાનું બીડુ ઉઠાવ્યું છે. મને પણ ઘણી વખત પંડિત જસરાજજીને સાંભળવાનું અને તેમની સાથે મુલાકાત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

સાથીઓ,

સંગીત એક ખૂબ જ ગૂઢ વિષય છે, હું તેનો વધુ જાણકાર તો નથી, પણ આપણાં ઋષિઓએ સ્વર અને નાદ બાબતે જેટલું વ્યાપક જ્ઞાન આપ્યું છે તે સ્વંય અદ્દભૂત છે. આપણાં સંસ્કૃત ગ્રંથોમાં લખ્યું છે કે-

નાદ રૂપઃ સ્મૃતો બ્રહ્મા, નાદ રૂપો જનાર્દનઃ

નાદ રૂપઃ પારા શક્તિઃ, નાદ રૂપો મહેશ્વરઃ

આનો અર્થ એવો થાય છે કે બ્રહ્માંડને જન્મ આપનારી, પાલન કરનારી અને સંચાલન કરનારી તથા લય આપનારી શક્તિઓ નાદરૂપ જ છે. નાદને, સંગીતને ઊર્જાના પ્રવાહમાં જોવાની, સમજવાની આ શક્તિ જ ભારતીય શાસ્ત્રીય સંગીતને આટલું અસાધારણ બનાવે છે.

સંગીત એ એક એવું માધ્યમ છે કે જે આપણને સાંસારિક કર્તવ્યનું ભાન કરાવે છે અને સાંસારિક મોહથી મુક્તિ પણ આપે છે. સંગીતની એ ખાસિયત રહી છે કે તમે તેને સ્પર્શી શકતા નથી, પણ તે અનંત સુધી ગૂંજતુ રહે છે. મને કહેવામાં આવ્યું છે કે પંડિત જસરાજ કલ્ચરલ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ ભારતનો વારસો, કલા અને સંસ્કૃતિનું રક્ષણ કરશે તથા તેનો વિકાસ અને પ્રચાર કરશે.

મને એ જાણીને આનંદ થયો છે કે ફાઉન્ડેશન ઉભરતા કલાકારોને સહયોગ આપશે અને કલાકારોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે પણ પ્રયાસ કરશે.

સંગીતના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધનને પણ તમે લોકો આ ફાઉન્ડેશનના માધ્યમથી આગળ ધપાવવા માટેનું કામ વિચારી રહ્યા છો. હું માનું છું કે પંડિત જસરાજ જેવી મહાન વિભૂતિ માટે તમારૂં આ કાર્ય આયોજન છે. તમે જે પણ કોઈ રોડ મેપ બનાવ્યો છે તે સ્વયં એક ખૂબ મોટી શ્રધ્ધાંજલિ છે અને હું એમ પણ કહીશ કે હવે તેમના શિષ્યો માટે એક રીતે કહીએ તો આ ગુરૂ દક્ષિણા આપવાનો સમય છે.

સાથીઓ,

આજે આપણે એક એવા સમયે મળી રહ્યા છીએ કે જ્યારે સંગીતની દુનિયામાં ટેકનોલોજી ઘણી આગળ વધી રહી છે. આ કલ્ચરલ ફાઉન્ડેશનને મારો આગ્રહ છે કે તે બે બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે. આપણે લોકો ગ્લોબલાઈઝેશનની વાત સાંભળીએ છીએ, પણ ગ્લોબલાઈઝેશનની જે પરિભાષા છે, તે તમામ બાબતો ફરી ફરીને અર્થકેન્દ્રિત બની જાય છે અને અર્થ વ્યવસ્થાના પાસાંઓને સ્પર્શ કરતી હોય છે. આજના ગ્લોબલાઈઝેશનના જમાનામાં ભારતીય સંગીત પોતાની વૈશ્વિક ઓળખ બનાવે અને વિશ્વમાં પોતાનો પ્રભાવ ઉભો કરે તે આપણાં સૌની જવાબદારી છે. 

ભારતીય સંગીત માનવીના મનના ઊંડાણને આંદોલિત કરવાનું સામર્થ્ય ધરાવે છે, સાથે સાથે પ્રકૃતિ અને પરમાત્માના એકાત્મના અનુભવને પણ બળ આપે છે. ઈન્ટરનેશનલ યોગા ડે - હવે સમગ્ર દુનિયામાં યોગા એક પ્રકારે સહજ અસ્તિત્વનો અનુભવ કરાવે છે અને આ અનુભવમાં એક બાબત એ આવે છે કે ભારતના આ વારસાથી સમગ્ર માનવ જાતિ અને સમગ્ર વિશ્વને લાભ મળ્યો છે. વિશ્વનો દરેક માનવી ભારતીય સંગીતને જાણવા અને સમજવા તથા શિખવા અને તેનો લાભ મેળવવા માટે હક્કદાર છે. આપણી એ જવાબદારી છે કે આપણે આ પવિત્ર કાર્યને પૂર્ણ કરીએ.

મારૂં બીજુ સૂચન એવું છે કે જ્યારે ટેકનોલોજીનો પ્રભાવ જીવનના દરેક ક્ષેત્ર ઉપર છે ત્યારે સંગીતના ક્ષેત્રે પણ ટેકનોલોજી અને આઈટીનું રિવોલ્યુશન હોવું જોઈએ. ભારતમાં એવા સ્ટાર્ટ-અપ તૈયાર થાય કે જે સંપૂર્ણ રીતે સંગીતને સમર્પિત હોય, ભારતીય વાદ્ય યંત્રો ઉપર આધારિત હોય, ભારતના સંગીતની પરંપરા ઉપર આધારિત હોય. ભારતીય સંગીતની જે પવિત્ર ધારા છે, ગંગા જેવી પવિત્ર ધારાઓ છે તેનો આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ કેવી રીતે કરી શકાય તે બાબતે ઘણું બધું કરવાની આવશ્યકતા છે. જેનાથી આપણી જે ગુરૂ-શિષ્ય પરંપરા છે તે તો અકબંધ જ રહેવી જોઈએ અને સાથે સાથે ટેકનોલોજીના માધ્યમથી એક વૈશ્વિક તાકાત પણ પ્રાપ્ત થવી જોઈએ, મૂલ્યવૃધ્ધિ થવી જોઈએ.

સાથીઓ,

ભારતનું જ્ઞાન, ભારતનું દર્શન, ભારતનું ચિંતન, આપણાં વિચારો, આપણાં આચાર, આપણી સંસ્કૃતિ, આપણું સંગીત તેના મૂળમાં આ તમામ બાબતો માનવતાનો સેવાભાવ લઈને સદીઓ સુધી આપણાં સૌની જીવનમાં ચેતના ભરતી રહે છે. સમગ્ર વિશ્વના કલ્યાણની કામના સહજ રીતે એમાં પ્રગટ થાય છે. એટલા માટે, આપણે ભારતની પરંપરાઓ અને ઓળખને જેટલી આગળ ધપાવીશું તેટલી જ આપણે માનવતાની સેવા માટેના અવસર  ઊભા કરી શકીશું.

આ જ આજના ભારતનું મંતવ્ય છે અને આજના ભારતનો મંત્ર છે.

આજે આપણે કાશી જેવી આપણી કળા અને સંસ્કૃતિના કેન્દ્રોને પુનઃ જાગૃત કરી રહ્યા છીએ. પર્યાવરણ સુરક્ષા અને પ્રકૃતિ પ્રેમ અંગે આપણી જે આસ્થા રહી છે તે આજના ભારતના માધ્યમથી વિશ્વને સુરક્ષિત ભવિષ્યનો માર્ગ દેખાડે છે. વારસો પણ, વિકાસ પણ - આ મંત્રને આધારે ચાલી રહ્યા છે. ભારતની આ યાત્રામાં 'સૌના પ્રયાસનો' સમાવેશ થવો જોઈએ.

મને વિશ્વાસ છે કે પંડિત જસરાજ કલ્ચરલ ફાઉન્ડેશન હવે આપ સૌના સક્રિય યોગદાનથી સફળતાની નવી ઉંચાઈ હાંસલ કરશે. આ ફાઉન્ડેશન, સંગીત સેવાનું, સાધનાનું અને દેશ તરફના આપણાં સંકલ્પોની સિધ્ધિ માટેનું એક મહત્વનું માધ્યમ બનશે તેવા વિશ્વાસ સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને આ નવતર પ્રયાસ માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ધન્યવાદ!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi Leads International Yoga Day Event In Kolkata, Says It Has Become 'World's Biggest Festival'

Media Coverage

PM Modi Leads International Yoga Day Event In Kolkata, Says It Has Become 'World's Biggest Festival'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses grief over loss of lives in mishap in Tiruvallur district of Tamil Nadu
June 21, 2026

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to a mishap in Tiruvallur district of Tamil Nadu.

The Prime Minister conveyed his condolences to those who have lost their loved ones.

Shri Modi also prayed for the speedy recovery of the injured.

The Prime Minister’s Office posted on X;

“Deeply pained to hear about the loss of lives due to a mishap in Tiruvallur district of Tamil Nadu. My condolences to those who have lost their loved ones. Praying for the speedy recovery of the injured: PM @narendramodi”