We have set the aim to eradicate TB from India by 2025, says PM Modi
Today I'm confident that in the duration of 1 year we'll be able to achieve 90% immunisation: PM Modi at End TB Summit
Whether the mission of getting relief from TB is in India or in any country, frontline TB practitioners & workers have a large role: PM
Several ministers from all states & concerned officers are present in the event, indicate how we, as Team India, are determined to eradicate TB from India: PM at End TB Summit

ભારતનાં આરોગ્ય મંત્રી, આરોગ્ય રાજ્યમંત્રી, નાઈજીરીયાનાં આરોગ્યમંત્રી, ઈન્ડોનેશિયાનાં આરોગ્યમંત્રી, વિશ્વ આરોગ્ય સંસ્થાનાં મહાનિર્દેશક, મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભવો, સમગ્ર દુનિયામાંથી પધારેલા અન્ય મહાનુભવો,

ભાઈઓ અને બહેનો.

“એન્ડ ટીબી” સમીટમાં સામેલ થવા માટે આપ સૌ ભારત આવ્યા છો, એ માટે હું આપ સૌનો ખૂબ-ખૂબ આભારી છું અને હૃદય પૂર્વક આપ સૌનું સ્વાગત કરૂ છું,

સાથીઓ, ટ્યુબરક્યુલોસિસ – ટીબીને લગભગ 25 વર્ષ પહેલાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઈમરજન્સી જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી માંડીને વિશ્વનાં અલગ-અલગ દેશોમાં તેના નિવારણ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચોક્કસપણે આપણે સૌએ ખૂબ લાંબો માર્ગ ખેડ્યો છે. ટીબીને અટકાવવા માટે વ્યાપક સ્તરે કામ કર્યું છે, પરંતુ જમીની સચ્ચાઇ એ છે કે આપણે એ કામગીરીમાં સંપૂર્ણ રીતે સફળ થઈ શક્યાં નથી.

સાથીઓ,

મારૂં માનવુ છે કે, જ્યારે આ કામ દસ-વીસ વર્ષથી કરવામાં આવી રહ્યું હોય અને તેનાં જે પરિણામો આવવાં જોઈએ તેવાં મળી શક્યાં ન હોય, તો પછી આપણે આપણો અભિગમ બદલીને આગળ વધવુ જોઈએ. જે રીતે કામગીરી કરવામાં આવે છે, જે રીતે યોજનાઓને લાગુ કરવામાં આવી રહી છે અને વાસ્તવમાં જે રીતે તેનું કામ થઈ રહ્યું છે તેનું ખૂબ જ વ્યાપક રીતે વિશ્લેષણ કરવાની જરૂર છે. તમે જ્યારે જૂની પ્રક્રિયાઓનું ગંભીરતા પૂર્વક વિશ્લેષણ કરો છો ત્યારે નવા અભિગમ માટેનો રસ્તો ખૂલી જાય છે.

મને આનંદ એ છે કે આ વિચાર સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, વિશ્વ આરોગ્ય સંસ્થા, સાઉથ ઈસ્ટ એશિયા રિજીયન અને સ્ટોપ ટીબી પાર્ટનરશિપ સાથે મળીને એશિયા, આફ્રિકા અને દુનિયાનાં અનેક દેશોનાં પ્રતિનિધિઓ આજે એક મંચ ઉપર એકત્ર થયા છે. આ વર્ષે સપ્ટેમ્બર માસમાં સંયુક્ત રાષ્ટ્ર સમાન્ય સભાની મહત્વની એક બેઠક પણ યોજાઈ રહી છે. આ બેઠક માટે જે રીતે તૈયારીઓ કરવામાં આવી છે તે જોતાં આજનું આ આયોજન સમગ્ર માનવજાત માટે ખૂબ જ મહત્વનું છે. દિલ્હી એન્ડ ટીબી સમીટ ટીબીને દુનિયામાંથી હંમેશ માટે નાબૂદ કરી દેવાની દિશામાં એક સિમાચિન્હરૂપ શિખર સંમેલન બની રહેશે.

સાથીઓ,

હાલમાં આ દિશામાં ભારત દ્વારા કરવામાં આવેલી પહેલને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. ગયા વર્ષે “Delhi Call for Action to end TB in the WHO South East Asia Region” (વિશ્વ આરોગ્ય સંસ્થાન – દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં વર્ષ 2030 સુધીમાં ટીબીની નાબૂદી માટે કાર્યવાહી કરવા દિલ્હી કોલ) પ્રસ્તાવને સર્વ સંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ પછી આ દિશામાં કરવામાં આવેલી આવી પ્રવૃત્તિઓને કારણે દક્ષિણ પૂર્વ એશિયા વિસ્તારમાં ટીબીને સમાપ્ત કરવાની દિશામાં ખૂબ સકારાત્મક પગલાઓ લેવામાં આવ્યા હતા. ટીબીની જેવી રીતે લોકોનાં જીવન પર, સમાજીક સ્વાસ્થ્ય પર, દેશની આર્થિક વ્યવસ્થા પર અને દેશના ભવિષ્ય પર અસર પડે છે. આ બાબત જોતાં નિશ્ચિત સમયની અંદર આ સમસ્યાથી મુક્તિ મેળવવી ખૂબ જ જરૂરી બની રહે છે. આમ જોતાં ભારતમાં કોઈ પણ સંક્રામક રોગમાં ટીબીનો પ્રભાવ ઘણો વધારે છે અને તેનો સૌથી વધુ ભોગ ગરીબ લોકો બને છે. આ માટે ટીબીને સમાપ્ત કરવા માટે ઉઠાવાયેલું કોઈ પણ પગલું સીધી રીતે ગરીબોનાં જીવન સાથે જોડાયેલુ હોય છે.

સાથીઓ,

દુનિયાભરમાં ટીબીને નાબૂદ કરવા માટે વર્ષ 2030 સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ આજે હું આ મંચ પરથી જાહેરાત કરું છું કે, ભારતે આ મુદતનાં પાંચ વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવાનુ લક્ષ્ય નક્કી કરી લીધું છે. અમારી સરકાર એક નવો અભિગમ અને નવી રણનીતિ સાથે ભારતમાંથી ટીબીને સમાપ્ત કરવાની કામગીરીમાં લાગી ગઈ છે. ભારત સરકાર દ્વારા જે નવી વ્યૂહાત્મક પહેલો હાથ ધરવામાં આવી છે તેની એક ઝલક તમે થોડા સમય પહેલાં અહીં રજૂ કરવામાં આવેલા પ્રસ્તુતિકરણમાં જોઈ હશે. ટીબીને નાબૂદ કરવામાં જે પણ સહયોગીઓ જવાબદારીથી જોડાયેલા છે તેમને અમારી સરકાર સંગઠીત બનીને કામ કરવા માટે પ્રેરણા આપી રહી છે.

ભાઈઓ અને બહેનો,

ભારતમાંથી ટીબીને વર્ષ 2025 પહેલાં સમાપ્ત કરવા માટે જે રાષ્ટ્રીય વ્યૂહરચના ગોઠવવામાં આવી છે, તે હવે સંપૂર્ણપણે કામ કરતી થઈ ગઈ છે. સરકાર દ્વારા ટીબી સાથે જોડાયેલી યોજનાઓનું ભંડોળ સતત વધારવામાં આવે છે. અમારી સરકારે આ વર્ષનાં બજેટમાં આ પ્રકારનાં દર્દીઓને પૌષ્ટિક આહાર આપવા માટે વધારાનાં 100 મિલિયન ડોલરનો વાર્ષિક ખર્ચ કરવાની જોગવાઈ કરી છે. દર્દીઓને પોષક તત્વો પૂરાં પાડતો આહાર ખરીદવામાં વિલંબ ન થાય એ માટે આર્થિક સહાયની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે છે. ટીબીનાં દર્દીઓની સાચી ઓળખ થાય, સક્રિય કેસની નિયમિત ઓળખ થાય અને તે રોગ પ્રભાવી હોય કે ન હોય તેમને ડ્રગ રેસીસ્ટન્ટ ટીબી હોય કે ન હોય, તેમના માટે સમયસર દવા આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ‘ટીબીનાં દરેક દર્દીને પ્રથમ તબક્કેથી જ સારી રીતે સારવાર આપો’ એ સિદ્ધાંત મુજબ સરકાર આ યોજનાઓમાં ખાનગી ક્ષેત્રને પણ સામેલ કરી રહી છે. આ ઉપરાંત અમારૂ ધ્યાન ટેકનોલોજી અને નવિનીકરણનાં વધુ ઉપયોગ પર રહ્યું છે. ઇન્ટરનેટ ઑફ થીંગ્સનો આધાર લઈને અદ્યતન ઈન્ફોર્મેશન ટેકનોલોજી સિસ્ટમ અને તેની સાથે જોડાયેલા મંચ વિકસાવવામાં આવી રહ્યાં છે. આ કાર્યક્રમનાં સંચાલન માટે, રોગ સામે તકેદારી રાખવા માટે, સારવારની દેખરેખ અને મોબાઈલ-હેલ્થ સોલ્યુશન્સ પૂરાં પાડવા માટે આધુનિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અમે ડિજીટલ એક્સરે રીડીંગ માટે સ્વદેશી મોલેક્યુલર ડાયોગ્નોસ્ટિક મશીન પણ વિકસાવ્યાં છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં આધારે આ મશીનને ટ્રૂ નાટ (True NAAT) નામ આપવામાં આવ્યું છે. આ મશીન મેક ઈન ઈન્ડીયાની ઝુંબેશને પણ વેગ આપી રહ્યું છે. ટીબી સાથે જોડાયેલી તમામ બાબતો જેવી કે રસી, દવાઓ નિદાનની અને અમલીકરણ જેવી વ્યવસ્થાને મજબૂત કરવા માટે ઈન્ડીયા ટીબી રિસર્ચ કન્સોર્ટિયમની પણ સ્થાપના કરવામાં આવી છે.

ભારતમાંથી ટીબીને નાબૂદ કરવા માટે રાજ્ય સરકારોની પણ મોટી ભૂમિકા રહી છે. આ મિશનમાં સહકારી સંઘવાદની ભાવનાને મજબૂત કરીને રાજ્ય સરકારોને પણ સાથે લઈને આગળ વધવા માટે મેં પોતે તમામ મુખ્યમંત્રીઓને પત્ર લખીને આ અભિયાન સાથે જોડાવા માટે અનુરોધ કર્યો છે. આજે આ આયોજનમાં આટલી મોટી સંખ્યામાં રાજ્ય સરકારોમાંથી મંત્રીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિ એ બાબતનો સંકેત છે કે અમે ટીમ ઇન્ડિયા બનીને આ રોગને ભારતમાંથી મુક્તિ આપવા માટે દ્રઢ સંકલ્પથી કટિબદ્ધ થયા છીએ.

સાથીઓ,

ટીબી મુક્તિનું આ અભિયાન ભલે ભારતમાંથી કે કોઈ અન્ય દેશમાંથી ચલાવવામાં આવી રહ્યું હોય. તેમાં ટીબીના ટોચના ફિજીશીયન અને તેમની સાથે કામ કરનારા લોકોની આમાં મોટી ભૂમિકા રહેલી છે. તેની સાથે-સાથે જે વ્યક્તિ ટીબીનો ભોગ બન્યા પછી નિયમિત દવાઓ લેતો હોય અને આ બિમારીને હંફાવીને જ શ્વાસ લેતો હોય એ પણ પ્રશંસાને પાત્ર છે. ટીબીનો દરેક દરદી પોતાની ઇચ્છા શક્તિ વડે જેવી રીતે આ બિમારી પર વિજય પ્રાપ્ત કરે છે, એ બીજા માટે પણ પ્રેરણાનું કાર્ય કરે છે. મને દ્રઢ વિશ્વાસ છે કે, દર્દીઓની આ ઇચ્છા શક્તિ દ્વારા આપણા ઉત્સાહી ટીબી કાર્યકરોનાં સહયોગથી ભારત ઉપરાંત દુનિયાનાં દરેક દેશો પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશે. અહિં આરોગ્ય ક્ષેત્રનાં જે લોકો ભારતમાંથી આવે છે તેમને વિશેષરૂપે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રયત્નો કરવા માટે હું જણાવીશ કેમ કે, ટીબી ફ્રિ ઇન્ડિયાનું લક્ષ્ય 2030 નહિં, 2025 છે. યોગ્ય રણનીતિ સાથે, યોગ્ય રીતે જમીની સ્તરે નીતિઓને લાગુ કરીશું, તો આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણને કોઇ રોકી નહિં શકે.

સાથીઓ,

વધુને વધુ લોકોને સાથે લઈને, સ્થાનિક સ્તરે વધુને વધુ લોકોને જાગૃત કરીને ટીબીની તપાસના ઉપાયો, ટીબીનો ઈલાજ વગેરે વિવિધ ક્ષેત્રોનાં સમન્વય સાથે કાર્ય કરવામાં આવશે તો આપણે આ લક્ષ્યને જરૂર પ્રાપ્ત કરી શકીશું. આથી સરકાર અને વહીવટીતંત્ર દ્વારા દરેક સ્તરે પંચાયત, નગરપાલિકા, જીલ્લા પંચાયત, રાજ્ય સરકાર સૌએ પોત-પોતાનાં સ્તર પર દરેક ગામને, દરેક જીલ્લાને ટીબી મુક્ત બનાવવાની કામગીરીમાં પૂરી તાકાત લાગાવી દેવી પડશે.

સાથીઓ,

ભારતને 2025 સુધીમાં ટીબીથી મુક્તિ અપાવવાનું લક્ષ્ય કેટલાક લોકોને મુશ્કેલ ભલે લાગે, પરંતુ તે અસંભવ તો નથી જ. છેલ્લા ચાર વર્ષથી આપણી સરકાર જે અભિગમથી કામ કરી રહી છે, તે જોતાં આ લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ.

ભાઈઓ અને બહેનો,

આપણે આ સમસ્યાઓને ટૂકડા-ટૂકડાઓમાં જોતા નથી. જ્યારે કોઈ સમગ્રલક્ષી અભિગમથી પડકારોને સમાપ્ત કરવાનુ કામ ઉપાડી લેવામાં આવે છે ત્યારે આવા પ્રયાસોનુ ફળ અચૂક મળી રહેતુ હોય છે. હું ટીકા કરવા માંગતો નથી. પરંતુ હું તમને રસીકરણની યોજના બાબતે માહિતી આપવા માગું છું. રસીકરણની આ કામગીરી ભારતમાં 30 -35 વર્ષથી ચાલી રહી છે. આમ છતાં વર્ષ 2014 સુધીમાં પણ અમે સંપૂર્ણ કવરેજનો લક્ષ્યાંક હાંસલ કરી શક્યા નથી. જે ઝડપે રસીકરણનો વ્યાપ વધતો જાય છે, જો આવી રીતે જ ચાલશે તો સંપૂર્ણ ક્ષેત્ર સુધી પહોંચતાં બીજા 40 વર્ષ લાગી જશે.

સાથીઓ,

અગાઉ અમારો રસીકરણનો વ્યાપ માત્ર એક ટકાની ગતિથી આગળ વધી રહ્યો હતો. માત્ર સાડા ત્રણ વર્ષમાં તે હવે દર વર્ષે 6 ટકાની ગતિથી આગળ વધી રહ્યો છે અને હવે પછીનાં એક વર્ષમાં અમે રસીકરણનાં 90 ટકા લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા સુધી પહોંચીશું. જે ગતિથી રસીકરણનો વ્યાપ વધતો જાય છે, બીજા દેશમાંથી આવેલા પ્રતિનિધીઓ વિચારતા હશે કે આ કેવી રીતે શક્ય છે?

સાથીઓ,

હું જ્યારે કોઈ નવા અભિગમની વાત કરૂ છું તેની પાછળનું કારણ એ હોય છે કે, અમે પહેલા દેશનાં જીલ્લાઓ, એવા વિસ્તારો અલગ તારવીને પસંદ કર્યા કે, જે રસીકરણનાં વ્યાપથી બહાર રહી ગયા હતા. જ્યાં રસીકરણના નામે માત્ર ખાના ભરવામાં આવી રહ્યા હતાં. એવા ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને અમારી સરકારે ઈન્દ્રધનુષ કાર્યક્રમ શરૂ કર્યો. રસીકરણ સાથે જોડીને નવી દવાઓ આપવામાં આવી અને પાયાના સ્તરે જઈને કામ કરવામાં આવ્યું જેના પરિણામો આજે તમે જોઈ રહ્યા છો.

સાથીઓ,

આ પ્રકારનાં નવા અભિગમ સાથે અમારી સરકાર સ્વચ્છ ભારત મિશનનું કામ કરી રહી છે. એનુ પરિણામ એ આવ્યું છે કે, 2014 સુધીમાં ભારતનાં ગામડામાં સ્વચ્છતાનો વ્યાપ લગભગ 40 ટકા હતો તે વધીને 80 ટકા સુધી પહોંચી ગયો છે. આટલા થોડા સમયમાં અમે 2 ગણો વ્યાપ હાંસલ કર્યો છે. અમે ખૂબ ઝડપથી ઓકટોબર 2019 સુધીમાં ભારતને ખૂલ્લામાં શૌચથી મુક્ત કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. આ બે ઉદાહરણ આજે હું આ આંતરરાષ્ટ્રીય મંચ પર એટલા માટે મૂકી રહ્યો છું કે, દરેક દેશમાં આ બાબત પર ભાર મૂકવામાં આવે કે, જેના કારણે મોટા અને મુશ્કેલ લક્ષ્યાંકો પણ હાંસલ થઈ શકે. હા, તેના માટે એક પહેલી જરૂરીયાત એ છે કે સૌપ્રથમ લક્ષ્ય નક્કી કરવામાં આવે. જો લક્ષ્ય જ નક્કી નહીં હોય તો પછી ઝડપ ક્યાંથી આવશે. કોઈ દિશા જ નહીં હોય તો મંજીલ સુધી પણ પહોંચી શકશે નહીં.

સાથીઓ,

આ ઉત્સાહની સાથે આ રીતે લક્ષ્ય નક્કી હોય અને રણનીતિથી આગળ વધી રહ્યાં હોય તો ભારત પણ વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત કરવાનો સંકલ્પ પૂરો કરશે, તેનો મને પૂરો વિશ્વાસ છે. સાથીઓ, તમે બધા આરોગ્ય ક્ષેત્રનાં નિષ્ણાંતો છો. તમે સારી રીતે જાણો છો કે કોઇ બિમારી સમાપ્ત કરવા માટે અનેક ક્ષેત્રોએ સાથે મળીને કામગીરી આગળ વધારવી પડશે. મેં ટીબી બાબતે દવાઓ ઈલાજ, મોનિટરીંગ, રિસર્ચ, પૌષ્ટીક આહાર માટે આર્થિક સહાય જેવી અનેક પ્રકારની દરમિયાનગીરીઓ બાબતે તમને વાત કરી છે, પરંતુ તેની સાથે-સાથે ભારતમાં કેટલીક અન્ય ચીજો પણ થઈ રહી છે, જે ટીબીની બિમારી અને તેના પ્રભાવને મર્યાદિત કરવા માટે સહાયક બની રહે છે. એમાંથી એક છે સ્વચ્છ ભારત અભિયાન, આ બાબતે મેં તમને વિગતે વાત કરી છે. આ રીતે ભારતની ઉજ્જવલા યોજના પણ ટીબીને અંકુશમાં લાવવા માટે મહત્વની ભૂમિકા બજાવી રહી છે. આ યોજના દ્વારા સરકારે 8 કરોડ મહિલાઓને ગેસનુ જોડાણ મફત આપવાની કામગીરી હાથ ધરી છે. ઘરમાં એલપીજી આવ્યા પછી મહિલાઓ, તેમના બાળકો અને તેમના પરિવાર વગેરે લાકડાંનાં ધૂમાંડાથી મુક્ત થઇ રહ્યા છે. સાથે-સાથે તેમના પર ટીબીનું જોખમ પણ ઓછુ થઇ રહ્યું છે. 4 દિવસ પહેલાં જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે અમારી સરકારે રાષ્ટ્રીય સ્તરે પોષણ મિશન શરૂ કર્યું છે. આ મિશનનો ઉદ્દેશ લોકોને માત્ર પૌષ્ટિક ખોરાક આપવાનો જ નથી, પરંતુ અમારૂ લક્ષ્ય એ છે કે એક એવી વ્યવસ્થા તૈયાર કરવી કે, જેનાથી લોકોમાં કુપોષણની સંભાવના ઓછામાં ઓછી રહે.

સાથીઓ,

આ વર્ષના બજેટમાં ભારતે, દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના છે – આયુષ્માન ભારત. એટલે કે લોંગ લીવ ઇન્ડિયા (લાંબુ જીવો – ભારત). તેના માધ્યમથી અમારી સરકાર દેશમાં પ્રાથમિક બીજા સ્તરની અને ત્રીજા સ્તરની આરોગ્ય સેવાઓને મજબૂત કરવાનું કામ કરશે. સરકાર દ્વારા દેશભરમાં દોઢ લાખ આરોગ્ય અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સ્થાપના કરવામાં આવી રહી છે. આ વેલનેસ સેન્ટર પ્રાથમિક આરોગ્યની સંભાળનું કામ પણ કરશે અને ત્યાં નિદાન અંગેની સેવાઓ પણ ઉપલબ્ધ થશે તેમજ લોકોને સસ્તી દવા પણ આપવામાં આવશે. આ યોજના ઉપરાંત 10 કરોડ ગરીબ પરિવારોને ગંભીર રોગોની સારવાર માટે દર વર્ષે રૂ. 5 લાખનો સ્વાસ્થ્ય વીમો પણ આપવામાં આવશે.

ભાઈઓ અને બહેનો,

આપણી ભારતીય વિચારધારા અને ભારતનું પૌરાણિક વિજ્ઞાન આરોગ્ય માટે ખૂબ જ સ્પષ્ટ રહ્યું છે. આપણે ત્યાં કહેવામાં આવે છે કેઃ

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः

सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत्।

એટલે કે

સૌનું ભલું થાઓ, સૌ બીમારીથી મુક્ત રહો.

સૌનું શ્રેય થતુ જોઈ શકો અને કોઈને પીડા ભોગવની ન પડે.

આ વિચારધારાને કારણે ભારતની ભૂમિ પર આયુર્વેદ અને યોગ જેવી કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પણ જન્મ થયેલો છે. સેંકડો વર્ષોથી આ પદ્ધતિઓ ભારતનાં જન માનસમાં વસી ગયેલી છે. ઉપચારક (Curative) સ્વાસ્થ્યવર્ધક (Promotive) અને નિવારક (Preventive) આ પ્રકારની પદ્ધતિઓને હવે આંતરરાષ્ટ્રીય માન્યતા પણ મળી રહી છે. અમારી સરકાર પણ પૂરાતન ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ અને આધુનિક ચિકિત્સા પદ્ધતિઓને સાથે લઈને ચાલી રહી છે. આજે હું આરોગ્ય મંત્રાલયને એ પણ આગ્રહ કરૂં છું કે ટીબીનાં નિદાનમાં આયુર્વેદનાં પ્રદાનને સાથે રાખીને સંશોધનનો વ્યાપ વિસ્તારવામાં આવે અને તેના જે કંઈ પરિણામો આવે તે આપણાં સાથી દેશોને પણ જણાવવામાં આવે. સબ કા સાથ, સબ કા વિકાસનો આપણો મંત્ર પ્રદેશની સીમાઓમાં બંધાયેલો ન રહે. દુનિયાને ટીબીથી મુક્ત કરવા માટે દરેક દેશ સાથે ભારત ખભે-ખભો મિલાવીને આગળ વધવા માટે સહર્ષ તૈયાર છે. ટીબી સામેની લડાઈમાં જે પણ દેશોને પ્રથમ તબક્કાનાં ઔષધો, વસ્તુઓ અને તકનિકી સહાયની જરૂર હોય તે દેશને અમે પૂરી સક્રિયતા સાથે સહકાર આપતાં રહીશું.

સાથીઓ,

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે કોઈ પણ યોજનાની સફળતા કે અસફળતા છેલ્લી જરૂરિયાતમંદ વ્યક્તિને તેનાથી કેટલો ફાયદો થાય છે તેના પર નિર્ભર છે. અમારી સરકાર આ વાત સાથે પ્રતિબદ્ધ છે કે, અમારી યોજનાઓ એ છેલ્લી જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે અને તેની જીવનશૈલીને સરળ બનાવે તેવી હોવી જોઈએ. 

આજે આ પ્રસંગે હું દરેક વ્યક્તિ, દરેક સરકાર, દરેક સંસ્થા, સામાજીક સંસ્થા સાથે જોડાયલ દરેક પ્રતિનિધિને એ સંકલ્પ લેવા માટે આગ્રહ કરૂં છું કે તે ટીબીનાં છેલ્લામાં છેલ્લા દર્દી સુધી પહોંચવામાં અને ટીબી મુક્ત ભારત બનાવવામાં તે સક્રિય ભૂમિકા નિભાવે.

ટીબી મુક્ત ભારતનો સંકલ્પ, એ ટીબી મુક્ત દુનિયા બનાવવામાં પણ સહાયરૂપ બનશે.

આ મોટા ધ્યેય માટે, ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે, હું મારી વાત અહીં પૂર્ણ કરૂં છું. આ આયોજનમાં આવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
From village to global: India's biotech revolution

Media Coverage

From village to global: India's biotech revolution
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends best wishes to newly inducted Ministers in West Bengal Government
May 09, 2026

The Prime Minister, Shri Narendra Modi, today congratulated Shri Suvendu Adhikari on taking oath as the Chief Minister of West Bengal.

The Prime Minister said that Shri Suvendu Adhikari has made a mark as a leader who has remained deeply connected to the people and has understood their aspirations from close quarters. Shri Modi also conveyed his best wishes to him for a fruitful tenure ahead.

The Prime Minister also congratulated Shri Dilip Ghosh, Smt. Agnimitra Paul, Shri Ashok Kirtania, Shri Kshudiram Tudu and Shri Nisith Pramanik on taking oath as Ministers in the Government of West Bengal.

Shri Modi said that these leaders have worked tirelessly at the grassroots and served the people. He expressed confidence that they will further strengthen West Bengal’s development journey as Ministers and conveyed his best wishes to them.

The Prime Minister wrote on X;

“Congratulations to Shri Suvendu Adhikari Ji on taking oath as West Bengal’s Chief Minister. He has made a mark as a leader who has remained deeply connected to the people and understood their aspirations from close quarters. My best wishes to him for a fruitful tenure ahead.

@SuvenduWB”

“Congratulations to Dilip Ghosh Ji, Agnimitra Paul Ji, Ashok Kirtania Ji, Kshudiram Tudu Ji and Nisith Pramanik Ji on taking oath as Ministers in the Government of West Bengal. These leaders have worked tirelessly at the grassroots and served people. I am confident they will further strengthen West Bengal’s development journey as Ministers. My best wishes.

@DilipGhoshBJP

@paulagnimitra1

@NisithPramanik”