વાહે ગુરૂજી કા ખાલસા,

વાહે ગુરૂજી કી ફતેહ.

સાથીઓ, આજે આ પવિત્ર ધરતી પર આવીને હું ધન્યતાનો અનુભવ કરી રહ્યો છું. એ મારું સૌભાગ્ય છે કે હું આજે દેશને કરતારપુર સાહિબ કોરીડોર સમર્પિત કરી રહ્યો છું. જેવી અનુભૂતિ આપ સૌનેકારસેવાના સમયે થતી હોય છે, અત્યારે હાલ મને પણ તેવા જ ભાવનો અનુભવ થઇ રહ્યો છે. હું આપ સૌને, સમગ્ર દેશને, વિશ્વભરમાં વસેલા સિખ ભાઈઓ-બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

આજે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી, તેમણે મને ‘કોમી સેવા પુરસ્કાર’ પણ આપ્યો. આ પુરસ્કાર, આ સન્માન, આ ગૌરવ આપણી મહાન સંત પરંપરાના તેજ, ત્યાગ અને તપસ્યાનો પ્રસાદ છે. હું આ પુરસ્કારને, આ સન્માનને ગુરૂ નાનક દેવજીના ચરણોમાં સમર્પિત કરું છું.

આજે આ પવિત્ર ભૂમિ પરથી ગુરૂ નાનક સાહિબના ચરણોમાં, ગુરૂ ગ્રંથ સાહિબની સામે હું નમ્રતાપૂર્વક એ જ પ્રાર્થના કરું છું કે મારી અંદરનો સેવાભાવ દિનપ્રતિદિન વધતો રહે અને તેમના આશિર્વાદ મારી પર આમ જ બનેલા રહે.

સાથીઓ, ગુરૂ નાનક દેવજીના 550માં પ્રકાશ ઉત્સવની પહેલા ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ- કરતારપુર સાહિબ કોરીડોર, તેનો પ્રારંભ થવો આપણા સૌની માટે બમણી ખુશી લઇને આવ્યો છે. કાર્તિક પૂર્ણિમા પર આ વખતે દેવ દિવાળી વધારે ઝગમગ થઈને આપણને આશિર્વાદ આપશે.

ભાઈઓ અને બહેનો, આ કોરીડોરના બન્યા બાદ હવે ગુરૂદ્વારા દરબાર સાહિબના દર્શન સરળ થઇ જશે. હું પંજાબ સરકારનો, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીનો, આ કોરીડોરને નિર્ધારિત સમયમર્યાદામાં તૈયાર કરનાર પ્રત્યેક શ્રમિક સાથીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.

હું પાકિસ્તાનના પ્રધાનમંત્રી શ્રીમાન ઇમરાન ખાન નિયાજીનો પણ આભાર પ્રગટ કરું છું કે તેમણે કરતારપુર કોરીડોરના વિષયમાં ભારતની ભાવનાઓને સમજી, સન્માન આપ્યું અને તે જ ભાવનાને અનુરૂપ કાર્ય કર્યું. હું પાકિસ્તાનના શ્રમિક સાથીઓનો પણ આભાર વ્યક્ત કરું છું જેમણે આટલી ઝડપથી પોતાની બાજુના કોરીડોરને પૂરો કરવામાં મદદ કરી.

સાથીઓ, ગુરૂ નાનક દેવજી માત્ર સિખ પંથની, ભારતની જ ધરોહર નથી પરંતુ સંપૂર્ણ માનવતા માટે પ્રેરણા-પુંજ છે. ગુરૂ નાનક દેવ એક ગુરૂ હોવાની સાથે સાથે એક વિચાર છે, જીવનનો આધાર છે. આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણા મૂલ્યો, આપણો ઉછેર, આપણી વિચારધારા, આપણા વિચારો, આપણા તર્ક, આપણા શબ્દો, આપણી વાણી, આ બધું જ ગુરૂ નાનક દેવજી જેવા પુણ્યાત્માઓ દ્વારા જ ઘડવામાં આવેલ છે. જ્યારે ગુરૂ નાનકદેવ અહિયાં સુલતાનપુર લોધીથી યાત્રા પર નીકળ્યા હતા તો કોને ખબર હતી કે તેઓ યુગ બદલનારા છે. તેમની તે ‘ઉદાસીઓ’, તે યાત્રાઓ, સંપર્ક-સંવાદ અને સમન્વય સાથે સામાજિક પરિવર્તનની સર્વશ્રેષ્ઠ મિસાલ છે.

પોતાની યાત્રાઓનો ઉદ્દેશ્ય સ્વયં ગુરૂ નાનક દેવજીએ જણાવ્યો હતો-

બાબે આખિઆ, નાથજી, સચુ ચંદ્રમાં કૂડુ અંધારા !!

કૂડુ અમાવસિ બરતિઆ, હઉં ભાલણ ચઢિયા સંસારા

સાથીઓ, તેઓ આપણા દેશ પર, આપણા સમાજ પર અન્યાય, અધર્મ અને અત્યાચારની જે અમાવસ્યા છવાયેલી હતી, તેમાંથી બહાર કાઢવા માટે નીકળી પડ્યા હતા. ગુલામીના તે મુશ્કેલ કાળખંડમાં ભારતની ચેતનાને બચાવવા માટે, જગાડેલી રાખવા માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.

સાથીઓ, એક બાજુ ગુરૂ નાનક દેવજીએ સામાજિક દર્શનના માધ્યમથી સમાજને એકતા, ભાઈચારા અને સૌહાર્દનો માર્ગ દેખાડ્યો, ત્યાં, બીજી બાજુ તેમણે સમાજને એક એવી આર્થિક વ્યવસ્થાની ભેટ આપી, જે સચ્ચાઈ, ઈમાનદારી અને આત્મસન્માન પર ટકેલી છે. તેમણે શિક્ષા આપી કે સચ્ચાઈ અને ઈમાનદારીથી કરવામાં આવેલ વિકાસથી હંમેશા પ્રગતિ અને સમૃદ્ધિના માર્ગ ખુલે છે. તેમણે શિક્ષા આપી કે ધન તો આવતું જતું રહેશે, પરંતુ સાચા મૂલ્યો હંમેશા રહે છે. તેમણે શિક્ષા આપી કે જો આપણે આપણા મૂલ્યો પર અડગ રહીને કામ કરીએ છીએ તો સમૃદ્ધિ સ્થાયી હોય છે.

ભાઈઓ અને બહેનો, કરતારપુર માત્ર ગુરૂ નાનકદેવજીની કર્મભૂમિ નથી. કરતારપુરના કણ-કણમાં ગુરૂ નાનક દેવજીનો પરસેવો ભળેલો છે. તેની હવામાં તેમની વાણી ભળેલી છે. કરતારપુરની ધરતી પર જ હળ ચલાવીને તેમણે પોતાના પહેલા નિયમ- ‘કિરત કરો’નું ઉદાહરણ પ્રસ્તુત કર્યું, આ જ ધરતી પર તેમણે ‘નામ જપો’ની વિધિ બતાવી અને અહિયાં જ તેમણે પોતાની મહેનતથી ઉગાડેલ પાકને હળીમળીને ખાવાની ‘રીત’ પણ શરુ કરી- ‘વંડ છકો’નો મંત્ર પણ આપ્યો.

સાથીઓ, આ પવિત્ર સ્થળ માટે આપણે જેટલું પણ કરી શકીએ, તેટલું ઓછું રહેશે. આ કોરીડોર ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ દરરોજ હજારો શ્રદ્ધાળુઓની સેવા કરશે, તેમને ગુરૂદ્વારા દરબાર સાહિબની નજીક લઇ જશે. કહેવાય છે કે શબ્દ હંમેશા ઊર્જા બનીને વાતાવરણમાં વિદ્યમાન રહે છે. કરતારપુરથી મળેલી ગુરૂવાણીની ઊર્જા માત્ર આપણા સિખ ભાઈ-બહેનોને જ નહી પરંતુ પ્રત્યેક ભારતવાસીને પોતાના આશિર્વાદ આપશે.

સાથીઓ, આપ સૌ સારી રીતે જાણો છો કે ગુરૂ નાનક દેવજીના બે ખૂબ નજીકના અનુયાયીઓ હતા- ભાઈ લાલો અને ભાઈ મરદાના. આ હોનહારોને પસંદ કરીને નાનક દેવજીએ અમને સંદેશ આપ્યો કે નાના મોટાનો કોઈ ભેદ નથી હોતો અને બધા જ એકસમાન હોય છે. તેમણે શીખવાડ્યું કે કોઇપણ પ્રકારના ભેદભાવ વગર જ્યારે આપણે સૌ સાથે મળીને કામ કરીએ છીએ તો પ્રગતિ થવી નિર્ધારિત થઇ જાય છે.

ભાઈઓ અને બહેનો, ગુરૂ નાનકજીનું દર્શન કેવળ માનવ જાતિ સુધી જ સીમિત નહોતું. કરતારપુરમાં જ તેમણે પ્રકૃતિના ગુણોનું ગાયન કર્યું હતું. તેમણે કહ્યું હતું-

પવણું ગુરૂ, પાણી પિતા, માતા ધરતી મહતુ.

અર્થાત હવાને ગુરૂ માનો, પાણીને પિતા અને ધરતીને માતા બરાબર મહત્વ આપો. આજે જ્યારે પ્રકૃતિના દોહનની વાતો થાય છે, પર્યાવરણની વાતો થાય છે, પ્રદુષણની વાતો થાય છે, તો ગુરૂની વાણી જ આપણા આગળના માર્ગનો આધાર બને છે.

સાથીઓ, તમે વિચાર કરો, આપણા ગુરૂ કેટલા દીર્ઘદ્રષ્ટા હતા કે જે પંજાબમાં પંચ-આબ, પાંચ નદીઓ વહેતી હતી, તેમાં ભરપૂર પાણી રહેતું હતું, ત્યારે- એટલે કે પાણી લબાલબ ભરેલું રહેતું હતું, ત્યારે ગુરૂદેવે કહ્યું હતું અને પાણીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું-

પહલા પાની જિઓ હૈ, જિત હરિયા સભ કોય.

એટલે કે પાણીને હંમેશા પ્રાથમિકતા આપવી જોઈએ કારણ કે પાણીથી જ સમગ્ર સૃષ્ટિને જીવન મળે છે. વિચારો- સેંકડો વર્ષ પહેલા આ દ્રષ્ટિ, ભવિષ્ય પર આ નજર. આજે ભલે આપણે પાણીને પ્રાથમિકતા આપવાનું ભૂલી ગયા હોઈએ, પ્રકૃતિ-પર્યાવરણ પ્રત્યે લાપરવાહ થઇ ગયા હોઈએ, પરંતુ ગુરૂની વાણી વારેવારે એ જ કહી રહી છે કે પાછા વળો, તે સંસ્કારોને હંમેશા યાદ રાખો જે આ ધરતીએ આપણને આપી દીધા છે, જે આપણા ગુરૂઓએ આપણને આપ્યા છે.

સાથીઓ, વીતેલા પાંચ વર્ષોથી અમારો એ પ્રયાસ રહ્યો છે કે ભારતને આપણા સમૃદ્ધ અતિતે જે કઈ પણ સોંપ્યું છે, તેને સંરક્ષિત પણ કરવામાં આવે અને સંપૂર્ણ દુનિયા સુધી પહોંચાડવામાં આવે. વીતેલા એક વર્ષથી ગુરૂ નાનક દેવના 550માં પ્રકાશોત્સવના સમારોહ ચાલી રહ્યા છે, તે આ જ વિચારધારાનો ભાગ છે. તે અંતર્ગત આખી દુનિયામાં ભારતના ઉચ્ચ આયોગ અને દૂતાવાસો વિશેષ કાર્યક્રમ આયોજિત કરી રહ્યા છે, સેમીનાર આયોજિત કરી રહ્યા છે. ગુરૂ નાનક દેવજી તેમની યાદમાં સ્મારક સિક્કા અને ટપાલ ટીકીટ પણ જાહેર કરવામાં આવી છે.

સાથીઓ, વીતેલા એક વર્ષથી દેશ અને વિદેશમાં કીર્તન, કથા, પ્રભાતફેરી, લંગર જેવા આયોજનોના માધ્યમથી ગુરૂ નાનક દેવની શિક્ષાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આની પહેલા ગુરૂ ગોવિંદ સિંહજીના 350માં પ્રકાશોત્સવને પણ આ જ રીતે ભવ્યતા સાથે આખી દુનિયામાં ઉજવવામાં આવ્યો હતો. પટનામાં થયેલા ભવ્ય કાર્યક્રમમાં તો મને પોતાને જવાનું સૌભાગ્ય પણ મળ્યું હતું. તે વિશેષ અવસર પર 350 રૂપિયાનો સ્મારક સિક્કો અને ટપાલ ટીકીટ પણ બહાર પાડવામાં આવ્યા હતા. ગુરૂ ગોવિંદ સિંહજીની સ્મૃતિ અને તેમનો સંદેશ અમર રહે- તેની માટે ગુજરાતના જામનગરમાં 750 પથારીવાળું આધુનિક દવાખાનું પણ તેમના જ નામે બનાવવામાં આવ્યું છે.

ભાઈઓ અને બહેનો, ગુરૂ નાનકજીના ચિંધેલા માર્ગથી નવી પેઢી પણ પરિચિત થાય, તેની માટે ગુરબાનીનો અનુવાદ વિશ્વની જુદી જુદી ભાષાઓમાં કરવામાં આવી રહ્યો છે. હું અહિયાં યુનેસ્કોનો પણ આભાર પ્રગટ કરવા માંગીશ, જેમણે કેન્દ્ર સરકારના આગ્રહનો સ્વીકાર કર્યો. યુનેસ્કો દ્વારા પણ ગુરૂ નાનક દેવજીની રચનાઓને જુદી જુદી ભાષાઓમાં અનુવાદ કરવામાં મદદ કરવામાં આવી રહી છે.

સાથીઓ, ગુરૂ નાનક દેવ અને ખાલસા પંથ સાથે જોડાયેલ સંશોધનને પ્રોત્સાહન મળે, તેની માટે બ્રિટેનની એક યુનિવર્સીટીમાં ચેર્સની સ્થાપના કરવામાં આવી છે. આવો જ પ્રયાસ કેનેડામાં થઇ રહ્યો છે. એ જ રીતે અમૃતસરમાં ઇન્ટરફેઈથ યુનિવર્સીટીની સ્થાપના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી સદભાવ અને વિવિધતા પ્રત્યે સન્માનને વધુ પ્રોત્સાહન મળે.

ભાઈઓ અને બહેનો, આપણા ગુરૂઓ સાથે જોડાયેલ મહત્વના સ્થાનોમાં પગ મૂકતા જ તેમના વારસા સાથે સાક્ષાત્કાર થાય, નવી પેઢી સાથે તેમનું જોડાણ સરળતાથી થાય, તેની માટે પણ ગંભીર પ્રયત્નો થઇ રહ્યા છે. અહિયાં જ સુલતાનપુર લોધીમાં તમે આ પ્રયત્નોનો સાક્ષાત અનુભવ કરી શકો છો. સુલતાનપુર લોધીને હેરીટેજ ટાઉન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હેરીટેજ કોમ્પલેક્ષ હોય, મ્યુઝીયમ હોય, ઓડીટોરીયમ હોય, એવા અનેક કામ અહિયાં કાં તો પુરા થઇ ચુક્યા છે અથવા તો ટૂંક સમયમાં પુરા થવાના છે. અહિયાંના રેલવે સ્ટેશનથી લઈને શહેરના અન્ય ક્ષેત્રોમાં ગુરૂ નાનક દેવજીની વિરાસત આપણને જોવા મળે, તે પ્રયાસ પણ કરવામાં આવી રહી છે. ગુરૂ નાનક દેવજી સાથે જોડાયેલ તમામ સ્થાનોમાંથી થઇને પસાર થનારી એક વિશેષ ટ્રેન પણ અઠવાડિયામાં પાંચ દિવસ ચલાવવામાં આવી રહી છે જેથી કરીને શ્રદ્ધાળુઓને આવવા જવામાં તકલીફ ના પડે.

ભાઈઓ અને બહેનો, કેન્દ્ર સરકારે દેશભરમાં સ્થિત સિખોના મહત્વના સ્થાનોની વચ્ચે સંપર્કને સશક્ત કરવાનો પણ પ્રયાસ કર્યો છે. શ્રી અકાલ તખ્ત, દમદમા સાહિબ, કેશગઢ સાહિબ, પટના સાહિબ અને હઝૂર સાહિબની વચ્ચે રેલ્વે અને હવાઈ જોડાણ પર ભાર મુકવામાં આવ્યો છે. અમૃતસર અને નાંદેડની વચ્ચે વિશેષ ફ્લાઈટની પણ પોતાની સેવા શરુ કરી દેવામાં આવી છે. એ જ રીતે અમૃતસરથી લંડન માટે જનારી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં ‘ઇક ઓંકાર’ના સંદેશને પણ અંકિત કરવામાં આવ્યો છે.

સાથીઓ, કેન્દ્ર સરકારે એક અન્ય મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેનો લાભ વિશ્વભરમાં વસેલા અનેક સિખ પરિવારોને થયો છે. અનેક વર્ષોથી કેટલાક લોકોને ભારતમાં આવવા માટે જે તકલીફો હતી, હવે તે તકલીફોને દૂર કરી દેવામાં આવી છે. આ પગલાથી હવે અનેક પરિવાર વિઝા માટે, ઓસીઆઈ કાર્ડ માટે અરજી કરી શકશે. તેઓ અહિયાં ભારતમાં પોતાના સંબંધીઓને સરળતાથી મળી શકશે અને અહિયાં ગુરૂઓના સ્થાનોમાં જઈને અરદાસ પણ કરી શકશે.

ભાઈઓ અને બહેનો, કેન્દ્ર સરકારને બે મોટા અન્ય નિર્ણયોથી પણ સિખ સમુદાયને સીધો લાભ થયો છે. કલમ-370ના દૂર થવાથી, હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ સિખ પરિવારોને એ જ અધિકાર મળી શકશે જે બાકી હિન્દુસ્તાનમાં તેમને મળે છે. અત્યાર સુધી ત્યાં હજારો પરિવારો એવા હતા, જે અનેક અધિકારોથી વંચિત હતા. એ જ રીતે નાગરિક સુધારા બીલ, તેમાં સુધારાનો પણ બહુ મોટો લાભ આપણા સિખ ભાઈઓ બહેનોને મળશે. તેમને ભારતની નાગરિકતા મળવામાં સરળતા રહેશે.

સાથીઓ, ભારતની એકતા, ભારતની રક્ષા-સુરક્ષાને લઈને ગુરૂ નાનક દેવજીથી લઈને ગુરૂ ગોવિંદ સિંહજી સુધી, દરેક ગુરૂ સાહિબે સતત પ્રયાસ કર્યા છે, અનેક બલિદાનો આપ્યા છે. આ જ પરંપરાને આઝાદીની લડાઈ અને આઝાદ ભારતની રક્ષામાં સિખ સાથીઓએ સંપૂર્ણ શક્તિ સાથે નિભાવી છે. દેશની માટે બલિદાન આપનારા સાથીઓના સમપર્ણને સન્માન આપવા માટે પણ અનેક સાર્થક પગલા સરકારે ઉપાડ્યા છે. આ વર્ષે જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પુરા થયા છે. તેની સાથે સંકળાયેલ સ્મારકને આધુનિક બનાવવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા સિખ યુવાનોની શાળા, કૌશલ્ય અને સ્વ-રોજગાર પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વીતેલા 5 વર્ષમાં લગભગ 27 લાખ સિખ વિદ્યાર્થીઓને જુદી જુદી શિષ્યવૃત્તિઓ આપવામાં આવી છે.

ભાઈઓ અને બહેનો, આપણી ગુરૂ પરંપરા, સંત પરંપરા, ઋષિ પરંપરાએ જુદા જુદા કાળખંડમાં, પોત-પોતાની રીતે પડકારો સામે લડવાના રસ્તા સૂચવ્યા છે. તેમના રસ્તા જેટલા ત્યારે સાર્થક હતા, એટલા જ આજે પણ મહત્વના છે. રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ચેતના પ્રત્યે દરેક સંત, દરેક ગુરૂનો આગ્રહ રહ્યો છે. અંધવિશ્વાસ હોય, સમાજની કુરીતિઓ હોય, જાતિ ભેદ હોય, તેની વિરુદ્ધ આપણા સંતોએ, ગુરૂઓએ મજબૂતી સાથે અવાજ બુલંદ કર્યો છે.

સાથીઓ, ગુરૂ નાનકજી કહેતા હતા-

વિચ દુનિયા સેવિ કમાઈયે, તદરગિહ બેસન પાઈએ”.

એટલે કે સંસારમાં સેવાનો માર્ગ અપનાવવાથી જ મોક્ષ મળે છે, જીવન સફળ થાય છે. આવો, આ મહત્વના અને પવિત્ર વળાંક પર આપણે સંકલ્પ લઈએ કે ગુરૂ નાનકજીના વચનોને આપણા જીવનનો હિસ્સો બનાવીશું. આપણે સમાજની અંદર સદભાવ ઉત્પન્ન કરવા માટે શક્ય તમામ પ્રયાસ કરીશું. આપણે ભારતનું અહિત વિચારનારી તાકાતોથી સાવધાન રહીશું. નશા જેવી સમાજને ખોખલી કરનારી આદતોથી આપણે દૂર રહીશું. આપણી આવનારી પેઢીઓને દૂર રાખીશું. પર્યાવરણની સાથે તાલમેળ બેસાડીને, વિકાસના પથને સશક્ત કરીશું. ગુરૂ નાનકજીની આ જ પ્રેરણા માનવતાના હિત માટે, વિશ્વ શાંતિ માટે આજે પણ પ્રાસંગિક છે.

નાનક નામ ચઢદી કલા, તેરે ભાણે સરબત દા ભલા !!!

સાથીઓ, એક વાર ફરી આપ સૌને, સંપૂર્ણ દેશને, સંપૂર્ણ વિશ્વમાં ફેલાયેલા સિખ સાથીઓને ગુરૂ નાનક દેવજીના 550માં પ્રકાશોત્સવ પર અને કરતારપુર સાહિબ કોરીડોરના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુરૂ ગ્રંથ સાહિબની સામે ઉભા રહીને આ પવિત્ર કાર્યમાં સંમિલિત થવાનો અવસર મળ્યો, હું મારી જાતને ધન્ય માનીને હું આપ સૌને પ્રણામ કરીને-

સતનામ શ્રી વાહેગુરુ !

સતનામ શ્રી વાહેગુરુ !

સતનામ શ્રી વાહેગુરુ !

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Apple exports record $2 billion worth of iPhones from India in November

Media Coverage

Apple exports record $2 billion worth of iPhones from India in November
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the power of collective effort
December 17, 2025

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam-

“अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका।

तृणैर्गुणत्वमापन्नैर्बध्यन्ते मत्तदन्तिनः॥”

The Sanskrit Subhashitam conveys that even small things, when brought together in a well-planned manner, can accomplish great tasks, and that a rope made of hay sticks can even entangle powerful elephants.

The Prime Minister wrote on X;

“अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका।

तृणैर्गुणत्वमापन्नैर्बध्यन्ते मत्तदन्तिनः॥”