‘Sabka Saath, Sabka Vikas’ not only confined to India but encompasses the neighboring nations: PM
Development of India alone is not enough unless there is peace & happiness in neighbourhood: PM
Liberation war of Bangladesh was not only against the massacre but also for the protection of human values: PM

આદરણીય, બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીનાજી, ભારતીય સૈન્યના શહીદોના પરિવારજનો, બાંગ્લાદેશના માનનીય વિદેશ મંત્રી અને માનનીય લીબરેશન વોર મંત્રી, મારા કેબીનેટના સદસ્યગણ, વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ, અને રક્ષા મંત્રી શ્રી અરુણ જેટલી, સભામાં ઉપસ્થિત અતિ વિશિષ્ટ ગણમાન્ય સદસ્યો, વિશેષ અતિથી ગણ અને મારા તમામ મિત્રો.

આજે એક વિશેષ દિવસ છે. આજે ભારત તથા બાંગ્લાદેશના શહીદોના બલિદાનને યાદ કરવાનો દિવસ છે. બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે જિંદગી આપનારા યોદ્ધાઓને યાદ કરવાનો દિવસ છે. બાંગ્લાદેશના સ્વાભિમાનની રક્ષા માટે લડનારા ભારતીય સેનાના જાંબાઝોને યાદ કરવાનો દિવસ છે. પણ આ અવસર બાંગ્લાદેશ પર કરવામાં આવેલા તે ક્રૂર પ્રહારને પણ યાદ કરવાનો દિવસ છે જેણે લાખો માણસોની જિંદગી છીનવી લીધી. સાથે જ ઇતિહાસની જે ત્રાસદી બાંગ્લાદેશ ઉપર વીતી, તેની પાછળની વિકરાળ માનસિકતાને નકારવાનો પણ છે. આજનો આ અવસર ભારત અને બાંગ્લાદેશના 140 કરોડથી પણ વધુ નાગરિકોની વચ્ચે અતૂટ વિશ્વાસની તાકાતને ઓળખવાનો પણ છે. આપણે આપણા સમાજને કેવું એક સશક્ત અને સમૃદ્ધ ભવિષ્ય આપીએ તેની ઉપર ચિંતન કરવાનો પણ આ યોગ્ય અવસર છે.

 

એક્સીલેન્સી,

તેમજ સાથીઓ, અનેક કારણોથી આજનો દિવસ ઐતિહાસિક છે. બાંગ્લાદેશના સ્વતંત્રતા સંગ્રામમાં શહીદ થયેલા તમામ ભારતીય સૈનિકોના પરિવારો માટે પણ ક્યારેય ભૂલી ના શકાય તેવી ક્ષણ છે. આજે બાંગ્લાદેશ એ 1661 ભારતીય સૈનિકોનું સન્માન કરી રહ્યું છે, જેમણે 1971માં બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે પોતાના જીવની કુરબાની આપી દીધી હતી. હું ભારતના સવા સો કરોડ લોકો તરફથી બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાજીનો; ત્યાંની સરકારનો અને બાંગ્લાદેશના લોકોનો, આ ભાવનાત્મક પહેલ માટે આભાર વ્યક્ત કરું છું. ભારતના વીર સૈનિક તથા અમારી ગૌરવશાળી સેના માત્ર બાંગ્લાદેશ સાથે થઇ રહેલ અન્યાય તેમજ નરસંહારની વિરુદ્ધ નહોતી લડી. આ વીરો, ભારતીય સંસ્કૃતિમાં રહેલા માનવ મુલ્યો માટે પણ લડ્યા હતા. એ મારું પરમ સૌભાગ્ય છે કે આ સમયે 7 ભારતીય શહીદોના પરિવાર અહીંયા ઉપસ્થિત છે. સમગ્ર ભારત તમારી વ્યથા, તમારા દર્દ અને તમારી પીડામાં સહભાગી છે. તમારા ત્યાગ અને તપસ્યા અતુલનીય છે. ભારતીય સૈનિકોના બલિદાનો માટે હું અને આખો દેશ બધા જ શહીદોને કોટી કોટી નમન કરીએ છીએ.

 

સાથીઓ,

બાંગ્લાદેશનો જન્મ જ્યાં એક નવી આશાનો ઉદય હતો, ત્યાં જ 1971નો ઈતિહાસ આપણને અનેક અત્યંત દર્દનાક ક્ષણોને પણ યાદ અપાવે છે. 1971માં એપ્રિલનો આ જ મહિનો હતો જયારે બાંગ્લાદેશમાં નરસંહાર પોતાની ચરમ સીમા પર હતો. બાંગ્લાદેશ આખી એક પેઢીને ખતમ કરવા માટે સંહાર કરવામાં આવી રહ્યો હતો. તે પ્રત્યેક વ્યક્તિ કે જે બાંગ્લાદેશના ગૌરવ સાથે જોડાયેલ હતી, તે પ્રત્યેક વ્યક્તિ કે જે ભાવી પેઢીને બાંગ્લાદેશના અતીત સાથે પરિચય કરવી શકે તેમ હતી, તેને રસ્તેથી ખસેડી દેવામાં આવી. આ નરસંહારનો ઉદ્દેશ્ય માત્ર નિર્દોષોની હત્યા કરવાનો નહોતો, પરંતુ બાંગ્લાદેશની આખી વિચારધારાને મૂળથી નામશેષ કરવાનો હતો. પરંતુ આખરે અત્યાચાર વિજયી ના બન્યો. જીત માનવ મુલ્યોની થઇ, કરોડો બાંગ્લાદેશીઓની ઈચ્છા શક્તિની થઇ.

સાથીઓ,

બાંગ્લાદેશની જન્મગાથા અસીમ બલિદાનોની ગાથા છે. અને આ બધી જ બલિદાનની વાર્તાઓમાં એક સૂત્ર, એક વિચાર સામાન્ય છે. અને તે છે રાષ્ટ્ર તથા માનવીય મુલ્યો પ્રત્યે અગાધ પ્રેમ. મુક્તિ યોદ્ધાઓનું બલિદાન રાષ્ટ્રપ્રેમથી પ્રેરિત હતું. મુક્તિ યોદ્ધા માત્ર એક માનવ શરીર અને આત્મા નહોતા, પરંતુ એક અદમ્ય અને અવિનાશી વિચારધારા હતા. મને ખુશી છે કે મુક્તિ યોદ્ધાઓ માટે ભારત તરફથી પણ કેટલાક પ્રયાસો થતા રહ્યા છે. મુક્તિ યોદ્ધા શિષ્યવૃત્તિ યોજના હેઠળ મુક્તિ યોદ્ધાઓના પરિવારોના 10 હજારથી વધુ બાળકોને ભણવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તેમના પરિવાર કલ્યાણ માટે આજે આ અવસર પર હું ત્રણ અન્ય જાહેરાતો કરી રહ્યો છું. આવનારા પાંચ વર્ષોમાં મુક્તિ યોદ્ધા શિષ્યવૃત્તિ યોજનાનો લાભ દસ હજાર અન્ય બાળકો સુધી પહોંચાડવામાં આવશે. મુક્તિ યોદ્ધાઓને 5 વર્ષ માટે મલ્ટિપલ એન્ટ્રી વિઝા ફેસિલિટી આપવામાં આવશે અને ભારતમાં મફત ઈલાજ માટે દરવર્ષે 100 મુક્તિ યોદ્ધાઓને એક ખાસ મેડીકલ સ્કીમ હેઠળ સહાયતા આપવામાં આવશે. મુક્તિ યોદ્ધાઓની સાથે સાથે બાંગ્લાદેશ માટે કરવામાં આવેલ ભારતીય સેનાના સંઘર્ષ અને બલિદાનને પણ કોઈ ભૂલી નહીં શકે. આમ કરવામાં તેમની એક માત્ર પ્રેરણા હતી, બાંગ્લાદેશના લોકો પ્રત્યે તેમનો પ્રેમ, અને બાંગ્લાદેશના લોકોના સપનાઓ પ્રત્યે તેમનું સન્માન. અને તે પણ યાદ રાખવું જોઈએ કે યુદ્ધની બર્બરતામાં પણ ભારતીય સેના પોતાના કર્તવ્યથી હટી નહતી. અને યુદ્ધના નિયમોના પાલનની આખા વિશ્વની સામે એક મિસાલ રજૂ કરી દીધી. ભારતીય સેનાનું આ ચારિત્ર્ય હતું કે 90 હજાર એ કેદી સૈનિકોને; (POWs) ને સુરક્ષિત જવા દીધા. 1971માં ભારતની બતાવેલી આ માણસાઈ ગઈ શતાબ્દીની સૌથી મોટી ઘટનાઓમાંની એક છે. મિત્રો, ભારત અને બાંગ્લાદેશ, માત્ર ક્રુરતાને હરાવનારા જ દેશો નથી, પરંતુ ક્રૂરતાની મૂળભૂત વિચારધારાને નકારવાવાળા દેશો છે.

 

સાથીઓ,

બાંગ્લાદેશ પર ચર્ચા બંગબંધુઓ વિના અધુરી છે. બંનેનું અસ્તિત્વ એકબીજા સાથે જોડાયેલું છે. બંને એકબીજાની વિચારધારાના પુરક છે. બંગબંધુ બાંગ્લાદેશની સ્વતંત્રતાના પ્રમુખ સુત્રધાર હતા. તેઓ પોતાના સમયથી અનેકગણી આગળની વિચારધારા રાખનારા હતા. તેમની દરેક પોકાર જનતાની લલકાર હતી. એક મોડર્ન, લિબરલ અને પ્રોગ્રેસીવ બાંગ્લાદેશની તેમની દીર્ઘદ્રષ્ટિ આજે પણ બાંગ્લાદેશની ઉન્નતીનો માર્ગ પ્રશસ્ત કરી રહી છે. 1971 પછી આ બંગબંધુ શેખ મુજીર્બુરહમાનનું જ નેતૃત્વ હતું જેણે બાંગ્લાદેશને અશાંતિ અને અસ્થિરતાના સમયમાંથી બહાર કાઢ્યું હતું. સમાજમાં હયાત દ્વેષ તથા આક્રોશને દૂર કરીને, મહાન બંગબંધુએ બાંગ્લાદેશને શાંતિ તથા વિકાસનો એક માર્ગ દેખાડ્યો. સોનાર બંગલાના સપનાને સાચું કરવાની રાહ બતાવી. ભારતની તે સમયની યુવા પેઢી તો તેમનાથી ખાસ પ્રભાવિત હતી. અને એ મારું સૌભાગ્ય હતું કે હું ખુદ તેમના વિચારોના જ્ઞાનથી લાભ ઉઠાવી શક્યો. આજે બંગબંધુઓને માત્ર દક્ષિણ એશિયામાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં શાંતિ અને સહઅસ્તીત્વની સ્થાપના કરનારા નેતાના રૂપમાં યાદ કરવામાં આવે છે. તેમની પુત્રી, એક્સીલેન્સી શેખ હસીના આજે બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રીના રૂપમાં અહીંયા છે. આ અવસર પર હું તેમના સાહસની પણ પ્રશંસા કરવા માગું છું. જે મુશ્કેલ સંજોગોમાંથી તેમણે પોતાને કાઢ્યા, તે સાહસ દરેકમાં નથી હોતું. પરંતુ તે ચટ્ટાનની જેમ આજે પણ ઊભાં છે, અને પોતાના દેશને વિકાસ પથ પર લઇ જવા માટે કામ કરી રહયાં છે.

 

મિત્રો,

આજે આપણા ક્ષેત્રને, દુનિયાના આ પ્રાચીન ભૂભાગને મુખ્યત્વે ત્રણ વિચારધારા વ્યખ્યાયિત કરે છે. આ વિચારધારાઓ આપણા સમાજ તથા સરકારી વ્યવસ્થાઓની પ્રાથમિકતાઓનો અરીસો છે. તેમાં એક વિચારધારા છે જે આર્થિક વિકાસ પર કેન્દ્રીત છે; દેશને સમૃદ્ધ તથા શક્તિશાળી બનાવવા ઉપર કેન્દ્રીત છે; સમાજના બધા જ વર્ગોને સાથે લઈને ચાલવા ઉપર આધારીત છે. આ વિચારધારાનું પ્રત્યક્ષ ઉદાહરણ છે બાંગ્લાદેશની પ્રગતિ અને ઉન્નતી. 1971માં બાંગ્લાદેશના નાગરિકોનું અંદાજીત આયુષ્ય ભારતથી પણ ઓછું હતું. આજે બાંગ્લાદેશના નાગરિકોનું અંદાજીત આયુષ્ય ભારતથી પણ વધારે છે. પાછલા 45 વર્ષમાં બાંગ્લાદેશનો GDP 31 ગણો વધ્યો છે. પ્રતિ વ્યક્તિ ઉંમરમાં 13 ગણો વધારો થયો છે. વાસ્તવમાં મૃત્યુ દર 222થી ઘટીને હવે 38 રહી ગયો છે. વ્યક્તિ દીઠ ડોક્ટરોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. સ્વતંત્રતા પછીથી અત્યાર સુધી બાંગ્લાદેશની નિકાસ 125 ગણી વધી ગઈ છે. પરિવર્તનના આ અમુક માપદંડો પોતાનામાં જ ઘણું બધું કહી જાય છે. પ્રધાનમંત્રી શેખ હસીનાના વિઝન પર ચાલીને બાંગ્લાદેશ આર્થિક પ્રગતિની નવી સીમાઓ પાર કરી રહ્યો છે.

સાથીઓ,

સાથે જ એક બીજી વીચારધાર છે; સૌનો સાથ, સૌનો વિકાસ. મારો એ સ્પષ્ટ મત છે કે મારા દેશની સાથે જ ભારતનો દરેક પાડોશી દેશ પ્રગતિના માર્ગ પર અગ્રેસર હોય; એકલા ભારતનો વિકાસ અધુરો છે; અને એકલી આપણી સમૃદ્ધિ પોતાનામાં જ સંપૂર્ણ ના હોઈ શકે. અમે એ બાબતથી પણ પરિચિત છીએ કે સૌનો સાથ, સૌનો વિકાસ માત્ર શાંતિની આધારશીલા પર સંભવ છે. એટલા માટે દરેક દેશ પ્રત્યે અમે હંમેશા મિત્રતાનો હાથ આગળ વધાર્યો છે. દરેક દેશને પોતાની સમૃદ્ધિના સહભાગી બનાવવા માટે આમંત્રિત કર્યો છે. સ્વાર્થી ના બનીને અમે આખા વિસ્તારનું સારું ઈચ્છ્યું છે. આ વિચારધારાની સફળતાનું ઉદાહરણ છે ભારત બાંગ્લાદેશના સંબંધોનો સશક્ત ગ્રાફ. અને તેનાથી ઉત્પન્ન બંને સમાજો માટે આર્થિક લાભ, દરેક ક્ષેત્રમાં, પછી તે આર્થિક, રાજનૈતિક, માળખાગત ઈમારત, આર્થિક જોડાણ, ઊર્જા સુરક્ષા અથવા રક્ષા હોય કે પછી અનેક દાયકાથી લંબાયેલી જમીન સરહદ તથા દરિયાઈ સરહદના વિવાદના ઉકેલનો મુદ્દ્દો હોય. દરેક ક્ષેત્રમાં અમારો સહયોગ, પરસ્પર શાંતિ, સારો વિકાસ, આંતરિક વિશ્વાસ તથા ક્ષેત્રીય વિકાસની વિચારધારાની સફળતાના મૂર્ત પ્રમાણો છે.

 

સાથીઓ,

પરંતુ દુઃખની વાત છે કે આ બે વિચારધારાઓની વિરુદ્ધ પણ દક્ષિણ એશિયામાં એક માનસિકતા છે. એવી વિચારધારા કે જે આતંકવાદની પ્રેરણા તથા તેની પોષક છે. એવી વિચારધારા જેની વેલ્યુ સિસ્ટમ માનવતા પર નહીં પરંતુ હિંસા, જાતિવાદ તથા આતંક પર આધારિત છે. જેનો મૂળ ઉદ્દેશ્ય છે આતંકવાદીઓ દ્વારા આતંકવાદ ફેલાવવો.

એક એવી વિચારધારા જેના નીતિ નિર્માતાઓને;

માનવવાદ મોટો આતંકવાદ લાગે છે.

વિકાસ મોટો વિનાશ લાગે છે.

સર્જન મોટો સંહાર લાગે છે.

વિશ્વાસ મોટો વિશ્વાસઘાત લાગે છે.

 

આ વિચારધારા આપણા સમાજના શાંતિ અને સંતુલન, અને તેના માનસિક તથા આર્થિક વિકાસ માટે સૌથી મોટો પડકાર છે. આ વિચારધારા આખા ક્ષેત્ર તથા વિશ્વની શાંતિ તથા વિકાસમાં અવરોધક છે. જ્યાં ભારત અને બાંગ્લાદેશ સમાજના આર્થિક વિકાસની વિચારધારામાં સહભાગી છે, ત્યાં જ આપણે ત્રીજી નકારાત્મક વિચારધારાઓના શિકારી પણ છીએ.

 

સાથીઓ,

અમારી હાર્દિક અભિલાષા છે કે આ ક્ષેત્રના બધા જ દેશોના નાગરિકો સફળતા અને સમૃદ્ધિ તરફ આગળ વધે. અને તેના માટે અમારા સહયોગના દ્વાર હમેશા ખુલ્લા છે. પરંતુ તેના માટે આતંકવાદ અને આતંકવાદી વિચારધારાનો ત્યાગ અનિવાર્ય છે.

સાથીઓ,

ભારત બાંગ્લાદેશ સંબંધ ન તો સરકારોના મોહતાજ છે અને ન તો સત્તાના. ભારત અને બાંગ્લાદેશ એટલા માટે સાથે છે કેમકે બંને દેશોના 140 કરોડ લોકો સાથે છે. આપણે સુખ દુઃખના સાથી છીએ. મેં હંમેશા કહ્યું છે કે જે સપનું હું ભારત માટે જોઉં છું, તે જ શુભકામના મારી બાંગ્લાદેશ માટે પણ છે. અને ભારતના દરેક પાડોશી દેશ માટે પણ છે. હું બાંગ્લાદેશના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું. એક મિત્ર હોવાના નાતે ભારત જેટલી મદદ કરી શકે છે, તે કરશે. અને છેલ્લે હું એક વાર ફરી મુક્તિ યોદ્ધાઓને, ભારતના વીર સૈનિકોને નમન કરું છું. અને આ કાર્યક્રમના આયોજન તથા ઉપસ્થિતિ માટે પ્રધાનમંત્રી શેખ હસીનાજીને ખાસ કરીને અભિનંદન કરું છું. ભારત હંમેશા એક ઘનિષ્ઠ તથા વિશ્વસનીય મિત્રની જેમ બાંગ્લાદેશની સાથે દરેક ક્ષણે દરેક સહાયતા માટે તૈયાર છે અને રહેશે.

જય હિન્દ- જય બાંગ્લા!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
‘Modi Govt’s 12 years are transformational for industry’

Media Coverage

‘Modi Govt’s 12 years are transformational for industry’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 જૂન 2026
June 12, 2026

Breaking Barriers, Building Bharat: PM Modi’s Historic Push for Gender Equality and Inclusive Growth