કેન્દ્ર સરકારની નબળી માનસિકતાથી આતંકવાદને પ્રોત્સાહન મળ્યું છે
આતંકવાદને નેસ્તનાબૂદ કરવા કેન્દ્ર સરકારે કડકમાં કડક કાયદો તાત્કાલિક ઘડવો જોઇએ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આતંકવાદીઓની નિર્દોષ નાગરિકોની અમાનવીય હિંસા સામે આજે આક્રોશ અને પીડા વ્યકત કરતા કેન્દ્ર સરકારની આતંકવાદ સામે લડવાની નબળી માનસિકતાની સખત શબ્દોમાં ટીકા કરી હતી.
સરદાર પટેલ યુનિવર્સિટી મંચસ્થિત સરદાર પટેલની તસ્વીરને શ્રધ્ધાસુમન અર્પણ કરતાં ભાવવિભોર બનેલા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જે લોહપુરૂષે દેશને એક અને અખંડિત બનાવ્યો તે દેશની એકતાને તોડનારા આતંકવાદના નાસુરથી કેટકેટલા લોકોની નિર્દોષોની જિંદગીને રહેંસી નાંખવામાં આવી રહી છે આજે સરદાર સાહેબ હોત તો કોઇ નિર્દોષ નાગરિકોનું ખૂન વહેતું ન હોત અને લોહી વહેતું હોત તો આતંકવાદીનું જ વહેતું હોત, અને જેલમાં ધકેલાયેલા આતંકવાદીઓને કયારનાય ફાંસીના માંચડે ચડાવી દેવાયા હોત, એમ પીડા અને આક્રોશપૂર્વક મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આતંકવાદને નાબૂદ કરવો શકય નથી તેવું કહેનારાની આકરી આલોચના કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દેશના નવજુવાનોનો એક જ જવાબ હોઇ શકે કે આતંકવાદીને બક્ષી શકાય જ નહી, અને સમગ્ર દેશ આ જ જવાબ માંગે છે. આજે માનવ અધિકાર આમ નાગરિક માટેનો વિષય નથી રહ્યો પરંતુ જે માનવ જ નથી, જેનામાં માનવતા નથી તેવા આતંકવાદી-નકસલવાદી નરાધમોના માનવ અધિકારની રક્ષા માટે દિલ્હીમાં બેઠેલી વર્તમાન કેન્દ્ર સરકારની તેમણે આકરી આલોચના કરી હતી.
સ્પર્ધા અને ભરતી માટેની ઓનલાઇન એકઝામિનેશનનો મહત્તમ ઉપયોગ કરીએ નરેન્દ્રભાઇ મોદી
સરદાર પટેલ યુનિવર્સિટીના આધુનિક પરીક્ષા ભવન જ્ઞાનોદયનું ઉદ્દઘાટન
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરદાર પટેલ યુનિવર્સિટીના નવનિર્મિત પરીક્ષા ભવન-જ્ઞાનોદયનું ઉદ્દઘાટન કરતા પરીક્ષા ભવનોનો મહત્તમ ઉપયોગ ટેકનોલોજીના માધ્યમથી ઓનલાઇન ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે થવો જોઇએ તેવી હિમાયત કરી હતી
આવી પરીક્ષામાં ઉતિર્ણ હોનહાર યુવાનો દેશના ભવિષ્ય માટે પુરૂષાર્થરત બને એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીના વિશાળ શૈક્ષણિક સંકુલમાં રૂા. ૯ કરોડના ખર્ચે ૭૭૦૦૦ ચો. ફૂટનું વિશાળ જ્ઞાનોદય-પરીક્ષા ભવન વિદ્યાર્થીઓ-પરીક્ષાર્થીઓ માટે ખૂલ્લું મૂકતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, સાચા, ઇમાનદાર વિદ્યાર્થીને ન્યાય મળે તેવી પરીક્ષા પધ્ધતિ હોવી જોઇએ અને શિક્ષણ સંસ્થાઓ તથા સરકારનું આ જ દાયિત્વ હોવું જોઇએ. પરીક્ષા અને શિક્ષણમાં ચોર-લૂંટારાને કોઇ સ્થાન હોવું જોઇએ નહીં, એમ તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમના અતિથિ વિશેષપદેથી આણંદ જિલ્લાના પ્રભારી અને આરોગ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રીશ્રી જયનારાયણ વ્યાસે પ્રાસંગિક ઉદબોધનમાં સરદાર પટેલ યુનિવર્સિટીને લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની દીર્ઘદ્રષ્ટિ અને દ્રઢ મનોબળનું પરિણામ ગણાવી જ્ઞાનોદય પરીક્ષા ભવનમાં કોઇપણ જાતની ગેરરીતિ વિના પરીક્ષા આપીને વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ કારર્કિદીનું ઘડતર કરી શકશે તેમ જણાવ્યું હતું.
પ્રારંભમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી હરિશ પાઢે યુનિવર્સિટીના નિર્માણનો ઇતિહાસ વર્ણવી નવા અભ્યાસક્રમો તથા જ્ઞાનોદય પરીક્ષા ભવન અંગેની વિસ્તૃત જાણકારી આપી સૌનું સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ યુનિવર્સિટીના મુખ્ય કાર્યાલયની પાછળ અંદાજીત રૂા. ૧૦ કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ એકીસાથે એક જ દિવસમાં ૪ર૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવા ચાર મજલાના ‘જ્ઞાનોદય' પરીક્ષા ભવનનું નિર્માણ થયું છે.
અંતમાં કાર્યકારી કુલ સચિવશ્રી તુષાર મજમુદારે આભારદર્શન કર્યું હતું.
આ સમારંભમાં નાયબ મુખ્યદંડક શ્રી અંબાલાલ રોહિત, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યો, સેનેટ સભ્યો, વિવિધ વિદ્યા શાખાઓના વડાઓ, પ્રાધ્યાપકો, જિલ્લાના અગ્રણીઓ તથા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.