પ્રધાનમંત્રી ઓડિશાનાં સંબલપુરમાં રૂ. 68,000 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે
કુદરતી ગેસ, કોલસો અને વીજ ઉત્પાદન સાથે સંકળાયેલા વિવિધ પ્રોજેક્ટ્સના ઉદઘાટન, સમર્પણ અને શિલાન્યાસ દ્વારા ઊર્જા ક્ષેત્રને મોટું પ્રોત્સાહન મળશે
માર્ગ, રેલવે અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની મહત્વપૂર્ણ પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ પણ કરવામાં આવશે
પ્રધાનમંત્રી સંબલપુર રેલવે સ્ટેશનનાં પુનર્વિકાસ માટે શિલારોપણ કરશે, જેનું માળખું સાયલાશ્રી પેલેસથી પ્રેરિત છે
પ્રધાનમંત્રી ગુવાહાટીમાં રૂ. 11,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી કામાખ્યા મંદિરમાં યાત્રાળુઓને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પ્રદાન કરવા માટે મા કામાખ્યા દિવ્ય પરિયોજનાનો શિલાન્યાસ કરશે
ગુવાહાટીમાં રમતગમત અને તબીબી માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટેના પ્રોજેક્ટ્સ મુખ્ય કેન્દ્રિત ક્ષેત્રો હશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3થી 4 ફેબ્રુઆરી, 2024નાં રોજ ઓડિશા અને આસામની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી 3 ફેબ્રુઆરીનાં રોજ બપોરે 2:15 વાગ્યે ઓડિશાનાં સંબલપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રૂ. 68,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ માળખાગત પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલારોપણ કરશે. પછી પ્રધાનમંત્રી આસામની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ચોથી ફેબ્રુઆરીનાં રોજ સવારે 11:30 વાગે ગુવાહાટીમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રૂ. 11,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પહેલોનું ઉદઘાટન કરશે અને શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી સંબલપુરમાં

દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ ઓડિશાનાં સંબલપુરમાં જાહેર કાર્યક્રમમાં ઊર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનાં ઉદ્દેશ સાથે વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, રાષ્ટ્રને સમર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી 'જગદીશપુર-હલ્દિયા અને બોકારો-ધમરા પાઇપલાઇન પ્રોજેક્ટ (જેએચબીડીપીએલ)'નાં 'ધમરા-અંગુલ પાઇપલાઇન સેક્શન' (412 કિલોમીટર)નું ઉદઘાટન કરશે. 'પ્રધાનમંત્રી ઊર્જા ગંગા' હેઠળ 2450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્મિત આ પ્રોજેક્ટ ઓડિશાને નેશનલ ગેસ ગ્રિડ સાથે જોડશે. પ્રધાનમંત્રી મુંબઈ-નાગપુર-ઝારસુગુડા પાઇપલાઇનનાં 'નાગપુર ઝારસુગુડા કુદરતી ગેસ પાઇપલાઇન સેક્શન' (692 કિલોમીટર)'નું શિલારોપણ પણ કરશે. 2660 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવનાર આ પ્રોજેક્ટથી ઓડિશા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં નેચરલ ગેસની ઉપલબ્ધતામાં સુધારો થશે.

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આશરે 28,980 કરોડનાં મૂલ્યનાં વિવિધ પાવર પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે અને ખાતમુહૂર્ત પણ કરશે. આ પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં ઓડિશાનાં સુંદરગઢ જિલ્લામાં એનટીપીસી દારિપલી સુપર થર્મલ પાવર સ્ટેશન (2x800 મેગાવોટ) અને એનએસપીસીએલ રાઉરકેલા પીપી-II વિસ્તરણ પરિયોજના (1x250 મેગાવોટ) સામેલ છે. તેઓ ઓડિશાનાં અંગુલ જિલ્લામાં એનટીપીસી તાલચેર થર્મલ પાવર પ્રોજેક્ટ, સ્ટેજ– III (2x660 મેગાવોટ)નો શિલાન્યાસ પણ કરશે. આ પાવર પ્રોજેક્ટ્સ ઓડિશાની સાથે સાથે અન્ય કેટલાક રાજ્યોને પણ ઓછા ખર્ચે વીજળી પૂરી પાડશે.

પ્રધાનમંત્રી નેયવેલી લિગ્નાઇટ કોર્પોરેશન (એનએલસી) તાલાબીરા થર્મલ પાવર પ્રોજેક્ટનું શિલારોપણ કરશે, જેનું મૂલ્ય 27,000 કરોડથી વધારે છે. પ્રધાનમંત્રીના ભારતના વિઝનને મજબૂત બનાવતા આ અત્યાધુનિક પ્રોજેક્ટ વિશ્વસનીય, વાજબી અને ચોવીસ કલાક વીજળી પ્રદાન કરશે, જે દેશની ઊર્જા સુરક્ષામાં નોંધપાત્ર પ્રદાન કરશે તથા દેશના આર્થિક વિકાસ અને સમૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

પ્રધાનમંત્રી મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડના કોલસાના માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે, જેમાં પ્રથમ માઇલ કનેક્ટિવિટી (એફએમસી) પ્રોજેક્ટ્સ - ભુવનેશ્વરી ફેઝ-1, અંગુલ જિલ્લામાં તાલચેર કોલફિલ્ડ્સમાં અને લાજકુરા રેપિડ લોડિંગ સિસ્ટમ (આરએલએસ) સામેલ છે. આશરે રૂ. 2145 કરોડનાં ખર્ચે નિર્મિત આ વિવિધ પ્રોજેક્ટ ઓડિશામાંથી શુષ્ક ઇંધણની ગુણવત્તા અને પુરવઠાને પ્રોત્સાહન આપશે. પ્રધાનમંત્રી ઓડિશાનાં ઝારસુગુડા જિલ્લામાં 550 કરોડ રૂપિયાથી વધારેનાં ખર્ચે નિર્મિત આઇબી વેલી વોશરીનું ઉદઘાટન પણ કરશે. તે ગુણવત્તા માટે કોલસાની પ્રક્રિયામાં આમૂલ પરિવર્તનને ચિહ્નિત કરશે, જે નવીનતા અને ટકાઉપણું સૂચવે છે. પ્રધાનમંત્રી રૂ. 878 કરોડનાં રોકાણ સાથે મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડ દ્વારા નિર્મિત ઝારસુગુડા-બરપલી-સરગેડા રેલવે લાઇન ફેઝ-1નો 50 કિલોમીટરનો બીજો ટ્રેક દેશને અર્પણ કરશે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાજમાર્ગોનાં ત્રણ માર્ગ ક્ષેત્રનાં પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કરશે, જેને કુલ રૂ. 2110 કરોડનાં ખર્ચે વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં એનએચ 215 (નવો એનએચ નંબર 520)નો રિમુલી-કોઇડા સેક્શનને ચાર માર્ગીય બનાવવો, રાષ્ટ્રીય રાજમાર્ગ 23ના બિરામિત્રપુર-બ્રહ્માણી બાયપાસ એન્ડ સેક્શનને ફોર લેન કરવું (નવો એનએચ નંબર 143) અને એનએચ 23 (નવો એનએચ નંબર 143)નો બ્રાહ્મણી બાયપાસ એન્ડ-રાજમુંડા સેક્શનને ફોર લેન કરવાનો સમાવેશ થાય છે. આ વિવિધ પ્રોજેક્ટ કનેક્ટિવિટી વધારશે અને આ વિસ્તારનાં આર્થિક વિકાસમાં પણ પ્રદાન કરશે.

ઉપરાંત પ્રધાનમંત્રી આશરે રૂ. 2146 કરોડનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. તેઓ સંબલપુર રેલવે સ્ટેશનનાં પુનર્વિકાસ માટે શિલારોપણ કરશે, જેનું સ્થાપત્ય સાયલાશ્રી પેલેસમાંથી પ્રેરિત છે. તેઓ સંબલપુર-તાલચેર ડબલિંગ રેલવે લાઇન (168 કિલોમીટર) અને ઝારતારભાથી સોનપુર નવી રેલવે લાઇન (21.7 કિલોમીટર) પણ અર્પણ કરશે, જે વિસ્તારમાં રેલવે નેટવર્કની ક્ષમતા વધારશે. પ્રધાનમંત્રી પુરી-સોનપુર-પુરી સાપ્તાહિક એક્સપ્રેસને લીલી ઝંડી પણ આપશે, જે આ વિસ્તારમાં રેલવે મુસાફરો માટે કનેક્ટિવિટીમાં સુધારો કરશે.

પ્રધાનમંત્રી આઇઆઇએમ સંબલપુરનાં સ્થાયી પરિસરનું ઉદઘાટન પણ કરશે. ઉપરાંત તેઓ ઝારસુગુડા હેડ પોસ્ટ ઓફિસ હેરિટેજ બિલ્ડિંગ દેશને અર્પણ કરશે.

પ્રધાનમંત્રી ગુવાહાટીમાં

પ્રધાનમંત્રી ગુવાહાટીમાં રૂ. 11,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.

યાત્રાધામોની મુલાકાત લેતા લોકોને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પ્રદાન કરવી એ પ્રધાનમંત્રીનું મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યું છે. આ પ્રયાસના અન્ય એક પગલામાં પ્રધાનમંત્રી દ્વારા શિલારોપાણ કરવામાં આવનારી મુખ્ય પરિયોજનાઓમાં મા કામાખ્યા દિવ્યા પરિયોજના (મા કામાખ્યા એક્સેસ કોરિડોર)નો સમાવેશ થાય છે, જેને પ્રધાનમંત્રી વિકાસ પહેલ ફોર નોર્થ ઈસ્ટર્ન રિજન (પીએમ-ડિવાઈન) યોજના હેઠળ મંજૂરી આપવામાં આવી છે. તે કામાખ્યા મંદિરની મુલાકાતે આવતા યાત્રાળુઓને વિશ્વ કક્ષાની સુવિધાઓ પ્રદાન કરશે.

પ્રધાનમંત્રી રૂ. 3400 કરોડનાં મૂલ્યનાં વિવિધ રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જે અંતર્ગત 38 પુલો સહિત 43 માર્ગોને સાઉથ એશિયા સબરિજનલ ઇકોનોમિક કોઓપરેશન (એસએએસઇસી) કોરિડોર કનેક્ટિવિટીનાં ભાગરૂપે અપગ્રેડ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ડોલાબારીથી જમુગુરી અને બિશ્વનાથ ચરિયાલીથી ગોહપુર સુધી 4 લેનનાં બે પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટથી ઇટાનગર સાથે જોડાણ સુધારવામાં મદદ મળશે અને આ વિસ્તારનાં સંપૂર્ણ આર્થિક વિકાસને વેગ મળશે.

આ વિસ્તારમાં રમતગમતની પ્રચૂર સંભવિતતાનો ઉપયોગ કરવા પ્રધાનમંત્રી રાજ્યમાં રમતગમતની માળખાગત સુવિધાને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં ચંદ્રપુરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને ફિફા સ્ટાન્ડર્ડ ફૂટબોલ સ્ટેડિયમ તરીકે નહેરુ સ્ટેડિયમનું અપગ્રેડેશન સામેલ છે.

પ્રધાનમંત્રી ગૌહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનાં માળખાગત સુવિધાનાં વિકાસ માટે શિલારોપણ પણ કરશે. આ ઉપરાંત, કરીમગંજમાં એક મેડિકલ કોલેજના વિકાસ માટે શિલાન્યાસ પણ તેમના દ્વારા કરવામાં આવશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves

Media Coverage

Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રી 27મી ઓગસ્ટે ખેલો ઈન્ડિયા ડાયલોગમાં યુવાનોને સંબોધિત કરશે
August 26, 2026
ખેલો ઈન્ડિયા ડાયલોગ રમતગમત, યુવા નેતૃત્વ, નાગરિક જવાબદારી, સ્વયંસેવા, ફિટનેસ અને રાષ્ટ્ર નિર્માણને એક સામાન્ય મંચ પર લાવશે
ખેલો ઈન્ડિયા ડાયલોગ અંતર્ગત યુવા સંવાદ પાંચ મુખ્ય થીમ પર ધ્યાન કેન્દ્રિત કરશે: રમતગમત, ઓલિમ્પિક આકાંક્ષાઓ, યુવા નેતૃત્વ, વિકસિત ભારત અને નશા મુક્ત યુવા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27મી ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલો ઈન્ડિયા ડાયલોગને સંબોધિત કરશે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય યુવાનોને ભારતની રમતગમતની યાત્રા સાથે જોડાવા, તેમની આકાંક્ષાઓ શેર કરવા અને મજબૂત યુવા સંચાલિત વિકસિત ભારત માટે વિચારોનું યોગદાન આપવામાં મદદ કરવાનો છે.

રાષ્ટ્રીય રમતગમત દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે મેરા યુવા ભારત (MY Bharat) દ્વારા આયોજિત આ કાર્યક્રમ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના દરેક જિલ્લાની બે કોલેજોમાં યુવાનોની ભાગીદારી સાથે દેશભરમાં યોજાશે. રાષ્ટ્રીય વિકાસ એજન્ડાના કેન્દ્રમાં યુવાનોની આકાંક્ષાઓને રાખીને ફિટ, શિસ્તબદ્ધ અને રમતગમત ધરાવતા રાષ્ટ્રના નિર્માણના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

દેશવ્યાપી ખેલો ઈન્ડિયા ડાયલોગ રમતગમત, યુવા નેતૃત્વ, નાગરિક જવાબદારી, સ્વયંસેવા, ફિટનેસ અને રાષ્ટ્ર નિર્માણને એક સામાન્ય મંચ પર લાવશે. તે યુવાનોને દેશની રમતગમતની આકાંક્ષાઓ સાથે સીધા જોડાવા માટે એક માધ્યમ પૂરું પાડશે, જ્યારે તેમના વિચારો અને દ્રષ્ટિકોણ ભારતની યુવા અને રમતગમત ઈકોસિસ્ટમ પર સતત ચાલતી ચર્ચાનો ભાગ બને તે સુનિશ્ચિત કરશે.

રાષ્ટ્રીય કાર્યક્રમ બાદ યુવા પ્રતિભાગીઓ, માય ભારત સ્વયંસેવકો, સ્થાનિક ખેલાડીઓ અને જનપ્રતિનિધિઓને આવરી લેતી સ્થાનિક ક્રિયાપ્રતિક્રિયાઓ થશે. આ પહેલની એક મુખ્ય વિશેષતા રમતગમતમાં રસ ધરાવતા યુવાનો અને ભારતના અગ્રણી ખેલાડીઓ તથા મેડલ વિજેતાઓ વચ્ચે સીધો સંવાદ હશે. કાર્યક્રમની એક મધ્યસ્થ વિશેષતા યુવા સંવાદ હશે જ્યાં યુવા પ્રતિભાગીઓને તેમના પોતાના વિચારો, દ્રષ્ટિકોણ અને આકાંક્ષાઓ વ્યક્ત કરવા માટે આમંત્રિત કરવામાં આવશે. આ સંવાદ પાંચ થીમની આસપાસ રચાયેલ હશે:

  • વધુ સારી સુવિધાઓ, કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સ અને સમાવેશી ભાગીદારી દ્વારા ભારતની રમતગમત ઈકોસિસ્ટમમાં સુધારો કરવો;
  • વૈજ્ઞાનિક ક્ષમતા ઓળખ, પારદર્શક પસંદગી અને લાંબા ગાળાના એથલીટ વિકાસ દ્વારા 2036 ઓલિમ્પિક માટે પ્રતિભાને પોષવી;
  • ગવર્નન્સ પ્લેટફોર્મ્સ અને માય ભારતની આગેવાની હેઠળની સ્વયંસેવા દ્વારા યુવા નેતાઓ તૈયાર કરવા;
  • નાગરિક માનસિકતા, ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યો અને સંરચિત સ્વયંસેવાના નિર્માણ દ્વારા વિકસિત ભારત માટે યુવાનોને સશક્ત બનાવવું;
  • નશા મુક્ત યુવા ચળવળને પ્રોત્સાહન આપવું જે નશાખોરી સામે લડવા માટે રમતગમત અને સમવયસ્ક નેટવર્કનો ઉપયોગ કરે છે, જેને 2 ઓગસ્ટ 2026ના રોજ શરૂ કરાયેલા પ્રધાનમંત્રીના 100-અઠવાડિયાના દેશવ્યાપી અભિયાન હેઠળ સાપ્તાહિક જન ભાગીદારી પ્રવૃત્તિઓ દ્વારા બળ મળે છે.