ભારત-બાંગ્લાદેશની મિત્રતા આગામી 25 વર્ષમાં નવી ઊંચાઈઓને સ્પર્શશેઃ પ્રધાનમંત્રી મોદી
આજે બાંગ્લાદેશ ભારતનો સૌથી મોટો વિકાસ ભાગીદાર છે અને આ ક્ષેત્રમાં આપણો સૌથી મોટો વેપાર ભાગીદાર છે: પ્રધાનમંત્રી
ભારત-બાંગ્લાદેશે કુશિયારા નદીમાંથી પાણીની વહેંચણી પર એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે: પ્રધાનમંત્રી મોદી

 

આદરણીય મહામહિમ પ્રધાનમંત્રી શેખ હસીના,

બંને પ્રતિનિધિમંડળના આદરણીય સભ્યો,

મીડિયાના આપણા મિત્રો,

નમસ્કાર!

 

સૌપ્રથમ હું પ્રધાનમંત્રી શેખ હસીનાજી અને તેમનાં પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું. ગયાં વર્ષે આપણે બાંગ્લાદેશની આઝાદીની પચાસમી વર્ષગાંઠ, આપણા રાજદ્વારી સંબંધોની સુવર્ણજયંતી અને બંગબંધુ શેખ મુજીબુર રહમાનની જન્મ શતાબ્દીની સાથે મળીને ઉજવણી કરી હતી. ગયાં વર્ષે 6 ડિસેમ્બરે, આપણે સમગ્ર વિશ્વમાં સાથે મળીને પ્રથમ 'મૈત્રી દિવસ' પણ ઉજવ્યો હતો. આજે આપણી આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન પ્રધાનમંત્રી શેખ હસીનાજીની મુલાકાત યોજાઈ રહી છે. અને મને વિશ્વાસ છે કે આવનારાં 25 વર્ષના અમૃત કાલમાં ભારત-બાંગ્લાદેશની મિત્રતા નવી ઊંચાઈઓને આંબી જશે.

સાથીઓ,

બાંગ્લાદેશે પ્રધાનમંત્રી શેખ હસીનાજીનાં નેતૃત્વમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. વીતેલાં કેટલાંક વર્ષોમાં આપણો પારસ્પરિક સહયોગ પણ દરેક ક્ષેત્રમાં ઝડપથી વધ્યો છે. અત્યારે બાંગ્લાદેશ ભારતનું સૌથી મોટું વિકાસ ભાગીદાર છે અને આ વિસ્તારમાં આપણો સૌથી મોટો વેપારી ભાગીદાર છે.

આપણા ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને લોકોથી લોકોના સંબંધો પણ સતત વિકસી રહ્યા છે. આજે પ્રધાનમંત્રી શેખ હસીનાજી અને મેં તમામ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

અમે બંને માનીએ છીએ કે કોવિડ મહામારી અને તાજેતરની વૈશ્વિક ઘટનાઓમાંથી બોધપાઠ લઈને, આપણે આપણી અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.

આપણા બંને દેશો વચ્ચે કનેક્ટિવિટીનાં વિસ્તરણ અને સરહદ પર ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ સાથે, બંને અર્થતંત્રો એકબીજા સાથે વધુ જોડાણ કરવાં, એકબીજાને ટેકો આપવાં માટે સક્ષમ બનશે. આપણો દ્વિપક્ષીય વેપાર ઝડપથી વધી રહ્યો છે. અત્યારે બાંગ્લાદેશની નિકાસ માટે ભારત એશિયાનું સૌથી મોટું બજાર છે. આ વૃદ્ધિને વધુ વેગ આપવા અમે ટૂંક સમયમાં દ્વિપક્ષીય વિસ્તૃત આર્થિક ભાગીદારી સમજૂતી પર ચર્ચા શરૂ કરીશું.

અમે આપણી યુવા પેઢીને રસ પડે છે એવાં આઇટી, અંતરિક્ષ અને પરમાણુ ઊર્જા જેવાં ક્ષેત્રોમાં સહકાર વધારવાનો નિર્ણય પણ લીધો છે. અમે આબોહવા પરિવર્તન અને સુંદરવન જેવા સમાન વારસાને જાળવવા પર પણ સહકાર આપવાનું ચાલુ રાખીશું.

સાથીઓ,

ઊર્જાના વધતા ભાવો હાલમાં તમામ વિકાસશીલ દેશો માટે એક પડકાર ઊભો કરી રહ્યા છે. મૈત્રી થર્મલ પાવર પ્લાન્ટના પ્રથમ એકમનું આજે અનાવરણ કરવાથી બાંગ્લાદેશમાં સસ્તી વીજળીની ઉપલબ્ધતામાં વધારો થશે.

બંને દેશો વચ્ચે પાવર ટ્રાન્સમિશન લાઇનને જોડવા અંગે ફળદાયી વાટાઘાટો પણ ચાલી રહી છે. રૂપશા નદી પર રેલવે પુલનું ઉદઘાટન કનેક્ટિવિટી વધારવાની દિશામાં એક નોંધપાત્ર પગલું છે. આ પુલ ભારતની લાઇન ઑફ ક્રેડિટ હેઠળ ખુલ્ના અને મોંગલા બંદરની વચ્ચે બની રહેલી નવી રેલવે લાઇનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ભારત બાંગ્લાદેશની રેલવે સિસ્ટમનાં વિકાસ અને વિસ્તરણ માટે તમામ સાથસહકાર આપવાનું ચાલુ રાખશે.

સાથીઓ,

ભારત-બાંગ્લાદેશ સરહદેથી પસાર થતી 54 નદીઓ છે, અને સદીઓથી બંને દેશોનાં લોકોની આજીવિકા સાથે જોડાયેલી છે. આ નદીઓ, તેમના વિશેની લોકકથાઓ, લોકગીતો, આપણા સહિયારા સાંસ્કૃતિક વારસાની સાક્ષી પણ રહી છે. આજે, અમે કુશિયારા નદીનાં પાણીની વહેંચણી માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી ભારતમાં દક્ષિણ આસામને અને બાંગ્લાદેશમાં સિલ્હેટ ક્ષેત્રને લાભ થશે.

મારા અને પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે પૂર શમન કરવાનાં સંબંધમાં સહકાર વધારવા પર પણ ફળદાયક વાતચીત થઈ હતી. ભારત રિયલ-ટાઇમ ધોરણે બાંગ્લાદેશ સાથે પૂર સંબંધિત ડેટા શેર કરે છે અને અમે ડેટા શેરિંગનો સમયગાળો પણ વધાર્યો છે.

આજે, અમે આતંકવાદ અને કટ્ટરવાદ સામે સહકાર પર પણ ભાર મૂક્યો છે. 1971ના જુસ્સાને જીવંત રાખવા માટે, એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે એવી તાકાતો સામે સાથે મળીને લડીએ, જે આપણા પારસ્પરિક વિશ્વાસ પર હુમલો કરવા માગે છે.

સાથીઓ,

બંગબંધુએ જોયેલાં સ્થિર, સમૃદ્ધ અને પ્રગતિશીલ બાંગ્લાદેશનાં સ્વપ્નને સાકાર કરીને ભારત બાંગ્લાદેશ સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધતું રહેશે. આજની અમારી વાતચીત પણ આ હાર્દરૂપ પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવાની ઉત્કૃષ્ટ તક હતી.

ફરી એક વાર હું પ્રધાનમંત્રી શેખ હસીનાજી અને તેમનાં પ્રતિનિધિમંડળનું ભારતમાં હાર્દિક સ્વાગત કરું છું. અને તેમને ભારતમાં સુખદ રોકાણની શુભેચ્છા પાઠવું છું.

તમારો ખૂબ ખૂબ આભાર.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
DBT transfers top Rs 2 lakh crore so far in FY27

Media Coverage

DBT transfers top Rs 2 lakh crore so far in FY27
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends greetings on Samvatsari
September 15, 2026

The Prime Minister, Shri Narendra Modi, has extended his greetings to the people on the sacred occasion of Samvatsari. Shri Modi said that Samvatsari reminds us that forgiveness and compassion strengthen every bond. He called upon everyone to embrace humility and let kindness and goodwill guide their actions.

The Prime Minister posted on X:

Samvatsari reminds us that forgiveness and compassion strengthen every bond.

On this sacred occasion, may humility guide us and may kindness and goodwill shape our every action.

Michhami Dukkadam!