શિવાજી મહારાજના જીવન અને ઇતિહાસને લોકો સુધી પહોંચાડવામાં તેમના સર્વશ્રેષ્ઠ યોગદાન માટે આપણે તમામ લોકો તેમના હંમેશા ઋણી રહીશું : પ્રધાનમંત્રી
છત્રપતિ શિવાજી મહારાજ વિના ભારતના સ્વરૂપ અને તેની સુવર્ણગાથાની કલ્પના કરવી અશક્ય છે : પ્રધાનમંત્રી
શિવાજી મહારાજનું ‘હિન્દવી સ્વરાજ’ એ પછાત અને વંચિતો માટે ન્યાયનું એક અજોડ ઉદાહરણ છે અને અત્યાચાર સામે લડત છે : પ્રધાનમંત્રી
બાબા સાહેબ પુરંદરેએ ભારતની આઝાદીની લડતનો ઇતિહાસ લખ્યો ત્યારે અપનાવ્યા હતા તેવા જ માપદંડો જાળવી રાખવાની હું આઝાદી કા અમૃત મહોત્સવના પ્રસંગે યુવાન ઇતિહાસકારોને અપીલ કરું છું: પ્રધાનમંત્રી

નમસ્કાર!

આ કાર્યક્રમમાં આપણને આશીર્વાદ આપી રહેલા આદરણીય બાબા સાહેબ પુરંદરેજી, બાબા સાહેબ સત્કાર સમારોહ સમિતિનાં અધ્યક્ષ સુમિત્રા તાઈ અને શિવશાહીમાં શ્રદ્ધા રાખનારા બાબા સાહેબના તમામ અનુયાયી સાથી ગણ!

શિવ શાહીર બાબા સાહેબ પુરંદરે યાંના મી સુરુવાતીસચ સાષ્ટાંગ નમસ્કાર કરતો વ છત્રપતિ શિવાજી મહારાજાની જે આદર્શ ઉભે કેલે આહેત, જી શિકવણ દિલી આહે, તિચે આચરણ કર્ણ્યાચી શક્તી પરમેશ્વરાને મલા દયાવી અશી પ્રાર્થના મી દેવાકડે કરતો!

હું આદરણીય બાબા સાહેબ પુરંદરેજીનાં જીવનનાં સોમા વર્ષમાં પ્રવેશ માટે હ્રદયથી શુભકામનાઓ આપું છું. એમનું માર્ગદર્શન, એમનાં આશીર્વાદ જેમ અત્યાર સુધી આપણને સૌને મળતા રહ્યા છે એવી જ રીતે આગળ પણ લાંબા સમય સુધી મળતાં રહે એવી મારી મંગળ કામના છે. હું આદરણીય સુમિત્રા તાઇને પણ આ વિશેષ આયોજન માટે અભિનંદન આપું છું. મને ખુશી છે કે આ સુખદ સમારોહમાં મને બાબા સાહેબના આશીર્વાદ લેવાની, એમનામાં શ્રદ્ધા રાખતા આપ સૌ સાથીઓની વચ્ચે આવવાની તક મળી છે. હું સમગ્ર દેશમાં બાબા સાહેબના અનેકાનેક અનુયાયીઓને પણ આ પુણ્ય પ્રસંગના અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

શતાયુ જીવનની કામના માનવતાના સૌથી શુદ્ધ અને સકારાત્મક વિચારોમાંની એક રહી છે. આપણે ત્યાં વેદોમાં ઋષિઓએ તો શતાયુ જીવનથી પણ ઘણું આગળ વધીને કહ્યું છે, આપણા ઋષિઓએ કહ્યું છે-

જીવેમ શરદશતમ્

બુધ્યેમ શરદશતમ્

રોહેમ શરદશતમ્

અર્થાત્, આપણે સો વર્ષો સુધી જીવીએ, સો વર્ષો સુધી વિચારશીલ રહીએ અને સો વર્ષો સુધી આગળ વધતા રહીએ. બાબા સાહેબ પુરંદરેનું જીવન આપણા મુનિઓની આ શ્રેષ્ઠ ભાવનાને સાક્ષાત ચરિતાર્થ કરે છે. પોતાની તપસ્યાથી જ્યારે કોઇ જીવનમાં આવા યોગ સિદ્ધ કરે છે, તો ઘણાં સંયોગ પણ સ્વયં સિદ્ધ થવા લાગે છે. આ સુખદ સંજોગ જ છે કે ક્યારે બાબા સાહેબ જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સાથે સાથે આપણો દેશ પણ આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. મને લાગે છે કે બાબા સાહેબ પોતે પણ અનુભવ કરતા હશે કે આ સંયોગ એમના માટે એમની તપસ્યાથી પ્રસન્ન મા ભારતીનાં પ્રત્યક્ષ આશીર્વાદ જ છે.

ભાઈઓ અને બહેનો,

વધુ એક સંયોગ છે જે આપણને આઝાદીના 75મા વર્ષ માટે પ્રેરણા આપે છે. આપ સૌ એ વાતથી પરિચિત છો કે આઝાદીના અમૃત મહોત્સવમાં દેશે સ્વાતંત્ર્ય સેનાનીઓના, અમર આત્માઓના ઇતિહાસ લેખનનું અભિયાન શરૂ કર્યું છે. બાબા સાહેબ પુરંદરે આ જ પુણ્ય કાર્ય દાયકાઓથી કરતા આવ્યા છે. પોતાનું સમગ્ર જીવન આ જ એક મિશન માટે એમણે ખપાવી દીધું છે. તેમણે શિવાજી મહારાજનાં જીવનને, એમના ઇતિહાસને જન સુધી પહોંચાડવામાં જે યોગદાન આપ્યું છે એના માટે આપણે સૌ એમના હંમેશા ઋણી રહીશું. મને ખુશી છે કે આપણને એમના આ યોગદાનના બદલામાં દેશને એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. 2019માં દેશે એમને ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કર્યા તો આ તરફ 2015માં તત્કાલીન મહારાષ્ટ્ર સરકારે એમને ‘મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર’ પણ એનાયત કર્યો હતો. મધ્ય પ્રદેશમાં પણ શિવરાજજીની સરકારે ‘છત્રપતિ શિવાજી’ના આ પરમ ભક્તને કાલિદાસ પુરસ્કાર એનાયત કરીને નમન કર્યાં હતાં.

સાથીઓ,

છત્રપતિ શિવાજી મહારાજ પ્રત્યે બાબા સાહેબ પુરંદરેજીની આટલી ભક્તિ એમ જ કઈ નથી. શિવાજી મહારાજ ભારતના ઇતિહાસના શિખર-પુરુષ તો છે જ, પણ ભારતની વર્તમાન ભૂગોળ પણ એમની અમર ગાથાથી પ્રભાવિત છે. આ આપણા ભૂતકાળનો, આપણા વર્તમાનનો અને આપણા ભવિષ્યનો એક બહુ મોટો પ્રશ્ન છે કે જો શિવાજી મહારાજ ન હોત તો શું થાત? છત્રપતિ શિવાજી મહારાજ વિના ભારતનાં સ્વરૂપની, ભારતનાં ગૌરવની કલ્પના પણ મુશ્કેલ છે. જે ભૂમિકા એ કાળખંડમાં છત્રપતિ શિવાજીની હતી, એ જ ભૂમિકા એમના બાદ એમની પ્રેરણાઓએ, એમની ગાથાઓએ નિરંતર નિભાવી છે. શિવાજી મહારાજનું ‘હિંદવી સ્વરાજ’ સુશાસનનું, પછાત-વંચિતો પ્રત્યે ન્યાયનું, અને અત્યાચાર સામે હુંકારનું અપ્રતિમ ઉદાહરણ છે. વીર શિવાજીનું પ્રબંધન, દેશની સામુદ્રિક શક્તિનો ઉપયોગ, નૌકા દળની ઉપયોગિતા, જળ વ્યવસ્થાપન જેવા ઘણા વિષય આજે પણ અનુકરણીય છે. અને એ બાબા સાહેબ જ છે જેમને આઝાદ ભારતની નવી પેઢીને શિવાજી મહારાજના આ સ્વરૂપથી રૂબરૂ કરાવવાનો સૌથી મોટો શ્રેય જાય છે.

એમના લેખોમાં અને એમનાં પુસ્તકોમાં શિવાજી મહારાજ માટે એમની અતૂટ શ્રદ્ધા સ્પષ્ટ ઝળકે છે.

શિવાજી મહારાજ સાથે સંકળાયેલી કથાઓ કહેવાની બાબા સાહેબ પુરંદરેની શૈલી, એમના શબ્દો, શિવાજી મહારાજને આપણા મન-મંદિરમાં સાક્ષાત જીવંત કરી દે છે. મને સારી રીતે યાદ છે કે લગભગ ચાર દાયકા અગાઉ અમદાવાદમાં જ્યારે આપના કાર્યક્રમ આયોજિત થતા હતા ત્યારે હું નિયમિત રીતે એમાં ઉપસ્થિત રહેતો હતો. જાણતા રાજાના પ્રારંભિક સમયમાં એક વાર એમને જોવા માટે ખાસ પૂણે ગયો હતો.

બાબા સાહેબે હંમેશા એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે યુવાઓ સુધી ઇતિહાસ પોતાની પ્રેરણાઓ સાથે પહોંચે, સાથે જ પોતાના સાચા સ્વરૂપમાં પણ પહોંચે. આ સંતુલનની આજે દેશના ઈતિહાસને બહુ આવશ્યક્તા છે. એમની શ્રદ્ધા અને એમની અંદરના સાહિત્યકારે કદી પણ એમના ઇતિહાસબોધને પ્રભાવિત કર્યો નથી. હું દેશના યુવા ઈતિહાસકારોને પણ કહીશ, આપ જ્યારે આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં આઝાદીનો ઈતિહાસ લખો તો પ્રેરણા અને પ્રમાણિકતાની આ જ કસોટી આપના લેખનમાં હોવી જોઇએ.

સાથીઓ,

બાબા સાહેબ પુરંદરેના પ્રયાસો માત્ર ઈતિહાસ બોધ કરાવવા સુધી જ સીમિત રહ્યા નથી. તેમણે પોતાનાં જીવનમાં શિવાજી મહારાજને જીવવાનો પ્રયાસ પણ એટલી જ નિષ્ઠાથી કર્યો છે. તેમણે ઈતિહાસની સાથે સાથે વર્તમાનની પણ ચિંતા કરી છે.

ગોવા મુક્તિ સંગ્રામથી લઈને દાદરા નગર હવેલીના સ્વાતંત્ર્ય સંગ્રામ સુધી એમની જે ભૂમિકા રહી છે એ આપણા સૌના માટે એક આદર્શ છે. એમનો પરિવાર પણ સામાજિક કાર્યો અને સંગીત કલા માટે સતત સમર્પિત રહે છે. આપ આજે પણ ‘શિવ સૃષ્ટિ’ના નિર્માણના અભૂતપૂર્વ સંકલ્પ પર કામ કરી રહ્યા છો. શિવાજી મહારાજના જે આદર્શોને આપે દેશની સમક્ષ મૂકવાના આજીવન પ્રયાસ કર્યા છે એ આદર્શ આપણને સદીઓ સુધી પ્રેરણા આપતા રહેશે.

આ વિશ્વાસની સાથે, હું મા ભવાનીનાં ચરણોમાં વિનમ્ર પ્રાર્થના કરું છું, આપના ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું. આપનાં આશીર્વાદ આપણને આ જ રીતે મળતા રહે એ જ શુભકામનાઓ સાથે હું મારી વાત સમાપ્ત કરું છું.

ધન્યવાદ!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India vehicle retail sales seen steady in December as tax cuts spur demand: FADA

Media Coverage

India vehicle retail sales seen steady in December as tax cuts spur demand: FADA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 9 ડિસેમ્બર 2025
December 09, 2025

Aatmanirbhar Bharat in Action: Innovation, Energy, Defence, Digital & Infrastructure, India Rising Under PM Modi