પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરત, ગુજરાતમાં કેટલાક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકોનો તેમના અડગ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. "સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી, હું પહેલીવાર સુરતની મુલાકાતે આવ્યો છું. સુરતની ધરતી પરથી હું સમગ્ર ગુજરાતની જનતાને પ્રણામ કરું છું અને અભિનંદન પાઠવું છું," તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત સુરત અને નવસારીના અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન પાઠવતાં પ્રધાનમંત્રીએ તમામ હિતધારકોને યાદ અપાવ્યું હતું કે ગુજરાતની જનતાએ સેવાના ભાવને સમર્થન આપ્યું છે. આ પ્રચંડ વિજય એ સેવાના મિશનને વધુ વિસ્તારવાનો જનઆદેશ છે તેના પર ભાર મૂકતા તેમણે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વધુ મહેનત કરવા આહવાન કર્યું હતું. તેમણે આ વિઝનને સાકાર કરવામાં તમામ ચુંટાયેલા લોકપ્રતિનિધિઓએ ભજવવાની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ દ્રઢપણે જણાવ્યું હતું કે, "અમારો સંકલ્પ વિકસિત ગુજરાત અને વિકસિત ભારત બનાવવાનો છે. આ સંકલ્પ દેશના દરેક ગામ, દરેક જિલ્લા, દરેક શહેરનો વિકાસ કરીને જ પૂર્ણ થશે.

આ કાર્યક્રમ પર્યાવરણ દિવસના પવિત્ર સંયોગ પર યોજાઈ રહ્યો છે તે તરફ ધ્યાન દોરતા, પ્રધાનમંત્રીએ 5 જૂને દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંના એક એવા સુરતમાં હોવા બદલ ગર્વ વ્યક્ત કર્યો હતો. સુરત ક્યારેક પ્લેગ રોગચાળાથી પ્રભાવિત શહેર હતું ત્યાંથી લઈને આજે તેની સ્વચ્છતા માટે ઓળખાય છે તેવા પરિવર્તનને યાદ કરતા, તેમણે નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓ સહિત તમામ હિતધારકો દ્વારા છેલ્લા અઢી દાયકામાં કરવામાં આવેલા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, "આ કેટલા ગૌરવની વાત છે કે, આ એ જ સુરત છે જે ક્યારેક પ્લેગની મહામારીથી પીડાતું હતું, તે આજે સ્વચ્છતા માટે ઓળખાઈ રહ્યું છે.

હરિયાળા ભવિષ્ય તરફ વૈશ્વિક પરિવર્તનમાં ગુજરાતની અગ્રણી ભૂમિકાને રેખાંકિત કરતા, પ્રધાનમંત્રીએ વર્ષ 2009 માં ઐતિહાસિક ચારણકા સોલાર પાર્કની સાથે ભારતના પ્રથમ ક્લાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરવામાં રાજ્યની દૂરંદેશીને યાદ કરી હતી. તેમણે વિગતવાર જણાવ્યું કે કેવી રીતે સુરત તેના નવીન 'સર્ક્યુલર વોટર ઈકોનોમી' દ્વારા, ઔદ્યોગિક ઉપયોગ માટે વપરાયેલા પાણી પર પ્રક્રિયા કરીને, અને છેલ્લા બાર વર્ષના દેશવ્યાપી 'વેસ્ટ ટુ વેલ્થ' આંદોલન દ્વારા પ્રકૃતિ સાથે પ્રગતિના સંતુલનના રાષ્ટ્રીય મંત્રનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. ભવિષ્યના પીવાના પાણી અને ડ્રેનેજની સુરક્ષા સુનિશ્ચિત કરતા, તેમણે તાપી બેરેજ પ્રોજેક્ટની મંજૂરી પર પ્રકાશ પાડ્યો હતો, સાથે જ ઇલેક્ટ્રિક ગતિશીલતા, વિસ્તરી રહેલા મેટ્રો નેટવર્ક અને સંપૂર્ણપણે પુનઃપ્રાપ્ય ઊર્જા દ્વારા સંચાલિત હજીરા ઔદ્યોગિક ક્ષેત્રમાં આગામી સમયમાં થનારા ગ્રીન સ્ટીલના ઉત્પાદનમાં સુરતના ઝડપી વિસ્તરણની અપેક્ષા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, "આ તમામ પગલાં, આપણી બસો ઇલેક્ટ્રિક હોવાની ખાતરી કરવાથી લઈને ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને સ્ટીલના ઉત્પાદન સુધી, સુરતની સાચા અર્થમાં એક હરિયાળા શહેર તરીકેની વિશિષ્ટ ઓળખને વધુ મજબૂત કરશે."
મહામારી, વૈશ્વિક સંઘર્ષો અને અસ્થિર ઊર્જા સપ્લાય ચેઇન સહિતના 'આફતોના દાયકા' તરીકે ઓળખાવેલા અભૂતપૂર્વ પડકારોનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ આ મોટા વૈશ્વિક આંચકાઓ સામે મજબૂતાઈથી ટકી રહેવા બદલ 140 કરોડ ભારતીયોની પ્રશંસા કરી હતી. તેમણે ભારતની ઊર્જા આત્મનિર્ભરતામાં ગુજરાતના મોટા યોગદાનનો વિશેષ ઉલ્લેખ કર્યો અને નોંધ્યું કે રાજ્ય દેશની 250 GW ની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતામાંથી પાંચમો ભાગ (50 GW) ઉત્પાદિત કરે છે અને ગ્રીન હાઇડ્રોજન તેમજ ગ્રીન એમોનિયા જેવા ઉભરતા ક્ષેત્રોમાં નેતૃત્વ કરવા માટે તૈયાર છે. છેલ્લા બાર વર્ષમાં નિર્માણ પામેલી ઊર્જા ક્ષમતાઓના નિર્ણાયક મહત્વ પર ભાર મૂકતા, તેમણે સૌર ઊર્જા, ઇથેનોલ મિશ્રણ, રેલવે વિદ્યુતીકરણ, અણુ ઊર્જા, આધુનિક વીજ વિતરણ નેટવર્ક અને ગેસ પાઇપલાઇન્સ તેમજ બંદર સંગ્રહ ક્ષમતાઓના મોટા વિસ્તરણમાં થયેલા ઐતિહાસિક રોકાણોની રૂપરેખા આપી હતી. શ્રી મોદીએ અવલોકન કર્યું કે, "આ વર્તમાન વૈશ્વિક કટોકટી દર્શાવે છે કે ઊર્જાની દ્રષ્ટિએ આત્મનિર્ભરતા કેટલી સંપૂર્ણપણે આવશ્યક છે, અને દેશે છેલ્લા બાર વર્ષમાં જે વિશાળ ક્ષમતા ઊભી કરી છે તે આજે અત્યંત મહત્વ ધરાવે છે."

કાર્યક્રમ પહેલા હજીરાની મુલાકાતનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ આ પ્રદેશને માત્ર એક ઔદ્યોગિક ઝોન તરીકે નહીં, પરંતુ ઊર્જા, સ્ટીલ, સંરક્ષણ ઉત્પાદન અને વૈશ્વિક દરિયાઈ વ્યાપારને સમાવતી એક વ્યાપક, સમૃદ્ધ ઇકોસિસ્ટમ તરીકે વર્ણવ્યો હતો. તેમણે આ મેરિટાઇમ-ઇન્ડસ્ટ્રિયલ હબને 'આત્મનિર્ભર ભારત' પહેલના જીવંત પ્રમાણપત્ર તરીકે રજૂ કર્યું હતું અને દેશની અંદરના એવા નિરાશાવાદી જૂથોની સખત ટીકા કરી હતી જેઓ આત્મનિર્ભરતા અભિયાનની મજાક ઉડાવે છે અને જેમણે ઐતિહાસિક રીતે રાષ્ટ્રને વિદેશી સંસ્થાઓ પર નિર્ભર રાખ્યું હતું. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "જે લોકો દેશના સંકલ્પને સતત નીચો દેખાડે છે તેઓ ભૂલી જાય છે કે બીજા પર નિર્ભર દેશ ક્યારેય વિકાસની એ મહાન ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકતો નથી જેનો તે હકદાર છે."

આત્મનિર્ભરતાને વેગ આપવા માટે આધુનિક કનેક્ટિવિટી પર સરકારના તીવ્ર ફોકસની રૂપરેખા આપતાં, પ્રધાનમંત્રીએ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, બુલેટ ટ્રેન અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના નવા ઉદ્ઘાટન કરાયેલા સેક્શન જેવા મેગા-પ્રોજેક્ટ્સને ઔદ્યોગિક અને વ્યાપારિક વિકાસ માટે મહત્વપૂર્ણ ઉદ્દીપક તરીકે ગણાવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અભિયાન સ્વાભાવિક રીતે જ સર્વસમાવેશી છે, જે દાહોદ-બોડેલી-વાપી કોરિડોર જેવી પહેલો દ્વારા અગાઉ વંચિત રહેલા આદિવાસી અને અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી રહ્યું છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને તાપીના આદિવાસી પટ્ટાઓમાં ફોર-લેન હાઇવે લાવીને, સરકાર મુસાફરીનો સમય અને નૂર ખર્ચ ઘટાડી રહી છે, જ્યારે સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારા જેવા સ્થળોએ શિક્ષણ, આરોગ્ય અને પ્રવાસન ક્ષેત્રે અભૂતપૂર્વ તકોના દ્વાર ખોલી રહી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "આપણા આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં આધુનિક કનેક્ટિવિટી લાવીને, અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે તેઓને શિક્ષણ, તબીબી અને આવક વધારવાની ઉત્કૃષ્ટ સુવિધાઓ મળે.

કામદારો અને અન્ય રાજ્યોમાંથી આવેલા સ્થળાંતરિત પરિવારોને બહેતર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે સુરતમાં આધુનિક ESIC હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા, પ્રધાનમંત્રીએ આ વિકાસના સીમાચિહ્નોને એ પ્રચંડ ચૂંટણીલક્ષી વિશ્વાસ સાથે જોડ્યા જે દેશ સરકાર પર સતત મૂકી રહ્યો છે. સંબોધનના અંતમાં એક પ્રભાવશાળી આહવાન સાથે, તેમણે ભારતીય નાગરિકોના અસીમ આશાવાદની પ્રશંસા કરી અને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે લોકોની સામૂહિક શક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "ભારત અદ્ભુત આકાંક્ષાઓ અને અસીમ આશાવાદથી સજ્જ દેશ છે, અને જ્યારે દેશની માનવશક્તિ સંપૂર્ણપણે સંકલ્પબદ્ધ હોય, ત્યારે એવું કોઈ લક્ષ્ય નથી જે આપણે પ્રાપ્ત ન કરી શકીએ."
સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો
Economy भी, Ecology भी। pic.twitter.com/XapW1PkrUV
— PMO India (@PMOIndia) June 5, 2026
बीते 12 वर्षों से देश में waste to wealth का एक बहुत बड़ा जन-आंदोलन चला है। pic.twitter.com/ME2KMiPcDu
— PMO India (@PMOIndia) June 5, 2026
Today, the world is facing an unprecedented set of challenges. But with the collective efforts of 140 crore Indians, the country continues to move ahead with confidence and optimism. pic.twitter.com/GUc3cj4UXA
— PMO India (@PMOIndia) June 5, 2026


