1000 કરોડના સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ભંડોળની જાહેરાત કરી
સ્ટાર્ટઅપ, વર્તમાન વ્યવસાયની વસ્તીવિષયક લાક્ષાણિકતાઓમાં પરિવર્તન લાવી રહ્યાં છે: પ્રધાનમંત્રી
ભારત ‘યુવાનોની, યુવાનો દ્વારા, યુવાનો માટે’ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર કામ કરી રહ્યું છે: પ્રધાનમંત્રી
GeM પર 8 હજાર સ્ટાર્ટઅપની નોંધણી થયેલી છે, 2300 કરોડના મૂલ્યનો વ્યવસાય કર્યો: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કર્યો હતો અને ‘પ્રારંભ: સ્ટાર્ટઅપ ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય પરિષદ’માં સંબોધન આપ્યું હતું. BIMSTEC દેશોના મંત્રીઓ અને કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર, શ્રી પીયૂષ ગોયલ તેમજ શ્રી સોમ પ્રકાશ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ વર્તમાન સમયમાં વ્યવસાયોની વસ્તીવિષયક લાક્ષણિકતાઓમાં પરિવર્તન લાવી રહ્યાં છે. તેમણે ખાસ ટાંક્યું હતું કે, માન્યતા આપવામાં આવેલા કુલ સ્ટાર્ટઅપમાંથી 44 ટકાના ડાયરેક્ટર હોદ્દે મહિલાઓ આરૂઢ છે અને આ સ્ટાર્ટઅપમાં કામ કરી રહેલી મહિલાઓની સંખ્યા પણ ઘણી વધારે છે. તેવી જ રીતે, 45 ટકા સ્ટાર્ટઅપ ટીઅર 2 અને ટીઅર 3 શહેરોમાંથી છે, જે સ્થાનિક ઉત્પાદનોના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરી રહ્યાં છે. પ્રત્યેક રાજ્યો સ્થાનિક સંભાવનાઓને અનુલક્ષીને સ્ટાર્ટઅપને સહકાર આપી રહ્યાં છે અને તેનું ઇન્ક્યુબેશન કરી રહ્યાં છે અને દેશમાં હવે 80 ટકા જિલ્લાઓ સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનનો હિસ્સો બની ગયા છે. તમામ પ્રકારની પૃષ્ઠભૂમિમાંથી આવતા યુવાનો આ ઇકોસિસ્ટમમાં પોતાનામાં રહેલી શક્તિઓ પારખી શક્યા છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, તેનું પરિણામ આપણી સમક્ષ દેખાઇ રહ્યું છે કારણ કે અગાઉ લોકોનો અભિગમ ‘શા માટે નોકરી નથી કરતા? શા માટે સ્ટાર્ટઅપ કરવું છે?’ હતો જે બદલાઇને ‘નોકરી સારી છે પરંતુ શા માટે પોતાનું કોઇ સ્ટાર્ટઅપ શરૂ ના કરવું જોઇએ!’ થઇ ગયો છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, 2014માં માત્ર 4 ભારતીય સ્ટાર્ટઅપ ‘યુનિકોર્ન ક્લબ’માં સામેલ હતા જ્યારે હવે 30થી વધારે સ્ટાર્ટઅપે 1 અબજના સીમાચિહ્નને ઓળંગી લીધું છે.

વર્ષ 2020માં કોરોનાના કપરા સમય દરમિયાન પણ 11 સ્ટાર્ટઅપ ‘યુનિકોર્ન ક્લબ’માં સામેલ થયા હતા તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ કટોકટીના સમય દરમિયાન આ તમામ સ્ટાર્ટઅપે આત્મનિર્ભરતામાં આપેલા યોગદાનને રેખાંકિત કર્યું હતું. સ્ટાર્ટઅપ્સે દેશમાં સેનિટાઇઝર્સ, PPE કિટ્સ અને તે સંબંધિત પૂરવઠા શ્રૃંખલાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવી છે. તેમણે લોકોના ઘરઆંગણે કરિયાણું, દવાઓની ડિલિવરી, અગ્રહરોળના કર્મચારીઓના પરિવહન અને ઑનલાઇન અભ્યાસ સામગ્રી જેવી સ્થાનિક જરૂરિયાતોને પૂરી કરવા માટે મૂલ્યવાન ભૂમિકા નિભાવી છે.

શ્રી મોદીએ આજથી શરૂ થયેલી સંખ્યાબંધ ‘પ્રારંભ’ની નોંધ લીધી હતી. આજે, BIMSTEC રાષ્ટ્રોની પ્રથમ સ્ટાર્ટઅપ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ચળવળે આજે સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂરાં કર્યાં છે અને ભારતે આજથી જ દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયતનો પણ મંગળ પ્રારંભ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આજનો દિવસ આપણા યુવાનો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકોની ક્ષમતાઓ તેમજ આપણા ડૉક્ટરો, નર્સો અને આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓના સખત પરિશ્રમ અને કર્તવ્ય નિષ્ઠાનો સાક્ષી બન્યો છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર અને થાઇલેન્ડ જેવા BIMSTEC રાષ્ટ્રોમાં સ્ટાર્ટઅપ અવકાશમાં જીવંત ઉર્જા સમાયેલી છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ સદી ડિજિટલ ક્રાંતિ અને નવા યુગના આવિષ્કારોની સદી છે. આ સદી એશિયાની પણ છે. આથી, આપણા સમયની માંગ છે કે, ભવિષ્યની ટેકનોલોજી અને ઉદ્યોગ સાહસિકો આપણા પ્રાંતમાંથી આવવા જોઇએ. આ માટે, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, એશિયન દેશો કે જેઓ સહયોગ સાધવાની ઇચ્છાશક્તિ રાખે છે તેમણે આ જવાબદારી ઉપાડવી જોઇએ અને સૌએ એકમેક થવું જોઇએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ જવાબદારી, કુદરતી રીતે જ BIMSTEC દેશોમાં છે કારણ કે આપણે સમગ્ર માનવજાતના પાંચમા હિસ્સા માટે કામ કરી રહ્યાં છીએ.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયાની ઉત્ક્રાંતિ’ શીર્ષક સાથેના એક પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું જેમાં સ્ટાર્ટઅપ અવકાશમાં ભારતની છેલ્લા પાંચ વર્ષની સફળ સફરની વિગતો આપવામાં આવી છે. તેમણે પ્રારંભિક સમયમાં આવેલા પડકારોને યાદ કર્યા હતા જેમાંથી ભારત બહાર આવીને 41 હજારથી વધારે સ્ટાર્ટઅપ સાથે દુનિયાની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આમાંથી 5700 સ્ટાર્ટઅપ IT ક્ષેત્રમાં, 3600 સ્ટાર્ટઅપ આરોગ્ય ક્ષેત્રમાં અને અંદાજે 1700 સ્ટાર્ટઅપ કૃષિ ક્ષેત્રમાં સક્રિયપણે કામ કરી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ ખાદ્ય પ્રસંસ્કરણ અને કૃષિ ક્ષેત્રમાં ઘણી નવી સંભાવનાઓ હોવાનું નોંધ્યું હતું કારણ કે, લોકો હવે તેમના ડાયેટ બાબતે વધુને વધુ જાગૃત બની રહ્યાં છે. ભારતે આ ક્ષેત્રોના વિકાસ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને રૂપિયા એક લાખ કરોડના પ્રારંભિક મૂડી ભંડોળ સાથે કૃષિ ઇન્ફ્રા ભંડોળની રચના પણ કરવામાં આવી છે. આ નવા અવકાશો સાથે સ્ટાર્ટઅપ ખેડૂતો સાથે જોડાણ કરી રહ્યાં છે અને તેમની ઉપજોને ખેતરમાંથી વેચાણના યોગ્ય સ્થળ સુધી વધુ સરળતા અને ગુણવત્તા સાથે પહોંચાડવામાં નોંધનીય ભૂમિકા નિભાવી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપની દુનિયાની સૌથી મોટી USP તેની વિક્ષેપન અને વૈવિધ્યતાની ક્ષમતા છે. વિક્ષેપન એટલા માટે કારણ કે, તેઓ રૂઢીગત માર્ગો તોડીને નવા અભિગમો, નવી ટેકનોલોજી અને નવી રીતભાતોનો ઉદય કરી રહ્યાં છે; વૈવિધ્યતા એટલા માટે કારણ કે તેઓ, અલગ અલગ પ્રકારના નવતર વિચારો સાથે આગળ આવીને વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વ્યાપકતા અને સામગ્રી સાથે ક્રાંતિ લાવી રહ્યાં છે. આ ઇકોસિસ્ટમની સૌથી મોટી વિશેષતા એ છે કે, તે વ્યવહારુતાના બદલે ધગશના બળ પર વધુ ચાલે છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, ‘હું કરી શકીશ’ની આ લાગણી આજે ભારત કેવા પ્રકારે કામ કરી રહ્યું છે તેનો પૂરાવો આપે છે.

પ્રધાનમંત્રીએ BHIM UPI એપ્લિકેશનનું ઉદાહરણ આપ્યું હતું જેણે ચુકવણી પ્રણાલીમાં પાયાની ક્રાંતિ લાવી દીધી છે અને માત્ર ડિસેમ્બર 2020ના એક મહિનામાં જ UPI દ્વારા ભારતમાં 4 લાખ કરોડથી વધારે રકમના વ્યવહારો થયા હતા. તેવી જ રીતે, ભારત સૌર અને AI ક્ષેત્રમાં પણ મોખરે રહીને આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પ્રણાલીનો પણ ઉલ્લેખ કર્યો હતો જેના દ્વારા ગરીબો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને મુશ્કેલીના સમયમાં સીધા તેમના બેંક ખાતામાં આર્થિક સહાય પહોંચાડવામાં આવી હતી અને 1.75 લાખ કરોડ રૂપિયાની વચેટિયાઓની કમાણી પર અંકુશ લાવી દીધો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારના ખરીદી પોર્ટલ GeMના માધ્યમથી સ્ટાર્ટઅપને નવી તકો પ્રાપ્ત થઇ રહી છે કારણ કે, 8 હજાર સ્ટાર્ટઅપ GeM પોર્ટલ પર નોંધાયેલા છે અને તેમણે GeM દ્વારા 2300 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો છે. તેમણે કહ્યું હતું કે, આગામી સમયમાં GeM પર સ્ટાર્ટઅપની ઉપસ્થિતિમાં માત્રને માત્ર વધારો થશે. આનાથી સ્થાનિક વિનિર્માણ, સ્થાનિક રોજગાર અને સ્ટાર્ટઅપ સંશોધન અને આવિષ્કારમાં બહેતર રોકાણને પ્રોત્સાહન પ્રાપ્ત થશે.

પ્રધાનમંત્રીએ રૂપિયા એક હજાર કરોડની મૂડી સાથે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ભંડોળના પ્રારંભની પણ જાહેરાત કરી હતી જેથી સ્ટાર્ટઅપને સીડ મની (પ્રારંભિક મૂડી)ની કોઇ અછત વર્તાય નહીં. આનાથી નવા સ્ટાર્ટઅપનો પ્રારંભ અને વિકાસ કરવામાં મદદ મળશે. ભંડોળનું ભંડોળ યોજના પહેલાંથી જ સ્ટાર્ટઅપને ઇક્વિટી મૂડીનું સર્જન કરવામાં મદદ કરી રહી છે. સરકાર પણ ગેરેન્ટી દ્વારા પ્રારંભિક મૂડીમાં સ્ટાર્ટઅપને મદદ કરશે. શ્રી મોદીએ સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, ભારત ‘યુવાનોની, યુવાનો દ્વારા, યુવાનો માટે’ મંત્ર પર આધારિત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર કામ કરી રહ્યું છે. આપણે આગામી પાંચ વર્ષ માટે આપણા લક્ષ્યો નિર્ધારિત કરવાના છે અને આ લક્ષ્યો એવા હોવા જોઇએ કે આપણા સ્ટાર્ટઅપ, આપણા યુનિકોર્નનો વૈશ્વિક માંધાતાઓ તરીકે ઉદય થાય અને ભવિષ્યની ટેકનોલોજીનું તેઓ સુકાન સંભાળે.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India records highest-ever startup surge with 55,200 recognised in FY26

Media Coverage

India records highest-ever startup surge with 55,200 recognised in FY26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 18 એપ્રિલ 2026
April 18, 2026

From Tap Water to 40,000 Manuscripts: Modi’s Vision Delivers Jobs, Clean Energy & Civilisational Pride