“ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ એક ભારત, શ્રેષ્ઠ ભારતનું શ્રેષ્ઠ માધ્યમ બની ગઇ છે”
“છેલ્લાં 9 વર્ષોમાં ભારતમાં રમતગમતનો નવા યુગનો આરંભ થયો છે, જે રમતના માધ્યમથી સમાજને સશક્ત બનાવવાનો યુગ છે”
“રમતગમતને હવે આકર્ષક વ્યવસાય તરીકે જોવામાં આવે છે અને તેમાં ખેલો ઇન્ડિયા અભિયાને મોટી ભૂમિકા ભજવી છે”
“રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિએ રમતગમતને એક વિષય તરીકે લેવાની દરખાસ્ત કરી છે, જેમાં તે અભ્યાસક્રમનો એક ભાગ બનશે”
“ખેલો ઇન્ડિયાએ ભારતની પરંપરાગત રમતોની પ્રતિષ્ઠાને પણ ફરી સ્થાપિત કરી છે”
“તમારી પ્રતિભા, તમારી પ્રગતિમાં જ ભારતની પ્રગતિ રહેલી છે. તમે ભવિષ્યના ચેમ્પિયન છો”
“રમતો આપણને અંગત હિતોમાંથી ઉપર ઉઠીને સામૂહિક સફળતા તરફ પ્રેરી જાય છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઓપન ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023ની જાહેરાત કરી હતી. આ ગેમ્સમાં રમતગમતની 21 કેટેગરીમાં સ્પર્ધા કરી રહેલી 200થી વધુ યુનિવર્સિટીઓના 4750થી વધુ ખેલાડીઓની સહભાગીતા જોવા મળશે.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023ના આયોજન બદલ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ આજે રમતોની પ્રતિભાનું સંગમ સ્થાન બની ગયું છે. પ્રધાનમંત્રીએ એ પણ નોંધ્યું હતું કે, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લઇ રહેલા 4000 ખેલાડીઓ વિવિધ રાજ્યો અને પ્રદેશોમાંથી આવ્યા છે અને વિશેષરૂપે તેમણે રાજ્યના સંસદ સભ્ય તરીકે તમામ ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમનો સમાપન સમારંભ તેમના જ મતવિસ્તાર એટલે કે વારાણસીમાં યોજવાનો છો તે બાબતે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. ભારત અત્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે સેવા સમયે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના ત્રીજા સંસ્કરણના આયોજનના મહત્વનું અવલોકન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ટીમ ભાવના સાથે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના કેળવવાનું પણ ઉત્તમ માધ્યમ બની ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, વિવિધ પ્રદેશોમાંથી અહીં ભાગ લેવા આવતા રમતવીરો એકબીજા સાથે સંવાદ કરશે અને જ્યાં ઇવેન્ટ્સનું આયોજન થઇ રહ્યું છે ત્યાં ઉત્તર પ્રદેશના વિવિધ સ્થળોની મુલાકાત પણ લેશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આના પરિણામે આવા સ્થળો સાથે તેમના જોડાણનું નિર્માણ થશે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ખેલો ઇન્ડિયા ગેમ્સ યુનિવર્સિટીમાં ભાગ લેવો એ તમામ રમતવીરો માટે યાદગાર સ્મૃતિ બની રહેશે. તેમણે તમામ રમતવીરોને આગામી સ્પર્ધાઓમાં મોટી સફળતા મળે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષ દરમિયાન ભારતમાં રમતગમતના એક નવા યુગનો પ્રારંભ થયો છે, જે માત્ર રમતગમતમાં ભારતને મોટી શક્તિ બનાવવાનો યુગ નથી પરંતુ રમતના માધ્યમથી સમાજને સશક્ત બનાવવાનો યુગ પણ છે. પ્રધાનમંત્રીએ રમતગમત પ્રત્યે અગાઉના સમયમાં જે પ્રકારે ઉદાસીનતા દાખવવામાં આવતી હતી તે દિવસો યાદ કર્યા હતા, જેમાં રમતગમતને સરકારો તરફથી જરૂરી સહકાર આપવામાં આવતો નહોતો. આવી સ્થિતિના કારણે ગરીબ, મધ્યમ વર્ગ અને ગ્રામીણ બાળકો માટે રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવો અત્યંત મુશ્કેલ થઇ જતું હતું. તેના કારણે કારકિર્દી તરીકે રમતગમતમાં મર્યાદિત અવકાશ હોવાથી ઘણા માતા-પિતા તેને અવગણતા હતા. પ્રધાનમંત્રીએ માતા-પિતાના રમત પ્રત્યેના વલણમાં મોટા ફેરફારો પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “રમતોને હવે આકર્ષક વ્યવસાય તરીકે જોવામાં આવે છે અને ખેલો ઇન્ડિયા અભિયાને તેમાં ઘણી મોટી ભૂમિકા ભજવી છે”.

પ્રધાનમંત્રીએ રમતગમતો પ્રત્યે અગાઉની સરકારો દ્વારા દાખવવામાં આવતા વલણના ઉદાહરણ તરીકે ભારતમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન આચરવામાં આવેલા કૌભાંડોને યાદ કર્યા હતાં. તેમણે પંચાયત યુવા ક્રીડા ઔર ખેલ અભિયાન જેવી યોજનાઓમાં પ્રામાણિકતાના અભાવ વિશે પણ વાત કરી, જેનું નામ પાછળથી બદલીને રાજીવ ગાંધી અભિયાન કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ અગાઉના સમયમાં રમતગમતને લગતી માળખાકીય સુવિધાઓના અભાવ અંગે પણ ખૂબ જ અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હવે આ બધું બદલાઇ રહ્યું છે. અર્બન સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉની સરકારોએ 6 વર્ષમાં માત્ર 300 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો જ્યારે ખેલો ઇન્ડિયા હેઠળ હવે 3000 કરોડ રૂપિયાનો ખર્ચ  સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરવામાં આવ્યો છે, જેના કારણે વધુ એથ્લેટ્સ માટે રમતગમત કરવાનું સરળ થઇ શક્યું છે.

પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા ગેમ્સમાં અત્યાર સુધીમાં લગભગ 30,000 ખેલાડીઓએ ભાગ લીધો છે તે વાતનો સંતોષ વ્યક્ત કર્યો હતો. આમાંથી 1500 ખેલાડીઓને આર્થિક સહાય મળી રહી છે. રમતગમત માટેના બજેટમાં 9 વર્ષ પહેલાંના બજેટની તુલનામાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં પણ હવે ખેલાડીઓને રમતગમત માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશ વિશે વાત કરતાં, લખનઉમાં રમતગમતની સુવિધાઓમાં કરવામાં આવેલા વિસ્તરણ, વારાણસીમાં સિગરા સ્ટેડિયમના આધુનિકીકરણ અને 400 કરોડ રૂપિયાની ફાળવણી દ્વારા આધુનિક રમત સુવિધાઓના નિર્માણ વિશે વાત કરી હતી. તેમણે લાલપુરમાં સિન્થેટિક હોકી ફિલ્ડ, ગોરખપુરમાં વીર બહાદુર સિંહ સ્પોર્ટ્સ કોલેજમાં બહુલક્ષી હોલ, મેરઠમાં સિન્થેટિક હોકી ફિલ્ડ અને સહારનપુરમાં સિન્થેટિક રનિંગ ટ્રૅક તૈયાર કરવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રમતવીરોને વધુ સારી સ્પર્ધાત્મકતા મળી રહી છે જેના કારણે તેમને મૂલ્યાંકન અને સુધારો કરવાની વધુ તકો પ્રાપ્ત થઇ રહી છે. ખેલો ઇન્ડિયા ગેમ્સ શરૂ કરવા પાછળનું આ મુખ્ય કારણ હતું, જેનું વિસ્તરણ કરીને હવે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ અને ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું પણ આયોજન કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, આ બધા આયોજનોનાં ફળ પણ મળી રહ્યાં છે અને આપણા ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તેમજ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સારા પરિણામો મળી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિમાં રમતગમતને એક વિષય તરીકે લેવાની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં તેને અભ્યાસક્રમનો એક ભાગ બનાવવામાં આવશે અને દેશની પ્રથમ રાષ્ટ્રીય રમતગમત યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેનાથી આ કારણને વધુ મજબૂતી મળશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યોમાં રમતગમત વિશિષ્ટ ઉચ્ચ શિક્ષણ આપવાની દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, ઉત્તર પ્રદેશની કામગીરી ખૂબ જ પ્રશંસનીય છે અને મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું તેમણે ઉદાહરણ આપ્યું હતું. તેમણે એ વાત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, સમગ્ર દેશમાં 1000 ખેલો ઇન્ડિયા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, લગભગ 12 રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રો પણ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં ખેલાડીઓને પોતાનું પ્રદર્શન સુધારવા માટે તાલીમ તેમજ રમત વિજ્ઞાન માટે સહાય પૂરી પાડવામાં આવે છે. પ્રધાનમંત્રીએ ગટકા, મલ્લખંભ, થંગ-તા, કલારીપયટ્ટુ અને યોગાસન જેવી વિવિધ સ્વદેશી રમતોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિ પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, “ખેલો ઇન્ડિયાના કારણે ભારતની પરંપરાગત રમતોની પ્રતિષ્ઠા પણ ફરી સ્થાપિત થઇ છે”.

ખેલો ઇન્ડિયા કાર્યક્રમમાં મહિલા ખેલાડીઓની ભાગીદારીમાં થઇ રહેલી વૃદ્ધિથી પ્રોત્સાહક પરિણામો મળી રહ્યાં છે તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, દેશના ઘણા શહેરોમાં ખેલો ઇન્ડિયા મહિલા લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં વિવિધ વય જૂથોની લગભગ 23 હજાર મહિલા ખેલાડીઓએ આવી લીગમાં ભાગ લીધો છે”. પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં મોટી સંખ્યામાં મહિલા ખેલાડીઓની સહભાગીતીની પણ નોંધ લીધી અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે “તમારી પ્રતિભા, તમારી પ્રગતિમાં જ ભારતની પ્રગતિ રહેલી છે. તમે ભવિષ્યના ચેમ્પિયન છો” અને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તિરંગાના ગૌરવને નવી ઊંચાઇઓ પર લઇ જવાની જવાબદારી ખેલાડીઓની છે. ખેલદિલી અને ટીમની ભાવના વિશે બોલતા, પ્રધાનમંત્રીએ એક પ્રશ્ન કર્યો હતો કે, વાત જો માત્ર હાર અને જીત સ્વીકારવાની અને ટીમ વર્ક સુધી મર્યાદિત હોય તો શું થાય. પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, ખેલદિલીનો અર્થ આના કરતાં ઘણો વ્યાપક છે. રમતગમત આપણને અંગત હિતોથી ઉપર ઉઠીને સામૂહિક સફળતા તરફ પ્રેરી જાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રમતગમત આપણને શિષ્ટાચાર અને નિયમોનું પાલન કરવાનું શીખવવાડે છે. એ નોંધવું જોઇએ કે, ખેલાડીઓ જ્યારે તેમની વિરુદ્ધ સંજોગો હોય ત્યારે પોતાનો સંયમ ગુમાવતા નથી અને હંમેશા નિયમો પ્રત્યે પ્રતિબદ્ધ રહે છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતી વખતે જણાવ્યું હતું કે, નિયમો અને નિયમનોની મર્યાદામાં રહેવું અને ધીરજથી પ્રતિસ્પર્ધીને માત આપવી એ જ ખેલાડીની સાચી ઓળખ છે. પ્રધાનમંત્રીએ સમાપનમાં કહ્યું હતું કે, “વિજેતા ત્યારે જ મહાન ખેલાડી બને છે જ્યારે તે હંમેશા ખેલદિલી અને ગૌરવની ભાવનાનું અનુસરણ કરે છે. વિજેતા ફક્ત ત્યારે જ મહાન ખેલાડી બને છે જ્યારે તેના દરેક આચરણમાંથી સમાજ કોઇક પ્રેરણા લે છે”.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રીએ દેશમાં રમતગમતની સંસ્કૃતિ વિકસાવવા માટે અને યુવાનોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવા પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઉભરતા ખેલાડીઓને સહકાર આપવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને દેશમાં રમતગમતની ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન પણ આ દિશામાં લેવામાં આવેલું અન્ય એક પગલું છે.

આ વર્ષે, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના ત્રીજા સંસ્કરણનું આયોજન ઉત્તર પ્રદેશમાં 25 મેથી 3 જૂન દરમિયાન કરવામાં આવ્યું છે. આ રમતો અંતર્ગત વારાણસી, ગોરખપુર, લખનઉ અને ગૌતમ બુદ્ધ નગરમાં સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આ ગેમ્સમાં 200થી વધુ યુનિવર્સિટીઓના 4750થી વધુ ખેલાડીઓની ભાગીદારી જોવા મળશે. આ ખેલાડીઓ વિવિધ 21 રમતોમાં ભાગ લેશે. ગેમ્સનો સમાપન સમારંભ 3 જૂનના રોજ વારાણસીમાં યોજવામાં આવશે. આ ગેમ્સના માસ્કોટનું નામ જીતુ છે, જે સ્વેમ્પ ડીયર (બારાશિંગા) - ઉત્તર પ્રદેશના રાજ્ય પ્રાણીનું પ્રતિનિધિત્વ કરે છે.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Portraits of PVC recipients replace British officers at Rashtrapati Bhavan

Media Coverage

Portraits of PVC recipients replace British officers at Rashtrapati Bhavan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 ડિસેમ્બર 2025
December 17, 2025

From Rural Livelihoods to International Laurels: India's Rise Under PM Modi