પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ’નાં સંબંધમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ બેઠકમાં આર્થિક બાબતો સાથે સંબંધિત કેન્દ્રીય મંત્રીઓ, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, દિલ્હીનાં લેફ્ટનન્ટ ગવર્નર શ્રી અનિલ બૈજલ તથા કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને દિલ્હી સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

પ્રધાનમંત્રીને ઇઝ ઑફ ડૂઇઁગ બિઝનેસ સાથે સંબંધિત વિવિધ માપદંડો પર થયેલી પ્રગતિ અંગે જાણકારી આપવામાં આવી હતી. એમાં નિર્માણકાર્યની મંજૂરી, કરારો લાગુ કરવા, નોંધાયેલી મિલકતો, વ્યવસાયની શરૂઆત, વીજળી મેળવવી, ધિરાણ મેળવવું અને નાદારીનું નિરાકરણ કરવા ચર્ચા જેવા વિષયો સામેલ છે.
બેઠકમાં છેલ્લાં ચાર વર્ષમાં વર્લ્ડ બેંકનાં “ડૂઇંગ બિઝનેસ” ક્રમાંકમાં ભારતનો ક્રમ 142થી સુધરીને 77 થયો એની નોંધ પણ લેવામાં આવી હતી.

અધિકારીઓએ વ્યાવસાયિક સુધારાઓનો અમલ કરવા અવરોધો અને ખામીઓ દૂર કરવા માટે લીધેલા પગલાં અંગે માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ છેવાડાનાં વિસ્તાર સુધી પરિવહન સુવિધા સુધારવા અને પ્રક્રિયાઓને સરળ કરવા ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેનાથી “ડૂઇંગ બિઝનેસ” ક્રમ સુધરવાની સાથે નાનાં વ્યવસાયો અને સામાન્ય નાગરિક માટે “જીવનની સરળતા” પણ વધશે. તેમણે કહ્યું હતું કે, ભારત માટે આ અતિ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ભારત સૌથી વધુ ઝડપથી વિકસતું અને વાઇબ્રન્ટ અર્થતંત્ર ધરાવે છે. તેમણે ભારતનાં “ડૂઇંગ બિઝનેસ”નાં ક્રમાંકમાં પ્રગતિ વિશે આંતરરાષ્ટ્રીય સ્તરે રસ વધ્યો હોવાનું પણ જણાવ્યું હતું.


