આજે વર્ષ 2017નો છેલ્લો દિવસ છે. મારું સદનસીબ છે કે મને આજે શ્રી નારાયણ ગુરુ અને મંચ પર બિરાજમાન સંતોનાં આશીર્વાદ મેળવવાની તક મળી છે.

શ્રી નારાયણ ગુરુનાં આશીર્વાદ વર્ષ 2018નું પ્રથમ કિરણ ભારતવર્ષની સાથે સાથે સંપૂર્ણ વિશ્વ માટે શાંતિ, સદભાવના અને વિકાસનું નવું પ્રભાત લઈને આવે એવી મારી કામના છે.

હું જ્યારે શિવગિરી મઠમાં આવ્યો છું, ત્યારે મને અતિ આધ્યાત્મિક સુખશાંતિ મળી છે. આજે શિવગિરી યાત્રાનાં શુભારંભ કરાવવાની તક મને આપીને તમે મારી ખુશીમાં વધારો કર્યો છે. હું શ્રી નારાયણ ધર્મ સંઘમ ટ્રસ્ટ અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.

ભાઈઓ અને બહેનો,

આપણાં મહાન દેશ, આપણાં સભ્ય સમાજની એક ખાસિયત રહી છે કે તેમાં આંતરિક નબળાઈઓ, આંતરિક ખામીઓને દૂર કરવાની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. આ પ્રક્રિયાને વેગ આપવા સમયે-સમયે સંતો-ઋષિ-મુનિઓ, મહાન આત્માઓ અવતાર લે છે. આ પુણ્ય આત્માઓ સમાજને આ ખામીઓ દૂર કરવા માટે પોતાનું જીવન હોમી દે છે.

પરમ પૂજ્ય સ્વામી નારાયણ ગુરુજી આવી જ એક મહાન, પુણ્ય વિભૂતિ હતી. તેમણે જાતિવાદ, ઊંચ-નીચ, સંપ્રદાયવાદ વિરૂદ્ધ સમાજમાં ચેતના લાવવાની કામગીરી કરી હતી. તેમણે સમાજમાંથી તમામ પ્રકારની વાડાબંધી દૂર કરી સમાજને એક કર્યો હતો. અત્યારે શિક્ષણનાં ક્ષેત્રમાં સફળતાની વાત હોય, સામાજિક બદીઓમાંથી મુક્ત કરવાની વાત હોય, અસ્પૃશ્યતા વિરૂદ્ધ સમાજમાં જાગૃતિ લાવવાની વાત હોય – તમામ કામગીરી ગુરુજીએ સપેરે પાડી હતી. આ કોઈ નાનીસૂની વાત નથી. આપણે વિચાર કરી શકીએ કે શ્રી નારાયણ ગુરુએ એ સમયમાં આ તમામ કાર્યો પાર પાડવામાં કેટલી મહેનત કરી હશે, કેટલી મુસીબતોનો સામનો કરવો પડ્યો હશે!

સાથીદારો,

શ્રી નારાયણ ગુરુજીનો મંત્ર હતો –

“Freedom through Education,

Strength through Organisation

Economic Independence through Industries.”

અર્થાત્

શિક્ષણ થકી મુક્તિ,

સંગઠન થકી ક્ષમતા,

ઉદ્યોગો મારફતે આર્થિક સ્વનિર્ભરતા.

સામાજિક સુધારા કરવા માટે, દલિતો-પીડિતો-શોષિતો-વંચિતોને સશક્ત કરવા માટે તેમણે આ મંત્ર આપ્યો હતો. તેઓ માનતા હતાં કે, જ્યારે ગરીબો-દલિતો અને પછાત વર્ગોને શિક્ષણ મળશે, ત્યારે જ તેઓ વિકાસ કરી શકશે, પ્રગતિ કરી શકશે, સશક્ત બની શકશે. તેઓ જાણતા હતાં કે, જ્યારે સમાજમાં શિક્ષણનો દીપ પ્રકટ થશે, ત્યારે જ તેમાં આત્મવિશ્વાસ જાગશે અને સ્વનિરીક્ષણ કરી શકશે. એટલે તેમણે કેરળમાં જ નહીં, પણ આસપાસનાં ઘણાં રાજ્યોમાં શિક્ષણ અને સંસ્કૃતિનો પ્રસાર કરતી સંસ્થાઓની સ્થાપના કરી. અત્યારે દેશવિદેશમાં શ્રી નારાયણ ગુરુજીનાં સ્વપ્નને સાકાર કરવા અનેક સંસ્થાઓ ખભેખભો મિલાવીને કામ કરી રહી છે.

શ્રી નારાયણ ગુરુએ સમાજમાં દરેક વ્યક્તિને જોડવાનું કામ કર્યું છે. ચમત્કાર અને અંધશ્રદ્ધાઓમાંથી લોકોને મુક્ત કરીને તેમણે મંદિરોમાં સત્યનો દીપ પ્રકટાવ્યો હતો, સ્વચ્છતાની વાત કરી હતી. તેમણે મંદિરમાં અસ્વચ્છતા વધારે એવી દરેક પૂજાઅર્ચના પદ્ધતિને સુધારી. પૂજાઅર્ચનામાં સામેલ બીનજરૂરી ચીજવસ્તુઓને દૂર કરીને ગુરુજીએ નવી વ્યવસ્થાનો માર્ગ પ્રશસ્ત કર્યો. તેમણે મંદિરોમાં પૂજાઅર્ચનાનો અધિકાર દરેક વ્યક્તિને આપ્યો – જ્ઞાતિ-જાતિને ધ્યાનમાં લીધા વિના. શિવગિરી યાત્રા પણ સમાજમાં સુધારો કરવા માટે તેમની દીર્ઘદ્રષ્ટિનું જ પરિણામ છે.

તેમણે શિવગિરી યાત્રાને શિક્ષણ, સ્વચ્છતા, સત્યશક્તિ-સંગઠનશક્તિ, જ્ઞાન-વિજ્ઞાન-ખેડૂત એમ તમામને સાથે જોડી દીધી અને તેમનાં વિકાસને યાત્રાનાં લક્ષ્યાંકોમાં સામેલ કર્યા. આ તેમનાં લાંબા ગાળાની દ્રષ્ટિનું પ્રતીક છે.

તેમણે કહ્યું હતું કે –

 “Make use of all that knowledge in practical life.

Then the people and the country will progress and prosper. This is the main objective of Shivagiri Pilgrimage”

અર્થાત્

તમામ જ્ઞાનવિજ્ઞાનનો વ્યવહારિક જીવનમાં સદુપયોગ કરો.

પછી જુઓ, સમાજ અને દેશ એમ બંને પ્રગતિનાં પંથે અગ્રેસર થશે. શિવગિરી યાત્રાનો આ જ મુખ્ય ઉદ્દેશ છે.

મને ખુશી છે કે, 85 વર્ષથી સતત શિવગિરી યાત્રા દરમિયાન આ ક્ષેત્રોનાં નિષ્ણાતોને આમંત્રણ આપવામાં આવે છે, તેમનાં અનુભવોની જાણકારી મેળવવામાં આવે છે. આજે પણ અહીં આ કાર્યક્રમમાં જુદાં જુદાં ક્ષેત્રોનાં દિગ્ગજો એકત્ર થયાં છે. હું તમારાં બધાનું સ્વાગત કરું છું, સત્કાર પણ કરું છું. મને આશા છે કે તમારાં વિચારોથી લોકોને નવું શીખવા-જાણવા અને સમજવા મળશે.

ભાઈઓ અને બહેનો,

શિવગિરી યાત્રા એક રીતે જ્ઞાનનો કુંભ છે, જેમાં જે ડુબકી લગાવે છે, તે તરી જાય છે, સિદ્ધ થઈ જાય છે.

કુંભમેળા દરમિયાન પણ આપણાં વિશાળ દેશને એકતાંતણે બાંધવાનો પ્રયાસ થાય છે. સંતો-મહંતો, ઋષિ-મુનિઓ ભેગા થાય છે, સમાજનાં સુખદુઃખની ચર્ચા કરે છે. સમયની સાથે થોડું પરિવર્તન ભલે થયું હોય, પણ કુંભમેળાનાં સ્વરૂપની એક ખાસિયત રહી છે. દર 12 વર્ષે સાધુસંતો ભેગા થાય છે, પછી ભવિષ્ય માટે સમાજની દિશા શું હશે, દેશની દિશા શું હશે, સમાજની કાર્યશૈલીમાં કયા પ્રકારનું પરિવર્તન આવશે એ નક્કી કરે છે.

આ એક પ્રકારનો સામાજિક સંકલ્પ હોય છે. પછી દર ત્રણ વર્ષ પછી જુદાં જુદાં સ્થળો, જેમ કે નાસિક, ઉજ્જૈન, હરિદ્વારમાં કુંભ દરમિયાન તેનું વિશ્લેષણ કરવામાં આવે છે, જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે એમાં ક્યાં સુધી પહોંચ્યાં એનું અવલોકન કરવામાં આવે છે. તમામ ચીજવસ્તુઓની યોગ્ય સમીક્ષા કરવામાં આવે છે.

મને આશા છે કે તમે બધા વર્ષનાં અંતે વીતેલા વર્ષમાં કરેલા સંકલ્પોમાં ખરેખર કેટલી સફળતા મળી તેનાં પર સાર્થક આત્મનિરીક્ષણ કરશો. તમે બધા સ્વનિરીક્ષણ કરશો કે, જે લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો માર્ગ શ્રી નારાયણ ગુરુએ પ્રશસ્ત કર્યો છે, એ દિશામાં આપણે કેટલાં કદમ ચાલ્યાં છીએ?

સાથીદારો,

શિવગી યાત્રા હોય, કુંભ-મહાકુંભ હોય, સમાજને દિશાદર્શન કરાવતી, દેશની આંતરિક ખામીઓથી દૂર કરતી આવી પરંપરાઓ આજે પણ અતિ મહત્ત્વપૂર્ણ છે. દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં આ પ્રકારની યાત્રાઓ દેશને એકતાંતણે બાંધે છે. વિવિધ રાજ્યોમાંથી લોકો આવે છે, જુદી જુદી વિચારધારાનો લોકો આવે છે, એકબીજાની પરંપરાઓને જાણે-સમજે છે તથા એકાત્મની ભાવના સાથે સંગઠિત થાય છે.

સાથીદારો,

કેરળની જ પુણ્યપાવન ધરતી પર આદિ શંકરાચાર્યે અદ્વૈત સિદ્ધાંત આપ્યો હતો. અદ્વૈતનો સીધોસાદો અર્થ છે, જ્યાં દ્વૈત નથી. જ્યાં મારી અને તમારી વચ્ચે કોઈ ભેદ નથી. જ્યાં મારાં-તારાની ભાવના નથી. જ્યારે આ ભાવ જન્મે છે, ત્યારે અદ્વૈત સાકાર થાય છે અને આ માર્ગ નારાયણ ગુરુએ ચીંધ્યો છે.

નારાયણ ગુરુએ અદ્વૈત સિદ્ધાંતને જીવનમાં ઉતારવાની સાથે સંપૂર્ણ વૈશ્વિક સમાજને કેવી રીતે એકતા, સંકલન, સંવાદ અને સમન્વય કરીને જીવી શકાય એનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો.

ભાઈઓ અને બહેનો,

શિવગિરી યાત્રા શરૂ થયાનાં 10 વર્ષ અગાઉ શ્રી નારાયણ ગુરુજીનાં નેતૃત્વમાં અદ્વૈત આશ્રમમાં ધાર્મિક સંસદનું આયોજન થયું હતું. દુનિયાભરમાં અલગ-અલગ પંથો સાથે જોડાયેલા આગેવાનો તેમાં સામેલ થયાં હતાં. આ ધાર્મિક સંસદમાં સંપૂર્ણ વિશ્વમાં ધર્મ-પંથનાં આધારે થનાર ઘર્ષણને છોડીને શાંતિ, સદભાવના અને સમૃદ્ધિનાં પથ પર ચાલવાનું આહવાન કરવામાં આવ્યું હતું.

મને જણાવવામાં આવ્યું છે કે ધાર્મિક સંસદનાં પ્રવેશદ્વાર પર ગુરુજીએ લખાવ્યું હતું –

 “We meet here not to argue and win,

    but to know and be known”

અર્થાત્

 “આપણે અહીં એકબીજા સાથે વાદવિવાદ કરવા, દલીલો કરવા ભેગા થયા નથી, એકબીજા પર વિજય મેળવવા એકત્ર થયાં નથી, પણ આપણે એકબીજાને જાણવા-ઓળખવા અને સમજવા ભેગા થયાં છીએ

એકબીજા સાથે સંવાદ સાધવાનો, એકબીજાને સમજવાનો આ પ્રયાસ ઘણો મહત્ત્વપૂર્ણ હતો.

જ્યારે આજે આપણે આંતરરાષ્ટ્રીય માહોલની વાત કરીએ છીએ, ત્યારે આપણો સંતસમાજ કઈ રીતે ભવિષ્યનાં સંકટને ધ્યાનમાં રાખીને આપણને સતત સતર્ક કરીએ છીએ એ જોઈએ છીએ.

ભાઈઓ અને બહેનો,

જો આપણે ઓગણીસમી અને વીસમી સદીનાં સંપૂર્ણ કાળખંડને જોઈએ, તો સ્વતંત્રતા આંદોલનમાં એ સમયેનાં સમાજસુધારકો-ધર્મગુરુઓનું મોટું યોગદાન રહ્યું હતું. જુદી જુદી જાતિઓમાં વિભાજીત સમાજ, અલગ અલગ વર્ગમાં વહેંચાયેલો સમાજ અંગ્રેજોનો મુકાબલો કરી શકતો નહોતો. આ નબળાઈ દૂર કરવા એ કાળમાં દેશનાં વિવિધ ભાગોમાં જાતિવાદ-જ્ઞાતિવાદ વિરૂદ્ધ મોટા પાયે આંદોલન થયું હતું. એ આંદોલનો, એ સુધાર કાર્યક્રમોનો ઉદ્દેશ દેશને પ્રગતિનાં પંથે દોરવાનો, ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવવાનો હતો. આંદોલનકર્તાઓ માનતા હતાં કે, આપણો સમાજ આંતરિક નબળાઈઓમાંથી મુક્ત થશે તો જ આપણને ખરી આઝાદી મળશે.

આપણાં દેશને આઝાદી મળી એ સમયનાં આગેવાનોએ દેશનાં સામાન્ય નાગરિકને સમાન દરજ્જો આપ્યો છે, સન્માન આપ્યું છે. તેમણે દેશની જરૂરિયાતને સમજીને પોતાની આધ્યાત્મિક સફરને રાષ્ટ્રનિર્માણ સાથે જોડી દીધી છે. જ્યારે લોકોએ જ્ઞાતિજાતિથી ઉપર ઉઠીને વિચારવાનું શરૂ કર્યું હતું, ત્યારે દેશમાં વિકાસ શરૂ થયો હતો. ભારતની એકતાએ અંગ્રેજોને દેશ છોડવા મજબૂર કરી દીધાં

સાથીદારો, અત્યારે દેશની સામે ફરી એવો જ સમય આવીને ઊભો છે. દેશનાં લોકો, દેશને પોતાની આંતરિક નબળાઈઓમાંથી મુક્ત થતો જોવા ઇચ્છે છે. તમારાં જેવી હજારો સંસ્થાઓ, સંગઠનો એમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. ફક્ત જ્ઞાતિવાદ-જાતિવાદ જ નહીં, દેશમાં જે બદીઓ નુકસાન પહોંચાડી રહી છે, તેને દૂર કરવા માટે લોકોમાં જાગૃતિ આણવા તમારું યોગદાન વધારવાની જરૂર છે.

15 ઓગસ્ટ, 1947નાં રોજ આપણે ગુલામીની જંજીરોમાંથી મુક્ત થયાં હતાં, પણ ગુલામીની નિશાનીઓ આપણી સામાજિક-આર્થિક વ્યવસ્થામાં હજુ પણ જોવા મળે છે. તેમાંથી મુક્તિ મેળવવા માટે તમારો સહયોગ અતિ જરૂરી છે.

ભાઈઓ અને બહેનો,

જ્યોતિબા ફૂલે, સાવિત્રી બાઈ, રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને દયાનંદ સરસ્વતી જેવા મહાન લોકોએ નારીગૌરવ-સ્ત્રી સન્માન માટે લાંબી લડાઈ લડી હતી. આજે એ જોઇને તેમનો આત્મા પ્રસન્ન થતો હશો કે દેશમાં મહિલા અધિકાર માટે કેટલું મોટું પગલું ઉઠાવવામાં આવ્યું છે.

ત્રણ તલાકને કારણે મુસ્લિમ બહેનો-માતાઓને લાંબા સમય સુધી પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી છે, એનાથી કોઈ અજાણ નથી. વર્ષોથી લાંબી લડાઈ પછી હવે તેમને ત્રણ તલાકમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ મળ્યો છે.

ભાઈઓ અને બહેનો,

આપણે ત્યાં સંતો-ઋષિઓ-મુનિઓએ કહ્યું છે કે –

 “नर करनी करे तो नारायण हो जाए

નર કર્મ કરે તો નારાયણ થઈ જાય.

કથા કરીને નહીં, કલાકો પૂજાપાઠ કરીને નહીં, પણ કર્મ કરીને જ નારાયણ થઈ શકાય છે.

આ જ “કર્મ” એટલે સંકલ્પથી સિદ્ધિની સફર છે. આ જ “કર્મ” સવા સો કરોડ ભારતીયો માટે નવા ભારતનાં નિર્માણની સફર છે.

વર્ષ 2018માં આ સફરને વેગ મળશે. કાળું ધન, ભ્રષ્ટાચારથી લઈને બેનામી સંપત્તિ પર કડક કાર્યવાહીથી લઈને આતંકવાદ અને જાતિવાદ વિરૂદ્ધ કામ કરીને  Reform, Perform અને Transformનાં મંત્ર પર ચાલીને સૌનો સાથ, સૌનો વિકાસ કરીને વર્ષ 2018માં આપણે ભારતીયો મળીને દેશને નવી ઊંચાઈ પર લઈ જઈશું. આ જ વચન, આ જ ઇરાદા સાથે મારી વાણીને હું વિરામ આપું છું.

ફરી એક વખત તમારાં બધાનો,

શ્રી નારાયણ ગુરુનાં ભક્તોને શિવગિરી યાત્રા અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા.

ખૂબ-ખૂબ ધન્યવાદ!!!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
GIFT City scales new heights as India's 1st international finance and IT hub

Media Coverage

GIFT City scales new heights as India's 1st international finance and IT hub
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares address by Shri Amit Shah in Lok Sabha on India’s decisive fight against Naxalism
March 30, 2026

The Prime Minister, Shri Narendra Modi shared the outstanding speech delivered by Union Home Minister Shri Amit Shah ji, noting that it was filled with important facts, historical context, and a detailed account of the Government’s efforts over the past decade. Shri Modi highlighted that for decades, the retrograde Maoist ideology had an adverse impact on the development of several regions, with Left Wing Extremism severely affecting the future of countless youngsters.

He further underlined that over the last ten years, the Government has worked towards uprooting this menace, while simultaneously ensuring that the benefits of development reach areas affected by Naxalism. The Prime Minister reaffirmed that the Government will continue to focus on strengthening good governance and ensuring peace and prosperity for all.

The Prime Minister posted on X:

“This is an outstanding speech by the Home Minister, Shri Amit Shah Ji, filled with important facts, historical context and the efforts of our Government in the last decade.

For decades, the retrograde Maoist ideology had an adverse impact on the development of several regions. Left Wing Extremism has ruined the future of countless youngsters.

In the last decade, our Government has worked towards uprooting this menace and at the same time ensuring the fruits of development reach areas affected by Naxalism. We will keep focusing on furthering good governance and ensuring peace and prosperity for all.”