#MannKiBaat: PM Modi congratulates all women crew of INSV Tarini for successfully completing the ‘Navika Sagar Parikrama’ expedition
Development is born in the lap of adventure, says PM Modi during #MannKiBaat
#MannKiBaat: PM Modi appreciates those who scaled Mt. Everest
People from all walks of life, be it film actors, sportspersons, our soldiers, teachers, or even the people, everyone is of the same opinion that ‘Hum Fit To India Fit’: PM #MannKiBaat
We are able to freely express our unique qualities while playing: PM Modi #MannKiBaat
Traditional games promote our logical thinking; enhance concentration, awareness and energy: PM Modi during #MannKiBaat
On June 5, India will officially host the World Environment Day Celebrations: PM Modi #MannKiBaat
Let us make sure that we do not use polythene, lower grade plastic as plastic pollution adversely impacts nature, wildlife and even our health: PM #MannKiBaat
Being sensitive towards nature and protecting it should be our motive; we have to live with harmony with nature: PM during #MannKiBaat
#MannKiBaat: PM Modi highlights vitality of Yoga, recalls its ancient connect
As International Day of Yoga nears, let us promote Yoga for unity and harmonious society: PM during #MannKiBaat
It was this month of May in 1857 when Indians had shown their strength to the British: PM Modi during #MannKiBaat
It was Veer Savarkar, who wrote boldly that whatever happened in 1857 was not a revolt but the first fight for independence: PM Modi #MannKiBaat
Veer Savarkar worshiped both ‘Shastra’ and ‘Shaastra.’ He is known for his bravery and his struggle against the British Raj: PM during #MannKiBaat

નમસ્કાર! ‘મન કી બાત’ના માધ્યમથી ફરી એક વાર તમારી સમક્ષ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. તમને લોકોને સારી રીતે યાદ હશે કે નૌ સેનાની છ મહિલા કમાન્ડરોનું એક દળ ગત કેટલાય મહિનાઓથી સમુદ્રની યાત્રા પર હતું. ‘નાવિકા સાગર પરિક્રમા’- જી, હું તેના વિષયમાં કેટલીક વાતો કરવા માગું છું. ભારતની આ છ દીકરીઓએ, તેમની આ ટીમે બસ્સો ચોપન દિવસોથી વધુ દિવસો સમુદ્રના માધ્યમથી INSV તારિણીમાં આખી દુનિયાની યાત્રા કરી 21 મેએ ભારત પાછી ફરી છે અને સમગ્ર દેશે તેમનું ખૂબ જ ઉષ્માભેર રીતે સ્વાગત કર્યું. તેમણે વિભિન્ન મહાસાગરો, અને અનેક સમુદ્રમાં યાત્રા કરતા, લગભગ બાવીસ હજાર નૉટિકલ માઇલનું અંતર કાપ્યું. વિશ્વમાં આ પ્રકારની આ પહેલી ઘટના હતી. ગત બુધવારે મને આ બધી દીકરીઓને મળવાનો, તેમના અનુભવો સાંભળવાનો અવસર મળ્યો. હું ફરી એક વાર આ દીકરીઓને, તેમના ઍડ્વેન્ચરને, નેવીની પ્રતિષ્ઠાને વધારવા માટે, ભારતનું માન-સન્માન વધારવા માટે અને ખાસ કરીને વિશ્વને પણ લાગે કે ભારતની દીકરીઓ પણ કમ નથી- આ સંદેશ પહોંચાડવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. Sense of adventure કોણ નથી જાણતું. જો આપણે માનવ જાતિની વિકાસ યાત્રા જોઈએ તો કોઈ ને કોઈ adventureની કોખમાંથી જ પ્રગતિનો જન્મ થયો છે. વિકાસ, adventureની ગોદમાંથી જ તો જન્મ લે છે. કંઈક કરવાનો ઈરાદો, પરંપરાથી હટીને કંઈક કરવાનો સંકલ્પ, કંઈક અસાધારણ કરવાની વાત, હું પણ કંઈક કરી શકું છું- આવી ધગશ રાખનારા ભલે ઓછા હોય, પરંતુ યુગો સુધી, કોટિકોટિ લોકોને પ્રેરણા મળી રહે છે. ગત દિવસોમાં તમે જોયું હશે કે માઉન્ટ ઍવરેસ્ટ પર ચડનારાઓના વિષયમાં, કેટલીક નવી-નવી વાતો ધ્યાનમાં આવી છે અને સદીઓથી એવરેસ્ટ, માનવ જાતિને લલકારતો રહ્યો અને બહાદુર લોકો તે પડકારને સ્વીકારતા પણ રહ્યા છે.

16 મે એ મહારાષ્ટ્રના ચંદ્રપુરની એક આશ્રમ શાળાનાં પાંચ આદિવાસી બાળકો-મનીષા ધુર્વે, પ્રમેશ આલે, ઉમાકાન્ત મડવી, કવિદાસ કાતમોડે, વિકાસ સોયામ- આ આપણાં આદિવાસી બાળકોના એક દળે દુનિયાના સૌથી ઊંચા શિખર પર ચડાઈ કરી. આશ્રમ શાળાના આ વિદ્યાર્થીઓએ ઑગસ્ટ 2017માં ટ્રેનિંગ શરૂ કરી હતી. વર્ધા, હૈદરાબાદ, દાર્જિલિંગ, લેહ, લદ્દાખ- ત્યાં તેમની ટ્રેનિંગ થઈ. આ યુવાઓને ‘મિશન શૌર્ય’ હેઠળ પસંદ કરવામાં આવ્યા અને નામને અનુરૂપ એવરેસ્ટ સર કરીને, તેમણે સમગ્ર દેશને ગૌરવાન્વિત કર્યો છે. હું ચંદ્રપુરની શાળાના લોકોને, મારા આ નાના સાથીઓને, હૃદયથી ખૂબ જ અભિનંદન આપું છું. હાલમાં જ 16 વર્ષીય શિવાંગી પાઠક, નેપાળની તરફથી એવરેસ્ટ સર કરનારી સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા બની. બેટી શિવાંગીને ખૂબ ખૂબ અભિનંદન.

અજિત બજાજ અને તેમની પુત્રી દીયા એવરેસ્ટ સર કરનારી પહેલી ભારતીય પિતા-પુત્રની જોડી બની ગઈ. એવું નથી કે માત્ર યુવાનો જ એવરેસ્ટની ચડાઈ કરી રહ્યા છે. સંગીતા બહેલે 19 મેએ એવરેસ્ટની ચડાઈ કરી અને સંગીતા બહલની ઉંમર 50થી પણ વધુ છે. એવરેસ્ટ પર ચડાઈ કરનારા કેટલાક એવા પણ છે જેમણે દેખાડ્યું કે તેમની પાસે ન માત્ર કૌશલ્ય છે, પરંતુ સાથે તેઓ સંવેદનશીલ પણ છે. હમણાં ગત દિવસોમાં જ ‘સ્વચ્છ ગંગા અભિયાન’ હેઠળ બીએસએફના એક જૂથે એવરેસ્ટની ચડાઈ કરી, આ સમગ્ર ટીમ એવરેસ્ટનો ઘણો બધો કચરો નીચે ઉતારી લાવી છે. આ કાર્ય પ્રશંસનીય તો છે જ પરંતુ સાથેસાથે તે સ્વચ્છતા પ્રત્યે પર્યાવરણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે. વર્ષોથી લોકો એવરેસ્ટની ચડાઈ કરતા રહ્યા છે અને એવા અનેક લોકો છે જેમણે સફળતાપૂર્વક તે પૂરી કરી છે. હું આ બધા સાહસવીરોને, ખાસ કરીને દીકરીઓને, હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

મારા પ્રિય દેશવાસીઓ, અને ખાસ કરીને મારા નવયુવાન દોસ્તો! હમણાં બે મહિના પહેલાં જ્યારે મેં fit India ની વાત કરી હતી તો મેં વિચાર્યું નહોતું કે તેના પર આટલો બધો સારો પ્રતિભાવ મળશે. આટલી મોટી સંખ્યામાં દરેક ક્ષેત્રના લોકો તેના સમર્થનમાં આગળ આવશે. જ્યારે હું fit Indiaની વાત કરું છું તો હું માનું છું કે આપણે જેટલું રમીશું તેટલો જ દેશ રમશે. સૉશિયલ મિડિયા પર લોકો ફિટનેસ ચેલેન્જનો વિડિયો શૅર કરી રહ્યા છે, તેમાં એક બીજાને ટૅગ કરીને તેમને ચૅલેન્જ કરી રહ્યા છે. Fit Indiaના આ અભિયાનમાં આજે દરેક જણ જોડાઈ રહ્યો છે. ચાહે તે ફિલ્મની સાથે જોડાયેલા લોકો હોય, ખેલ જગત સાથે જોડાયેલા લોકો હોય કે દેશના સામાન્ય લોકો, સેનાના જવાન હોય, સ્કૂલના શિક્ષક હોય, ચારે તરફ એક જ ગૂંજ સંભળાય છે- ‘હમ ફિટ તો ઇન્ડિયા ફિટ’. મારા માટે ખુશીની વાત એ છે કે મને પણ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ ચેલેન્જ આપી છે અને મેં તે ચૅલેન્જને સ્વીકારી છે. હું માનું છું કે આ ખૂબ સારી વાત છે અને આ પ્રકારની ચૅલેન્જ આપણને ફિટ રાખવામાં અને બીજાને પણ ફિટ રહેવા માટે પ્રોત્સાહિત કરશે.

મારા પ્રિય દેશવાસીઓ! ‘મન કી બાત’માં અનેક વાર ખેલના સંબંધમાં, ખેલાડીઓના સંબંધમાં, કંઈ ને કંઈ વાતો તમે મારી પાસેથી સાંભળી છે અને ગત વખતે તો રાષ્ટ્રકુળ રમતોના આપણા નાયક, પોતાના મનની વાત. આ કાર્યક્રમના માધ્યમથી કહી રહ્યા હતા-

“નમસ્કાર સર! હું છવિ યાદવ નોએડાથી બોલું છું. હું આપના ‘મન કી બાત’ને નિયમિત સાંભળું છું અને આજે તમને પોતાના મનની વાત કરવા માગું છું. આજકાલ ઉનાળાનું વેકેશન શરૂ થઈ ગયું છે અને એક માતા હોવાના નાતે હું જોઈ રહી છું કે બાળકો મોટા ભાગે ઇન્ટરનેટ ગેમ્સ રમ્યા રાખે છે. અમે જ્યારે નાનાં હતાં ત્યારે અમે પરંપરાગત રમતો, જે ઘરની બહારની રમતો હોતી હતી, તે રમતાં હતાં, જેમ કે એક રમત હતી જેમાં સાત પથ્થરના ટુકડા. એકની ઉપર એક રાખીને તેને દડાથી મારતા હતા અને ઊંચ-નીચ થતી હતી, ખોખો, આ બધી રમતો આજકાલ ખોવાઈ ગઈ છે. મારું નિવેદન છે કે તમે આજકાલની પેઢીને પરંપરાગત રમતો વિશે કંઈક જણાવો, જેથી તેમની પણ રૂચિ તે તરફ વધે. ધન્યવાદ. “

છવિ યાદવજી, તમારા ફૉન કૉલ માટે તમારો ખૂબ જ આભાર. એ વાત સાચી છે કે જે રમતો ક્યારેક ગલી-ગલી, દરેક બાળકના જીવનનો હિસ્સો રહેતો હતો, તે આજે ગૂમ થઈ રહી છે. આ રમતો ખાસ કરીને ઉનાળાના વેકેશનનો વિશેષ હિસ્સો રહેતો હતો. ક્યારેક ભર બપોરે, ક્યારેક રાત્રે જમ્યા પછી, કોઈ ચિંતા વગર, બિલકુલ નિશ્ચિંત થઈને બાળકો કલાકોના કલાકો સુધી રમ્યા કરતા હતા અને કેટલીક રમતો તો એવી પણ છે જે આખો પરિવાર સાથે રમતો હતો- સાતોલીયું હોય કે લખોટી હોય, ખો ખો હોય, ભમરડો હોય કે મોઇ દાંડિયા (ગિલ્લી ડંડા) હોય, ન જાણે…કેટલીય અગણિત રમતો કાશ્મીરથી લઈને કન્યાકુમારી, કચ્છથી લઈને કામરૂપ સુધી હર કોઈ વ્યક્તિના બાળપણનો હિસ્સો રહેતો હતો. હા, એમ બની શકે કે અલગ-અલગ જગ્યાએ તે અલગ-અલગ નામોથી જાણીતી હતી. કોઈ તેને લાગોરી, સાતોલિયા, સાત પથ્થર, ડિકોરી, સતોદિયા, ન જાણે કેટલાંય નામો છે એક જ રમતનાં. પરંપરાગત રમતોમાં બે પ્રકારની રમતો છે. ઘરની બહાર પણ છે અને ઘરની અંદર પણ છે. આપણા દેશની વિવિધતાની પાછળ છુપાયેલી એકતા આ રમતોમાં પણ જોવા મળી શકે છે. એક જ રમત અલગ-અલગ જગ્યાએ, અલગ-અલગ નામોથી જાણીતી છે. હું ગુજરાતનો છું. મને ખબર છે કે ગુજરાતમાં એક રમત છે. તે કોડીઓ અથવા આંબલીના બીજ અથવા પાસા સાથે અને 8X8ના ચોરસ બૉર્ડ સાથે રમાય છે. આ રમત લગભગ દરેક રાજ્યમાં રમાતી હતી. કર્ણાટકમાં તેને ચૌકાબારા કહેવાતી હતી, મધ્ય પ્રદેશમાં અત્તુ. કેરળમાં પકીડાકાલી તો મહારાષ્ટ્રમાં ચંપલ, તો તમિલનાડુમાં દાયામ અને થાયામ, તો રાજસ્થાનમાં ચંગાપો…ન જાણે કેટલાંય નામો હતાં. પરંતુ રમ્યા પછી ખબર પડે છે કે દરેક રાજ્યવાળાની ભાષા ભલે જાણતા ન હોય – અરે વાહ! આ રમત તો અમે પણ રમતા હતા. આપણામાંથી કોણ એવું હશે જેણે બાળપણમાં મોઇ દાંડિયા (ગિલ્લી ડંડા) નહીં રમ્યા હોય? મોઈ દાંડિયા (ગિલ્લી ડંડા) તો ગામડાંથી લઈને શહેરો સુધી રમાતી રમત છે. દેશના અલગ-અલગ ભાગોમાં તેને અલગ-અલગ નામોથી જાણવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં તેને ગોટિબિલ્લા અથવા કર્રાબિલ્લા નામથી ઓળખવામાં આવે છે. ઉડીશામાં તેને ગુલિબાડી કહે છે તો મહારાષ્ટ્રમાં તેને વિત્તિડાલુ કહે છે. કેટલીક રમતોની પોતાની એક ઋતુ રહેતી હતી. જેમ કે પતંગ ચગાવવાની પણ એક ઋતુ હોય છે. જ્યારે બધા જ પતંગ ઉડાડતા હોય જ્યારે આપણે રમીએ છીએ આપણામાં જે અનોખા ગુણો હોય છે તેને આપણે મુક્તમને અભિવ્યક્ત કરી શકીએ છીએ. તમે જોયું હશે કે અનેક બાળકો શરમાળ સ્વભાવના હોય છે પરંતુ રમતી વખતે ખૂબ જ ચંચળ થઈ જાય છે. પોતાને અભિવ્યક્ત કરે છે, મોટા જે ગંભીર દેખાતા હોય છે, રમતી વખતે તેમનામાં જે એક બાળક છુપાયેલું હોય છે તે બહાર આવી જાય છે. પરંપરાગત રમતો કંઈક એવી રીતે બની છે કે શારીરિક ક્ષમતાની સાથેસાથે આપણી તર્કબદ્ધ વિચારસરણી, એકાગ્રતા, સજગતા, સ્ફૂર્તિને પણ વધારે છે. અને રમત માત્ર રમત નથી હોતી, તે જીવનનાં મૂલ્યો પણ શીખવાડે છે. લક્ષ્ય નક્કી કરવું, દૃઢતા કેવી રીતે કેળવવી, સંઘભાવના કેવી રીતે જગાવવી, પરસ્પર સહયોગ કેવી રીતે કરવો. ગત દિવસોમાં હું જોઈ રહ્યો હતો કે બિઝનેસ મેનેજમેન્ટ સાથે જોડાયેલા ટ્રેનિંગ પ્રૉગ્રામોમાં પણ ઑવરઑલ પર્સનાલિટી ડૅવલપમેન્ટ અને ઇન્ટરપર્સનલ સ્કિલ્સમાં સુધારા માટે પણ, આપણી જે પરંપરાગત રમતો હતી તેનો આજકાલ ઉપયોગ કરવામાં આવે છે અને ઘણી સરળતાથી ઑવરઑલ ડેવલપમેન્ટમાં આપણી રમતો કામમાં આવે છે અને આ રમતો રમવા માટે કોઈ ઉંમરનો બાધ તો નથી જ ને. બાળકોથી લઈને દાદાદાદી, નાનાનાની, જ્યારે બધા રમે છે તો પેલું જે કહેવાય છે ને કે જનરેશન ગેપ, તે તો ક્યાંય છૂમંતર થઈ જાય છે. અનેક રમતો આપણને સમાજ, પર્યાવરણ વગેરે વિશે પણ જાગરુક કરે છે. ક્યારેક ક્યારેક ચિંતા થાય છે કે ક્યાંક આપણી આ રમતો ગૂમ ન થઈ જાય અને માત્ર રમતો જ ગૂમ નહીં થાય, સાથે બાળપણ પણ ક્યાંક ગૂમ થઈ જશે અને પછી આ કવિતાઓને આપણે સાંભળતા હોઈશું-

યે દૌલત ભી લે લો,

યે શૌહરત ભી લે લો,

ભલે છીન લો મુઝસે મેરી જવાની,

મગર મુઝકો લોટા દો બચપન કા સાવન

વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની

આ ગીત આપણે સાંભળતા રહી જઈશું અને આથી જ આ પરંપરાગત રમતો, તેને ખોવી નથી. આજે આવશ્યકતા છે કે શાળા, શેરીઓ, યુવા મંડળ વગેરે આગળ આવીને આ રમતોને પ્રોત્સાહન આપે. Crowd sourcing દ્વારા આપણે પોતાની પરંપરાગત રમતોનો એક બહુ મોટો સંગ્રહ (Archive) બનાવી શકીએ છીએ. આ રમતોના વિડિયો બનાવી શકાય. એનિમેશન ફિલ્મો પણ બનાવી શકાય છે જેથી આપણી જે નવી પેઢી છે તેમના માટે આ ગલીઓમાં રમાતી રમતો ક્યારેક આશ્ચર્યનો વિષય હોય છે- તેને તેઓ જોશે, રમશે અને ખિલશે.

મારા પ્રિય દેશવાસીઓ! આગામી પાંચ જૂને આપણો દેશ સત્તાવાર રીતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો યજમાન બનશે. ભારત માટે તે એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ છે અને જળવાયુ પરિવર્તનને ઘટાડવા માટેની દિશામાં વિશ્વમાં ભારતના વધતા નેતૃત્વને પણ સ્વીકૃતિ મળી રહી છે- તેનો આ પુરાવો છે. આ વખતની થીમ છે- ‘Beat plastic pollution’ પ્લાસ્ટિકના પ્રદૂષણને નાથો. મારી આપ સહુને અપીલ છે કે આ થીમના ભાવને, તેના મહત્ત્વને સમજીને આપણે બધા એ સુનિશ્ચિત કરીએ કે આપણે પૉલિથિન, લૉ ગ્રેડ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ અને પ્લાસ્ટિક પ્રદૂષણની જે એક નકારાત્મક અસર આપણી પ્રકૃત્તિ પર, આપણા વન્ય જીવન પર અને આપણા સ્વાસ્થ્ય પર પડી રહી છે, તેને ઘટાડવાનો પ્રયાસ કરીએ. વિશ્વ પર્યાવરણ દિવસની વેબસાઇટ wed-india 2018 પર જાવ અને ત્યાં ઘણાં બધાં સૂચનો ખૂબ જ રોચક રીતે આપવામાં આવ્યાં છે- તે જુઓ, જાણો અને તેમને પોતાની રોજિંદી જિંદગીમાં ઉતારવાનો પ્રયાસ કરો. જ્યારે ભયંકર ગરમી પડે છે, પૂર આવે છે, વરસાદ રોકાવાનું નામ લેતો નથી, અસહ્ય ઠંડી પડે છે તો દરેક વ્યક્તિ ઍક્સ્પર્ટ બનીને ગ્લૉબલ વૉર્મિંગ, ક્લાઇમેટ ચૅન્જની વાતો કરે છે પરંતુ શું વાતો કરવાથી કામ થાય ખરું? પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનવું, પ્રકૃતિની રક્ષા કરવી એ આપણો સહજ સ્વભાવ હોવો જોઈએ, આપણા સંસ્કારોમાં હોવું જોઈએ. ગત કેટલાંક સપ્તાહોમાં આપણે બધાએ જોયું કે દેશનાં અલગ-અલગ ક્ષેત્રોમાં ધૂળ-આંધી ઊડી, ભારે પવનની સાથોસાથ વરસાદ પણ થયો જે કમોસમી છે. જાનહાનિ પણ થઈ, માલહાનિ પણ થઈ. આ બધી ચીજો મૂળતઃ હવામાનની ઢબમાં જે બદલાવ છે, તેનું જ પરિણામ છે. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાએ આપણને પ્રકૃતિની સાથે સંઘર્ષ કરવાનું નથી શીખવાડ્યું. આપણે પ્રકૃતિ સાથે સદ્ભાવથી રહેવાનું છે, પ્રકૃતિ સાથે જોડાઈને રહેવાનું છે. મહાત્મા ગાંધીએ તો જીવન ભર ડગલે ને પગલે આ વાતની વકીલાત કરી હતી. જ્યારે ભારતે Cop21 અને પેરિસ સમજૂતીમાં પ્રમુખ ભૂમિકા નિભાવી, જ્યારે આપણે (international solar alliance)ના માધ્યમથી સમગ્ર દુનિયાને એકસંપ કરી તો તે બધાના મૂળમાં મહાત્મા ગાંધીના આ સપનાને સાકાર કરવાનો એક ભાવ હતો. આ પર્યાવરણ દિવસ પર આપણે બધા આ વિશે વિચારીએ કે શું આપણે પોતાના ગ્રહને સ્વચ્છ અને હરિત રાખવા માટે કંઈક કરી શકીએ છીએ? કેવી રીતે આ દિશામાં આગળ વધી શકીએ છીએ? શું innovative બની શકીએ છીએ? ચોમાસું આવવાનું છે, આપણે આ વખતે વિક્રમજનક વૃક્ષારોપણનું લક્ષ્ય રાખી શકીએ છીએ અને માત્ર વૃક્ષ રોપવાનું જ નહીં પરંતુ તેના મોટા થવા સુધી તેની જાળવણીની વ્યવસ્થા કરવી.

મારા પ્રિય દેશવાસીઓ અને ખાસ કરીને મારા નવજુવાન સાથીઓ! તમે હવે 21 જૂનને બરાબર યાદ રાખો છો, તમે જ નહીં, આપણે જ નહીં, સમગ્ર દુનિયા 21 જૂનને યાદ રાખે છે. સમગ્ર વિશ્વ માટે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં મનાવાય છે અને તે સર્વ સ્વીકૃત થઈ ચૂક્યો છે અને લોકો મહિનાઓ પહેલાં તૈયારીઓ શરૂ કરી દે છે. આજકાલ સમાચાર મળી રહ્યા છે કે સમગ્ર દુનિયામાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. Yog for unity અને harmonious society નો એક સંદેશ છે જે વિશ્વએ ગત કેટલાંક વર્ષોમાં વારંવાર અનુભવ્યો છે. સંસ્કૃતના મહાન કવિ ભર્તૃહરિએ સદીઓ પહેલાં પોતાના શતકવયત્રમ્ માં લખ્યું હતું-

धैर्यं यस्य पिता क्षमा च जननी शान्तिश्चिरं गेहिनी

सत्यं सूनुरयं दया च भगिनी भ्राता मनः संयमः।

शय्या भूमितलं दिशोऽपि वसनं ज्ञानमृतं भोजनं

एते यस्य कुटिम्बिनः वद सखे कस्माद् भयं योगिनः।।

સદીઓ પહેલાં કહેવાયેલી આ વાતનો સીધો અર્થ એ છે કે નિયમિત યોગ અભ્યાસ કરવાથી કેટલાક સારા ગુણ સગાંસંબંધીઓ અને મિત્રોની જેમ આવે છે. યોગ કરવાથી સાહસ જન્મે છે જે સદાય પિતાની જેમ આપણી રક્ષા કરે છે. ક્ષમાનો ભાવ ઉત્પન્ન થાય છે જેવો માતાનો પોતાનાં સંતાનો માટે હોય છે અને માનસિક શાંતિ આપણી સ્થાયી મિત્ર બની જાય છે. ભર્તુહરિએ કહ્યું છે કે નિયમિત યોગ કરવાથી સત્ય આપણું સંતાન, દયા આપણી બહેન, આત્મસંયમ આપણો ભાઈ, સ્વયં ધરતી આપણી પથારી અને જ્ઞાન આપણી ભૂખ મટાડનારું બની જાય છે. જ્યારે આટલા બધા ગુણો કોઈના સાથી બની જાય તો યોગી બધા જ પ્રકારના ભય પર વિજય પ્રાપ્ત કરી લે છે. એક વાર ફરી હું દેશવાસીઓને અનુરોધ કરું છું કે તેઓ યોગની આપણી વિરાસતને આગળ વધારે અને એક સ્વસ્થ, ખુશહાલ અને સદભાવપૂર્ણ રાષ્ટ્રનું નિર્માણ કરે.

મારા પ્રિય દેશવાસીઓ! આજે 27 મે છે. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુજીની પુણ્યતિથિ છે. હું પંડિતજીને પ્રણામ કરું છું. આ મે મહિનાની યાદ એક બીજી વાત સાથે પણ જોડાયેલી છે અને તે છે વીર સાવરકર. 1857માં આ મેનો જ મહિનો હતો જ્યારે ભારતવાસીઓએ અંગ્રેજોને પોતાની તાકાત દેખાડી હતી. દેશના અનેક હિસ્સાઓમાં આપણા જવાનો અને ખેડૂતો પોતાની બહાદૂરી દેખાડતા અન્યાયના વિરોધમાં કટિબદ્ધ થયા હતા. દુઃખની વાત એ છે કે આપણે બહુ લાંબા સમય સુધી 1857ની ઘટનાઓને માત્ર વિદ્રોહ કે સિપાહી વિદ્રોહ કહેતા રહ્યા. વાસ્તવમાં આ ઘટનાને અવગણનાની રીતે જોવામાં આવી તો ખરી જ પરંતુ તે આપણા સ્વાભિમાનને ધક્કો પહોંચાડવાનો પણ એક પ્રયાસ હતો. તે વીર સાવરકર જ હતા, જેમણે નિર્ભિક થઈને લખ્યું હતું કે 1857માં જે પણ કંઈ થયું તે કોઈ વિદ્રોહ નહોતો પરંતુ સ્વતંત્રતાની પહેલી લડાઈ જ હતી. સાવરકર સહિત લંડનના ઇન્ડિયા હાઉસના વીરોએ તેની 50મી વર્ષગાંઠ ધૂમધામથી મનાવી. એ પણ એક અદભૂત સંયોગ છે કે જે મહિનામાં સ્વતંત્રતાના પહેલા સ્વાતંત્રય સંગ્રામનો આરંભ થયો તે જ મહિનામાં વીર સાવરકરજીનો પણ જન્મ થયો. સાવરકરજીનું વ્યક્તિત્વ વિશેષતાઓથી ભરેલું હતું; શસ્ત્ર અને શાસ્ત્ર બંનેના તેઓ ઉપાસક હતા. સામાન્ય રીતે વીર સાવરકરને તેમની બહાદૂરી અને બ્રિટિશ રાજ વિરુદ્ધ તેમના સંઘર્ષ માટે ઓળખવામાં આવે છે પરંતુ તે બધા ઉપરાંત તેઓ એક ઓજસ્વી કવિ અને સમાજ સુધારક પણ હતા, જેમણે હંમેશાં સદ્ભવાના અને એકતા પર ભાર મૂક્યો. સાવરકરજી વિશે એક અદભૂત વર્ણન આપણા પ્રિય આદરણીય અટલ બિહારી વાજપેયીજીએ કર્યું છે. અટલજીએ કહ્યું હતું- સાવરકર એટલે તેજ, સાવરકર એટલે ત્યાગ, સાવરકર એટલે તપ, સાવરકર એટલે તત્ત્વ, સાવરકર એટલે તર્ક, સાવરકર એટલે તારુણ્ય, સાવરકર એટલે તીર, સાવરકર અર્થાત્ તલવાર. કેટલું સચોટ ચિત્રણ કર્યું હતું અટલજીએ. સાવરકર કવિતા અને ક્રાંતિ બંનેને સાથે લઈને ચાલ્યા. સંવેદનશીલ કવિ હોવાની સાથોસાથ તેઓ સાહસિક ક્રાંતિકારી પણ હતા.

મારા પ્રિય ભાઈઓ-બહેનો! હું ટીવી પર એક વાર્તા જોઈ રહ્યો હતો. રાજસ્થાનના સીકરની કાચી ઝૂંપડીઓમાં રહેતી આપણી ગરીબ દીકરીઓની. આપણી આ દીકરીઓ જે ક્યારેક કચરા વીણવાથી લઈને ઘરેઘરે માગવા મજબૂર હતી – આજે તેઓ સીલાઈનું કામ શીખીને ગરીબોનું તન ઢાંકવા માટે કપડાં સીવી રહી છે. ત્યાંની દીકરીઓ આજે પોતાના અને પોતાના પરિવારનાં કપડાં ઉપરાંત સામાન્યથી લઈને સારાં કપડાં પણ સિવી રહી છે. તે તેની સાથોસાથ કૌશલ્ય વિકાસનો કૉર્સ પણ કરી રહી છે. આપણી આ દીકરીઓ આજે આત્મનિર્ભર બની રહી છે. સન્માનની સાથે પોતાનું જીવન જીવી રહી છે અને પોતપોતાના પરિવાર માટે એક તાકાત બની ગઈ છે. હું આશા અને વિશ્વાસથી ભરેલી આપણી આ દીકરીઓને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવું છું. તેમણે દેખાડ્યું છે કે જો કંઈક કરી દેખાડવાની ધગશ હોય અને તે માટે તમે કૃતસંકલ્પ હો તો તમામ મુશ્કેલીઓની વચ્ચે પણ સફળતા પ્રાપ્ત કરી શકાય છે. અને તે માત્ર સીકરની જ વાત નથી. હિન્દુસ્તાનના દરેક ખૂણામાં તમને આ બધું જોવા મળશે. તમારી પાસે, અડોશપડોશમાં નજર કરશો તો ધ્યાનમાં આવશે કે લોકો કઈ રીતે સમસ્યાઓને પરાસ્ત કરે છે. તમે અનુભવ્યું હશે કે જ્યારે પણ આપણે કોઈ ચાની દુકાને જઈએ છીએ, ત્યાંની ચાનો આનંદ માણીએ છીએ તો સાથે રહેલા કેટલાક લોકો સાથે ચર્ચા અને વિચારવિમર્શ પણ થાય છે. આ ચર્ચા રાજકારણની પણ હોય છે, સામાજિક પણ હોય છે, ચલચિત્રની પણ હોય છે, રમત અને ખેલાડીઓની પણ હોય છે, દેશની સમસ્યાઓની પણ હોય છે- કે આવી સમસ્યા છે- તેનું સમાધાન આવી રીતે થશે- આમ કરવું જોઈએ, પરંતુ મોટા ભાગે આ ચીજો માત્ર ચર્ચા સુધી જ સીમિત રહી જાય છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે પોતાનાં કાર્યોથી, પોતાની મહેનત અને લગનથી પરિવર્તન લાવવાની દિશામાં આગળ વધે છે, તેને હકીકતનું રૂપ આપે છે. બીજાનાં સપનાંને પોતાના બનાવનારાઓ અને તેમને પૂરાં કરવા માટે પોતાને હોમી દેતા હોય છે. આવી જ એક વાત ઉડીશાના કટક શહેરમાં ઝૂંપડીમાં રહેનારા ડી. પ્રકાશ રાવની છે. કાલે જ મને ડી. પ્રકાશ રાવને મળવાનું સૌભાગ્ય મળ્યું. શ્રીમાન ડી. પ્રકાશ રાવ છેલ્લા પાંચ દાયકાથી શહેરમાં ચા વેચી રહ્યા છે. એક મામૂલી ચા વેચનારા, આજે તમને જાણીને નવાઈ લાગશે કે 70થી વધુ બાળકોના જીવનમાં શિક્ષણનું અજવાળું ભરી રહ્યા છે. તેમણે ઝૂંપડીઓમાં રહેનારાં બાળકો માટે ‘આશા આશ્વાસન’ નામની એક શાળા ખોલી. તેના પર આ ગરીબ ચા વેચનારા પોતાની આવકનું 50% ધન ખર્ચી નાખે છે. તે સ્કૂલમાં આવનારાં બધાં બાળકોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને ભોજનની પૂરી વ્યવસ્થા કરે છે. હું ડી. પ્રકાશ રાવની આકરી મહેનત, તેમની લગન અને તે ગરીબ બાળકોના જીવનને નવી દિશા આપવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમણે તેમની જિંદગીના અંધારાને હટાવ્યું છે. ‘તમસો મા જ્યોતિર્ગમય’ આ વેદવાક્ય કોણ નથી જાણતું પરંતુ તેને જીવીને દેખાડ્યું છે ડી. પ્રકાશ રાવે. તેમનું જીવન આપણા બધા માટે, સમાજ અને સમગ્ર દેશ માટે એક પ્રેરણા છે. તમારી પણ આસપાસ આવી પ્રેરક ઘટનાઓની શ્રૃંખલા હશે. અગણિત ઘટનાઓ હશે. આવો આપણે સકારાત્મકતાને આગળ વધારીએ.

જૂનના મહિનામાં એટલી બધી ગરમી થાય છે કે લોકો વરસાદની રાહ જુએ છે અને આ આશામાં આકાશમાં વાદળની તરફ ચાતક નજરે જુએ છે. આજથી કેટલાક દિવસો પછી લોકો ચાંદની પણ પ્રતીક્ષા કરશે. ચાંદ દેખાવાનો અર્થ એ છે કે ઈદ મનાવી શકાય છે. રમઝાન દરમિયાન એક મહિનાના ઉપવાસ પછી ઈદનું પર્વ ઉજવણીની શરૂઆતનું પ્રતીક છે. મને વિશ્વાસ છે કે બધા જ લોકો ઈદને પૂરા ઉત્સાહ સાથે મનાવશે. આ અવસર પર ખાસ કરીને બાળકોને સારી ઈદી પણ મળશે. આશા રાખું છું કે ઈદનો તહેવાર આપણા સમાજમાં સદભાવના બંધનને વધુ મજબૂતી પ્રદાન કરશે. બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ.

મારા પ્રિય દેશવાસીઓ! તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આગલા મહિને ફરી એક વાર ‘મન કી બાત’માં મળીશું.

નમસ્કાર!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Moving beyond Western paradigms: The geopolitical lesson of India’s multi-alignment

Media Coverage

Moving beyond Western paradigms: The geopolitical lesson of India’s multi-alignment
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives in a mishap in Surat, Gujarat
June 02, 2026
PM announces ex-gratia from PMNRF

Prime Minister Shri Narendra Modi today expressed deep pain over the tragic mishap in Surat district, Gujarat. He extended his heartfelt condolences to those who have lost their loved ones and prayed for the earliest recovery of the injured. The Prime Minister noted that rescue operations are underway and authorities are providing all possible assistance at the accident site.

The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from the Prime Minister’s National Relief Fund (PMNRF) for the next of kin of each deceased. Shri Modi also noted that Rs. 50,000 would be provided to those who sustained injuries in the incident.

The Prime Minister posted on X:

"Deeply pained to hear about a mishap in Surat district, Gujarat. My condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest. Rescue operations are underway and authorities are providing all possible assistance at the accident site.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM"