આ સંદર્ભમાં આ રક્ષાશકિત યુનિવર્સિટી પોલીસ અને સલામતી સેવા રક્ષકોને માત્ર ડિગ્રી ડિપ્લોમાધારક બનાવવા પૂરતી સીમિત ઉદેશ નથી ધરાવતી પરંતું ભારત સહિત વિશ્વમાં સુરક્ષા સામેના સંકટો અને પડકારો, અત્યંત વ્યાપક અને સંકુલ બની ગયા છે ત્યારે સમગ્રતયા સુરક્ષા સેવા અને સુરક્ષા વ્યવસ્થાપનમાં ગૂણાત્મત પરિવર્તન લાવવાનું એક સક્ષમ માનવ સંશાધન વિકાસનું પ્લેટફોર્મ આ યુનિવર્સિટીનું પરિસર બનવાનું છે. સુરક્ષા સેવામાં વ્યાવસાયિક કૌશલ્ય અને ક્ષમતા નિર્માણથી લઇને જીવનના અનેક ક્ષેત્રોમાં સુરક્ષા વ્યવસ્થાપન માટે દેશ-વિદેશને ઉપકારક એવું સંશોધન-ચિન્તન પૂરું પાડે તેવા તજજ્ઞો માટે પણ વિષેશ સુવિધા ઉપલબ્ધ થઇ છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
સામાન્ય નાગરિક, સાર્વજનિક જીવન માટે જ નહીં સુરક્ષા સેવારત પોલીસ, સલામતી દળો, સૌ માટે સુરક્ષા સામેના સંકટોનો પડકાર ઝીલવો અનિવાર્ય બની ગયો છે એની ભૂમિકા આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ત્રાસવાદ અને આંતરરાષ્ટ્ર ગુનાઓની સમસ્યા સામે બાથ ભીડવા માટે સુરક્ષાકર્મી જવાનો કે પોલીસની પરંપરાગત કાર્યશૈલી અને સંશાધનો કેટલા કારગત નીવડે છે ? આમઆદમી અને સમાજની સલામતી માટે ત્રાસવાદી અને હિંસક ગૂનેગારો સામે લડનારા પોલીસ જવાનોની આહૂતિ અને શહિદીની ગાથા રચવાથી સુરક્ષાના સંકટનો ઉકેલ આવી શકવાનો નથી. આ સ્થતિ બદલવા માટેની વિશિષ્ઠ પ્રશિક્ષણ વ્યવસ્થા અને તેના માટેનું સર્વગ્રાહી ચિન્તન કરવા ગુજરાતે રક્ષાશકિત યુનિવર્સિટીની પહેલ કરી છે અને દેશ તથા દુનિયાને સુરક્ષા વ્યવસ્થાપન માટે નવું વિઝન પૂરુ પાડવા આહવાન આપે છે.
પોલીસ અને સુરક્ષા દરળોમાં ભરતી પછીની તાલીમ ""જોબ-એસાઇનમેન્ટ ઓરિએન્ટેડ સીંગલ ટનલ''ની બની રહે છે અને પ્રશિક્ષિત સુરક્ષાકર્મીઓ માટે મૂલ્યવર્ધિત વ્યાપક અવકાશ ઉપલબ્ધ નથી તેથી આવી સુરક્ષા સેવાઓ અને વ્યવસ્થાપન ક્ષેત્રોમાં જોડાતા પૂર્વેજ સશકત કૌશલ્યવર્ધક માવશકિત તૈયાર કરવાની દિશા અપનાવી છે એમ પણ તેમણે જણાવ્યું હતું. આ યુનિવર્સિટીમાંથી પ્રશિક્ષિત સુરક્ષા ક્ષેત્રના યુવાનો માટે ઉત્તમ ક્રિમીનલ લોયર બનવાની ક્ષમતાનું સંવર્ધન પણ થઇ શકે એમ છે.
માત્ર સીક્યોરિટી સર્વિસના યુનિફોર્મ કે પોલીસ ડિસીપ્લીન, આધુનિક સુરક્ષાના પડકારોને પહોંચી નહીં વળે એ હકિકત સર્વસ્વીકૃત બની છે એનો પણ ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ સિક્યોરિટી મેનેજમેન્ટ અને સિકયોરિટી સ્કીલ્ડ મેનપાવર માટેના વૈશ્વિક ચિંતન ઉપર ભાર મૂકયો હતો.
સીમા સુરક્ષા દળના નિવૃત મહા નિદેશક શ્રી એમ.એલ.કુમાવતે હાર્દરૂપ પ્રવચનમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સુરક્ષા સેવાઓના આધુનિક પ્રશિક્ષણ માટે કરેલી પહેલને ભારત માટે પ્રેરણારૂપ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે સમગ્ર ભારત જ નહીં પણ દુનિયાના અનેક રાષ્ટ્રો માટે આંતરિક સલામતીનું ક્ષેત્ર નવા પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે ગુજરાતે રક્ષાશકિત યુનિવર્સિટી કાર્યરત કરીને સુરક્ષા ક્ષેત્ર માટે માનવશકિતનું નવું જ ચિન્તન પુરું પાડયું છે.
આ સેમિનારમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રફૂલભાઇ પટેલ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી બળવંતસિંહ, પોલીસ મહાનિદેશક ચિતરંજનસિંધ તથા દેશના સુરક્ષા ક્ષેત્ર સાથે સંલગ્ન એજન્સીઓ પોલીસ અને સલામતીદળોના વરિષ્ઠ ૩૦૦ જેટલા તજજ્ઞોએ ભાગ લીધો હતો.
પ્રારંભમાં રક્ષાશતિ યુનિવર્સિટીના મહાનિદેશક શ્રી ઓ.પી.માથુરે સેમિનારનો ઉદેશ પ્રસ્તુત કર્યો હતો. નિયામક શ્રી વિકાસ સહાયે આમંત્રિતોનું સ્વાગત કર્યું હતું.