૨૨ થી ૨૫ સપ્ટેમ્બર, મહાત્મા મંદિર ખાતે
ઈન્ડિયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટર્સનાં ૨૭માં વાર્ષિક સંમેલનનું આયોજન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે ઉદઘાટન
દેશભરનાં ટુર ઓપરેટર્સ અને એજન્ટ્સ મોટી સંખ્યામાં હાજરી આપશે
પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા અને વિદેશી સહેલાણીઓને આકર્ષવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ બની રહેશે – પ્રવાસન મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ
ગાંધીનગર: બુધવાર: પ્રવાસન ક્ષેત્રની દેશની અગ્રણી સંસ્થા ઈન્ડિયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટર્સ (આઈ.એ.ટી.ઓ) નાં ૨૭માં વાર્ષિક સંમેલનનું આયોજન ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે તારીખ ૨૨ થી ૨૫ સપ્ટેમ્બર દરમ્યાન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ ગુરુવારે આ સંમેલનનું ઉદઘાટન કરશે અને દેશભરમાંથી આવેલા પ્રવાસન ક્ષેત્રનાં માંધાતાઓને સંબોધન કરશે. આ માહિતી રાજ્યનાં પ્રવાસનમંત્રી શ્રી જયનારાયણ વ્યાસે આજે પત્રકારોને આપી હતી.પ્રવાસન મંત્રીશ્રીએ આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનાં સહયોગ દ્વારા આયોજિત આ સંમેલનમાં દેશભરનાં ટુર ઓપરેટર્સ અને એજન્ટ્સ મોટી સંખ્યામાં ભાગ લેશે જે દરમ્યાન ગુજરાતનાં વિવિધ પર્યટન સ્થળો અને રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે રહેલી વિશાળ તકોથી તેમને માહિતગાર કરવામાં આવશે. આ સંમેલનથી ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે રહેલી તકોનો મોટા પાયે પ્રચાર થઈ શકશે.
આઈ.એ.ટી.ઓ એક સ્વાયત્ત રાષ્ટ્રિય સંસ્થા છે જે દેશભરમાં પ્રવાસનને લગતા તમામ પેટાક્ષેત્રોનાં ૪૦૦૦ થી વધુ સભ્યો ધરાવે છે. સંસ્થા પ્રતિવર્ષ ઓગષ્ટ-સપ્ટેમ્બર મહિનાનાં ગાળામાં કોઈ એક રાજ્યમાં સંમેલનનું આયોજન કરે છે, જેમાં સામાન્ય રીતે કેંન્દ્રિય પ્રવાસનમંત્રીશ્રી, યજમાન રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી સહિત સંમેલનમાં ભાગ લેનાર રાજ્યોનાં પ્રવાસન મંત્રીશ્રીઓ હાજરી આપે છે. ચાલુ વર્ષે આ સંમેલન ગુજરાતમાં ગાંધીનગર ખાતે મળી રહ્યું છે. ગત વર્ષે આઈ.ઓ.ટી.ઓ. નાં વાર્ષિક સંમેલન ઉદેપુર ખાતે મળ્યું હતું જેમાં ૧૨ રાજ્યોનાં ૧૨૦૦ થી વધુ પ્રતિનિધીઓએ ભાગ લીધો હતો.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સ્થાનિક અંને આંતરરાષ્ટ્રિય પ્રવાસનને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત વાઈબ્રન્ટ ગુજરાત, ગુજરાત ટ્રાવેલ માર્ટ, રણોત્સવ, પતંગ મહોત્સવ, વાઈબ્રન્ટ નવરાત્રી, સાપુતારા મોનસુન ફેસ્ટિવલ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ગુજરાતમાં આઈ.એ.ટી.ઓ. નાં સંમેલનથી દેશભરમાંથી આવેલા ટુર ઓપરેટર્સ અને એજન્ટ્સને ગુજરાતનાં સમૃધ્ધ કલા અને સ્થાપત્ય, વાઈબ્રન્ટ લોકસંસ્કૃતિ અને રમણીય પ્રવાસન સ્થળોથી માહિતગાર કરી શકાશે અને પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા તથા વિદેશી સહેલાણીઓને આકર્ષવા માટે આ સંમેલન એક શ્રેષ્ઠ માધ્યમ બની રહેશે


