મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિશ્વકક્ષાનો મેરીટાઇમ પાર્ક ભરૂચ જિલ્લાના દરિયાકાંઠે સ્‍થાપવાની આજે જાહેરાત કરી હતી.

મધ્‍ય ગુજરાતના દહેજ SEZ માં ડેનમાર્કની રોક્ષુલ રોકવુડ કંપનીના રૂા. ૧પ૯ કરોડના મૂડીરોકાણથી માત્ર ૧પ મહિનાના ગાળામાં જ કાર્યાન્‍વિત થયેલા બાંધકામ ક્ષેત્રે ફાયરસેફ ઇન્‍સ્‍યુલેશન મટીરીયલ્‍સ સ્‍ટોન વુલના મેન્‍યુફેકચરીંગ પ્‍લાન્‍ટનું મુખ્‍ય મંત્રીશ્રીએ આજે ઉદ્દઘાટન કર્યું હતું.

મુખ્‍ય મંત્રીશ્રીએ સૂચિત મહત્‍વાકાંક્ષી મેરીટાઇમ પાર્કની રૂપરેખા આપતાં જણાવ્‍યું કે, ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના વિશાળ સમુદ્રકિનારા ઉપર શિપ બિલ્‍ડીંગ ઇન્‍ડસ્‍ટ્રીઝ એન્‍ડ શિપ રીપેરીંગ ઇન્‍ડસ્‍ટ્રીઝના વિકાસનું નવું જ ક્ષેત્ર વિકસાવવા રાજ્‍ય સરકાર પ્રતિબદ્ધ છે. દરિયાકાંઠે ભરૂચની ધરતી ઉપર હિન્‍દુસ્‍તાનનો સર્વપ્રથમ એવો મેરીટાઇમ પાર્ક વિશ્વકક્ષાનો બનાવવાની નેમ વ્‍યકત કરતાં તેમણે એમ પણ જણાવ્‍યું કે, વિશ્વ વેપાર અને સામૂદ્રિક વેપારનું અર્થતંત્ર ધમધમતું થવાનું છે તેને ધ્‍યાનમાં લઇને ગુજરાત સમગ્ર દુનિયાની શીપીંગ એન્‍ડ શીપ બિલ્‍ડીંગ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં સૌથી વધુ હિસ્‍સો આપનારું રાજ્‍ય બનવાની પુરી સાનુકુળતા ધરાવે છે. ભરૂચ જિલ્લાની આ ધરતી ઉપર દહેજ મેરીટાઇમ પાર્ક આકાર લેશે ત્‍યારે ગુજરાતના અનેક ગરીબ યુવાનોને શિપ બિલ્‍ડીંગ માટેની ટ્રેઇનીંગ આપીને રોજગારીના કૌશલ્‍ય સંવર્ધન સાથે મેરીટાઇમ પાર્ક રોજગારલક્ષી વિકાસનું સક્ષમ માધ્‍યમ બની જશે.

સમગ્ર વિશ્વના સૌથી ઉત્તમ એવા રપ સ્‍પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ ટોપ-રપ)માં ભારતમાંથી એકમાત્ર ગુજરાતના દહેજ SEZ ની પસંદગી થઇ છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કરતાં મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, દુનિયાના વિકસીત દેશો અને સમૃદ્ધ રાષ્‍ટ્રોના SEZ ની હરોળમાં સ્‍થાન પ્રાપ્ત કરવાની ક્ષમતા દહેજ- SEZ એ પુરવાર કરી છે. ‘‘ટોપ-રપ વર્લ્‍ડ SEZ ''ના ઉત્તમ પેરામીટર્સની કસોટીમાંથી પાર ઉતરીને દહેજ SEZ દ્વારા ગુજરાતની વાયબ્રન્‍ટ ઇકોનોમી, શૂન્‍ય સપાટીએ પહોંચેલા માનવદિન નુકશાનની સિદ્ધિ, ઊર્જા શક્‍તિની કાર્યક્ષમતા અને રાજ્‍ય સરકારના નીતિ નિર્ધારણ પ્રશાસનની દુનિયાને પ્રતીતિ થઇ છે.

દહેજમાં પેટ્રોલિયમ, કેમિકલ્‍સ એન્‍ડ પેટ્રોકેમિકલ્‍સ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રિજીયન (PCPIR) આકાર લઇ રહ્યો છે તેની ભૂમિકા આપતાં મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, ગુજરાત ભારતનું પેટ્રોકેપિટલ બની ગયું છે અને ફાર્માસ્‍યુટીકલ્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ ક્ષેત્રે પણ ભારતનું અગ્રીમ રાજ્‍ય બનવાની પ્રતિષ્‍ઠા મેળવી શકયું છે તે સંદર્ભમાં દહેજ- PCPIR અને દહેજ- SEZ ભારતના અર્થતંત્રનો મજબૂત આધારસ્‍થંભ ધરાવે છે.

મુખ્‍ય મંત્રીશ્રીએ ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠે સામૂદ્રિક વિશ્વ વ્‍યાપારના બંદર આધારિત નવા ગ્રોથ સેન્‍ટર વિકસી રહ્યા છે તેની રૂપરેખા આપતાં એમ પણ જણાવ્‍યું કે, ગુજરાત સરકારે ઔદ્યોગિક અને માળખાકીય સુવિધા વિકાસમાં પર્યાવરણની સુરક્ષાને પણ પ્રાધાન્‍ય આપ્‍યું છે.

સમગ્ર વિશ્વ ગ્‍લોબલ વોર્મિંગના સંકટની સામે ચિંતાતુર છે ત્‍યારે ભોગવાદી જીવનશૈલીના કારણે પ્રકૃતિનું શોષણ નહીં પરંતુ પ્રકૃતિનું દોહન કરીને અને કુદરતી સંસાધનોના સુવિચારિત ઉપયોગ માટે આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ કરીને ગુજરાત વિકાસમાં પર્યાવરણની જાળવણી સાથે સુખ-સુવિધામાં ઓટ ના આવે તેવા અભિગમથી માત્ર ‘‘ડેવલપમેન્‍ટ ગ્રોથ'' નહીં પણ ગ્રીન ગ્રોથ ટેકનોલોજી અપનાવી રહ્યું છે.

ગુજરાતમાં ૧૪ જેટલા વિવિધ SIR (સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રિઝીયન) આકાર લઇ રહ્યા છે અને અનેક વિશ્વકક્ષાની કંપનીઓના મૂડીરોકાણ તથા પ્રોજેકટ આવી રહ્યા છે ત્‍યારે ગ્રીન ટેકનોલોજી અને ગ્રીન એનર્જી સેવિંગની દિશામાં ગુજરાતે અનેક ઇકોફ્રેન્‍ડલી એનવાયર્નમેન્‍ટના આયામો અપનાવ્‍યા છે.

મુખ્‍ય મંત્રીશ્રીએ આ સંદર્ભમાં ડેન્‍માર્કની રોકવુલ ગ્રૃપ કંપનીના આ એનર્જી એફિસીયન્‍ટ ઇન્‍સ્‍યુલેશન પ્‍લાન્‍ટને ગ્રીન કન્‍સ્‍ટ્રકશન ટેકનોલોજીના ઇકોફ્રેન્‍ડલી ઇન્‍ડસ્‍ટ્રીયલ યુનિટ તરીકે આવકારતાં જણાવ્‍યું કે, ગુજરાતે ઊર્જા સંરક્ષણ ક્ષેત્રે બિન પરંપરાગત ઊર્જાષાોતો અને વિશેષ કરીને સૌરઊર્જા, પવનઊર્જા તથા બાયોમાસ એનર્જીના વિકાસ માટેની ઉત્તમ પ્રોત્‍સાહક નીતિઓ અમલમાં મુકી છે અને વિશ્વનો સૌથી મોટો સોલાર એનર્જી પાર્ક પણ ગુજરાતની ધરતી ઉપર આકાર લઇ રહ્યો છે.

મુખ્‍ય મંત્રીશ્રીએ ગુજરાતના દરિયાકાંઠા ઉપરના ઔદ્યોગિક અને માળખાકીય વિકાસની અસીમ સંભાવનાનો ઉલ્લેખ કરી ઉદ્યોગો માટે પાણીની આવશ્‍યકતાની પૂર્તિ કરવા સૂર્યઊર્જા અને પવનઊર્જા શક્‍તિ આધારિત દરિયાના પાણીમાંથી મીઠા પાણી રૂપાંતરના સી-વોટર ડિસેલીનેશન પ્‍લાન્‍ટ સ્‍થાપવાની પ્રોત્‍સાહક નીતિનો પણ નિર્દેશ આપ્‍યો હતો અને જણાવ્‍યું હતું કે, ગુજરાત સરકાર સી-વોટર ડિસેલીનેશન પ્‍લાન્‍ટ સોલાર એન્‍ડ વિન્‍ડ એનર્જીના માધ્‍યમથી સ્‍થાપવા માટેની દિશામાં પહેલ કરવા ઇચ્‍છે છે.

ગુજરાતમાં ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો અને તાપી જિલ્લો સહિત જયાં વિપુલ કેળાની ખેતીનું ઉત્‍પાદન થઇ રહ્યું છે તેવા વિસ્‍તારોમાં કેળાની ખેતી પછી કેળના થડ અને રેસાના વેસ્‍ટમાંથી કાગળ અને કાપડ બનાવવાના સફળ સંશોધનો નવસારી કૃષિ યુનિવર્સિટીએ કર્યા છે તેને કોમર્શીયલ સેકટરમાં લઇ જઇ કેળના થડ અને રેસામાંથી કાપડ તથા કાગળ ઉત્‍પાદનના ઔદ્યોગિક એકમો સ્‍થાપવાની નવી ક્ષિતિજો આકાર લઇ રહી છે અને ખેડૂત કેળાના ઉત્‍પાદકોને પણ મૂલ્‍યવર્ધિત ખેતપેદાશ રૂપાંતર પ્રક્રિયાના ઔદ્યોગિક એકમો થકી આર્થિક ફાયદો થશે એ દિવસો દૂર નથી એમ તેમણે જણાવ્‍યું હતું.

ગુજરાતનો વિકાસ આજે દુનિયામાં ચર્ચાનો વિષય છે અને વિશ્વની અનેક અગ્રગણ્‍ય કંપનીઓ તથા વિકસીત દેશો ગુજરાતમાં ભાગીદાર બનવા આવી રહ્યા છે તેનું કારણ ગુજરાત સરકારની નીતિઓ અને પારદર્શક વહીવટ, સક્ષમ શ્રમયોગી-લેબર ફોર્સ એન્‍ડ લેબર રિલેશન્‍સ, ઉત્તમ પ્રકારનું માળખાકીય સુવિધા નેટવર્ક તથા દીર્ઘદ્રષ્‍ટિભર્યું વિકાસ આયોજન અને સુચારું અમલીકરણ પરિણામલક્ષી બન્‍યું છે, તેમ તેમણે જણાવ્‍યું હતું.

આજથી બસો વર્ષ પહેલાં ગુજરાતીઓએ નાના નાવડામાં સાહસિકતાના બળ ઉપર દરિયાપાર જઇને વિશ્વને પોતાનું ઘર બનાવ્‍યું હતું. હવે ર૧મી સદીમાં એવો યુગ આવી રહ્યો છે કે વિશ્વ આખું ગુજરાતને પોતાનું ઘર બનાવશે. આપણું આ સપનું છે અને આજે જયારે વિશ્વભરની અગ્રગણ્‍ય સરકારો તથા ઉદ્યોગો ગુજરાતમાં આવવા તત્‍પર બન્‍યા છે ત્‍યારે ગુજરાતની ધરતી ઉપર તેને સાકાર કરવા, ગુજરાતના લાખો યુવાનોને રોજગારીની તકો મળે અને છેવાડાના સામાન્‍ય માનવીને વિકાસના લાભો મળે તે દિશામાં આ સરકાર વિકાસનો મંત્ર લઇને આગળ વધી રહી છે, એમ પણ મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

ડેન્‍માર્કના રાજદૂત શ્રીયુત ફ્રેડી સ્‍વેન (Mr. FREDDY SWANE) ગુજરાતની તેમની આ પ્રથમ મુલાકાતની ફલશ્રૃતિરૂપે રાજ્‍ય સરકારની પ્રોત્‍સાહક નીતિઓ અને કુશળ પ્રશાસનની પ્રસંશા કરી જણાવ્‍યું કે, ડેન્‍માર્ક ગુજરાતમાં ભાગીદારીના ક્ષેત્રો વિકસાવવા આતુર છે. ગુજરાતનું વિકાસ વિઝન અને વાયબ્રન્‍ટ ગવર્નન્‍સ જોતા ગુજરાત સાતત્‍યપૂર્ણ પ્રગતિનું અનેરૂં દ્રષ્‍ટાંત પુરું પાડે છે.

રોકવુલ ગ્રૃપના ચેરમેન શ્રીયુત પિટર હાડેમેકર (Mr. Pete Hoedemaker) અને અને ગ્રૃપ સીઇઓ શ્રીયુત ઇલકો વાન હીલ (Mr. EELCO VAN Heel) રોકવુલ ગ્રૃપ દ્વારા આ પ્રોજેકટામાં રર.૭ મીલીયન યુરોડોલરના રોકાણથી ઇકોફ્રેન્‍ડલી ઇન્‍સ્‍યુલેશન પ્રોડકશનની વિશેષતા જણાવી હતી. વાર્ષિક ૩૦,૦૦૦ ટન ઇન્‍સ્‍યુલેશન પ્રોડકટની ક્ષમતા ધરાવતા આ પ્‍લાન્‍ટથી એક અબજ ટન કાર્બન ડાયોકસાઇટ (CO2)ની બચત થશે.

આ પ્રસંગે રાજ્‍ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, સંસદસભ્‍ય શ્રી ભરતસિંહ પરમાર, ધારાસભ્‍યશ્રી અને ઉદ્યોગકારો સહિત આમંત્રિતો ઉપસ્‍થિત રહ્યા હતા.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi urges people to take 9 pledges on health, saving water, others

Media Coverage

PM Modi urges people to take 9 pledges on health, saving water, others
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 એપ્રિલ 2026
April 16, 2026

From Bullet Trains to Billion-Dollar Apple Exports: How PM Modi is Scripting India’s Golden Chapter