મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના આધુનિક વિકાસના રરપ સશકત આધારસ્થંભ તરીકે પ્રત્યેક તાલુકામાં વિકાસની ઉત્તમ સ્પર્ધા કરવા ટીમ-તાલુકાને આહ્્વાન કર્યું છે.
‘આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો'ના મહત્વાકાંક્ષી કાર્યક્રમ માટેના ત્રણ સામૂહિક ચિન્તનના ક્ષેત્રીય સેમિનારો મુખ્યમંત્રીશ્રીના પ્રેરક માર્ગદર્શનમાં સંપન્ન થયા હતા. આજે વડોદરામાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના ATVT ક્ષેત્રીય સેમિનારમાં ૬૦૦ જેટલા તાલુકા અધિકારીઓને સંબોધતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જો ર૬ જિલ્લાઓના આધારસ્થંભ ઉપર ગુજરાત વિકાસની આટલી ઊંચાઇને આંબી શકયું હોય તો રરપ તાલુકાના સક્ષમ આધારસ્થંભ ઉપર ગુજરાત દેશને દિશાસૂચક એવી ઊંચાઇની શિરમોર સફળતા પાર પાડશે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યેક તાલુકામાં વિકાસ માટેની તમામ શકિતઓને સામૂહિક તાકાત તરીકે કાર્યરત કરવા અને વિકાસનું વિઝન તાલુકામાં જ ઉભૂં કરવાનું પ્રેરક નેતૃત્વ પ્રદર્શિત કરવાનો તાલુકા અધિકારીઓને અનુરોધ કરતા જણાવ્યું કે દરેક તાલુકાના વિકાસના ભાગ્યનિયંતા તરીકે તાલુકાના ક્ષેત્રીય અધિકારીઓ સફળ થશે તેવો તેમને પૂરો વિશ્વાસ છે, કારણ કે તાલુકા ગરીબ કલ્યાણ મેળાની અદ્દભૂત સફળતા આ તાલુકા ટીમની ક્ષમતાને જ આભારી છે.
મુખ્યમંત્રીશ્રીએ તાલુકા વહીવટમાં ગુણાત્મક બદલાવ લાવવા માટે બ્રિટીશ પ્રશાસકીય વ્યવસ્થાની જૂની માનસિકતામાં પરિવર્તન લાવવા અને સંસાધનોની વિપુલતાની બદલાયેલી સ્થિતિને કેન્દ્રસ્થાને રાખી વિકાસ માટેના સામૂહિક ચિન્તનની નવી દિશા અપનાવવા માર્ગદર્શન આપ્યું હતું. ર૦૦૧ પહેલાં ગુજરાતમાં સંસાધનો અને નાણાંકીય અભાવની સ્થિતિ પ્રવર્તતી હતી અને તાલુકાસ્તરે સરકારી કાર્યક્રમોના અમલના લક્ષ્યાંકોની પૂર્તિ જ કેન્દ્રસ્થાને હતી, પરંતુ હવે સ્થિતિ સદંતર બદલાઇ ગઇ છે. રાજકીય શાસનની સ્થિરતા, વહીવટીતંત્રમાં નીતિનું સાતત્ય, પ્રજામાનસમાં સહયોગનું સાનુકુળ વાતાવરણ આ બધાનો ઉત્તમ વિનિયોગ જોતા પ્રત્યેક તાલુકો સમસ્યામાંથી મૂકત થવા અને તાલુકાના વિકાસની નવી ક્ષિતિજો સર કરવા પ્રવૃત બને એવી સર્વોત્તમ પરિસ્થિતિનો સીધો લાભ તાલુકાતંત્રને મળી રહેવાનો છે.
આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો કાર્યક્રમ સફળ થશે તો આગામી બે વર્ષમાં અનેક તાલુકા વિકાસથી વાઇબ્રન્ટ બની જશે અને હિન્દુસ્તાનને વિકેન્દ્રીત તાલુકા વિકાસનું સક્ષમ મોડેલ ગુજરાત પુરૂં પાડશે. આ માટે તાલુકા ટીમ નિર્ણાયક બને અને દ્રષ્ટિવંત આયોજન કરે એમ તેમણે પ્રેરણા પૂરી પાડતા જણાવ્યું હતું.
ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ માધ્યમ દ્વારા વડોદરાના ક્ષેત્રીય સેમિનારમાં તાલુકા અધિકારીઓને મુખ્યમંત્રીશ્રીએ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી એ. કે. શર્મા ઉપસ્થિત હતા.


