ગૃહ રાજ્ય મંત્રીશ્રી અમીતભાઇ શાહે ગુજકોક કાયદાને મંજૂરી આપવાના બદલે ગુજરાત સરકારને કેન્દ્ર દ્વારા સૂચિત સુધારા કરવા માટે, પરત મોકલી આપવાના યુપીએ સરકારના નિર્ણયને “વોટબેન્કની રાજનીતિ”ના રાજકીય ઇરાદા પ્રેરિત ગણાવ્યો છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષાના વ્યાપક હિતમાં, ગુજકોકના કાનૂન અંગે કોંગ્રેસે તેનો રાજકીય પૂર્વગ્રહ છોડી દેવાની જરૂર છે. વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી શકિતસિંહ ગોહિલે, તત્કાલિન કેન્દ્રીય ગૃહમંત્રી એલ. કે. અડવાણીએ આ કાયદાનો વિરોધ કર્યો હોવાના કરેલા દાવાને પણ ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ હળહળતું જૂઠાણું ગણાવીને વોટબેન્કની રાજનીતિને ત્રાસવાદ અને આતંકવાદ જેવા રાષ્ટ્રીય સુરક્ષાના ગંભીરત્તમ વિષયથી સદંતર દૂર રાખવાની ચેતવણી આપી હતી.

ગુજરાત વિપક્ષ નેતાના રાજકીય આક્ષેપોને પડકારતા શ્રી અમીતભાઇ શાહે જણાવ્યું કે શ્રી એલ. કે. અડવાણીએ કાયદાનો વિરોધ કર્યો તેનું તદ્‍ન પાયા વગરનું રાજકીય અવલોકન કરીને કોંગ્રેસ, પ્રજાને ગેરમાર્ગે દોરવા ઉત્સુક છે પરંતુ પાંચ-પાંચ વર્ષ સુધી આ “ગુજકોક”ના કાયદાને યુપીએ સરકારે અનિર્ણાયક સ્થિતિમાં રાખ્યો અને હવે જ્યારે ગુજકોકના કાનૂનને કોઇ જ હિસાબે અટકાવી શકાય તેમ નથી તેવું સમજાઇ જતા, નાછૂટકે ભ્રામક અર્થધટન કરીને ગુજરાત સરકારને પરત મોકલવા પાછળનો રાજકીય ઇરાદો સ્વયંસ્પષ્ટ દેખાય છે. વાસ્તવમાં, ગુજરાતના સંસદ સભ્યોનું પ્રતિનિધિમંડળ એપ્રિલ-૦૮માં ગુજકોક કાનૂનને મંજૂર કરવા વડાપ્રધાનશ્રીને મળ્યું હતું તેનું નેતૃત્વ શ્રી એલ. કે. અડવાણીએ જ લીધું હતું.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ એ હકિકતનો નિર્દેશ કરતા જણાવ્યું કે વિધાનસભાએ ગુજરાત સંગઠ્ઠિત ગૂનાનિયંત્રણ વિધયેક ર૦૦૩માં પસાર કર્યું અને ૧લી એપ્રિલ ર૦૦૩ના રોજ રાષ્ટ્રપતિશ્રીને મોકલી આપ્યું હતું જેમાં ગૃહ મંત્રાલયે, આ કાનૂનને વધુ સુદ્રઢ બનાવવા માટે, તેની કલમો ૧૪ થી ૧૬ રદ કરવા સૂચવેલું તે પ્રમાણેના સુધારા કરીને, બીજી જૂન-ર૦૦૪ રોજ સુધારેલું વિધેયક વિધાનસભામાં પસાર થયું હતું જે ૧૯મી જૂન ર૦૦૪ના રોજ રાષ્ટ્રપતિશ્રીને મોકલી આપ્યું હતું.

ગુજકોકનો આ કાયદો, મહારાષ્ટ્ર સરકારે સંવૈધાનિક અધિકારોનો ઉપયોગ કરીને જે મકોકા કાનૂન બનાવ્યો તેના આધારે જ તૈયાર થયેલ છે. રાષ્ટ્રીય સલામતીની દ્રષ્ટિએ “પોટા”નો કાયદો આતંકવાદ સામે કાનૂની પીઠબળ તરીકે અલગ અસ્તિત્વમાં હતો જ પરંતુ યુપીએ સરકારે ર૦૦૪માં કેન્દ્રમાં સત્તા હાથમાં આવ્યા પછી પોટાનો કાયદો જ રદ કરી દીધો હતો. આથી જ મહારાષ્ટ્રના મકોકોની જેમ ગુજરાત સરકારે ગુજકોક કાયદો બનાવ્યો છે. આ ભૂમિકા જોતા એ હકિકત પણ સ્વયંસ્પષ્ટ થાય છે કે ગુજકોક કાયદો, સંગઠ્ઠિત ગૂના નિયંત્રણ માટેનો હોવા છતાં તેની તમામ જોગવાઇઓ આતંકવાદને નાથવામાં સક્ષમ છે અને જ્યારે “પોટા” રદ કરવામાં આવ્યો તેના કારણે, મહારાષ્ટ્રએ મકોકા બનાવ્યો તેમ તેને જ અનુસરીને, ગુજરાતે ગુજકોકના કાનૂન તૈયાર કર્યો જે આતંકવાદ સામે લડવા માટેનું યોગ્ય કાનૂની પીઠબળ છે જ.

વિપક્ષના નેતાશ્રી આમછતાં આ હકિકતને છાવરીને, રાજકીય આક્ષેપો કરે તે કમનસિબ છે. શ્રી અમીતભાઇ શાહે એમ પણ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જે બે કલમો સુધારવા માટે સૂચવ્યું છે તેનાથી ગુજકોકનો આતંકવાદ અને સંગઠ્ઠિત ગૂનેગારો સામે કડક કાયદાનો હેતુ જ માર્યો જાય છે. કેન્દ્ર સરકારે ગુજકોકની કલમ ૧૬(૧)માં કરેલી જોગવાઇ રદ કરવાનું જણાવ્યું છે પરંતુ પોલીસ અધિક્ષક (એસ.પી.) અથવા તેનાથી ઉપરી અધિકારી સમક્ષ કરેલ નિવેદનને પૂરાવામાં ગ્રાહ્ય રાખવાની જોગવાઇ ગુજકોકમાં કરવામાં આવી છે તે દુર કરવામાં આવશે તો આતંકવાદ અને સંગઠીત ગૂનાના આરોપીઓને સજા અપાવવી અશકય બનશે એટલું જ નહીં, બીજા ગુનેગારોને પણ ગુનાહિત કાવતરાંમાં કે આતંકવાદમાં પકડવા કે સજા અપાવવાનું મુશ્કેલ બનશે, જ્યારે ગુજકોકની કલમ ર૦(ર) (બી) અન્વયે ગુજરાત સરકારે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાની મુદત ૯૦ થી ૧૮૦ દિવસ કરી છે તે પણ યોગ્ય છે અને આ સમયમર્યાદા ન્યાય અદાલતની મંજૂરીથી જ વધારી શકાશે તેવી જોગવાઇ કરવામાં આવેલી છે. ગુજકોકની કલમ ર૦(૪)(બી)ની જોગવાઇ અનુસાર ગૂનેગારોની જામીન અરજી કોર્ટમાં આવે ત્યારે કોર્ટે સરકારી વકીલને સાંભળ્યા વગર જો આરોપીને છોડવો હોય તો તેના વિગતવાર કારણો આપ્યા સિવાય જામીન ઉપર છોડી શકશે નહીં.

ગુજકોકની આ જોગવાઇ સુધારવામાં આવે તો આતંકવાદના ભયંકર ગુનેગારો અદાલતમાં સહેલાઇથી જામીન મેળવી લેશે. વિશેષમાં જે ત્રણ વાંધાઓ કેન્દ્ર સરકારે દર્શાવ્યા છે તે તમામ કલમો મહારાષ્ટ્ર સરકારના "મકોકા'ની કલમ અનુસાર છે અને મકોકાને મંજૂર કરતાં કેન્દ્ર સરકારે આ અંગે કોઇ વાંધો નથી લીધો. ખરેખર તો કેન્દ્રના નવા અનલોફૂલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એમેન્ડમેન્ટ એકટ-ર૦૦૮ની જોગવાઇઓને સુસંગત છે બલ્કે વધુ અર્થપૂર્ણ પણ છે. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ “ગુજકોક” અંગે કોંગ્રેસને પોતાનો રાજકીય પૂર્વગ્રહ છોડીદેવાનો અનુરોધ કરતા જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદને ડામવાના કાનૂન અંગે ત્રણ-ત્રણ વાર વિધાનસભા જેવી સર્વોચ્ચ જનપ્રતિનિધિ સંવૈધાનિક સંસ્થાએ ગુજકોક પૂરી વિચારણા પછી પસાર કર્યું હોય ત્યારે આ “ગુજકોક” વિશે માત્ર રાજકીય દ્વેષભાવથી વિરોધ કરવો ઉચિત નથી.

કેન્દ્રની યુપીએ સરકારને નવો જનાદેશ મળ્યો છે તેમાં રાષ્ટ્રીય સલામતી અને આતંકવાદને નાબૂદ કરવા માટે જનસમસ્તની લાગણી પણ અભિપ્રેત છે જ જેને કોંગ્રેસે લક્ષમાં લેવી જોઇએ અને ગુજકોક જેવા કાનૂનને આવકારવાની રાજકીય ઇચ્છાશકિતની પ્રતિતી કરાવવી જોઇએ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Wed in India’ Initiative Fuels The Rise Of NRI And Expat Destination Weddings In India

Media Coverage

'Wed in India’ Initiative Fuels The Rise Of NRI And Expat Destination Weddings In India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 ડિસેમ્બર 2025
December 15, 2025

Visionary Leadership: PM Modi's Era of Railways, AI, and Cultural Renaissance