પ્રિય મિત્રો,

થોડા સપ્તાહ પૂર્વે હું અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદઘાટન માટે ગયો હતો. અદ્ભુત સાબરમતી નદીના કિનારે અમે સાંસ્કૃતિક વૈવિધ્યતાનો અનુભવ કર્યો અને વિવિધ દેશોના સ્પર્ધકોને આવકાર્યા હતા. જોકે, થોડા વર્ષો પહેલા આ ચિત્ર કંઈક અલગ હતું. રિવરફ્રન્ટની મારી મુલાકાતથી હું જુની યાદોમાં સરી પડ્યો. જે સમયે સાબરમતી નદીના પટમાં પાણી સિવાય બધું હતું. અહીં યુવાનો ક્રિકેટ રમતાં અને સર્કસ યોજાતાં હતા.

છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન સાબરમતી નદી અને તેની આસપાસના વિસ્તારોમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આજે નદી બારેમાસ પાણીથી છલોછલ રહે છે અને તેની આસપાસ સર્જાતા મનોરંજક જીવંત માહોલના કારણે લોકો આ વિસ્તાર તરફ ખેંચાઈ આવે છે. આજે, રિવરફ્રન્ટના બાંધકામના કારણે અહીં પાણીનું સ્તર વધ્યું છે અને વરસાદના કારણે થતાં રોગોનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે. પાણીના સ્તરમાં વધારાના કારણે વિજળીના દરો ઘટ્યા છે. રિવરફ્રન્ટની શ્રેષ્ઠ કામગીરી બદલ ઘણાં આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓએ ગુજરાત સરકારને અભિનંદન પાઠવતા પત્રો મને લખ્યા છે. ઉલ્લેખનિય છે કે રિવરફ્રન્ટને સૌથી નવીનતમ પ્રોજેક્ટ્સમાં પણ સ્થાન મળ્યું છે.

ગુજરાત: આપણા શહેરોમાં વૈશ્વિક સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં

રિવરફ્રન્ટ એ ગુજરાતના શહેરોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની અમારી પ્રતિબદ્ધતાની એક ઓળખ છે. હકીકત એ છે કે સારી માળખાગત સુવિધાઓને કારણે શહેરીકરણ વધ્યું છે અને લોકો અહીં સ્થાયી થઇ રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો અમદાવાદ તરફ આકર્ષાઇ રહ્યાં છે. ભારતમાં ગુજરાત સૌથી વધુ અર્બનાઇઝ્ડ રાજ્ય છે. રાજ્યની 42 ટકા જનતા નગર અને શહેરોમાં વસે છે અને અમારી શહેરી વસતીનો એક દશકાનો વૃદ્ધિદર 35.8 ટકા રહ્યો છે. અમને ખબર છે કે ઝડપી શહેરીકરણની સાથે-સાથે ઘણાં પડકારો પણ સર્જાઇ રહ્યાં છે.

નગર અને શહેરોના માળખાની ભારે કસોટી થઇ રહી છે. વસતી અને ટ્રાફિકની સમસ્યાઓ સહિતના ઘણાં મોટા પડકારો સર્જાઇ રહ્યાં છે. જોકે, આપણે શહેરીકરણને સમસ્યાના સ્વરૂપે જોઇશું તો આપણે ક્યારેય આ પડકારોને પાર કરી શકીશું નહીં. આપણે શહેરીકરણના પડકારનો ઉકેલ લાવવો પડશે, નહીં કે તેની સામે લડવું, આમ કરવાથી જ આપણે પડકારોને પાર પાડી શકીશું. ગુજરાતે જે કર્યું છે તે વિસ્તારપૂર્વક આપને જણાવતા મને ખુશી થાય છે. શહેરીકરણની સમસ્યાનો હલ લાવવા માટે ગુજરાતના વલણ અંગે હું વિશ્વાસ અને ગૌરવથી કહી શકીશ કારણકે માત્ર થોડાં લોકોને જ વિકાસનું ફળ નહીં મળે, પરંતુ દરેક વ્યક્તિ સુધી વિકાસના ફળ પહોંચશે. નવીનીકરણ અને માળખાગત અને સંસ્થાકીય વલણ અપનાવીને અમે શહેરીકરણના વિશાળ પડકારને લોકો માટે અર્થસભર તકમાં ફેરવી દીધો છે. મને યાદ છે કે જ્યારે મેં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં ત્યારે શહેરી વિકાસ માટે માત્ર રૂ. 200 કરોડથી પણ ઓછો ખર્ચ કરવામાં આવતો હતો.

આજે, અંદાજપત્રિય આયોજનમાં શહેરી વિકાસ માટે રૂ. 5670 કરોડની જોગવાઇ કરવામાં આવે છે, જે 25 ગણો વધારો સૂચવે છે. સાકલ્યવાદી અભિગમ સાથે રાજ્ય સરકારે વર્ષ 2009માં સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના (એસજેએમએમએસવીવાય)ની રજૂઆત કરી હતી. નોંધનીય છે કે આ પહેલ ગુજરાતના 8 શહેરો અને 159 નગરપાલિકાઓના વિકાસની જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને મોટા શહેરોમાં ઉપલબ્ધ સેવાઓને તેમના ઘર આંગણે ઉપલબ્ધ કરાવે છે. રાજ્ય સરકાર દ્વારા આ યોજનાને સંપૂર્ણ રીતે ભંડોળ પુરું પાડવામાં આવે છે.શરૂઆતમાં રૂ. 7000 કરોડના બજેટ સાથે શરૂ કરાયેલી આ યોજના માટે ભંડોળની જોગવાઇ નોંધપાત્ર વધીને રૂ. 15,000 કરોડ કરવામાં આવી છે.

પરિવહન અને શહેરી ગતિવિધિ માટેના તમામ પાસાઓનું મજબૂતીકરણ

શહેરીજીવનમાં આપણે રોજ રોડનો ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર આપણા મનમાં શહેરની પહેલી છાપ તેના રોડની ગુણવત્તા અને ટ્રાફિક જેવા પરિબળોથી ઉપસી આવે છે. વસતી અને વાહનોની સંખ્યા વધવા સાથે રોડ ખુબજ સારી ગુણવત્તાયુક્ત તૈયાર કરવામાં આવ્યાં છે. ટ્રાફિક જામ થવાની સમસ્યાઓ અંગે ફરિયાદ કરવું ખુબજ સરળ છે, પરંતુ આ સમસ્યાનો હલ લાવવા કંઇક કરવાનું આપણામાંથી કેટલાં લોકોએ વિચાર્યું છે? આર્થિક વિકાસ માટે શહેરી પરિવહન ખુબજ મહત્વપૂર્ણ માધ્યમ છે અને સરકારે શહેરી વસતીમાં સતત વધારાને ધ્યાનમાં રાખીને સારા રોડને પ્રાથમિકતા આપી છે.

ગુજરાતમાં અમે સંખ્યાબંધ ફ્લાયઓવરનું નિર્માણ કર્યું છે, જેના કારણે અમારા શહેરોના ગીચ વિસ્તારોમાં ટ્રાફિકની અવરજવર સરળ બની છે. સુરતે 'ફ્લાયઓવર સીટી ઓફ ગુજરાત' તરીકે ઓળખ પ્રાપ્ત કરી છે કારણકે અહીં ટ્રાફિકની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં ફ્લાયઓવરનાનિર્માણથી સમસ્યાનો ઉકેલ આવ્યો છે. અમદાવાદમાં ઘણાં ફ્લાયઓવર અને અન્ડરપાસથી ટ્રાફિકની સ્થિતિમાં અમે નોંધપાત્ર સુધારો લાવ્યાં છીએ.

ઉપરોક્ત દર્શાવેલા પ્રયાસો ઉપરાંત શહેરી પરિવહન માળખાને મજબૂત બનાવવા માટે અમે કોઇપણ કચાશ રાખી નથી. જ્યારે તમે અમદાવાદમાં સફર કરશો તો ખુબજ પ્રશંસા પ્રાપ્ત કરેલા જનમાર્ગ- બીઆરટીએસની નોંધ તમે ચોક્કસપણે લેશો. સુરત અને રાજકોટમાં પણ હાલ આ પ્રોજેક્ટ કાર્યરત છે.અમે મલ્ટી-મોડલ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (એમએટીએ)ની રચના કરી છે, જેથી સુરક્ષિત, પોષાય તેવા, સગવડભર્યા અને વિશ્વસનીય શહેરી પરિવહનને પ્રોત્સાહન આપવા માટે રોડમેપ તૈયાર કરી શકાય.

ગુજરાતના શહેરોમાં નવીન રિક્ષા સેવા! 

મોટા શહેરોની મુલાકાત વખતે તમે 'રેડિયો ટેક્સી', 'કોલ અ કેબ; અંગે સાંભળ્યું હશે, પરંતુ ક્યારેય તમે એની ટાઇ રિક્ષા સર્વિસ અંગે સાંભળ્યું છે? ગુજરાત સ્થિત એક ફાઉન્ડેશનની પહેલ દ્વારા રિક્ષા ડ્રાઇવર્સનું એક જૂથ એક છત નીચે આવ્યું છે અને જી-ઓટોનું ગઠન કરવામાં આવ્યું છે, જે ચોવીસ કલાક વિશ્વાસપાત્ર રિક્ષા સેવા ઉપલબ્ધ કરાવે છે. આ જી-ઓટોમાં સેવા ખુબજ અદભુત છે. જ્યારે તમે રિક્ષામાં બેસશો ત્યારે ડ્રાઇવર તમને પાણીની બોટલ અને સમાચારપત્રો ઓફર કરશે. હાલમાં આ સેવા અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં ઉપલબ્દ છે અને આગામી વર્ષોમાં તે રાજ્યના અન્ય હિસ્સાઓમાં વિસ્તારવામાં આવશે. આ પ્રકારની પહેલ સગવડયુક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવા સાથે મૈત્રીપૂર્ણ પરિવહનના વિકલ્પ પણ પુરાં પાડે છે!

પર્યાપ્ત શહેરી આવાસના પડકારોને પાર પાડવા

મોટી સંખ્યામાં લોકો શહેરો તરફ આકર્ષાઇ રહ્યાં છે ત્યારે આવાસની પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ કરાવવી વધુ એક પડકાર છે. સરકાર તરીકે અમારી ફરજ છે કે લોકોના માથે છત હોય. ઘર એ માત્ર ચાર દિવાલથી નથી બનતું, પરંતુ એવું સ્થળ હોવું જોઇએ કે ત્યાં રહી શકાય. રાજ્યભરમાં શહેરી આવાસની સુવિધાને મજબૂત બનાવવા માટે અમે ઘણાં પગલાં ભર્યાં છે.

ગુજરાતને ઝુંપડપટ્ટી મુક્ત બનાવવા માટે અમે 25 લાખ જેટલાં કાચા ઘરોને પાકા ઘરોમાં ફેરવવા માટેનો સર્વે પહેલેથી જ પૂર્ણ કરી લીધો છે. અગાઉની સરકારોએ 40 વર્ષમાં 10 લાખ ઘરોનું બાંધકામ કર્યું હતું અને તેની સામે અમે માત્ર એક જ દશકામાં 22 લાખ ઘરોનું બાંધકામ કર્યું છે અને ગુજરાતમાં ગરીબોને આનો લાભ મળ્યો છે. આગામી વર્ષોમાં અમે શહેરી આવાસના પડકારને પાર પાડવા માટેની પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરીશું.

1+1: ટ્વીન-સીટી મોડલને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના પ્રયાસો

અમે અમદાવાદને ચમકતું જોવા માગીએ છીએ, પરંતુ અમદાવાદ સાથે ગાંધીનગર પણ ચમકે તેમ અમે ઇચ્છીએ છીએ. એકબીજાની નજીક આવેલા બે શહેરોને વિકાસ માટેની સરખી તક શા માટે ન મળવી જોઇએ? આથી અમે ટ્વીન સીટી મોડલ રજૂ કર્યું છે. ગુજરાત સક્રિયપણે અમદાવાદ-ગાંધીનગર, સુરેન્દ્રનગર-વઢવાણ, સુરત-નવરાસી, વડોદર-હાલોલ, ભરૂચ-અંક્લેશ્વર અને મોરબી-વાંકાનેર ટ્વીન સીટી પર કામ કરી રહ્યું છે. શ્રેષ્ઠ શહેરોની રચનાની દિશામાં ગુજરાતની પહેલને ટ્વીન સીટીથી ચોક્સપણે લાભ મળી રહેશે.

ટ્વીન સીટી સાથે અમે સેટેલાઇટ ટાઉન પણ વિકસિત કરવા જઇ રહ્યાં છીએ અને વિશ્વ સ્તરના શહેરોનું નિર્માણ ગુજરાતને વાઇબ્રન્ટ ભવિષ્ય તરફ દોરી જશે! દિલ્હી જેવા શહેરને વિકાસ માટે ઘણો લાંબો સમય લાગ્યો, પરંતુ ધોલેરા દિલ્હી કરતાં બે ગણા, શાંઘાઇ કરતાં છ ગણું મોટું હશે અને આધુનિક માળખાગત સુવિધા બાબતે ઘણું આગળ હશે.

કાંકરિયા લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને સુરતમાં સાયન્સ સેન્ટર જેવાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સથી શહેરી જનતાને લાભ મળી રહેશે. તમને જાણીને આનંદ થશે કે શહેરી વિકાસના વિવિધ પ્રયાસોએ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન 50 કરતા વધુ એવોર્ડ જીત્યાં છે.ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર પાસેથી ઉપલબ્ધ વિગતો અનુસાર જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મીશન (જેએનયુઆરએમ) પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે.

રુર્બનાઇઝેશન - આત્મા ગામની, સુવિધા શહેરની

અમે શહેરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પરંતુ ત્યાં અટકીશું નહીં. નાના નગરો અને ગામડાઓમાં સારું માળખું અને સેવાઓ પુરી પાડવાની પણ જરૂર સર્જાઇ છે. રુર્બનાઇઝેશનના અમારા મંત્રથી ગામડાની અનોખી સાંસ્કૃતિક ઓળખ જળવાઇ રહેશે અને તેની સાથે-સાથે શહેર જેવી સુવિધાઓ પણ તેમને મળી રહેશે (આત્મા ગામની, સુવિધા શહેરની) ! આ વર્ષના વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં શહેરીકરણ કેન્દ્ર સ્થાને રહ્યું હતું. સમીટ દરમિયાન હું રુર્બનાઇઝેશન પરની પેનલ ચર્ચામાં ઉપસ્થિત રહ્યો હતું. સમીટ પૂર્ણ થયાં બાદ હું પ્રોફેસર પૌલ રોમરને મળ્યો હતો, જેઓ યુએસએમમાં એનવાયુના સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાં શહેરીકરણના પ્રોજેક્ટને માર્ગદર્શન આપે છે. પ્રોફેસર રોમરે શહેરી વિકાસની દિશામાં ગુજરાતના પગલાંની પ્રશંસા કરી હતી.

રાજકીય ઇચ્છાશક્તિ, અધિકારીઓની શ્રેષ્ઠ ટીમ અને લોકોના સહકારથી ગુજરાત સરકાર અર્બન રિજનરેશન માટે તૈયાર છે, જે નવા વૈશ્વિક સ્તરના શહેરોનું નિર્માણ કરશે અને ગામડાઓમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ભવ્ય અને દિવ્ય ગુજરાત માટે અમારા પ્રયાસોમાં અસરકારક રીતે યોગદાન આપી શકે.

 

નરેન્દ્ર મોદી

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Internet in 82% of govt schools in Odisha: Min tells RS

Media Coverage

Internet in 82% of govt schools in Odisha: Min tells RS
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.