મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબી સામેની લડાઇ માટે રાજ્યના સખીમંડળોના સશકિતકરણ માટે મિશન મંગલમની રૂપરેખા જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં હાલ સવા લાખ સખીમંડળો દ્વારા ૧પ લાખ જેટલી ગરીબ ગ્રામ્ય બહેનો રૂ. ૪૦૦ કરોડનો આર્થિક વહીવટ કરીને ગરીબ કુટુંબોને દેવાં અને વ્યાજખાઉ શોષણખોરોમાંથી છોડાવવા સફળ થઇ છે અને હવે આ સખીમંડળોની બહેનોના હાથમાં જોતજોતામાં રૂ. ૧૦૦૦ કરોડનો વહીવટ આપી દેવાશે અને સને ર૦૧૪ સુધીમાં તો રૂ. પ૦૦૦ કરોડનું ભંડોળ સખીમંડળોની બચત-આર્થિક પ્રવૃત્તિ માટે મળી રહેશે. પચાસ ગરીબ કલ્યાણ મેળાના ગુજરાત વ્યાપી અભિયાનની શ્રેણીમાં ૩૦મો ગરીબ કલ્યાણ મેળો આજે મોરબીમાં યોજાયો હતો. મોરબી, પડધરી, વાંકાનેર માળીયા-મિયાણાં અને ટંકારાના પાંચ તાલુકાઓના કુલ મળીને પ૩૩૩૬ ગરીબ લાભાર્થીઓને આજે રૂ. ૩૦.૪ર કરોડના સાધન-સહાય હાથોહાથ મળી ગયા હતા.

રાજકોટ જિલ્લાના બંને ગરીબ કલ્યાણ મેળા પૂરા થતાં ૧૪ તાલુકાના ૧.૩૦ લાખ ગરીબોના હાથમાં રૂ. ૯૦ કરોડની કુલ રકમ સરકારી સહાયરૂપે મળતાં સમગ્ર જિલ્લાના અર્થતંત્રમાં નવી ચેતના આવી ગઇ છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

વિરાટ જનશકિતનું ખૂલ્લી જીપમાં શમિયાણામાં ફરીને અભિવાદન કર્યા બાદ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગરીબી સામેની લડાઇ જીતવા માટે આ જનશકિતની સમૂહ તાકાત જ સફળ થવાની છે.

‘‘એક પણ વચેટીયા વગર કરોડોની સહાય એક જ દિવસમાં ગરીબોને તેમના હક્કની આપી દીધી છે. ઘરવિહોણા, જમીન વગરના દરિદ્રનારાયણોને છેલ્લા પ૦ વર્ષમાં નથી મળ્યા એટલા પ્લોટ આ પ૦ ગરીબ કલ્યાણ મેળામાં મફત મળી જવાના છે જેની કિંમત તો અબજો રૂપિયામાં થવા જાય છે. જમીનના ટૂકડા માટેના સંઘર્ષમાં પરિવારના લોહીની સગાઇના માથાં વઢાઇ જતા હોય છે, પણ આ સરકારનો ગરીબોને ગામે-ગામ મફત ઘરથાળના પ્લોટો આપીને તેની ગરીબીની દોજખભરી જીંદગીમાં બદલાવ લાવવાનો વિશ્વાસ સર્જ્યો છે અને પોતાના બાળકને ભણાવવા દીકરી-દીકરાને શિક્ષિત કરવાની શકિત મેળવી છે એમ પણ તેમણે જણાવ્યું હતું. લાખો ગરીબોને નિરાશા-હતાશાના વાતાવરણમાંથી બહાર લાવવા માટે ગરીબ કલ્યાણ મેળાએ નવો રસ્તો બતાવ્યો છે” એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે દુષ્કાળના ઓળામાં જીવતા ગુજરાતે કૃષિક્રાંતિ કરીને સાડા નવ ટકાનો કૃષિવિકાસ દર હાંસલ કરીને ગુજરાતની તાકાત બતાવી દીધી છે. મોરબી મચ્છુ હોનારતથી બેઠું થઇ ગયું છે. ભૂકંપના વિનાશમાંથી દોડતું થઇ ગયું છે તો ગરીબીના ખપ્પરમાંથી બહાર આવીને ગરીબીના કલંકમાંથી નીકળીને આશાનો દીપ પ્રગટાવી શકાય છે. આ માટે રપ લાખ ગરીબ કુટુંબોની આંખમાં આંખ મિલાવી તેની આંખમાં ગરીબીના વારસાને ખતમ કરવાના સપના સર્જવાં છે. ગુજરાતના ગરીબોમાં એવું સામર્થ્ય છે જે ગરીબીને દેશવટો આપી શકે છે.

મુખ્યમંત્રીશ્રીએ ગરીબલક્ષી યોજનાઓ અને બજેટો છતાં ગરીબની સ્થિતિમાં સુધાર કેમ નથી આવ્યો તેનું કારણ સમજાવતા જણાવ્યું કે સરકારી તંત્ર કે જનસમાજના હિતચિન્તકોને પણ ગરીબને તેના હક્કનું કઇ રીતે મળે તેની યોજનાની જટીલ પ્રક્રિયા જ સમજમાં નથી હોતી તેનો ગેરલાભ વચેટીયા લેતા રહ્યા છે અને ગરીબોના હક્ક લૂંટતા રહ્યા છે. આ પચાસ વર્ષોથી ચાલતી વચેટીયાની દુકાનો ગરીબ કલ્યાણ મેળાથી એક ઝાટકે બંધ થઇ જવાની છે. હવે ગરીબ લાભાર્થીની કટકી કરનારાની વચેટીયાની જમાતને ધરમૂળથી ઉખાડી ફેંકી દેવી છે. ગરીબોનું શોષણ કરનારા સામે આ સરકારે લાલ આંખ કરી છે. તેમણે ગરીબ લાભાર્થીને એવી અપીલ કરી હતી કે વચેટીયાને કાણી પાઇ પણ પરખાવશો નહીં.

આ કામ જાહેરજીવનમાં બહુ મોટી હિમ્મત માંગી લે છે અને આ બધા ગરીબોનું શોષણ કરનારાની જમાત મને બદનામ કરવા જૂઠાણાના નવા દરવાજા ખોલશે પણ તેની પરવા નથી. ગરીબને મદદ કરીને ગરીબી રેખાથી બહાર લાવવો છે એમ પણ તેમણે જણાવ્યું હતું. માળીયા-મોરબી તાલુકાના અગરિયાની ગરીબી મિટાવવાના નિર્ધારરૂપે મુખ્યમંત્રીશ્રીએ અગરીયા કુટુંબો, મીઠું પકવવા માટે અગરીયા એકમોના મીઠા ઉદ્યોગ પાસેથી વર્ષોથી એડવાન્સ રકમ લેતા રહ્યા છે પરંતુ દેવાના બોજમાં ડૂબતા રહ્યા છે તેવી સ્થિતિનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, આ સરકાર અગરિયા લોકો સાથે સંકલન કરીને અગરિયાને જરૂરી લોન-સહાય અપાવવાની યોજનાનો નિર્દેશ તેમણે આપ્યો હતો.

રાજ્યમાં લાખો ગરીબ કુટુંબો દેવાદાર અને વ્યાજખાઉ લોકોની ચૂંગાલમાંથી બચાવી લેવા, સખીમંડળોના હાથમાં આર્થિક વહીવટ રૂ. ૧૦૦૦ કરોડ સુધી પહોંચાડવા છે. રાજ્યમાં સવા લાખ જેટલા સખીમંડળોની ૧પ લાખ બહેનો અત્યારે પણ બેન્ક ધિરાણ મેળવીને રૂ. ૪૦૦ કરોડનો વહીવટ કરે છે હવે મિશન મંગલમ્ શરૂ કરી આ સખીમંડળોના સશકિતકરણની યોજનાથી રૂ. ૧૦૦૦ કરોડનું ભંડોળ આપવું છે એમ તેમણે જણાવ્યું હતું. તેમણે ર૦૧૪ સુધીમાં સખીમંડળના હાથમાં આર્થિક પ્રવૃત્તિ માટે રૂ. પ૦૦૦ કરોડ ખર્ચ થઇ જાય તેવી નેમ વ્યકત કરી હતી.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ગરીબોને ગરીબીના ખપ્પરમાંથી બહાર આવી શકાય છે તેવા સામર્થ્યની દેશને પ્રતીતિ કરાવવાનું આહ્્વાન આપ્યું હતું. પચાસ જેટલા ગરીબ કલ્યાણ મેળાના અભિયાનમાં રપ લાખ જેટલા ગરીબ કુટુંબોની આંખમાં આંખ પરોવીને તેની આંખમાં ગરીબીમાંથી બહાર નીકળવાનું સપનું સાકાર કરવું છે એવો નિર્ધાર તેમણે આજે મોરબીના ગરીબ કલ્યાણ મેળામાં વ્યકત કર્યો હતો.

ગરીબને માત્ર હક્કનું આપીને મદદ નથી કરવી તેની સાથે ખભેખભો મિલાવી ગરીબી સામે લડવાની તાકાત આપી છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આક્રોશથી જણાવ્યું કે ગરીબી સામે લડવા ગુજરાત સરકાર ખોબલે ખોબલે આપી રહી છે અને મોંઘવારી સુપડે-સુપડે તાણી જાય છે, પરંતુ કેન્દ્રની સરકારની કોઇ સંવેદના જોવા નથી મળતી. મોંઘવારી રોકવા માટે કેન્દ્ર સરકાર ઉદાસિન જ રહી છે પરંતુ આ સરકાર એડી ચોટીનું જોર લગાવી, ગરીબોની પડખે ઉભી રહેવાની છે.

તેમણે ગામે-ગામ લાભાર્થીની યાદી ચોરા ઉપર મૂકી દેવાશે તેની ભૂમિકા આપી હતી અને જણાવ્યું કે ખોટા લાભાર્થીને ગામ જ શોધી લેશે. ખોટું કરવું નથી, ખોટું કરનારાને રોકવા છે એમ સરકારની નિયત વ્યકત કરતાં તેમણે જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રાજકોટ જિલ્લામાં હાંસલ થયેલા વિકાસની ઝાંખી કરાવતી વિકાસવાટીકા પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પ્રકાશન કરાયું છે. પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ દ્વારા આ પુસ્તિકાનું સંપાદન થયું છે.

નાણા મંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળામાં લોકોને હક્ક અને લાભો રૂબરૂમાં જ આપવામાં આવે છે. જો ગરીબોને સમયસર પ્રોત્સાહન અને હૂંફ આપવામાં આવે તો તેઓ ચોક્કસપણે સમાજના મુખ્ય વ્હેણમાં આવી જવાનું સાર્મ્થન પ્રાપ્ત કરે છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. સંસદિય સચિવશ્રી એલ. ટી. રાજાણીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં ગુજરાતના ગરીબ કલ્યાણ મેળાની વાત અને સફળતાની વાતો રાજ્ય બહાર પહોંચી છે. ગરીબ મેળો પારદર્શક આયોજન છે અને ગરીબોને હાથોહાથ સહાય આપવાનું મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું આગવું આયોજન છે, તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી, સંસદ સભ્યશ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી લાભાર્થીઓને સહાય અર્પણ કરી હતી. ધારાસભ્યશ્રી મોહનભાઇ કુંડારિયા તેમજ શ્રી કાન્તીભાઇ અમૃતિયા, શ્રી જશુમતિબેન કોરાટ, શ્રી પ્રવિણભાઇ માંકડીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રી ગોવિંદભાઇ પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક ઉદ્દબોધનો કર્યા હતા.

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી એચ. એસ. પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને ગરીબ કલ્યાણ મેળો કલ્યાણ રાજ્યના હાર્દને સાકાર કરે છે, તેમ જણાવ્યું હતું.

મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને આસપાસના ગામોના લોકો આ ગરીબ કલ્યાણ મેળામાં ઉમટી પડયા હતા અને શમીયાણો હકડેઠઠ ભરાઇ ગયો હતો.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Auto sector reports strong sales momentum; SUVs and exports drive growth across industry

Media Coverage

Auto sector reports strong sales momentum; SUVs and exports drive growth across industry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Haryana meets the Prime Minister
April 02, 2026

Chief Minister of Haryana, Shri Nayab Saini met with the Prime Minister Shri Narendra Modi, today, at New Delhi.

The Prime Minister posted on X;

“Chief Minister of Haryana, Shri @NayabSainiBJP had a meeting with Prime Minister @narendramodi.”

@cmohry