રણોત્સવ : ૨૦૧૧ -- મુખ્યમંત્રીશ્રી કચ્છમાં
રણોત્સવના રંગારંગ પ્રારંભની પૂર્વસન્ધ્યાએ ભૂજમાં કચ્છ કાર્નિવલની શાનદાર પ્રસ્તુતિ
મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદ્દઘાટનઃ
3પ જેટલા કલાવૃન્દોએ સાંસ્કૃતિક કૌશલ્યના દર્શન કરાવ્યા
હમીરસર ફરતે કચ્છ-ગુજરાતની લોકસંસ્કૃતિનો અદ્દભૂત નજારો
રણોત્સવ : આધ્યાત્મિક અનુભૂતિનો અવસર
સફેદ રણમાં ચાંદની રાત અને સુપ્રભાતે સૂર્યોદય સમયે આધ્યાત્મિક ચેતનાની અનુભૂતિ કરીએ
કચ્છ-ગુજરાતમાં પંખી નિરીક્ષણના બર્ડ વોચર્સ ટુરિઝમને વિકસાવાશે : નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રણોત્સવની પૂર્વસન્ધ્યાએ ભૂજમાં સાંસ્કૃતિક વિરાસતના નજરાણાં સમા કચ્છ કાર્નિવલનું ઉદ્દઘાટન કરતાં કચ્છના સફેદ રણની ચાંદની રાત માનવીને આધ્યાત્મિક ચેતનાની અનુભૂતિ કરાવશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. રણોત્સવમાં સૂર્યોદય અને ચાંદની રાતના સફેદ રણમાં પ્રત્યેક પર્યટક આધ્યાત્મિક અનુભૂતિનો લહાવો લે એવી ભાવપૂર્ણ અપીલ તેમણે કરી હતી. વિશ્વમાં પ્રવાસન ઉદ્યોગ એક એવો ઉદ્યોગ છે જેને મંદીની અસરો કયારેય સ્પર્શતી નથી તેની ભૂમિકા સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતમાં પ્રવાસન ક્ષેત્રનું વૈવિધ્ય જોતાં હાઇકોસ્ટ ટુરિસ્ટ માટેના પ્રયાસો ઉપર ધ્યાન કેન્દ્રીત થવું જોઇએ.
શિયાળાની સોહામણી શીત સન્ધ્યાએ ચંદ્રપ્રકાશમાં ભૂજના હમીરસર તળાવકાંઠાનું સમગ્ર પરિસર લોકસંસ્કૃતિના વૈભવનો અદ્દભૂત નજારો બની ગયું હતું. લેસર શો અને આતશબાજીના અવનવા આકર્ષણો પહેલાં કચ્છ, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના મળીને 3પ જેટલા કલાવૃન્દોના અનેક સાંસ્કૃતિક કલાકાર-કસબીઓએ લોકસંસ્કૃતિના કૌશલ્યના દર્શન કરાવી સહુના મન જીતી લીધા હતા. ગુજરાતમાં બર્ડ વોચર્સ ટુરિઝમ વિકસાવવાની નેમ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત એવી ભૂમિ છે જેની પાસે પ્રવાસનનો એવો વૈભવ છે જ્યાં વિશ્વના હરકોઇ પર્યટકને આકર્ષણ થઇ શકે તેવું બધું જ છે. ગુજરાત મહેમાન નવાજી માટે જાણીતું છે અને માત્ર વિશ્વની માનવજાતને જ નહીં, વિશ્વભરના પંખીઓને મહેમાન તરીકે ગુજરાતની ધરતી ઉપર ઉત્તમ વાતાવરણ છે એમ તેમણે જણાવ્યું હતું.
રશિયાના અસ્ટ્રાખાન સાથેના ગુજરાતના ઓખા પોર્ટના ઐતિહાસિક વ્યાપાર સંબંધોનો ઉલ્લેખ કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાતમાં ઐતિહાસિક વિરાસત એવાં હેરિટેજ બિલ્ડીંગનો વૈભવ સૌથી વધુ છે તેને પ્રવાસન વિરાસતમાં વિશ્વની ઓળખ ઉભી કરવાની પ્રતિબધ્ધતા તેમણે વ્યકત કરી હતી. ગુજરાતના દરિયાઇ માર્ગે વિશ્વવેપાર અને હસ્ત કલાકારીગરીની કચ્છની ઓળખ પ્રવાસન વિકાસ માટે મહત્વની બની રહેશે એમ તેમણે જણાવ્યું હતું. આજથી 40 વર્ષ પહેલા નવમી ડિસેમ્બરે ભૂજના વિમાન મથક ઉપર પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે માધાપર-કચ્છની વિરાંગતનાઓએ જાનની બાજી લગાવીને સાહસ શૌર્યથી આ વિમાનમથકની રાતોરાત દુરસ્તી કરી તેની યાદ અપાવી મુખ્યમંત્રીશ્રીએ કચ્છની માતૃશકિત અને દુશ્મનના દાંત ખાટા કરનારા દેશભકતોને વંદન કર્યા હતા.
પ્રવાસન મંત્રીશ્રી જયનારાયણ વ્યાસે સ્વાગત પ્રવચનમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત અભિગમથી વર્ષ ર006થી યોજાઇ રહેલા રણોત્સવે ગુજરાતને વિશ્વના પ્રવાસન નકશામાં નવી ઓળખ અને સિમાચિન્હ રૂપ સ્થાન આપ્યું હોવાનો ખ્યાલ આપ્યો હતો. રણોત્સવની ઉજવણીમાં આ વર્ષથી નવાં આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે તેની વિગતો તેમણે આપી હતી. કચ્છમાં રણોત્સવના નેજા હેઠળ ભૂજમાં ઐતિહાસિક હમીરસર તળાવને કાંઠે કચ્છ અને દેશ-વિદેશથી આવતા સહેલાણીઓને આકર્ષતા વિવિધ 3પ જેટલા ગ્રુપોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલાવી હતી. મોટીસંખ્યામાં પ્રવાસીઓ અને કચ્છના જનસમૂહે આ કાર્નિવલ માણ્યો હતો, જ્યારે કચ્છની ભાતિગળ લોકસંસ્કૃતિની રસપ્રદ ઝલક દર્શાવતા 34 જેટલા ટેબ્લોની પ્રસ્તુતિને લોકોએ મનભેર માણી હતી અને કલાકાર-વૃંદોને બિરદાવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લાના રાજ્યના પછાત વર્ગ કલ્યાણ મંત્રીશ્રી વાસણભાઇ આહિર, પ્રવાસન રાજ્ય મંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડીયા, ગુજરાત પ્રવાસન નિગમના અધ્યક્ષશ્રી કમલેશભાઇ પટેલ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયા હતા.


