ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના હસ્તે માય હોમ ઇન્ડિયાનો ONE INDIA એવોર્ડ
પૂર્વાંચલના સેવાનિષ્ઠ શ્રી નાબામ અતુમને એનાયત
ભારતના સીમાવર્તિ રાજ્યોના વિકાસ - સંસ્કૃતિ અને જનઆકાંક્ષાની ધોર ઉપેક્ષા કેન્દ્રના શાસકોએ કરી છે
વડાપ્રધાન ર્ડા.મનમોહનસિંહ આસામનું લાંબા સમયથી પ્રતિનિધિત્વ કરે છે
છતાં ઉત્તર-પૂર્વના રાજ્યોની જનલાગણીની અવગણના કેમ ?
ઉત્તર-પૂર્વના પ્રદેશમાં જ યુરેનિયમ ઉપલબ્ધ છે પરંતુ શા માટે તેના સંશોધનોની પરવા નથી ?

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સાંજે મુંબઇમાં માઇ હોમ ઇન્ડિયા આયોજિત એવોર્ડ પ્રદાન સમારોહમાં સ્પષ્ટપણે ભારતના સીમાવર્તિ રાજ્યો અને વિશેષ કરીને ઉત્તર પૂર્વના આઠેય રાજ્યોના વિકાસ, સંસ્કૃતિ અને જન-જનની આકાંક્ષાઓ તથા દેશભકિતની ધોર ઉપેક્ષા કરવા માટે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી.
વડાપ્રધાન ર્ડા.મનમોહનસિંહ ૨૧ વર્ષથી આસામનું રાજકીય પ્રતિનિધિત્વ કરી રહ્યા છે પરંતુ પૂર્વના રાજકીય વિકાસની, અર્થતંત્રની અને જનતાની લાગણીની અવગણના થતી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં આજીવન સેવારત શ્રીયુત નાબામ અતુમને માય હોમ ઈન્ડિયા સ્થાપિત બ્ફચ્ ત્ફઝત્ખ્ એવોર્ડ એનાયત થયો હતો.
ગળાના કેન્સરની પીડાને ગણકાર્યા વગર અરૂણાચલ પ્રદેશમાં સ્વધર્મ, સંસ્કૃતિ અને સમાજસેવા માટે જીવન સમર્પિત કરનારા શ્રી નબામ અતુમને મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂા.એક લાખ પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભારતીય વિરાસતના અભિન્ન અંગ હોવા છતાં ઉત્તર પૂર્વના આઠ રાજ્યના વિકાસ, સંસ્કૃતિ અને જનઅપેક્ષાઓની ધોર અવગણના કરવા માટે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઉત્તર-પૂર્વના કોઇ નાગરિકને કોઇ પૂછે કે કયા દેશના છો, ત્યારે કેવી પીડાં થતી હશે? છતાં શ્રી નાબામ અતુમે ભારતભકિત માટે જનઆંદોલન કરીને જનજનમાં જાગૃતિ જગાવી છે.
સરદાર પટેલ અધિક સમય જીવીત રહ્યા હોત તો ભારતની એકતા અખંડિતતા માટે જનઆંદોલનની જરૂર જ રહેત નહીં, તેમ તેમણે જણાવ્યું હતું.
પૂર્વાંચલના રાજ્યોમાં વિષદ પરિભ્રમણ કરવાના અવસરને યાદ કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ભારતના કચ્છ અને પૂર્વાંચલ પ્રદેશમાં આજે પણ મોબાઇલ અને ટી.વી. ચેનલો પાકિસ્તાન અને ચીનની કનેકટીવીટીથી જોડાયેલ છે, પણ કેન્દ્ર સરકારને તેની કોઇ પરવાહ નથી.
કોઇ પણ દેશ પોતાના સીમાવર્તિ ક્ષેત્રો પ્રત્યે ઉદાસીન રહે તો તેના ઉપર સંકટ તોળાય છે અને તેથી સીમાવર્તિ રાજ્યોમાં વિકાસને પ્રાથમિકતા મળવી જોઇએ પણ ૧૯૬૨ના ચીન-ભારત યુધ્ધ પછી પણ કેન્દ્રના શાસકો બોધપાઠ શીખવા માંગતા નથી. અરૂણાચલ પ્રદેશમાં ૫૦૦ મીટર ચીનની ધુસપેઠની જાણ ભારત સરકારને શ્રી નાબામે જ કરેલી પણ આજે પણ કેન્દ્ર તેને ગંભીર ગણતું નથી એમ તેમણે જણાવ્યું હતું.
ભારતના ગુલામી કાળમાં વિદેશી સલ્તનતોએ હિન્દુસ્તાનના ભાગલાથી વેરનું બીજારોપણ કરેલું તેના દુષ્પરિણામો દુર્ભાગ્યે આજે પણ આપણે ભોગવી રહ્યા છીએ. ભારતની જનતાના સ્વાભિમાન અને દેશભકિત માટે જનઆંદોલન કરવાની એટલે જ આવશ્યકતા છે.
વિગત રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં મુખ્યમંત્રીશ્રીએ ઉત્તર-પૂર્વના રાજ્યોમાંથી સુરક્ષા બળોના જવાનોને ગુજરાતમાં સેવા માટે પ્રતિનિયુકિત ઉપર મોકલાતા ઉત્તર-પૂર્વના રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓને પત્ર લખેલા પરંતુ તેનો કોઇ પ્રતિસાદ જ મળ્યો નથી, તેનું દુઃખ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વ્યકત કર્યું હતું.
દેશના વિવિધ રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક એકતાનું વાતાવરણ ઉભુ કરવા આવા પ્રયાસો જરૂરી છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાંથી ભારતની આઝાદી માટે સમર્પણ અને બલિદાન આપનારા અનેક દેશભક્તોની ઉપેક્ષા થઇ છે અને એક પરિવારની પૂજામાં આખા આઝાદીના દેશભકિતના ઇતિહાસને વિકૃત બનાવી દેવામાં આવ્યો છે એની ટીકા પણ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.
દેશવિરોધી તત્વોને આના કારણે જ ખુલ્લુ મેદાન મળી જાય છે તેમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વ.ઇન્દિરા ગાંધીએ ધાર્મિક રાજનીતિ કરીને ઉત્તરપૂર્વના રાજ્યોમાં અલગતાવાદના સંકટને પેદા કર્યું હતું.
ભારતમાં ઉત્તરપૂર્વના પ્રદેશોમાં જ એક માત્ર યુરેનિયમ ઉપલબ્ધ છે પરંતુ ભારત ન્યુકિલયર પાવર બની શકે તે માટે આ યુરેનિયમનો કોઇ ઉપયોગ કરવાની કેન્દ્રને પરવા નથી.
બાંગ્લાદેશની ધુસપેઠ, શસ્ત્ર સરંજામ દારૂગોળાની હેરાફેરી અને દેશવિરોધી તત્વો દ્વારા ઉત્તરપૂર્વના રાજ્યોમાં મોકળુ મેદાન છે પરંતુ વોટબેંકની રાજનીતિના કારણે કેન્દ્રશાસકો "સબસલામત'નું સત્તાસુખ માણે છે તેની પણ આકરી ટીકા મુખ્યમંત્રીશ્રીએ કરી હતી અને નાબામ અતુમજીને અભિનંદન પાઠવ્યા હતા.


