પ્રિય મિત્રો,

નેશનલ સ્પોર્ટ્સ ડે નાં અવસર પર મારા દેશબંધુઓને શુભેચ્છાઓ પાઠવુ છું. આજનાં દિવસે આપણે દંતકથારૂપ રમતવીર મેજર ધ્યાનચંદને યાદ કરીએ છીએ, જેમણે પોતાની જાદુઈ હોકી સ્ટીકથી દુનિયાને મંત્રમુગ્ધ કરી દીધી અને હોકી ક્ષેત્રે દુનિયાભરમાં ભારતની નામના ઉભી કરી. આ વર્ષે વિવિધ રમતોમાં એવોર્ડ મેળવનારા આપણાં રમતવીરોને પણ હું આ અવસર પર શુભેચ્છાઓ પાઠવુ છું.

મને ખાત્રી છે કે આપણામાંથી દરેકનાં મનમાં રમતગમત સાથે સંકળાયેલી ઘણી યાદો પડી હશે. યાદ હશે જ્યારે આપણે પહેલી વાર ક્રિકેટ બેટ હાથમાં પકડ્યુ હતુ. નાના હતા ત્યારે વ્યાકરણ, બીજગણિત કે ઈતિહાસનાં લાંબાલચક વર્ગોને બદલે એટલો સમય રમતગમત માટે આપવામાં આવે તો કેવી મજા આવે એવું આપણને થતું. ભારતે વર્લ્ડકપ જીત્યો કે બીજા મેડલ જીત્યા ત્યારે તમને કેવો આનંદ થયો હતો? ચેમ્પીયન્સ લીગ કે ઈપીએલ ફુટબોલની મેચ ચાલતી હોય તે દિવસે ટ્વીટર કે ફેસબુક ઉપર જરા લોગઈન કરી જુઓ, તો ખ્યાલ આવશે કે જોશ અને જુસ્સો કોને કહેવાય!

હું માનું છું કે ઈંગ્લીશ ભાષાનાં ત્રણ ‘સી’ – કેરેક્ટર, કોમ્યુનીટી અને કન્ટ્રી (ચારિત્ર્ય, સમાજ અને દેશ) - ખેલકુદ સાથે બહુ સારી રીતે જોડાયેલા છે.

જો ખેલકુદ તમારા જીવનનો હિસ્સો ન બન્યો હોય તો તમારું વ્યક્તિત્વ સર્વાંગી ન ગણાય. હું ચોક્કસ માનુ છું કે “जो खेले वो खिले!”. ખેલકુદ વિના ખેલદિલીની ભાવના પણ ન હોઈ શકે. દરેક રમત આપણને કંઈ ને કંઈ આપે છે. રમતનાં બેવડા લાભ છે, એક તો તે આપણા કૌશલ્યને વિકસાવે છે અને બીજુ તે આપણનાં વ્યક્તિત્વનો વિકાસ પણ કરે છે. અને એટલે જ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, “ગીતાનાં અભ્યાસ કરતા ફુટબોલ રમવા દ્વારા તમે સ્વર્ગની વધુ નજીક જઈ શકશો.”

આપણે સૌ સમાજમાં રહીએ છીએ અને સમાજમાં પરસ્પર ભાઈચારો બનાવવા માટે ખેલકુદથી વધારે સારુ માધ્યમ ભાગ્યે જ મળી શકે. રમત આપણને પરસ્પર એકતા શીખવે છે, પરસ્પર સોહાર્દ રાખતા શીખવે છે, કારણકે જ્યારે આપણે એક ટીમ તરીકે રમીએ છીએ ત્યારે ભુલી જઈએ છીએ કે આપણો સાથી રમતવીર કઈ નાત, જાત કે સંપ્રદાયનો છે. તેનાં આર્થિક મોભા અને દરજ્જા સામે પણ આપણે જોતા નથી. બસ આપણી ટીમ જીતે એ જ આપણા માટે મહત્વનું બની જાય છે. મેં એવા ઘણા આજીવન મિત્રો જોયા છે જેમની મૈત્રીની શરૂઆત રમતનાં મેદાન પર થઈ હતી.

આપણે ગુજરાતનાં ખેલમહાકુંભ દરમ્યાન આવી એકતા અને સામાજિક સોહાર્દનું વાતાવરણ ખીલેલું જોયું. ગુજરાતનાં દરેક પ્રદેશમાંથી દરેક વયજુથનાં લોકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો. વર્ષ ૨૦૧૨-૧૩ નાં ખેલમહાકુંભમાં લાખો રમતવીરોએ ભાગ લઈને વિક્રમ સર્જ્યો. આ વર્ષનાં ખેલમહાકુંભમાં આપણે અંડર-૧૨ ની શ્રેણી પણ શરૂ કરવાના છીએ, જેનાથી યુવા પ્રતિભાઓને બહાર આવવાનો અવસર મળશે. પ્રતિભાસંપન્ન યુવા રમતવીરો ખેલકુદની દુનિયામાં પોતાનું સ્વપ્ન સાકાર કરી શકે તે માટે સરકાર તેમનાં વિવિધ ખર્ચા પણ ઉઠાવશે.

થોડા વર્ષો પહેલા આપણે વિકલાંગ રમતવીરોને પણ ખેલમહાકુંભમાં આવરી લીધા. બન્યુ એવું કે વિકલાંગ યુવા રમતવીરોનું એક જૂથ જે ચીનમાં એક ટુર્નામેન્ટ જીતીને આવ્યું હતુ તે મને મળવા આવ્યું. મેં તેમની સાથે બે કલાક વીતાવ્યા, તેમની સાથે વાતચીત કરી... આ પ્રસંગ મારા દિલને સ્પર્શી ગયો.

અમે નક્કી કર્યું કે વિકલાંગ રમતવીરોને પણ મહત્તમ તકો આપવી કે જેથી તેઓ રમતનાં મેદાન પર ખીલી ઉઠે. પછી ખેલમહાકુંભમાં તેમનો સમાવેશ કરવાનું અમે નક્કી કર્યું. ખેલમહાકુંભ ૨૦૧૨-૧૩માં હજ્જારો વિકલાંગ રમતવીરોએ તેમની જબરદસ્ત રમતથી લોકોને ચકિત કરી દીધા.

એક ચંદ્રક અથવા એક કપ આપણા દેશને આપવા માટેની એક મહાન ભેટ છે. નિશ્વિતપણે, રમતક્ષેત્રમા સફળતા પ્રાપ્ત કરવી એ રાષ્ટ્રિય ગર્વ સમાન છે. છે જ્યારે કોઇ રાષ્ટ્ર ઓલિમ્પિક્સ કે વિશ્વકપ જેવી ટુર્નામેન્ટોનુ આયોજન કરે ત્યારે ખેલકુદ સંસ્કૃતિની સાથે પણ વણાઈ જાય છે. દેશ પોતાની સંસ્કૃતિ અને ઈતિહાસને સમગ્ર વિશ્વની સામે રજુ કરી શકે છે. આવા આયોજનોને કારણે અર્થતંત્રને બળ મળે છે અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય છે.

આમ, તે ખાસ કરીને આપણા યુવા ખેલાડીઓના મનમા ખેલદીલીની ભાવના વિકસાવવી ખૂબજ મહત્વપૂર્ણ છે. ખેલમહાકુંભ ઉપરાંત ગુજરાતે એક સ્પોર્ટસ યુનિવર્સિટિની સ્થાપના કરી છે જે સમગ્ર દેશની ખેલક્ષેત્રની પ્રતિભાઓને વિકસાવવા માટેની એક અનન્ય પહેલ છે. આ ઉપરાંત રમતોને પ્રોત્સાહન આપવા માટે દરેક જિલ્લાઓમા સ્પોર્ટસ સ્કૂલ સ્થાપવામાં આવશે. શિક્ષણ સાથે રમતોને સંકલિત કરીને ઘણુ બધુ પ્રાપ્ત કરી શકાય છે. સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, રમતોને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાતના દરેક ખુણે વિવેકનંદ યુવા કેન્દ્રોની સ્થાપના કરવામા આવી છે. યુવાનોમાં સ્પોર્ટસ કીટની વહેંચણી પણ કરવામા આવી છે.

આ બધા પ્રયત્નો છતા પણ આપણે હજુ ઘણુ બધુ કરવાનુ છે. મારા ધ્યાનમા આવ્યુ છે કે શૈક્ષણિક દબાણના લીધે, ખેલકુદ પ્રત્યે લોકોનુ ધ્યાન ઘટ્યુ છે. અને જો બાળકો અભ્યાસ ન કરતા હોય તો તે સમયે તેમના કોમ્પ્યુટર પર ગેમ્સ રમતા હોય છે. આ આપણી મોટી નિષ્ફળતા છે. ચાલો એક એવુ વાતાવરણ ઉભુ કરીએ અને એવી તકો ઉભી કરીએ કે જેથી કરીને દરેક બાળક અમુક સમય માટે ઘરની બહાર નીકળીને રમવા જાય. કોમ્પ્યુટર ટેબલ પર બેસીને સ્કોર બનાવવા કરતા ક્રિકેટના મેદાનમા છક્કો ફટકારવો કે પછી ફૂટબોલના મેદાનમા ગોલ મારવો એ વધારે સારુ નથી? બીજો સારો આઇડીયા એ છે કે એક આખો પરિવાર થોડો સમય કાઢીને સાથે મળીને રમતો રમે.

મને ખ્યાલ છે કે એવા ઘણા ખેલાડીઓ છે કે જેઓ ખુબ જ પ્રતિભાશાળી છે પરંતુ નાણાકીય અને પૂરતા સાધનોના અભાવના કારણે તેમને તક ગુમાવવી પડી. સરકાર તરીકે અમે પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ આ માટે મને આ કાર્યમાં તમારા સહકારની પણ જરૂર છે. વર્ષ ૨૦૨૦ના ઓલમ્પિકમા ભારત સંખ્યાબંધ મેડલ જીતે તેવા ઉદ્દેશથી રમતવીરોને નાણાકિય સહાય આપવા અને તેમને તૈયાર કરવા માટે ઔદ્યોગિક ગૃહો એક ભંડોળ ઉભુ કરે તો કેવું? આને તેઓ પોતાની સામાજિક જવાબદારીનાં ભાગરૂપ ગણી શકે. આ જ રીતે આપણા એનાઆરઆઇ મિત્રો કે જેઓ તેમની માતૃભુમિને મદદ કરવા માટે ક્યારેય પીછેહઠ નથી કરતા તેઓ પણ આ જ રીતે પોતાનુ યોગદાન આપી શકે છે અથવા ટુર્નામેન્ટને સ્પોન્સર કરીને અને તેમના ગામમા રમતગમત માટે જરૂરી માળખુ ઉભુ કરવામા પણ મદદરૂપ બની શકે છે.

ચાલો, આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે બાળકોને એક આનંદપૂર્ણ અને રમતીલું બાળપણ અને યુવાની આપીએ કે જેથી રાષ્ટ્રની સેવા માટે સમર્પિત હોય તેવા ભવ્ય ભવિષ્યનો પાયો નાંખી શકાય.

 

 

 

નરેન્દ્ર મોદી

 

Watch : Shri Narendra Modi speaks during the opening ceremony of Khel Mahakumbh 2011 in Vadodara

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
From the lens of FM Nirmala Sitharaman: Weaving a fabric of enterprise on the loom of traditional skills

Media Coverage

From the lens of FM Nirmala Sitharaman: Weaving a fabric of enterprise on the loom of traditional skills
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.