પ્રિય મિત્રો,

નેશનલ સ્પોર્ટ્સ ડે નાં અવસર પર મારા દેશબંધુઓને શુભેચ્છાઓ પાઠવુ છું. આજનાં દિવસે આપણે દંતકથારૂપ રમતવીર મેજર ધ્યાનચંદને યાદ કરીએ છીએ, જેમણે પોતાની જાદુઈ હોકી સ્ટીકથી દુનિયાને મંત્રમુગ્ધ કરી દીધી અને હોકી ક્ષેત્રે દુનિયાભરમાં ભારતની નામના ઉભી કરી. આ વર્ષે વિવિધ રમતોમાં એવોર્ડ મેળવનારા આપણાં રમતવીરોને પણ હું આ અવસર પર શુભેચ્છાઓ પાઠવુ છું.

મને ખાત્રી છે કે આપણામાંથી દરેકનાં મનમાં રમતગમત સાથે સંકળાયેલી ઘણી યાદો પડી હશે. યાદ હશે જ્યારે આપણે પહેલી વાર ક્રિકેટ બેટ હાથમાં પકડ્યુ હતુ. નાના હતા ત્યારે વ્યાકરણ, બીજગણિત કે ઈતિહાસનાં લાંબાલચક વર્ગોને બદલે એટલો સમય રમતગમત માટે આપવામાં આવે તો કેવી મજા આવે એવું આપણને થતું. ભારતે વર્લ્ડકપ જીત્યો કે બીજા મેડલ જીત્યા ત્યારે તમને કેવો આનંદ થયો હતો? ચેમ્પીયન્સ લીગ કે ઈપીએલ ફુટબોલની મેચ ચાલતી હોય તે દિવસે ટ્વીટર કે ફેસબુક ઉપર જરા લોગઈન કરી જુઓ, તો ખ્યાલ આવશે કે જોશ અને જુસ્સો કોને કહેવાય!

હું માનું છું કે ઈંગ્લીશ ભાષાનાં ત્રણ ‘સી’ – કેરેક્ટર, કોમ્યુનીટી અને કન્ટ્રી (ચારિત્ર્ય, સમાજ અને દેશ) - ખેલકુદ સાથે બહુ સારી રીતે જોડાયેલા છે.

જો ખેલકુદ તમારા જીવનનો હિસ્સો ન બન્યો હોય તો તમારું વ્યક્તિત્વ સર્વાંગી ન ગણાય. હું ચોક્કસ માનુ છું કે “जो खेले वो खिले!”. ખેલકુદ વિના ખેલદિલીની ભાવના પણ ન હોઈ શકે. દરેક રમત આપણને કંઈ ને કંઈ આપે છે. રમતનાં બેવડા લાભ છે, એક તો તે આપણા કૌશલ્યને વિકસાવે છે અને બીજુ તે આપણનાં વ્યક્તિત્વનો વિકાસ પણ કરે છે. અને એટલે જ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, “ગીતાનાં અભ્યાસ કરતા ફુટબોલ રમવા દ્વારા તમે સ્વર્ગની વધુ નજીક જઈ શકશો.”

આપણે સૌ સમાજમાં રહીએ છીએ અને સમાજમાં પરસ્પર ભાઈચારો બનાવવા માટે ખેલકુદથી વધારે સારુ માધ્યમ ભાગ્યે જ મળી શકે. રમત આપણને પરસ્પર એકતા શીખવે છે, પરસ્પર સોહાર્દ રાખતા શીખવે છે, કારણકે જ્યારે આપણે એક ટીમ તરીકે રમીએ છીએ ત્યારે ભુલી જઈએ છીએ કે આપણો સાથી રમતવીર કઈ નાત, જાત કે સંપ્રદાયનો છે. તેનાં આર્થિક મોભા અને દરજ્જા સામે પણ આપણે જોતા નથી. બસ આપણી ટીમ જીતે એ જ આપણા માટે મહત્વનું બની જાય છે. મેં એવા ઘણા આજીવન મિત્રો જોયા છે જેમની મૈત્રીની શરૂઆત રમતનાં મેદાન પર થઈ હતી.

આપણે ગુજરાતનાં ખેલમહાકુંભ દરમ્યાન આવી એકતા અને સામાજિક સોહાર્દનું વાતાવરણ ખીલેલું જોયું. ગુજરાતનાં દરેક પ્રદેશમાંથી દરેક વયજુથનાં લોકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો. વર્ષ ૨૦૧૨-૧૩ નાં ખેલમહાકુંભમાં લાખો રમતવીરોએ ભાગ લઈને વિક્રમ સર્જ્યો. આ વર્ષનાં ખેલમહાકુંભમાં આપણે અંડર-૧૨ ની શ્રેણી પણ શરૂ કરવાના છીએ, જેનાથી યુવા પ્રતિભાઓને બહાર આવવાનો અવસર મળશે. પ્રતિભાસંપન્ન યુવા રમતવીરો ખેલકુદની દુનિયામાં પોતાનું સ્વપ્ન સાકાર કરી શકે તે માટે સરકાર તેમનાં વિવિધ ખર્ચા પણ ઉઠાવશે.

થોડા વર્ષો પહેલા આપણે વિકલાંગ રમતવીરોને પણ ખેલમહાકુંભમાં આવરી લીધા. બન્યુ એવું કે વિકલાંગ યુવા રમતવીરોનું એક જૂથ જે ચીનમાં એક ટુર્નામેન્ટ જીતીને આવ્યું હતુ તે મને મળવા આવ્યું. મેં તેમની સાથે બે કલાક વીતાવ્યા, તેમની સાથે વાતચીત કરી... આ પ્રસંગ મારા દિલને સ્પર્શી ગયો.

અમે નક્કી કર્યું કે વિકલાંગ રમતવીરોને પણ મહત્તમ તકો આપવી કે જેથી તેઓ રમતનાં મેદાન પર ખીલી ઉઠે. પછી ખેલમહાકુંભમાં તેમનો સમાવેશ કરવાનું અમે નક્કી કર્યું. ખેલમહાકુંભ ૨૦૧૨-૧૩માં હજ્જારો વિકલાંગ રમતવીરોએ તેમની જબરદસ્ત રમતથી લોકોને ચકિત કરી દીધા.

એક ચંદ્રક અથવા એક કપ આપણા દેશને આપવા માટેની એક મહાન ભેટ છે. નિશ્વિતપણે, રમતક્ષેત્રમા સફળતા પ્રાપ્ત કરવી એ રાષ્ટ્રિય ગર્વ સમાન છે. છે જ્યારે કોઇ રાષ્ટ્ર ઓલિમ્પિક્સ કે વિશ્વકપ જેવી ટુર્નામેન્ટોનુ આયોજન કરે ત્યારે ખેલકુદ સંસ્કૃતિની સાથે પણ વણાઈ જાય છે. દેશ પોતાની સંસ્કૃતિ અને ઈતિહાસને સમગ્ર વિશ્વની સામે રજુ કરી શકે છે. આવા આયોજનોને કારણે અર્થતંત્રને બળ મળે છે અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય છે.

આમ, તે ખાસ કરીને આપણા યુવા ખેલાડીઓના મનમા ખેલદીલીની ભાવના વિકસાવવી ખૂબજ મહત્વપૂર્ણ છે. ખેલમહાકુંભ ઉપરાંત ગુજરાતે એક સ્પોર્ટસ યુનિવર્સિટિની સ્થાપના કરી છે જે સમગ્ર દેશની ખેલક્ષેત્રની પ્રતિભાઓને વિકસાવવા માટેની એક અનન્ય પહેલ છે. આ ઉપરાંત રમતોને પ્રોત્સાહન આપવા માટે દરેક જિલ્લાઓમા સ્પોર્ટસ સ્કૂલ સ્થાપવામાં આવશે. શિક્ષણ સાથે રમતોને સંકલિત કરીને ઘણુ બધુ પ્રાપ્ત કરી શકાય છે. સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, રમતોને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાતના દરેક ખુણે વિવેકનંદ યુવા કેન્દ્રોની સ્થાપના કરવામા આવી છે. યુવાનોમાં સ્પોર્ટસ કીટની વહેંચણી પણ કરવામા આવી છે.

આ બધા પ્રયત્નો છતા પણ આપણે હજુ ઘણુ બધુ કરવાનુ છે. મારા ધ્યાનમા આવ્યુ છે કે શૈક્ષણિક દબાણના લીધે, ખેલકુદ પ્રત્યે લોકોનુ ધ્યાન ઘટ્યુ છે. અને જો બાળકો અભ્યાસ ન કરતા હોય તો તે સમયે તેમના કોમ્પ્યુટર પર ગેમ્સ રમતા હોય છે. આ આપણી મોટી નિષ્ફળતા છે. ચાલો એક એવુ વાતાવરણ ઉભુ કરીએ અને એવી તકો ઉભી કરીએ કે જેથી કરીને દરેક બાળક અમુક સમય માટે ઘરની બહાર નીકળીને રમવા જાય. કોમ્પ્યુટર ટેબલ પર બેસીને સ્કોર બનાવવા કરતા ક્રિકેટના મેદાનમા છક્કો ફટકારવો કે પછી ફૂટબોલના મેદાનમા ગોલ મારવો એ વધારે સારુ નથી? બીજો સારો આઇડીયા એ છે કે એક આખો પરિવાર થોડો સમય કાઢીને સાથે મળીને રમતો રમે.

મને ખ્યાલ છે કે એવા ઘણા ખેલાડીઓ છે કે જેઓ ખુબ જ પ્રતિભાશાળી છે પરંતુ નાણાકીય અને પૂરતા સાધનોના અભાવના કારણે તેમને તક ગુમાવવી પડી. સરકાર તરીકે અમે પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ આ માટે મને આ કાર્યમાં તમારા સહકારની પણ જરૂર છે. વર્ષ ૨૦૨૦ના ઓલમ્પિકમા ભારત સંખ્યાબંધ મેડલ જીતે તેવા ઉદ્દેશથી રમતવીરોને નાણાકિય સહાય આપવા અને તેમને તૈયાર કરવા માટે ઔદ્યોગિક ગૃહો એક ભંડોળ ઉભુ કરે તો કેવું? આને તેઓ પોતાની સામાજિક જવાબદારીનાં ભાગરૂપ ગણી શકે. આ જ રીતે આપણા એનાઆરઆઇ મિત્રો કે જેઓ તેમની માતૃભુમિને મદદ કરવા માટે ક્યારેય પીછેહઠ નથી કરતા તેઓ પણ આ જ રીતે પોતાનુ યોગદાન આપી શકે છે અથવા ટુર્નામેન્ટને સ્પોન્સર કરીને અને તેમના ગામમા રમતગમત માટે જરૂરી માળખુ ઉભુ કરવામા પણ મદદરૂપ બની શકે છે.

ચાલો, આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે બાળકોને એક આનંદપૂર્ણ અને રમતીલું બાળપણ અને યુવાની આપીએ કે જેથી રાષ્ટ્રની સેવા માટે સમર્પિત હોય તેવા ભવ્ય ભવિષ્યનો પાયો નાંખી શકાય.

 

 

 

નરેન્દ્ર મોદી

 

Watch : Shri Narendra Modi speaks during the opening ceremony of Khel Mahakumbh 2011 in Vadodara

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi pitches India as stable investment destination amid global turbulence

Media Coverage

PM Modi pitches India as stable investment destination amid global turbulence
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોમનાથ સ્વાભિમાન પર્વ - અખંડ આસ્થાના 1000 વર્ષ (1026-2026)
January 05, 2026

સોમનાથ... આ શબ્દ સાંભળતા જ આપણા હૃદય અને મનમાં ગર્વની લાગણી જન્મે છે. તે ભારતની આત્માની શાશ્વત ઘોષણા છે. આ ભવ્ય મંદિર ભારતના પશ્ચિમ કિનારે ગુજરાતમાં પ્રભાસ પાટણ નામના સ્થળે આવેલું છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં ભારતભરના 12 જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ છે. સ્તોત્રની શરૂઆત "सौराष्ट्र सोमनाथं च.." થી થાય છે, જે પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સોમનાથની સભ્યતા અને આધ્યાત્મિક મહત્વનું પ્રતીક છે.

એમ પણ કહેવાય છે કે:

सोमलिङ्गं नरो दृष्टा सर्वपापैः प्रमुच्यते।
लभते फलं मनोवांछितम मृतः स्वर्ग समाश्रयेत ।।

તેનો અર્થ છે: સોમનાથ શિવલિંગના માત્ર દર્શન કરવાથી મનુષ્ય પાપોમાંથી મુક્ત થાય છે, તેની ધાર્મિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. દુર્ભાગ્યવશ, આ જ સોમનાથ, જે લાખો લોકોની શ્રદ્ધા અને પ્રાર્થનાનું કેન્દ્ર હતું, તેના પર વિદેશી આક્રમણકારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમનો એજન્ડા વિનાશ કરવાનો હતો, ભક્તિ નહીં.

વર્ષ 2026 સોમનાથ મંદિર માટે મહત્ત્વપૂર્ણ છે. આ મહાન મંદિર પર થયેલા પ્રથમ હુમલાને 1,000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જાન્યુઆરી 1026 માં જ ગઝનીના મહમુદે આ મંદિર પર હુમલો કર્યો હતો, જેણે હિંસક અને બર્બર આક્રમણ દ્વારા શ્રદ્ધા અને સભ્યતાના મહાન પ્રતીકને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, એક હજાર વર્ષ પછી પણ, સોમનાથને તેની ભવ્યતામાં પુનઃસ્થાપિત કરવાના અસંખ્ય પ્રયાસોને કારણે મંદિર આજે પણ એટલું જ ભવ્ય છે.

આવો જ એક સીમાચિહ્ન 2026 માં 75 વર્ષ પૂર્ણ કરે છે. 11 મે 1951 ના રોજ એક સમારોહ દરમિયાન, ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં, પુનઃનિર્મિત મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. 1026 માં સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણ, નગરના લોકો પર કરવામાં આવેલી ક્રૂરતા અને મંદિર પર થયેલા વિનાશનું વિવિધ ઐતિહાસિક વૃત્તાંતોમાં વિગતવાર દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે.

જ્યારે તમે તેને વાંચો છો, ત્યારે હૃદય કંપી ઉઠે છે. દરેક પંક્તિ દુઃખ, ક્રૂરતા અને એવી પીડાનો ભાર વહન કરે છે જે સમયની સાથે ભૂંસાતી નથી. ભારત અને લોકોના મનોબળ પર તેની કેવી અસર પડી હશે તેની કલ્પના કરો. સોમનાથનું મોટું આધ્યાત્મિક મહત્વ હતું. તે દરિયાકાંઠે હોવાથી, મહાન આર્થિક પરાક્રમ ધરાવતા સમાજને શક્તિ પણ આપતું હતું, જેના દરિયાઈ વેપારીઓ અને નાવિકો તેની ભવ્યતાની ગાથાઓ દૂર-દૂર સુધી લઈ જતા હતા.

તેમ છતાં, હું નિઃસંકોચપણે ગર્વ સાથે કહી શકું છું કે સોમનાથની વાર્તા, પ્રથમ હુમલાના એક હજાર વર્ષ પછી પણ, વિનાશ દ્વારા વ્યાખ્યાયિત થતી નથી. તે ભારત માતાના કરોડો સંતાનોના અતૂટ સાહસ દ્વારા વ્યાખ્યાયિત થાય છે. 1026માં શરૂ થયેલી મધ્યકાલીન બર્બરતાએ અન્યોને વારંવાર સોમનાથ પર હુમલો કરવા માટે 'પ્રેરિત' કર્યા હતા. તે આપણા લોકો અને સંસ્કૃતિને ગુલામ બનાવવાનો પ્રયાસ હતો. પરંતુ, દર વખતે જ્યારે મંદિર પર હુમલો થયો, ત્યારે આપણી પાસે એવા મહાન પુરુષો અને સ્ત્રીઓ હતા જેઓ તેના રક્ષણ માટે ઉભા થયા અને સર્વોચ્ચ બલિદાન પણ આપ્યું.

અને દરેક વખતે, પેઢી દર પેઢી, આપણી મહાન સંસ્કૃતિના લોકો બેઠા થયા અને મંદિરનું પુનઃનિર્માણ તેમજ નવજીવન કર્યું. એ જ માટી દ્વારા આપણું પણ પાલન-પોષણ થવું એ આપણું સૌભાગ્ય છે જેણે અહિલ્યાબાઈ હોલકર જેવા મહાનુભાવોને પોષ્યા છે, જેમણે ભક્તો સોમનાથમાં પ્રાર્થના કરી શકે તે માટે ઉમદા પ્રયાસ કર્યો હતો. 1890ના દાયકામાં, સ્વામી વિવેકાનંદે સોમનાથની મુલાકાત લીધી હતી અને તે અનુભવથી તેઓ પ્રભાવિત થયા હતા.

તેમણે 1897 માં ચેન્નાઈમાં એક વ્યાખ્યાન દરમિયાન પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "દક્ષિણ ભારતના આમાંના કેટલાક પ્રાચીન મંદિરો અને ગુજરાતના સોમનાથ જેવા મંદિરો તમને જ્ઞાનના અઢળક પાઠ શીખવશે, કોઈપણ પુસ્તકો કરતાં આ જાતિના ઇતિહાસમાં ઊંડી સમજ આપશે. જુઓ કે આ મંદિરો કેવી રીતે સો હુમલાઓ અને સો જીર્ણોધારન નિશાન ધરાવે છે, જે સતત નાશ પામતા રહ્યા અને ખંડેરોમાંથી સતત બહાર આવતા રહ્યા, નવપલ્લિત અને હંમેશાની જેમ મજબૂત! તે રાષ્ટ્રીય મન છે, તે રાષ્ટ્રીય જીવન-પ્રવાહ છે. તેને અનુસરો અને તે ગૌરવ તરફ દોરી જશે. જો તેને છોડી દેશો તો તમે નાશ પામશો; જે ક્ષણે તમે તે જીવન પ્રવાહની બહાર પગ મૂકશો, મૃત્યુ એ એકમાત્ર પરિણામ હશે, વિનાશ જ એકમાત્ર અસર હશે."

સ્વતંત્રતા પછી સોમનાથ મંદિરના પુનઃનિર્માણની પવિત્ર ફરજ સરદાર વલ્લભભાઈ પટેલના સમર્થ હાથોમાં આવી. 1947 માં દિવાળીના સમયે એક મુલાકાતે તેમને એટલા પ્રભાવિત કર્યા કે તેમણે ત્યાં મંદિરના પુનઃનિર્માણની જાહેરાત કરી દીધી. અંતે, 11 મે 1951 ના રોજ, સોમનાથમાં એક ભવ્ય મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. મહાન સરદાર સાહેબ આ ઐતિહાસિક દિવસ જોવા જીવિત નહોતા, પરંતુ તેમના સ્વપ્નની પૂર્તિ રાષ્ટ્ર સમક્ષ ગર્વથી ઊભી હતી.

તત્કાલીન પ્રધાનમંત્રી, પંડિત જવાહરલાલ નેહરુ, આ ઘટનાક્રમથી બહુ ઉત્સાહિત નહોતા. તેઓ ઈચ્છતા ન હતા કે માનનીય રાષ્ટ્રપતિ તેમજ મંત્રીઓ આ વિશેષ કાર્યક્રમ સાથે જોડાય. તેમણે કહ્યું હતું કે આ ઘટનાએ ભારતની ખરાબ છાપ ઊભી કરી છે. પરંતુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અડગ રહ્યા અને બાકીનો ઇતિહાસ છે. સોમનાથનો કોઈ પણ ઉલ્લેખ કે. એમ. મુનશીના પ્રયાસોને યાદ કર્યા વિના અધૂરો છે, જેમણે સરદાર પટેલને ખૂબ જ અસરકારક રીતે સાથ આપ્યો હતો. 'સોમનાથ: ધ શ્રાઈન એટર્નલ' પુસ્તક સહિત સોમનાથ પરના તેમના કાર્યો અત્યંત માહિતીપ્રદ અને શિક્ષિત કરનારા છે.

ખરેખર, મુનશીજીના પુસ્તકનું શીર્ષક જણાવે છે તેમ, આપણે એવી સંસ્કૃતિ છીએ જે આત્મા અને વિચારોની શાશ્વતતા વિશે દ્રઢ વિશ્વાસ ધરાવે છે. ગીતાના પ્રખ્યાત શ્લોક “नैनं छिन्दन्ति शस्त्राणि..." માં દર્શાવ્યા મુજબ, જે શાશ્વત છે તે અવિનાશી છે એવું આપણે દ્રઢપણે માનીએ છીએ. આપણી સભ્યતાના અદમ્ય ઉત્સાહનું સોમનાથથી વધુ સારું ઉદાહરણ બીજું કોઈ હોઈ શકે નહીં, જે મુશ્કેલીઓ અને સંઘર્ષો પર વિજય મેળવીને ભવ્ય રીતે ઊભું છે.

આ જ ભાવના આપણા રાષ્ટ્રમાં જોવા મળે છે, જે સદીઓના આક્રમણો અને સંસ્થાનવાદી લૂંટને પાર કરીને વૈશ્વિક વિકાસના તેજસ્વી સ્થળોમાંનું એક છે. આપણી મૂલ્ય પ્રણાલીઓ અને આપણા લોકોના નિશ્ચયે જ ભારતને આજે વૈશ્વિક ધ્યાનનું કેન્દ્ર બનાવ્યું છે. વિશ્વ ભારતને આશા અને આશાવાદ સાથે જોઈ રહ્યું છે. તેઓ આપણા નવયુવાનોમાં રોકાણ કરવા માંગે છે. આપણી કલા, સંસ્કૃતિ, સંગીત અને અનેક તહેવારો વૈશ્વિક સ્તરે જઈ રહ્યા છે. યોગ અને આયુર્વેદ વિશ્વભરમાં પ્રભાવ પાડી રહ્યા છે અને સ્વસ્થ જીવનને પ્રોત્સાહન આપી રહ્યા છે. વિશ્વના કેટલાક સૌથી કપરા પડકારોના ઉકેલો ભારતમાંથી આવી રહ્યા છે.

અનાદિ કાળથી, સોમનાથે જીવનના વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવ્યા છે. સદીઓ પહેલા, એક આદરણીય જૈન સાધુ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સોમનાથ આવ્યા હતા. એવું કહેવાય છે કે ત્યાં પ્રાર્થના કર્યા પછી, તેમણે એક શ્લોક ગાયો હતો, “भवबीजाङ्कुरजनना रागाद्याः क्षयमुपगता यस्य।।". તેનો અર્થ છે - તે ઈશ્વરને વંદન જેમાં સાંસારિક બનેલા બીજ નાશ પામે છે, જેમાં રાગ અને તમામ ક્લેશો શમી ગયા છે. આજે પણ સોમનાથ મન અને આત્મામાં કંઈક ગહન જાગૃત કરવાની ક્ષમતા ધરાવે છે.

1026 ના પ્રથમ હુમલાના એક હજાર વર્ષ પછી પણ, સોમનાથનો દરિયો આજે પણ એ જ તીવ્રતાથી ગર્જના કરે છે જેવી તે સમયે કરતો હતો. સોમનાથના કિનારાને સ્પર્શતી લહેરો એક વાર્તા કહે છે. ભલે ગમે તે થાય, મોજાંની જેમ તે વારંવાર ઊઠતું રહશે. ભૂતકાળના આક્રમણકારો હવે હવામાં ધૂળ બની ગયા છે, તેમના નામ વિનાશના પર્યાય છે. તેઓ ઇતિહાસના પાનામાં ફૂટનોટ્સ બનીને રહી ગયા છે, જ્યારે સોમનાથ તેજસ્વી રીતે ઉભું છે, જે ક્ષિતિજની પેલે પાર સુધી પ્રકાશ ફેલાવે છે, અને આપણને એ શાશ્વત ભાવનાની યાદ અપાવે છે જે 1026ના હુમલા છતાં પણ અકબંધ રહી હતી. સોમનાથ એ આશાનું ગીત છે જે આપણને કહે છે કે નફરત અને કટ્ટરતા પાસે ભલે એક ક્ષણ માટે નાશ કરવાની શક્તિ હોય, પરંતુ સારપની શક્તિમાં વિશ્વાસ અને દ્રઢતા પાસે અનંતકાળ સુધી સર્જન કરવાની શક્તિ છે.

જો સોમનાથ મંદિર, જેના પર એક હજાર વર્ષ પહેલાં હુમલો થયો હતો અને ત્યારપછી સતત આક્રમણોનો સામનો કરવો પડ્યો હતો, તે ફરીથી અને ફરીથી ઉભું થઈ શકતું હોય, તો આપણે ચોક્કસપણે આપણા મહાન રાષ્ટ્રને તે ગૌરવ અપાવી શકીએ છીએ જે આક્રમણો પહેલા એક હજાર વર્ષ પહેલાં હતું. શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ સાથે, આપણે આગળ વધીએ છીએ...

વિકસિત ભારત બનાવવાના નવા સંકલ્પ સાથે, જ્યાં સભ્યતાનું જ્ઞાન આપણને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કામ કરવા માર્ગદર્શન આપે છે.

જય સોમનાથ!