મુખ્ય મંત્રીશ્રીએ આગામી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાત ક્વિઝની વિશેષ ઓનલાઇન કોમ્પીટીશન ત્રણ પાસાઓને આવરી લેતી યોજનાની જાહેરાત કરતાં જણાવ્યું કે, આખા વર્ષ દરમિયાન (૧) ર્ડા. બાબાસાહેબ આંબેડકરના જીવનકાર્ય, (ર) ભારતીય સંવિધાનની વિશેષતા અને (૩) નાગરિક કર્તવ્યને આવરી લઇને ખાસ ગુજરાત ક્વિઝ સ્પર્ધા ઓનલાઇન યોજાશે.
વર્ષો માટે આ ગુજરાત ક્વિઝ વધુ સમૃદ્ધ બને તે માટે હાલની પ૦૦૦ પ્રશ્નોની બેન્કમાં વધુને વધુ ગુજરાત વિશેના પ્રશ્નો અને ચોક્કસ જવાબો નાગરિકો તરફથી મળે તે આવકાર્ય છે.
આ જ્ઞાનની કસોટીમાં તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાની ગુજરાત ક્વિઝ કોમ્પીટીશનના પ્રારંભના તબક્કામાં ર૮ લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળા અને કોલેજોમાંથી ભાગ લીધો હતો તેનો ગૌરવપૂર્વક ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ જ્ઞાનપિપાશાનો ઉત્સવ ગુજરાતે સ્વર્ણિમ જયંતી વર્ષમાં યોજીને ગુજરાતને ર૧મી સદીમાં જ્ઞાનશક્તિના આધારે સશક્તિ બનાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી ર્ડા. હસમુખ અઢિયાએ ગુજરાતના વધુને વધુ લોકો ગુજરાત ક્વિઝ ડોટ ઇન વેબસાઇટ પર ક્વિઝ રમે અને પોતે જ પોતાના જ્ઞાનની ચકાસણી તથા વૃદ્ધિ કરે, દરેક વયજૂથને ગમી જાય, સ્પર્શી જાય તેવી આ જ્ઞાનવર્ધક રમતમાં સૌ કોઇ જોડાય તેવી અપીલ કરી હતી.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયસિંહજી ચૌહાણ તથા શ્રીમતી વસુબેન ત્રિવેદી તેમજ ઉચ્ચ શિક્ષણ અને શિક્ષણ વિભાગના વરિષ્ઠ સચિવશ્રીઓ, અધિકારીઓ, કર્મયોગીઓ તથા રાજ્યભરમાંથી આવેલા સ્પર્ધકો અને તેમના વાલીઓ પણ ઉમંગભેર ઉપસ્થિત રહ્યા હતા.


