મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે તેમના નિર્ધારિત કાર્યક્રમમાં અમદાવાદમાં આવવા-જવા માટે જનમાર્ગ- BRTS બસ સેવાનો ઉપયોગ કરીને, સામાન્ય નાગરિકની જેમ મુસાફરી કરી સુખદ આશ્વ્રર્ય સર્જ્યું હતું!
શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આજે અમદાવાદ જી.એમ.ડી.સી. ભવન ખાતે પ્રેસ-મિડીયાના મિત્રો સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ હતો.
ગાંધીનગરના નિવાસસ્થાનેથી, તેમણે સરકારી વાહનમાં સુભાષબ્રીજ આર.ટી.ઓ સર્કલ પહોંચતા સલામતી રક્ષકો અને તેમના બધા જ વાહનો પાછા મોકલી દીધા.. મુખ્યમંત્રીશ્રીએ અણધાર્યો, જનમાર્ગ બસમાં બેસીને જી.એમ.ડી.સી. જવાનો નિર્ણય લઇ લીધો અને કોઇને જાણ કર્યા વગર આર.ટી.ઓ સર્કલ પાસે ઉભેલી જનમાર્ગ બસમાં ટિકીટ લઇને, સામાન્ય નાગરિક તરીકે, આગળની હરોળની ખાલી બેઠક ઉપર બેસી ગયા. મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ પણ સામેની બેઠક ઉપર બેઠા..
જનમાર્ગ-બસમાં બેઠેલા સામાન્ય મુસાફરોને હજુ પૂરી જાણકારી મળે એ પહેલાં તો, શ્રી નરેન્દ્રભાઇ મોદીની બાજુની ખાલી બેઠક ઉપર, એક વૃદ્ધ માજી આવીને બેસી ગયાં.
બસ જનમાર્ગ ઉપર રવાના થઇ..
આગળના રાણીપના જનમાર્ગ બસ સ્ટેન્ડમાંથી શિક્ષિત મહિલા પણ તેમની સામેની બેઠક ઉપર આવીને બેઠાં, ત્યારબાદ અન્ય એક પુરૂષ મુસાફરે બેઠક લઇ લીધી...આ મુસાફરોને અચાનક શ્રી નરેન્દ્રભાઇ મોદી, બસમાં સામે બેઠા છે તેનો ખ્યાલ આવતાં જ, એક સુખદ આશ્વ્રર્યની અનુભૂતિ થઇ હતી.
“સાહેબ, નમસ્કાર”...વૃદ્ધ માજીએ બાજુમાં બેઠેલા મુસાફર મુખ્ય-મંત્રી નરેન્દ્રભાઇ મોદી છે એ ઓળખી લઇને ભાવવિભોર થઇ કહ્યું- “મારી દિકરીને તેડવા હું રોજ આ બેઠક ઉપર બેસીને મુસાફરી કરૂં છું. બસ કયારેય મોડી નથી પડી. ''
સામે બેઠેલી શિક્ષિત યુવતિમાં પણ હિમ્મત આવી-
તેણે કહ્યું- “સાહેબ, હું થોડી મોડી પડી તેથી આગળની બસ ચૂકી ગઇ પણ એનો વસવસો નથી- એક ધન્યતાનો આ અવસર મને મળ્યો.. પણ હું આ વાત કોઇને કહીશ તો માનશે નહીં, જેથી મારા આ વિઝીટીંગ કાર્ડ ઉપર હસ્તાક્ષર ટાઇમ-તારીખ સાથે કરી આપો!... ''
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હસીને હસ્તાક્ષર કરી આપ્યા..
એટલામાં સામે બેઠેલા નાગરિકે કહ્યું- "સાહેબ લો આ ફોન, મારા પત્નીને મેં મોબાઇલ ઉપર કહ્યું કે હું જનમાર્ગ-બસમાં મુખ્યમંત્રી મોદી સાહેબ પાસે બેઠો છું તો તે માનતી નથી, તમે જ વાત કરીને તેને અનુભૂતિ કરાવો!''
મુખ્યમંત્રીશ્રીએ મોબાઇલ ફોન લઇને પૂછયું કે મારો અવાજ ઓળખો છો? સામેથી પ્રતિભાવ મળ્યો કે "તમારો અવાજ કોઇ ગુજરાતી ઓળખે નહીં એવું બને જ નહીં!''-અને મુખ્યમંત્રીએ સ્વાભાવિક મલકીને ફોન પરત આપ્યો..
અવસર હતો, પ્રેસ-મિડિયાનો-સૌને જાણ થઇ ગઇ કે મુખ્યમંત્રી તો સુરક્ષા-વાહનો છોડીને જનમાર્ગની બસમાં આવી રહ્યા છે એટલે..
યુનિવર્સિટી જનમાર્ગ બસ સ્ટેન્ડ ઉપર, પ્રેસ-મિડિયાના પત્રકારો-કેમેરામેનો ફોટોગ્રાફરોની કતાર લાગી ગઇ..
પ્રેસ મિડીયાનો કાર્યક્રમ પૂરો કરીને મુખ્યમંત્રીશ્રીએ ફરીવાર યુનિવર્સિટી ગ્રાઉન્ડથી કોઇને જાણ કર્યા વગર રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ સાથે, જનમાર્ગ બસ સેવાની આર.ટી.ઓ. સર્કલ સુધીની મુસાફરી કરી.
ટિકીટો લઇને શ્રી નરેન્દ્રભાઇ મોદી સામાન્ય નાગરિકની જેમ બસમાં ચડયા ત્યારે, બધી જ બેઠકો ભરાયેલી હતી.. તેઓએ બે સ્ટેશનો સુધી ઉભા રહીને મુસાફરી કરવાનો આનંદ લીધો.
જેઓ તેમને ઓળખી ગયા તેમણે બેઠક ખાલી કરીને બેસવા વિનંતી કરી પણ આભાર માની, મુખ્યમંત્રીશ્રી તો સામાન્ય પેસેન્જરની જેમ ઉભા રહ્યા! એ દરમિયાન બસમાં જ કોલેજ-શાળાના સંખ્યાબંધ વિઘાર્થીઓએ નરેન્દ્રભાઇ મોદીના હસ્તાક્ષર યાદગીરીરૂપે લઇ લીધા.. પછી એક બેઠક ખાલી થઇ ત્યારે મુખ્યમંત્રીશ્રીએ સૌરભભાઇ પટેલને બેસવા સૂચન કર્યું અને આગળના બસ મથકે, ખાલી થયેલી બેઠક ઉપર આર.ટી.ઓ સર્કલ આવ્યું ત્યાં સુધી બેઠા..
જનમાર્ગ-બસ સેવાના સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે અચાનક કોઇને પણ જાણ કર્યા વગર જનમાર્ગની બસમાં કોમન-મેનની જેમ મુસાફરી કરી, યોગાનુયોગ તેમના જનસેવાના શાસનના ૩૦૦૦ દિવસ પૂરા કર્યા હતા. CM-સીએમ(કોમન મેન) તરીકે જનતાની વચ્ચે રહીને સુખ-દુઃખમાં ભાગીદાર બનવાની તેમની કાયમી ઓળખની સુખદ અનુભૂતિ કરાવી.