સત્યમેવ જયતે : Truth Alone Triumphs

Published By : Admin | December 27, 2013 | 17:21 IST

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ર૦૦રના કોમી રમખાણો સંદર્ભમાં ન્યાયપાલિકાએ આપેલા ચૂકાદા અંગે દેશવાસીઓને જે પત્ર આજે પાઠવ્યો છે તે અક્ષરશઃ આ પ્રમાણે છેઃ-

મારા વહાલા દેશવાસીઓ,

હંમેશા સત્યનો જ વિજય થાય છે એ કુદરતી ન્યાયનો સિધ્ધાંત છે-સત્યમેવ જયતે. જ્યારે આપણી ન્યાયપાલિકાએ આ હકિકતને અભિવ્યકત કરી છે ત્યારે દેશની જનતા સમક્ષ હું મારા મનોયોગ અને લાગણીઓને વ્યકત કરવા ઇચ્છું છું.

કોઇ બાબતના અંતથી તેની શરૂઆતના સ્મરણો સ્મૃ્તિપટ ઉપર પ્રદર્શિત થતા જ હોય છે. ર૦૦૧ના વિનાશકારી ભૂકંપમાં જ્યારે આખું ગુજરાત મોતની ચાદર ઓઢીને નિસહાય સ્થિતમાં ભાંગી પડેલું, સેંકડો લોકોએ જીવ ગુમાવેલા, લાખો લોકો બેઘર બનેલા ત્યા‍રે આવી અકલ્પનિય અસહાય પીડાજનક સ્થિતિમાં મારે માથે ગુજરાતને ફરી બેઠું કરવા અને પૂનઃસ્થા‍પનની જવાબદારી મૂકવામાં આવેલી. આપ સૌના સાથ અને સક્રિય સહયોગથી કઠિન કસોટીરૂપ આ પડકારમાંથી આપણે બહાર આવેલા.

પરંતુ ઓકટોબર-ર૦૦૧માં મેં રાજ્યશાસનનું દાયિત્વ સંભાળેલું તે પછીના માત્ર પાંચ જ મહિનામાં તો, ર૦૦રના ફેબ્રુઆરીમાં ફરી એકવાર ગુજરાતના કેટલાક ભાગોમાં કમનસિબે અમાનવીય હિંસાના રમખાણો થયા. કમનસિબે, નિર્દોષોએ જાનગૂમાવ્યા, પરિવારો નિરાધાર થઇ ગયા, મહેનતથી સર્જેલી માલ-મિલ્કિતનો વિનાશ થયો, ભૂકંપની કુદરતી આફતમાંથી હજુ તો ગુજરાત સાંગોપાંગ બહાર આવ્યું ત્યાં જ આ માનવસર્જિત કોમી રમખાણની આફતે ગુજરાતની પીડા અને યાતનામાં ઓર વધારો કર્યો.

મારૂ અંતરમન એવી ગહન સંવેદનાથી ભરાઇ આવેલું જેનું શબ્દોમાં વણર્ન થઇ શકે તેમ નહોતુ. દુઃખ, પીડા, યાતના, વેદના, વ્યથા - કોઇ શબ્દથી એની અભિવ્યકિત થઇ શકે નહી એવી આ હ્રદય વલોવતી ઘટના હતી. આજે પણ એ કમનસિબ અમાનૂષી બનાવોની યાદ આવતા કંપારી છૂટે છે.

પરંતુ શાસક માટે પોતાની પીડામાં કોઇ સહભાગી બને એવી સ્વાભાવિક સ્થિતિ નથી હોતી. શાસક તરીકે તો એકલાએ જ તે જીરવવી પડે. પોતાની વ્યથા અને વેદનાને અંતરમનમાં ગોપિત રાખીને મેં કોમી રમખાણોમાં પરિસ્થિતિ કાબૂમાં લેવા કેવી સ્વસ્થતા રાખી તે એકમાત્ર મારૂં મન જાણે છે અને બીજો પરમાત્મા.

એ દિવસો એવા યાતનામય હતા કે એક તરફ ભૂકંપ પીડિતોની મને પીડા હતી બીજી તરફ રમખાણ-પીડિતોની. એ વખતે મારા અંતરમનની અકથ્ય પીડાને મેં કયાંય પ્રગટ થવા દીધા વગર શાંતિ, ન્યાય અને પૂનઃવસન ઉપર જ ધ્યાન કેન્દ્રીત કર્યું. ઇશ્વરે મને આપેલી બધી જ મારી શકિત, મારે પૂરી તાકાતથી ત્વરિત કામે લગાડવાની હતી. આ કસોટીરૂપ સમયે આપણા પુરાતન શાસ્ત્રો નું દિશાદર્શન જ મને સતત સાંત્વના અપાવતું રહયું કે શાસનમાં બેઠેલો છે તેને પોતાની પીડાં અભિવ્યકત કરવાનો અધિકાર નથી, બીજાની પીડાનું શમન એ જ તેનું પ્રાથમિક દાયિત્વ છે. મેં મારા આંતરમનમાં જે પીડા-વ્યથા ખૂબ તીવ્રતાથી અનુભવી હતી. તે વખતના તીવ્રતમ દુઃખભર્યા દિવસોને હું યાદ કરૂં છું ત્યારે એક જ સંવેદના મારા મનમાંથી પ્રગટે છે અને હું ઇશ્વયને પ્રાર્થના કરૂં છું કે કોઇ વ્યકિત, સમાજ, રાજ્ય કે રાષ્ટ્રના જીવનમાં આવા અસહય વ્યથા-વેદનાના દિવસો, કયારેય ના આવે.

આ દિવસો દરમિયાન મેં કેવા તીવ્ર આઘાત અને વેદનાનો અનુભવ કરેલો તે અંગેના મારા આ સંવેદનશીલ વિચારો અને લાગણીઓ હું ભલે આજે આપની સમક્ષ વ્યકત કરી રહયો છું પણ તે આજની મનોસ્થિતિમાંથી જન્મેલા નથી જ નથી. કોમી રમખાણોની શરૂઆતથી મેં તેને લાગણીસભર અભિવ્ય્કત કરેલા છે. જ્યારે ગોધરામાં ટ્રેનમાં નિર્દોષ લોકોને જીવતા સળગાવી દેવાની અત્યંત અમાનુષી હત્યાકાંડની ઘટના બની ત્યારે જ મેં જનતા જનાર્દન સમક્ષ અપિલ કરી હતી.

સહુને શાંતિ, સંયમ અને સદ્દભાવના રાખવા માટે લગાતાર અપીલો કરેલી. ફેબ્રુઆરી-ર૭ ગોધરાકાંડના કમનસિબ દિવસથી લઇને મેં ફેબ્રુ-માર્ચ-ર૦૧રમાં દરરોજ પ્રેસ-મિડિયા સમક્ષ દૈનિક ધોરણે આવી વારંવાર અપીલ કરેલી. એની સાથોસાથ રાજ્યમાં શાંતિની સ્થા્પના, ન્‍યાય અપાવવા અને અમાનવીય હિંસામાં જવાબદારને દાખલો બેસે એવી શિક્ષા માટે પોતાની નૈતિક જવાબદારી અને રાજકીય ઇચ્છાશકિતથી આ સરકાર પ્રતિબધ્ધ છે એવી જાહેરમાં ખાતરી આપેલી. સદ્દભાવના મિશનના મારા અભિયાન દરમિયાન પણ મારા તમામ સંબોધનોમાં, મેં સ્વયંસ્પષ્ટા વાત કરેલી કે કોઇપણ સભ્ય સમાજ માટે આવી હિંસા કયારેય શોભાસ્પદ નથી. અને હું આ ઘટનાઓને કારણે મનથી ખૂબ દુઃખી છું.

વાસ્ત્વમાં મેં હંમેશા એકતાની ભાવનાને મજબૂત અને બળવત્તમર બનાવવાની નિષ્ઠા દાખવી છે. મુખ્યમંત્રીશ્રીની જવાબદારી સંભાળી તેની શરૂઆતથી જ મેં "મારા પાંચ કરોડ ગુજરાતી ભાઇઓ અને બહેનો"ની પરિભાષા આપી હતી જે આજે દેશભરમાં પ્રચલિત થઇ ગઇ છે.

ગુજરાત સરકારે ઘડીનાય વિલંબ વગર કોમી હિંસાને જે નિણાંયકતા અને દ્રઢતાથી ડામી દેવાની ત્વરિતતા દાખવી હતી તે ભૂતકાળના કોઇ કોમી રમખાણોમાં જોવા મળી નહોતી. ભારતની ન્યાય પ્રણાલિની અભૂતપૂર્વ ઘટનારૂપે દેશની સર્વોચ્ચો અદાલતે તપાસની સમગ્ર ન્યાનયીક પ્રક્રિયાનું સતત અને તલસ્પર્શી મોનીટરીંગ કર્યું હતું જેને ગઇકાલે ન્યાયપાલિકાએ આપેલા ચૂકાદાથી સંપૂર્ણ સમર્થન મળ્યું છે.

પરંતુ આમછતાં, એ વખતે મારા ઉપર આટ-આટલી વ્યથા અને વેદનાનો બોજ ઓછો હોય એમ તે પછી મને મારા જ સ્નેહીજનો, મારા ગુજરાતી ભાઇ બહેનોના મોત અને વ્યથા અને પીડા માટે દોષિત ગણવામાં આવ્યો. તમે કલ્પી શકો છો કે આ પ્રકારની એકેએક ઘટના અંગે મારા ઉપર થયેલા એક પછી એક દોષારોપણથી મારા વેદનામય માનસ ઉપર કેટલા કુઠારાઘાત થયા?

આટઆટલા વર્ષોથી હું મારા ઉપરના આ જૂઠાણાના પ્રહારોનો માર અને ઘાવ ઝીલતો રહયો પરંતુ મારા ગુજરાત અને મારા ગુજરાતી પરિવારોની પ્રગતિ માટે હું એક ક્ષણ માટે તસુભાર પણ ચલિત થયો નથી. જેમણે જેમણે પોતાના સ્વાર્થી વ્યકિતગત અને રાજકીય હિતો માટે પૂરી તાકાતથી લગાતાર મને બદનામ કરવા, મારી નિષ્ઠા અને સેવાની ભાવના ઉપર જૂઠાણાની ભરમાર ચલાવી તેનાથી મારી નહીં, મારા ગુજરાત અને મારા દેશની બદનામી જ તેઓએ કરી છે. કોમી રમખાણોના પીડિત પરિવારોના ઘા રૂઝવવાને બદલે તેમના ઘાવ ખોતરી ખોતરીને વધુ પીડા દેવાનું નિર્દયી અને વિકૃત પાપ કર્યું છે. જેમના માટે તેઓ ન્યાયના નામે લડત કરવાનો મકસદ ધરાવતા હતા તે ન્યાયમાં વિલંબ પણ તેમના આ મલિન ઇરાદાથી જ થયો. કદાચ તેમને એ વાતનો ખ્યાલ નથી કે તેઓ પીડિતોની પીડા અને દુઃખમાં વધુ યાતનાઓનું ઉમેરણ જ કરી રહયા હતા.

આ માર્ગ ઉપર બાર વર્ષથી પણ વધુ સમય ચાલેલી અગ્નિ પરિક્ષામાંથી ગુજરાત બહાર આવી ગયું છે, તે અંગે હું રાહતનો અનુભવ કરી રહયો છું.

આપણે હિંસાને બદલે શાંતિ પસંદ કરી. ભાગલાવાદી નીતિઓ સામે એકતા અપનાવી, તિરસ્કાંરને બદલે સૌહાર્દની ભાવના અપનાવી. આ સહેલું તો નહોતું જ પરંતુ આપણે તેના લાંબાગાળાના સુફળ માટે પ્રતિબધ્ધ હતા. એકસમયે રોજીંદા ભય અને અચોકકસતાના વાતાવરણમાંથી મારું ગુજરાત શાંતિ, એકતા અને સદ્દભાવનાના માર્ગે વળ્યું.

આ કસોટીના કાળમાં જે લોકો વિરોધીઓના જુઠ્ઠાણાં અને છળકપટને જોઈ શક્યા અને મારી પડખે ઉભા રહ્યા એ સૌનો હું અંતઃકરણથી આભારી છું.

અપપ્રચારના વાદળો વિખેરાઇ ગયા છે ત્યારે મને એવી પણ આશા છે કે જે લોકો નરેન્દ્ર મોદીને સાચા પરિપ્રેક્ષ્ય માં ઓળખી અને સમજી રહયા છે તેમની શકિત બળવત્તોર બનશે.

જેમને અન્યની પીડા દુઃખ જોઇને આનંદ થાય છે તેવા લોકો કદાચ મારી સામેના તેમના કાવાદાવા ચાલુ જ રાખશે. હું તેમની પાસે કોઇ અપેક્ષા પણ નથી રાખતો. પરંતુ હું વિનમ્ર પ્રાર્થના કરૂં છું કે છ કરોડ ગુજરાતીઓને બેજવાબદારીપૂર્વક બદનામ કરવાનું હવે તો બંધ કરે.

યાતનાની આ લાંબી સફરની ફલશ્રુતિ એ રહી કે હું ભગવાનને પ્રાર્થના કરૂં છું કે મારા મન-હ્રદયમાં કોઇ કટુતા ન રહે.

આ અદાલતી ચૂકાદાને હું વ્યકિતગત જય-પરાજયના તરાજૂમાં તોળતો નથી. એટલું જ નહીં. મારા મિત્રો-ખાસ કરીને મારા વિરોધીઓને પણ હું આ લેખા-જોખાં ન કરવા વિનંતી કરૂં છું. ર૦૧૧માં જ્યારે સર્વોચ્ચ અદાલતે પોતાનો નિર્ણય આ બાબતે જણાવ્યો ત્યારે પણ મેં આ જ અભિગમ અપનાવેલો. મેં ૩૭ દિવસ સદ્દભાવના ઉપવાસની તપસ્યા કરી, અને અદાલતના સકારાત્મક નિર્ણયને સૌહાર્દ-સંવાદિતાના વ્યાપક સ્વરૂપે પરિવર્તિત કરવા, સમસ્ત્ સમાજમાં એકતા અને ભાઇચારાનું વ્યાપક સ્તરે નિર્માણ કરવા હું પ્રયત્નશીલ રહયો છું.

હું દ્રઢપણે માનું છું કે કોઇપણ સમાજ, રાજ્ય કે રાષ્ટ્ર નું ઉજ્જવળ ભાવિ પારસ્પારિક સદ્દભાવ અને સૌહાર્દમાં જ સમાયેલું છે. આ જ એક માત્ર એવા આધારસ્થંભ છે જેના ઉપર વિકાસ અને શ્રેષ્ઠતાની ઇમારતની રચનાની સંભાવના છે. એટલા માટે હું આપ સૌને વિનંતી કરૂં છું કે આવો, આપણે સૌ વિકાસ અને પ્રગતિની દિશામાં સાથે મળીને કાર્યરત થઇએ અને હરેક ચહેરા પર ખુશાલીની મુસ્કાન લહેરાવવા પ્રતિબધ્ધ બનીએ.

ફરી એકવાર, સત્યમેવ જયતે

વંદેમાતરમ્

નરેન્‍દ્ર મોદી

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
The entrepreneurs building a self-reliant India

Media Coverage

The entrepreneurs building a self-reliant India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.