Published By : Admin |
October 1, 2011 | 11:49 IST
Share
જીવનઘડતરનાં મહત્વનાં વર્ષો દરમ્યાન શિક્ષકો આપણી અંદર જીવન અંગેની ઉંડી સમજનાં બીજ રોપે છે. આપણે બાળક હોઈએ ત્યારે આપણામાં ઘણી જીજ્ઞાસાવૃત્તિ હોય છે. શિક્ષકો આપણી જ્ઞાનની ભૂખને સંતોષે છે. વિદ્યાર્થિની જ્ઞાન માટેની ભૂખ સંતોષવી એ શિક્ષક માટે સૌથી વધુ પડકારદાયી કામ છે. જો જ્ઞાન માટેની આ ભૂખ ન સંતોષાય તો ચીજોને જાણવા-સમજવા માટેની આપણી જીજ્ઞાસાવૃત્તિ અને ઉત્સાહ પર ઠંડુ પાણી રેડાઈ જાય છે.
ચીજોને જાણવાની ઈચ્છા જ્ઞાનની દિશામાં આગળ વધવાનું પ્રથમ પગથિયું છે. આપણા શિક્ષકો આ વ્રુત્તિને પ્રોત્સાહન અને પોષણ આપે છે. આથી એક શિક્ષકનું મહત્વ જેટલું આંકો એટલું ઓછું છે.
શિક્ષકદિનનાં અવસર પર આપણે ગુજરાતનાં શ્રેષ્ઠતમ શિક્ષકોનું સન્માન કરીએ છીએ. બાળકોમાં પોતાના શિક્ષકો માટે પ્રેમ અને ગર્વની લાગણી થાય તથા અન્ય શિક્ષકોને પણ પ્રેરણા મળે તે ઉદ્દેશ્યથી આપણે છેલ્લા ત્રણ વર્ષથી રાજ્યભરની શાળાઓમાં આ કાર્યક્રમનું બાયસેગ નેટવર્કનાં માધ્યમથી જીવંત પ્રસારણ કરીએ છીએ. 50 લાખથી વધારે લોકો આ કાર્યક્રમ નિહાળે છે. આ કાર્યક્રમ દરમ્યાન રાજ્યનાં જુદા જુદા વિસ્તારોનાં બાળકો મારી સાથે વાર્તાલાપ કરે છે. જિજ્ઞાસા અને ઉત્સાહથી છલકાતા આ બાળકોને મળવામાં મારા મનને સૌથી વધુ સંતોષ અને તાજગીનો અનુભવ થાય છે. આ બાળકોને જોઈને મને શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે કરેલ વિવિધ પહેલો અને પ્રયત્નોનાં સફળ થયાનો અહેસાસ થાય છે.
આ વર્ષે શિક્ષકદિનનાં અવસરે બાળકો સાથે મારે જે પ્રશ્નોત્તરી થઈ તે હું અહી રજુ કરું છું. આશા કરું છું કે મને જેટલી મજા આવી હતી તેટલી તમને પણ આવશે. હું આ અંગેના તમારા પ્રતિભાવો પણ જાણવા માંગુ છું.
સ. આપ અમારી વચ્ચે હોવ છો ત્યારે આપને પણ બાળક બની જવાનું મન થાય છે?
જ્. દરેક જણને બાળક જેવા બની જવું ગમે છે. બાળક તરીકે તમને જે નિર્દોષતા અને ઉર્જાનો અનુભવ થાય છે તે અનોખો છે, તેની બરાબરી થઈ શકે એમ નથી. ઈશ્વરે બાળકોને એક વિશિષ્ટ શક્તિ આપી છે – બાળકોને અહમ હોતો નથી. અને એટલે જ બાળકોને પોતાની ભૂલ સુધારી લેવામાં ખાસ તકલીફ પડતી નથી. બાળકો સહેલાઈથી પોતાની ભૂલ સુધારી લે છે અને ફરી ભૂલ ન થાય તેનો પણ ખ્યાલ રાખે છે. તેમનો નિશ્ચિંત, આનંદી અને ખુશ સ્વભાવ જોઈને દરેક જણને બાળક બનવાની ઈચ્છા થઈ આવે છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ - અખંડ આસ્થાના 1000 વર્ષ (1026-2026)
January 05, 2026
Share
સોમનાથ... આ શબ્દ સાંભળતા જ આપણા હૃદય અને મનમાં ગર્વની લાગણી જન્મે છે. તે ભારતની આત્માની શાશ્વત ઘોષણા છે. આ ભવ્ય મંદિર ભારતના પશ્ચિમ કિનારે ગુજરાતમાં પ્રભાસ પાટણ નામના સ્થળે આવેલું છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં ભારતભરના 12 જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ છે. સ્તોત્રની શરૂઆત "सौराष्ट्र सोमनाथं च.." થી થાય છે, જે પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સોમનાથની સભ્યતા અને આધ્યાત્મિક મહત્વનું પ્રતીક છે.
તેનો અર્થ છે: સોમનાથ શિવલિંગના માત્ર દર્શન કરવાથી મનુષ્ય પાપોમાંથી મુક્ત થાય છે, તેની ધાર્મિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. દુર્ભાગ્યવશ, આ જ સોમનાથ, જે લાખો લોકોની શ્રદ્ધા અને પ્રાર્થનાનું કેન્દ્ર હતું, તેના પર વિદેશી આક્રમણકારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમનો એજન્ડા વિનાશ કરવાનો હતો, ભક્તિ નહીં.
વર્ષ 2026 સોમનાથ મંદિર માટે મહત્ત્વપૂર્ણ છે. આ મહાન મંદિર પર થયેલા પ્રથમ હુમલાને 1,000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જાન્યુઆરી 1026 માં જ ગઝનીના મહમુદે આ મંદિર પર હુમલો કર્યો હતો, જેણે હિંસક અને બર્બર આક્રમણ દ્વારા શ્રદ્ધા અને સભ્યતાના મહાન પ્રતીકને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, એક હજાર વર્ષ પછી પણ, સોમનાથને તેની ભવ્યતામાં પુનઃસ્થાપિત કરવાના અસંખ્ય પ્રયાસોને કારણે મંદિર આજે પણ એટલું જ ભવ્ય છે.
આવો જ એક સીમાચિહ્ન 2026 માં 75 વર્ષ પૂર્ણ કરે છે. 11 મે 1951 ના રોજ એક સમારોહ દરમિયાન, ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં, પુનઃનિર્મિત મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. 1026 માં સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણ, નગરના લોકો પર કરવામાં આવેલી ક્રૂરતા અને મંદિર પર થયેલા વિનાશનું વિવિધ ઐતિહાસિક વૃત્તાંતોમાં વિગતવાર દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે.
જ્યારે તમે તેને વાંચો છો, ત્યારે હૃદય કંપી ઉઠે છે. દરેક પંક્તિ દુઃખ, ક્રૂરતા અને એવી પીડાનો ભાર વહન કરે છે જે સમયની સાથે ભૂંસાતી નથી. ભારત અને લોકોના મનોબળ પર તેની કેવી અસર પડી હશે તેની કલ્પના કરો. સોમનાથનું મોટું આધ્યાત્મિક મહત્વ હતું. તે દરિયાકાંઠે હોવાથી, મહાન આર્થિક પરાક્રમ ધરાવતા સમાજને શક્તિ પણ આપતું હતું, જેના દરિયાઈ વેપારીઓ અને નાવિકો તેની ભવ્યતાની ગાથાઓ દૂર-દૂર સુધી લઈ જતા હતા.
તેમ છતાં, હું નિઃસંકોચપણે ગર્વ સાથે કહી શકું છું કે સોમનાથની વાર્તા, પ્રથમ હુમલાના એક હજાર વર્ષ પછી પણ, વિનાશ દ્વારા વ્યાખ્યાયિત થતી નથી. તે ભારત માતાના કરોડો સંતાનોના અતૂટ સાહસ દ્વારા વ્યાખ્યાયિત થાય છે. 1026માં શરૂ થયેલી મધ્યકાલીન બર્બરતાએ અન્યોને વારંવાર સોમનાથ પર હુમલો કરવા માટે 'પ્રેરિત' કર્યા હતા. તે આપણા લોકો અને સંસ્કૃતિને ગુલામ બનાવવાનો પ્રયાસ હતો. પરંતુ, દર વખતે જ્યારે મંદિર પર હુમલો થયો, ત્યારે આપણી પાસે એવા મહાન પુરુષો અને સ્ત્રીઓ હતા જેઓ તેના રક્ષણ માટે ઉભા થયા અને સર્વોચ્ચ બલિદાન પણ આપ્યું.
અને દરેક વખતે, પેઢી દર પેઢી, આપણી મહાન સંસ્કૃતિના લોકો બેઠા થયા અને મંદિરનું પુનઃનિર્માણ તેમજ નવજીવન કર્યું. એ જ માટી દ્વારા આપણું પણ પાલન-પોષણ થવું એ આપણું સૌભાગ્ય છે જેણે અહિલ્યાબાઈ હોલકર જેવા મહાનુભાવોને પોષ્યા છે, જેમણે ભક્તો સોમનાથમાં પ્રાર્થના કરી શકે તે માટે ઉમદા પ્રયાસ કર્યો હતો. 1890ના દાયકામાં, સ્વામી વિવેકાનંદે સોમનાથની મુલાકાત લીધી હતી અને તે અનુભવથી તેઓ પ્રભાવિત થયા હતા.
તેમણે 1897 માં ચેન્નાઈમાં એક વ્યાખ્યાન દરમિયાન પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "દક્ષિણ ભારતના આમાંના કેટલાક પ્રાચીન મંદિરો અને ગુજરાતના સોમનાથ જેવા મંદિરો તમને જ્ઞાનના અઢળક પાઠ શીખવશે, કોઈપણ પુસ્તકો કરતાં આ જાતિના ઇતિહાસમાં ઊંડી સમજ આપશે. જુઓ કે આ મંદિરો કેવી રીતે સો હુમલાઓ અને સો જીર્ણોધારન નિશાન ધરાવે છે, જે સતત નાશ પામતા રહ્યા અને ખંડેરોમાંથી સતત બહાર આવતા રહ્યા, નવપલ્લિત અને હંમેશાની જેમ મજબૂત! તે રાષ્ટ્રીય મન છે, તે રાષ્ટ્રીય જીવન-પ્રવાહ છે. તેને અનુસરો અને તે ગૌરવ તરફ દોરી જશે. જો તેને છોડી દેશો તો તમે નાશ પામશો; જે ક્ષણે તમે તે જીવન પ્રવાહની બહાર પગ મૂકશો, મૃત્યુ એ એકમાત્ર પરિણામ હશે, વિનાશ જ એકમાત્ર અસર હશે."
સ્વતંત્રતા પછી સોમનાથ મંદિરના પુનઃનિર્માણની પવિત્ર ફરજ સરદાર વલ્લભભાઈ પટેલના સમર્થ હાથોમાં આવી. 1947 માં દિવાળીના સમયે એક મુલાકાતે તેમને એટલા પ્રભાવિત કર્યા કે તેમણે ત્યાં મંદિરના પુનઃનિર્માણની જાહેરાત કરી દીધી. અંતે, 11 મે 1951 ના રોજ, સોમનાથમાં એક ભવ્ય મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. મહાન સરદાર સાહેબ આ ઐતિહાસિક દિવસ જોવા જીવિત નહોતા, પરંતુ તેમના સ્વપ્નની પૂર્તિ રાષ્ટ્ર સમક્ષ ગર્વથી ઊભી હતી.
તત્કાલીન પ્રધાનમંત્રી, પંડિત જવાહરલાલ નેહરુ, આ ઘટનાક્રમથી બહુ ઉત્સાહિત નહોતા. તેઓ ઈચ્છતા ન હતા કે માનનીય રાષ્ટ્રપતિ તેમજ મંત્રીઓ આ વિશેષ કાર્યક્રમ સાથે જોડાય. તેમણે કહ્યું હતું કે આ ઘટનાએ ભારતની ખરાબ છાપ ઊભી કરી છે. પરંતુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અડગ રહ્યા અને બાકીનો ઇતિહાસ છે. સોમનાથનો કોઈ પણ ઉલ્લેખ કે. એમ. મુનશીના પ્રયાસોને યાદ કર્યા વિના અધૂરો છે, જેમણે સરદાર પટેલને ખૂબ જ અસરકારક રીતે સાથ આપ્યો હતો. 'સોમનાથ: ધ શ્રાઈન એટર્નલ' પુસ્તક સહિત સોમનાથ પરના તેમના કાર્યો અત્યંત માહિતીપ્રદ અને શિક્ષિત કરનારા છે.
ખરેખર, મુનશીજીના પુસ્તકનું શીર્ષક જણાવે છે તેમ, આપણે એવી સંસ્કૃતિ છીએ જે આત્મા અને વિચારોની શાશ્વતતા વિશે દ્રઢ વિશ્વાસ ધરાવે છે. ગીતાના પ્રખ્યાત શ્લોક “नैनं छिन्दन्ति शस्त्राणि..." માં દર્શાવ્યા મુજબ, જે શાશ્વત છે તે અવિનાશી છે એવું આપણે દ્રઢપણે માનીએ છીએ. આપણી સભ્યતાના અદમ્ય ઉત્સાહનું સોમનાથથી વધુ સારું ઉદાહરણ બીજું કોઈ હોઈ શકે નહીં, જે મુશ્કેલીઓ અને સંઘર્ષો પર વિજય મેળવીને ભવ્ય રીતે ઊભું છે.
આ જ ભાવના આપણા રાષ્ટ્રમાં જોવા મળે છે, જે સદીઓના આક્રમણો અને સંસ્થાનવાદી લૂંટને પાર કરીને વૈશ્વિક વિકાસના તેજસ્વી સ્થળોમાંનું એક છે. આપણી મૂલ્ય પ્રણાલીઓ અને આપણા લોકોના નિશ્ચયે જ ભારતને આજે વૈશ્વિક ધ્યાનનું કેન્દ્ર બનાવ્યું છે. વિશ્વ ભારતને આશા અને આશાવાદ સાથે જોઈ રહ્યું છે. તેઓ આપણા નવયુવાનોમાં રોકાણ કરવા માંગે છે. આપણી કલા, સંસ્કૃતિ, સંગીત અને અનેક તહેવારો વૈશ્વિક સ્તરે જઈ રહ્યા છે. યોગ અને આયુર્વેદ વિશ્વભરમાં પ્રભાવ પાડી રહ્યા છે અને સ્વસ્થ જીવનને પ્રોત્સાહન આપી રહ્યા છે. વિશ્વના કેટલાક સૌથી કપરા પડકારોના ઉકેલો ભારતમાંથી આવી રહ્યા છે.
અનાદિ કાળથી, સોમનાથે જીવનના વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવ્યા છે. સદીઓ પહેલા, એક આદરણીય જૈન સાધુ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સોમનાથ આવ્યા હતા. એવું કહેવાય છે કે ત્યાં પ્રાર્થના કર્યા પછી, તેમણે એક શ્લોક ગાયો હતો, “भवबीजाङ्कुरजनना रागाद्याः क्षयमुपगता यस्य।।". તેનો અર્થ છે - તે ઈશ્વરને વંદન જેમાં સાંસારિક બનેલા બીજ નાશ પામે છે, જેમાં રાગ અને તમામ ક્લેશો શમી ગયા છે. આજે પણ સોમનાથ મન અને આત્મામાં કંઈક ગહન જાગૃત કરવાની ક્ષમતા ધરાવે છે.
1026 ના પ્રથમ હુમલાના એક હજાર વર્ષ પછી પણ, સોમનાથનો દરિયો આજે પણ એ જ તીવ્રતાથી ગર્જના કરે છે જેવી તે સમયે કરતો હતો. સોમનાથના કિનારાને સ્પર્શતી લહેરો એક વાર્તા કહે છે. ભલે ગમે તે થાય, મોજાંની જેમ તે વારંવાર ઊઠતું રહશે. ભૂતકાળના આક્રમણકારો હવે હવામાં ધૂળ બની ગયા છે, તેમના નામ વિનાશના પર્યાય છે. તેઓ ઇતિહાસના પાનામાં ફૂટનોટ્સ બનીને રહી ગયા છે, જ્યારે સોમનાથ તેજસ્વી રીતે ઉભું છે, જે ક્ષિતિજની પેલે પાર સુધી પ્રકાશ ફેલાવે છે, અને આપણને એ શાશ્વત ભાવનાની યાદ અપાવે છે જે 1026ના હુમલા છતાં પણ અકબંધ રહી હતી. સોમનાથ એ આશાનું ગીત છે જે આપણને કહે છે કે નફરત અને કટ્ટરતા પાસે ભલે એક ક્ષણ માટે નાશ કરવાની શક્તિ હોય, પરંતુ સારપની શક્તિમાં વિશ્વાસ અને દ્રઢતા પાસે અનંતકાળ સુધી સર્જન કરવાની શક્તિ છે.
જો સોમનાથ મંદિર, જેના પર એક હજાર વર્ષ પહેલાં હુમલો થયો હતો અને ત્યારપછી સતત આક્રમણોનો સામનો કરવો પડ્યો હતો, તે ફરીથી અને ફરીથી ઉભું થઈ શકતું હોય, તો આપણે ચોક્કસપણે આપણા મહાન રાષ્ટ્રને તે ગૌરવ અપાવી શકીએ છીએ જે આક્રમણો પહેલા એક હજાર વર્ષ પહેલાં હતું. શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ સાથે, આપણે આગળ વધીએ છીએ...
વિકસિત ભારત બનાવવાના નવા સંકલ્પ સાથે, જ્યાં સભ્યતાનું જ્ઞાન આપણને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કામ કરવા માર્ગદર્શન આપે છે.