મંચ પર બિરાજમાન ઝારખંડના રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મૂજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન રઘુબર દાસજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન આર. કે. સિંહજી, અશ્વિનીજી, સુદર્શન ભગતજી, ઝારખંડ સરકારમાં મંત્ર શ્રી અમરકુમારજી, રામચંદ્રજી, અમારા સાંસદ શ્રીમાન પ્રેમસિંહજી, ધારાસભ્ય ભાઈ ફૂલચંદજી અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,

હું સૌથી પહેલા ભગવાન બિરસા મુંડાની આ વીરધરાને નમન કરું છું. આ ધરતી ત્યાગ અને બલિદાનની ધરતી છે. આ જયપાલ સિંહ શ્રી મુંડાજીના સંઘર્ષની ભૂમિ છે અને આ અટલ બિહારી વાજપેયીજીના સપનાઓની ભૂમિ છે. અહીંની ખનીજ ભંડાર કોલસાની ખાણો, દેશના વિકાસનાં એન્જીનના રૂપમાં એક ઊર્જા આપવાનું કામ કરી રહી છે.

મને જણાવવામાં આવ્યું છે કે તમે લોકો બે-બે ત્રણ-ત્રણ કલાકથી અહિં આવીને બેઠા છો. આટલી મોટી માત્રામાં આવીને મારૂ હુંફાળું સ્વાગત કર્યું. તમે આશીર્વાદ આપ્યા. તમારા આ પ્રેમ માટે, હું તમારા આ આશીર્વાદ માટે તમારો ખૂબ-ખૂબ આભારી છું. જ્યારે ચૂંટણીના સમયે હું ઝારખંડ ગયો હતો. તો હું ઝારખંડ માટે કહેતો રહેતો હતો કે ઝારખંડના વિકાસ માટે ડબલ એન્જીનની જરૂર છે. એક રાંચીવાળું અને બીજું દિલ્હીવાળું અને તમે ચાર વર્ષમાં જોઈ લીધું. જ્યારે બંને સરકારો મળીને એક જ દિશામાં સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર લઇને ચાલે છે. લક્ષ્ય નિર્ધારિત કરે છે અને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઈ કસર નથી છોડતી તો વિકાસના કેવા પરિણામો પ્રાપ્ત થાય છે. તેનો ઝારખંડની જનતાએ ખૂબ સારી રીતે અનુભવ કર્યો છે.

મને વિશ્વાસ છે કે જ્યારે આપણે સાર્વજનિક જીવનમાં કામ કરીએ છીએ. આપણો માર્ગ સાચો છે કે નથી. આપણો ઉદ્દેશ્ય સાચો છે કે નથી. આપણે લોકોની ભલાઈ માટે કામ કરી રહ્યા છીએ કે નથી કરી રહ્યા. લોકશાહીમાં તેનો માપદંડ એક જ હોય છે અને તે હોય છે જનસમર્થનનો, હું ઝારખંડ સરકારને, મુખ્યમંત્રી રઘુબર દાસજીને અને તેમની પૂરી ટીમને અભિનંદન આપું છું કે, છેલ્લા દિવસોમાં જ્યારે અહિં સ્થાનિક એકમોની ચૂંટણી થઇ, પંચાયતોની ચૂંટણી થઇ અને ઝારખંડની જનતાએ જે ભારે સમર્થન આપ્યું તે ઝારખંડ સરકારના અને દિલ્હી સરકારના કાર્યો પ્રત્યે જનસામાન્યનો કયો ભાવ છે તેને પ્રગટ કરે છે.

ભાઈઓ અને બહેનો, હું જ્યારે અહિં 2014ની ચૂંટણીમાં આવ્યો હતો. ત્યારે મે કહ્યું હતું કે ઝારખંડ મને જે પ્રેમ આપી રહ્યું છે તેને હું વ્યાજ સાથે પાછું વાળીશ અને વિકાસ કરીને પાછું વાળીશ અને આજે જ્યારે અમે એક પછી એક પગલાઓ ઉઠાવ્યા છે તેનાથી તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે દિલ્હીમાં બેઠેલી સરકાર ઝારખંડના વિકાસ માટે કેટલી પ્રતિબદ્ધ છે. દલિત હોય, પીડિત હોય, શોષિત હોય, વંચિત હોય. મારા આદિવાસી ભાઈઓ બહેનો, મહિલાઓ હોય, યુવાનો હોય – દરેકના કલ્યાણ માટે એક પછી એક વિસ્તૃત યોજનાઓની સાથે અમે આગળ વધી રહ્યા છીએ.

આજે લગભગ લગભગ 27 હજાર કરોડ રૂપિયા, આ રાજ્ય સરકારોના બજેટ કરતા પણ ઘણી મોટી રકમ છે. 27 હજાર કરોડ રૂપિયાની 5 મોટી પરિયોજનાઓનો ઝારખંડની ધરતી પર શિલાન્યાસ થઇ રહ્યો છે. સિંદરીમાં હાથનું કારખાનું, પતરાતૂનો પાવર પ્રોજેક્ટ, બાબા ભોલેનાથની નગરી દેવઘરમાં હવાઇમથક અને એઈમ્સ તથા રાંચીમાં પાઈપલાઈન વડે ગેસ પહોંચાડવાનો પ્રોજેક્ટ એક સાથે 27 હજાર કરોડ રૂપિયાના કામનો આજે ઝારખંડની ધરતી પર શિલાન્યાસ થઇ રહ્યો છે. લગભગ 80 હજાર કરોડ રૂપિયાના બીજા કામ જે નિર્ધારિત છે. 50થી વધુ કામ ચાલી રહ્યા છે. તમે કલ્પના કરી શકો છો કે ઝારખંડ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં કેટલું આગળ પહોંચી જશે.

હું હંમેશા કહેતો રહ્યો છું કે ઝારખંડની જનતા હીરા ઉપર બેઠી છે. ડાયમંડ પર બેઠેલી છે. કાળો હીરો, બ્લેક ડાયમંડ આ આપણો કોલસો ભલે કાળા રંગે રંગાયેલો હોય પરંતુ પ્રકાશ ફેલાવવાની તેની તાકાત છે. પ્રકાશ ઉત્પન્ન કરવાની તેની તાકાત છે. ઊર્જાથી ભરી દેવાની તાકાત છે અને તેને જ ધ્યાનમાં રાખીને 18 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અહિં પતરાતૂમાં આજે પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. અહીંનો જ કોલસો, અહીંની જ ઊર્જા તે ઝારખંડની આર્થિક તાકાત તો બનશે જ, તે ઝારખંડના નવયુવાનોને રોજગાર પણ આપશે. અને વિકાસના નવા દ્વાર ખોલવાનું કામ આજે આ પતરાતૂના પાવર પ્લાન્ટથી શરુ થઇ રહ્યું છે. કોલસાની ખાણોથી જે વિસ્થાપિત થયા છે તેમના પરિવારોને રોજગારી મળે, તે પરિવારજનોની ચિંતા કરવામાં આવે.

મને ખુશી છે કે આજે કેટલાક નવયુવાનોને તેમના રોજગાર પત્રો આપવાનો અવસર પણ મને મળ્યો છે અને આવનારા દિવસોમાં હજારો નવયુવાનોની માટે આ રોજગારના અવસરો તેનાથી ઉપલબ્ધ થવાના છે.
અમારું સપનું હતું કે હિન્દુસ્તાનના દરેક ગામમાં વીજળી પહોંચાડવાનું. 2014માં જ્યારે મે કાર્યભાર સંભાળ્યો, આ દેશના 18 હજાર ગામડાઓ એવા હતા કે જ્યાં સદીઓ વીતી ગઈ છતા જિંદગી અંધારાની બહાર નીકળી જ નહોતી શકી. વીજળી જોઈ જ નહોતી. વીજળીનો થાંભલો જોયો જ નહોતો. વીજળીનો તાર આવ્યો નહોતો. વીજળીનો ગોળો જોયો જ નહોતો. આ હજારો ગામડાઓને પ્રકાશ આપવાનું કામ અમે બીડું ઉપાડ્યું. આ દુર્ગમ જગ્યાઓ હતી, ઉપેક્ષિત જગ્યાઓ હતી. વોટબેંકની રાજનીતિમાં ડૂબેલા લોકોને ઉપેક્ષિત લોકોની પરવાહ નથી હોતી તેઓને માત્ર પોતાની વોટબેંકની જ ચિંતા કરવાની આદત ધરાવતા હોય છે. અમે સૌનો સાથ, સૌનો વિકાસ આ મંત્ર લઈને ચાલનારા લોકો છીએ અને એટલા માટે 18 હજાર ગામડાઓમાં વીજળી પહોંચવી જોઈએ. ગમે તેટલું દુર્ગમ જ કેમ ના હોય, પહાડની ટોચ પર જ કેમ ન હોય, ગાઢ જંગલોમાં જ કેમ ના હોય. કાર પહોંચાડવા માટે હજારો લાખો રૂપિયાનો ખર્ચો જ કેમ ન થઇ જાય. પરંતુ એક વાર દેશના દરેક ગામમાં વીજળી પહોંચાડવી જ છે.

અને મને ખુશી છે કે નિર્ધારિત સમય સીમાની પહેલા 18 હજાર ગામડાઓમાં વીજળી પહોંચાડવામાં આવી છે. આ દેશમાં પહેલા કોઈને ક્યારેય ફુરસદ નહોતી કે જઈને પૂછે કે આઝાદીના 50-60 વર્ષ પછી પણ કેટલા ગામડાઓ છે જ્યાં વીજળી નથી પહોંચી. પરંતુ એક વાર અમે બીડું ઝડ઼પ્યું તો આજે લોકો ગામે ગામ જઈને જોઈ રહ્યા છે કે મોદી સાચું બોલી રહ્યાં છે કે ખોટું બોલી રહ્યાં છે. હું તેને સારું જ માનું છું કે જે 18 હજાર ગામડાઓમાં કોઈને જવાની પણ નવરાશ નહોતી. આજે લોકોને તે ગામની ધૂળ ચાટવા માટે જવું પડી રહ્યું છે. તેનાથી વધીને ખુશીની નોબત બીજી શું હોઈ શકે છે અને તેનાથી સરકારી બાબુઓ પણ સજાગ રહે છે તેમને પણ લાગે છે કે કહ્યું છે તો પૂરું કરીને જ દેખાડવું પડશે અને તેના જ કારણે કામ થાય છે. દબાણ પેદા થાય છે. જ્યારે જાહેરાત કરીને કામ કરીએ છીએ તો દબાણ પેદા થાય છે. જ્યારે અમે 18 હજાર ગામડાઓની વાત કરતા હતા તો કેટલાક લોકો દેશને ગુમરાહ કરવા માટે કહેતા હતા. પરંતુ ગામમાં થાંભલો લાગી ગયો, તાર લાગી ગયા, 5-25 ઘરોમાં વીજળી પણ લાગી ગઈ. આ કોઈ કામ થયું છે ખરું? તેમનો આ સવાલ પણ ઘણો મહત્વપૂર્ણ છે.

આવા પ્રશ્નો કરનારાઓને ખબર હોવી જોઈએ કે આઝાદીના 70 વર્ષ પછી આ દેશમાં 20 ટકાથી વધુ ઘરો એવા છે, લગભગ 4 કરોડ ઘરો એવા છે જ્યાં આઝાદીના 70 વર્ષ પછી પણ ન તો વીજળીનો તાર પહોંચ્યો છે ન તો વીજળીનો ગોળો લાગ્યો છે. ન તો તે પરિવારોએ ક્યારેય પ્રકાશ જોયો છે પરંતુ આ મોદીએ આવીને કોઈના ઘરમાં વીજળી હતી અને કાપી નાખી એવું નથી. આ એ જ લોકોનું પાપ હતું કે જેના કારણે 60 વર્ષ સુધી આ લોકોને અંધારામાં જીવન પસાર કરવું પડ્યું. અમે તો જવાબદારી ઉઠાવી છે કે અમે આવનારા નિર્ધારિત સમયમાં જે રીતે 18 હજાર ગામડાઓમાં વીજળી પહોંચડવાનું કામ પૂરું કર્યું છે, સૌભાગ્ય યોજના વડે ચાર કરોડ ઘરોમાં પણ વીજળી પહોંચાડીને જ દમ લઈશું. આ અમે બીડું ઝડપ્યું છે.

જે લોકો સવાર સાંજ અમીરોને યાદ કર્યા વિના સૂઈ નથી શકતા, જે લોકોને અમીરોને ગાળો આપીને પોતાની ગરીબોની ભક્તિ દેખાડવાનો શોખ ચડ્યો છે, ફેશન થઇ ગઈ છે, તેઓ દિવસ રાત કહે છે કે મોદી અમીરોની માટે કામ કરે છે. જે 18 હજાર ગામડાઓમાં વીજળી પહોંચી ત્યાં કયો અમીર રહેતો હતો, હું જરા એ લોકોને પૂછવા માંગુ છું. જે ચાર કરોડ ઘરોમાં આજે પણ અંધારું છે. જ્યાં મોદી વીજળી પહોંચાડવા માટે દિવસ રાત લાગેલો છે. તે ચાર કરોડ ઘરોમાં કયા અમીર માં-બાપ અથવા દીકરા રહે છે. હું જરા આ નામદારોને પૂછવા માંગું છું જે કામદારોની પીડાને નથી જાણતા અને એટલા માટે ભાઈઓ અને બહેનો હું કહેવા માંગું છું.

અમે સમાજના છેલ્લા માણસ દલિત હોય, પીડિત હોય, શોષિત હોય, વંચિત હોય તેને અમે વિકાસની યાત્રામાં જોડવા માંગીએ છીએ. આ ચાર કરોડ પરિવારોમાંથી 32 લાખ પરિવારો ઝારખંડમાં છે અને મને ખુશી છે કે મુખ્યમંત્રીજીએ પણ ભારત સરકારની સાથે કદમથી કદમ મિલાવીને સમયસીમામાં આ 32 લાખ ઘરોમાં પણ વીજળી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે અને તે સફળ થઇને રહેશે તેવો મારો વિશ્વાસ છે.

ભાઈઓ બહેનો, આજે મને સિંદરીમાં યૂરિયાનું કારખાનું ફરીથી શરૂ કરવાનો અવસર મળી રહ્યો છે. આશરે 16 વર્ષ આ કારખાનું બંધ રહ્યું. પરંતુ આ તે કારખાનું છે જ્યારે ભારતીય જનસંઘીય સંસ્થા પર ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કેન્દ્ર સરકારમાં મંત્રી હતા. તેમણે આ સિંદરીના યૂરિયાના કારખાનાનો શિલાન્યાસ કર્યો હતો. પછીથી તે બંધ થઇ ગયું અને મેં 2014ની ચૂંટણીમાં તમને કહ્યું હતું કે ઝારખંડનું, આ સિંદરીનું તે કારખાનું અમે તેને શરૂ કરીશું.

ભાઈઓ બહેનો, સમયની સાથે ટેકનોલોજી બદલાવી જોઈએ. તે બદલાઈ નથી અમે ગેસના આધાર પર કામ કરવાની દિશામાં પગલા ઉપાડ્યા અને આવનારા કેટલાક સમયમાં આ કારખાનું પણ શરૂ થઇ જશે. પૂર્વીય ઉત્તરપ્રદેશમાં ગોરખપુરમાં પણ એવું જ એક કારખાનું શરૂ થઇ જશે.

ભાઈઓ બહેનો, સિંદરી અને ધનબાદ એક રીતે એંકર સીટીના ધ્રુવની જેમ વહેંચાઇ શકે તેમ છે. પ્રગતિની ભારે સંભાવનાઓ તેમાં પડેલી છે. ભાઈઓ બહેનો, આ યૂરિયાનું કારખાનું જેને સરળતાથી ગેસ મળશે. બિહારનું બરૌની હોય, પૂર્વીય ઉત્તરપ્રદેશનું ગોરખપુર હોય કે ઝારખંડનું સિંદરી હોય. યૂરિયાના આ ત્રણ કારખાના શરૂ થશે તો પૂર્વીય ભારતમાં દૂર-દુરથી જે યૂરિયા વહન કરીને લાવવું પડે છે તે ખર્ચો ઓછો થઇ જશે. અહીંના નવયુવાનોને રોજગાર મળશે અને યૂરિયા સરળતાથી પ્રાપ્ત થવાના કારણે દેશની બીજી કૃષિ ક્રાંતિ જે પૂર્વીય ભારતમાં થવાની છે તેમાં ઘણું મોટું સહાયક બનવાનું છે અને તે કામને પણ અમે આગળ વધારવા માંગીએ છીએ.

અમે નીમકોટિંગ યૂરિયાનું કામ શરુ કર્યું છે. પહેલા ખેડૂતોના નામ પર સબસિડી જતી હતી. યૂરિયા ખેતરમાં પહોંચતું નહોતું. અમીરોના કારખાનામાં પહોંચી જતું હતું. અને જે નામદાર અમીરોની સેવામાં 70 વર્ષ સરકાર ચલાવવામાં આવી છે તેમણે ક્યારેય વિચાર્યું જ નહી કે યૂરિયા ચોરી થઇને કેમિકલના કારખાનાઓમાં ચાલ્યું જાય છે. સરકારી ખજાનામાંથી હજારો કરોડ રૂપિયાની સબસિડી ચાલી જાય છે, આ યૂરિયાને અટકાવવા માટેનો રસ્તો શોધવો જોઈએ. અમે આવીને શત પ્રતિશત યૂરિયાનું નીમ કોટિંગ કરી નાખ્યું. લીમડાની જે લીંબોળી હોય છે તેનું તેલ લગાવવાથી યૂરિયા ચોરી નથી થઇ શકતું, યૂરિયા કોઈપણ કારખાનામાં કામ નથી આવી શકતું. યૂરિયા માત્ર અને માત્ર ખેતીના જ કામમાં આવી શકે છે અને તેના કારણે ચોરી બંધ થઇ ગઈ.

અમીરો માટે જીવતા-મરતા લોકો, હવે આ ચોરી બંધ થઇ ગઈ તેના લીધે પરેશાન છે પરંતુ મારો ખેડૂત તેના હકનું યૂરિયા માટે હવે તેને લાઇનમાં ઊભું રહેવું નથી પડતું. કાળબજારમાં યૂરિયા લાવવું નથી પડતું. યૂરિયા મેળવવા માટે ક્યારેય પોલીસના ડંડા ખાવા નથી પડતા. તેનાથી તે બચી ગયા છે. આજે બે વર્ષ થઇ ગયા છે. હિન્દુસ્તાનમાં યૂરિયા નથી. એવો એક પણ અવાજ નથી ઉઠ્યો કારણ કે અમે ચોરી બંધ કરાવી દીધી છે.

ભાઈઓ બહેનો, હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડનારો વ્યક્તિ છું. બેઈમાની વિરુદ્ધ લડનારો માણસ છું અને એક પછી એક પગલાઓ તેની સાથે જ જોડાયેલા છે. આજે મને રાંચીમાં ઘરે-ઘરે પાઈપલાઈનથી ગેસ પહોંચાડવાની પરિયોજનાનો પણ શિલાન્યાસ કરવાનો અવસર મળશે. 21મી સદીનું માળખાગત બાંધકામ કેવું હોય જેમાં ગેસ ગ્રીડ હોય, ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક હોય, પાણીની ગ્રીડ હોય, વીજળીની ગ્રીડ હોય, દરેક પ્રકારની આધુનિક વ્યવસ્થાઓ હોય. કયું કારણ છે કે મારું ઝારખંડ પાછળ રહી જાય અને એટલા માટે હિન્દુસ્તાનમાં ઝડપી ગતિએ આગળ વધનારા શહેરોની બરાબરી હવે રાંચી પણ કરવા લાગી જશે. આ સપનું જોઈને ગેસ ગ્રીડનું કામ અમે ઉપાડ્યું છે. ઘર ઘરમાં ગેસ પહોંચશે અને આગળ જઈને આ ગેસ યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામના આશરે 70 જિલ્લાઓમાં પાઈપલાઈન વડે ગેસ પહોંચવાનો છે.

તમે કલ્પના કરી શકો છો કે ધુમાડાથી મુક્ત રસોઈ ઘર આ જે અમારું સપનું હતું. તેને સાકાર કરવા માટે અમે ઉજ્જવલા યોજના ચલાવી. હવે બીજું પગલું છે પાઈપલાઈન વડે ગેસ પહોંચાડવો અને એક ત્રીજી વાત પર કામ ચાલી રહ્યું છે. સ્વચ્છ રસોઈનું, સૂર્ય ઊર્જાવાળા ચુલા જેથી કરીને ગરીબને સૂર્ય શક્તિ વડે જ રસોઈ બની જાય તેને બળતણનો ખર્ચો પણ ન આવે. તે દિશામાં પણ સંશોધન કાર્ય ચાલી રહ્યું છે.

આજે મને અહિં દેવઘરમાં એઈમ્સનું નિર્માણ કરવા માટેનો શિલાન્યાસ કરવાનો પણ અવસર મળ્યો છે. સમગ્ર પૂર્વીય ભારતમાંથી ઘણી મોટી માત્રામાં દર્દીને દિલ્હી એઈમ્સ સુધી પહોંચાડવા પડે છે. ગરીબોની પાસે પૈસા નથી હોતા, તકલીફો આવે છે. અમે પૂર્વીય ભારતમાં એઈમ્સની જાળ પાથરીને દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિને સારામાં સારી સુવિધા મળી શકે તે દિશામાં કામ કરવાનું શરુ કર્યું છે અને તેના દ્વારા જ આજે દેવઘરમાં એઈમ્સનો આરંભ થવા જઈ રહ્યો છે, શિલાન્યાસ થઇ રહ્યો છે. તે જ રીતે દેવઘર એક તીર્થસ્થળ પણ છે, બાબા ભોલેનાથની ધરતી છે. તે શક્તિપીઠ પણ છે. દેશભરના યાત્રીઓ અહિં આવવા માંગે છે. પ્રવાસન માટે ભરપૂર સંભાવનાઓ છે અને એટલા માટે તેને હવાઈમથકથી જોડવાની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ.

પ્રવાસન મંત્રાલય પણ આ કામને કરી રહ્યું છે. અને અમારું સપનું છે કે હવાઈ ચપ્પલ પહેરનાર પણ હવાઈ જહાજમાં જાય; હવાઈ ચપ્પલ પહેરનાર પણ વિમાનમાં જાય. તે અમારું સપનું છે અને તમને જાણીને ખુશી થશે કે ગયા વર્ષે રેલવેના એસી ડબ્બામાં મુસાફરી કરનારા લોકો કરતા વધારે વિમાનમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા છે. તે દર્શાવે છે કે કઈ રીતે સામાન્ય વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે.

ભાઈઓ બહેનો, વિકાસના અનેક પ્રોજેક્ટ લઈને આજે અમે આગળ વધી રહ્યા છીએ ત્યારે 2022 સુધીમાં ગરીબને ઘર આપવાનું સપનું છે અને ઘર પણ હોય, શૌચાલય પણ હોય, પાણી પણ હોય, વીજળી પણ હોય અને બાળકો માટે નજીકમાં ભણવા માટેની સુવિધા પણ હોય. આવા ઘરની યોજના ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. 2022 આઝાદીના 75 વર્ષ થાય દેશમાં કોઈ ઘર વિનાનું ના હોય. તે સપનું લઈને અમે ચાલી રહ્યા છીએ.

ભાઈઓ બહેનો મારો તમને આગ્રહ છે કે આપણે વિકાસની યાત્રામાં ભાગીદાર બનીએ, આજે દેશ ઈમાનદારી તરફ ચાલી નીકળ્યો છે અને હિન્દુસ્તાનનો સામાન્ય માનવી ઈમાનદારી વડે જીવે છે. ઈમાનદારી માટે ઝઝૂમે છે અને આ સરકાર તે સામાન્ય લોકોની સાથે ઉભેલી છે જે ઈમાનદારી માટે જીવે છે ઈમાનદારી માટે ઝઝૂમે છે. અને એટલા માટે ભાઈઓ બહેનો તમારા સપનાઓ પુરા કરવા માટે એક મહત્વપૂર્ણ જવાબદારીની સાથે અમે આગળ વધી રહ્યા છીએ. આટલી મોટી માત્રામાં આવીને તમે આશીર્વાદ આપ્યા, આટલા મોટા કાર્યક્રમો સાથે આજે ઝારખંડને એક નવી ઊંચાઈ પ્રાપ્ત થશે, નવા ઝારખંડ તરફ વધુ આગળ વધશે. એ જ વિશ્વાસની સાથે આપ સૌનો ખૂબ-ખૂબ આભાર!!

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Over 88% Trust PM Modi On National Security Matters After Op Sindoor: News18 Survey

Media Coverage

Over 88% Trust PM Modi On National Security Matters After Op Sindoor: News18 Survey
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 જૂન 2025
June 08, 2025

PM Modi’s Vision of Women-led Development – Transforming Women into Nation Builders