પ્રિય મિત્રો,

માર્ચ મહિનો આપણા લાખો યુવા મિત્રો માટે અત્યંત અગત્યનો છે કારણકે તેમણે ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાઓ આપવાનો આ સમય છે. ગુજરાતના ઘણાં વિદ્યાર્થીઓની પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, ઘણાં વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઇ ચૂકી છે અને બીજા ઘણાંની પરીક્ષા આવનાર દિવસોમાં શરૂ થશે. મારા યુવા મિત્રોને હું પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવું છું. મહિનાઓની તૈયારી અને સખત મહેનતનો નિચોડ પરીક્ષા ખંડમાં થોડા કલાકોમાં આવી જશે.

પરીક્ષા અંગેની તમામ ચિંતાઓ દૂર કરવાનો એક સારો રસ્તો એ છે કે બોર્ડની પરીક્ષાઓને એક ખેલની જેમ લેવામાં આવે. પરીક્ષામાં સ્ટ્રેસ લઇને બેસવાને બદલે જાણે કે એક રમત રમવાની હોય તેવો અભિગમ રાખવાથી ફાયદો થશે. પરીક્ષાને આત્મ વિકાસનો એક અવસર માનો અને તમારો સ્ટ્રેસ તરત દૂર થઇ જશે. યાદ રાખો સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું - ''પહેલાં તો પોતાની જાતમાં વિશ્વાસ રાખો, આ જ (સફળતાનો) રસ્તો છે. તમારી જાતમાં શ્રદ્ધા રાખો. તમામ શક્તિ તમારી અંદર જ પડેલી છે. આ શક્તિને ઓળખો અને તેને બહાર લાવો. પોતાની જાતને કહો કે 'હું બધું જ કરી શકું છું'. સાપનું ઝેર પણ તમારી સામે બિનઅસરકારક થઇ જશે જો તમે દ્રઢતાથી તેને નકારી દેશો''.

પરિક્ષા આપવા અંગે આપણા અંગત અનુભવો છે. જે કેટલાક પ્રસંગો મનમાં તાજા કરાવે છે જેમાંથી કેટલાક અનુભવો આનંદદાયક હોય છે અને કેટલાક નથી હોતા. આપણો સમય યાદ કરીએ તો પરીક્ષા આજે છે તેટલી સ્પર્ધાત્મક ન હતી. પરીક્ષાનું દબાણ પણ ઘણું ઓછું હતું. તે દિવસોમાં કોઈ વ્યક્તિ જો 70 ટકા પણ લાવ્યું હોય તો તે એક આનંદની વાત હતી અને આજે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની 90 ટકા ઉપર ગુણ લાવે તો તેને લાગ્યા કરે છે કે "આનાથી સારા ગુણ આવ્યા હોત તો!" . ખરેખર, સમય બદલાઈ ગયો છે....

યુવામિત્રો, અભ્યાસક્રમ પૂર્ણ કરવાના આકરા નિત્યક્રમ વચ્ચે થોડી હળવાશની ક્ષણો માણવી અત્યંત મહત્વની છે. તમારૂ મનપસંદ સંગીત સાંભળો, પરિવારજનો-મિત્રો સાથે સમય ગાળો અથવા તો તમારો પ્રિય ટેલિવિઝન કાર્યક્રમ માણો. આ સમયગાળા દરમિયાન સૂર્યનમસ્કાર અથવા પ્રાણાયામ કરવાથી એકાગ્રતા વધે છે અને પરીક્ષા સમયે આવશ્યક કાર્યક્ષમતામાં પણ ઉમેરો થાય છે.

બોર્ડની પરીક્ષાની યાત્રા માત્ર વિદ્યાર્થીઓ પુરતી સિમિત નથી હોતી. પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ પાછળ તેમના પરિચિત અને અપરિચિત એવા સંખ્યાબંધ લોકોના ત્યાગ અને પરિશ્રમ હોય છે.

યુવામિત્રો, આપ સૌ શૈક્ષણિક યાત્રાના એક મહત્વના પડાવ પર પહોંચવા જઈ રહ્યાં છો ત્યારે એ યાદ રાખો કે તમારા શિક્ષણ સમયે આપના માતા-પિતાએ તેમના સમય, ઉર્જાના ભોગે તમને સગવડ આપી છે અને તમને મુશ્કેલ સમયે વાત્સલ્યથી હૂંફ આપી છે. તમારાથી નાના ભાઈ કે બહેન માત્ર એટલા માટે જ તેમના મનપસંગ ટીવી કાર્યક્રમોને નિહાળી શકતા ન હતા કારણ કે તમે એકાગ્રતા સાથે વાંચી શકો. યાદ રાખો કે સમગ્ર વર્ષ દરમિયાન જેની તમને વિશેષ જરૂરીયાત રહી છે તેવા આપ સૌના શિક્ષકોએ શાંતચિત્તે અને પોતે પરિશ્રમ કરીને તમને માર્ગદર્શન આપ્યું છે. મને ખાતરી છે કે તેમના આશીર્વાદ તમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપશે અને પરીક્ષામાં ચમકશો. પરીક્ષામાં સારો દેખાવ કરીને તમારા માટે પરિશ્રમ કરનારા આપ સૌના હિતેચ્છુઓને સન્માન અપાવી શકશો.

બોર્ડની પરીક્ષાના ગુણ એ કોઈ અંત નથી પરંતુ વિદ્યાર્થી માટે એક નવી શરૂઆત છે! પરિણામો બાદ વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીને ધ્યાનમાં લઈને અત્યંત મહત્વની પસંદગી કરશે તેનો પ્રભાવ તેમના ભવિષ્ય પર રહેશે. મને ખાતરી છે કે આપ સૌ પોતાના રસના વિષય અને કૌશલ્યને ધ્યાનમાં રાખીને સમજદારી સાથે પસંદગી કરશો.

ભલે એમ લાગતું હોય કે પરીક્ષા પતવાને તો હજુ વર્ષોની વાર છે પરંતુ હું મારા યુવા મિત્રોને પરિક્ષા પછીને આ સમયગાળાનો સદુપયોગ કરવા કહીશ. હરો ફરો અને તમને જેમાં આનંદ આવતો હોય તેવી બાબતોનો આનંદ માળો- પ્રવાસ કરો, વાચંન કરો; પાછલા એક વર્ષ દરમિયાન તમે ન કરી શક્યા હોય તે કરો. હું આગ્રહપૂર્વકની વિનંતી કરીશ કે આપ સૌ યુવાનો આ સમયે સમાજ સેવા માટે પણ સમય ફાળવો. તેનાથી આપના શિક્ષણનો વ્યાપ ખરા અર્થમાં વિસ્તરશે. આખરે તો તમારા શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય માર્કશિટ્સમાં 'A+, A , A ' જેવા ગુણ હાંસલ કરવાનો નથી પરંતુ એવો વિશ્વાસ સંપાદિત કરવાનો છે કે તમે જે શિક્ષણ મેળવ્યું તેનાથી તમે સમાજને કંઈક પ્રદાન કરી શકશો. સ્વામિ વિવેકાનંદે સાચું જ કહ્યું છે કે, "જે વ્યક્તિ સમાજના સહકારથી શિક્ષણ મેળવે છે પરંતુ સમાજ માટે કંઈ નથી કરતો તેને હું વિશ્વાસઘાતી કહીશ."

ફરી એક વાર, મારા વિદ્યાર્થી મિત્રોને પરિક્ષા માટે શુભેચ્છા!

 

આપનો,

નરેન્દ્ર મોદી

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
One of the world’s first canal-top solar projects placed a 750-meter solar array above an Indian irrigation canal, generating clean power while saving an estimated 9 million liters of water each year

Media Coverage

One of the world’s first canal-top solar projects placed a 750-meter solar array above an Indian irrigation canal, generating clean power while saving an estimated 9 million liters of water each year
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.