કૌશલ્ય વિકાસ: યુવા શક્તિને બળ

Published By : Admin | April 13, 2012 | 17:31 IST

કૌશલ્ય વિકાસ : યુવા શક્તિને બળ

વ્હાલા મિત્રો,

હું જાણું છું તેવા એક વ્યક્તિના પ્રસંગ અંગે તમારી સાથે વાત કરવી છે. આ વ્યક્તિ ઘડિયાળ રિપેઈર કરવાનું કામ કરે છે. એક દિવસ તેમની પાસે એક ઘડિયાળ રિપેરિંગ માટે આવી, જેમાં તેમને લાગ્યું કે ઘડિયાળમાં ઉત્પાદન સંબંધિત ખામી હતી. આથી તેમણે સ્વિટઝર્લેન્ડ સ્થિત ઘડિયાળનું ઉત્પાદન કરતી કંપનીને પત્ર લખીને તેમની પ્રોડક્ટની ડિઝાઇનમાં ખામી હોવાના જાણકારી આપી. કંપનીએ તપાસ કરતાં જાણ્યું કે આ વ્યક્તિ દ્વારા રજૂ કરાયેલા કારણો સાચા હતાં અને કંપનીએ આ વ્યક્તિ દ્વારા રજૂ કરાયેલા કારણોની કદર કરીને બજારમાંથી તમામ ઘડિયાળોને પાછી પણ ખેંચી લીધી.

આ વ્યક્તિનું ઉદાહરણ શું સૂચવે છે? એ સ્પષ્ટ જણાવે છે કે સંશોધનમાં કોઇ સીમાઓના અવરોધ હોતા નથી અને દરેક વ્યક્તિ સંશોધનની ક્ષમતા ધરાવે છે. કામ અને કામના માહોલમાં સંપુર્ણતાથી શ્રેષ્ઠ સંશોધન શક્ય બને છે. પરંતુ, નિપુણતા હાંસલ કરવા માટે આપણે જે કાંઇ પણ કરવા ઇચ્છતા હોઇએ તેના માટે જરૂરી કૌશલ્ય હાંસલ કરવું જરૂરી છે.

ગુજરાતમાં આપણે આ બાબતને ટોચની પ્રાથમિકતા આપી છે. તમને ખબર હશે કે ભારત સ્વામી વિવેકાનંદની 150મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે.સ્વામીજીને અંજલીરૂપે ગુજરાત વર્ષ 2012ને “યુવા શક્તિ વર્ષ” તરીકે ઉજવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે અમે આપણા યુવાનોમાં કુશળતાના વિકાસ પર ભાર મૂકવા પર નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્વામી વિવેકાનંદ પોતે માનતા હતાં કે ભારતના ભાવિનો આધાર યુવાનો પર રહેશે. ઇતિહાસ પર નજર નાંખતા જણાશે કે ભારતમાં અગાઉ ક્યારેય આટલા યુવાનો ન હતા. જે આજે છે. આજે દેશની કુલ વસતીમાં 72 ટકા લોકો 40 વર્ષથી નીચે, 47 ટકા ભારતીયો 20 વર્ષથી નીચે છે, જ્યારે સમગ્ર વિશ્વની કુલ વસતીના માત્ર 10 ટકા લોકો 25 વર્ષથી નીચે છે. શું આપણા માટે આ શ્રેષ્ઠ તક નથી?

હું હંમેશાથી માનું છું કે 21મી સદીમાં ભારત કે ચીન વિશ્વની આગેવાની લેશે તેવા પ્રશ્નનો જવાબ યુવા શક્તિ છે. પરંતુ, મોટા પ્રમાણમાં યુવાન વસ્તી હોય એટલું જ પુરતું નથી. આ યુવાનોને જરૂરી કુશળતાથી સજ્જ કરવા જરૂરી છે અને સાથે સાથે પ્રત્યેક અને દરેક કુશળ વ્યવસાયને યોગ્ય માન આપવું જોઇએ. આમ થશે તો આપણી યુવા શક્તિ મજબૂત અસ્કયામત બનશે.

આપણા યુવાનોની ક્ષમતાઓને યોગ્ય દિશામાં વાળવા આપણા ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ (આઇટીઆઇ) મહત્વપુર્ણ ભુમિકા ભજવી શકે છે. છેલ્લાં એક દાયકામાં ગુજરાતે આપણા આઇટીઆઇના માળખા અને તકોમાં સુધારો કરવા માટે ગંભીર પ્રયાસો કર્યાં છે. ત્રણ દાયકાઓથી જે અભ્યાસક્રમમાં સુધારો કરાયો ન હતો તેમાં સુધારો કરાયો છે અને માળખાગત સુવિધાઓ સાથે વૈવિધ્યસભર અભ્યાસક્રમો અને તેની સંખ્યામાં પણ વૃદ્ધિ થઇ છે. વર્ષ 2001માં આઇટીઆઇની સંખ્યા માત્ર 275 હતી તે ચાર ગણી વધીને 1054 થઇ છે. ભુતકાળમાં આપણી પાસે  3,000 આઇટીઆઇ તાલીમ પામેલા વ્યક્તિ હતાં, જે હવે વધીને 6,000 થયાં છે. આઇટીઆઇ શિક્ષણ બાદ આઇટીઆઇના વિદ્યાર્થીઓ ડિપ્લોમા અને એન્જિનિયરિંગના અભ્યાસક્રમોમાં દાખલ થઇ શકે તે માટે પણ અમે દરવાજા ખોલ્યાં છે. આથી કારકિર્દીની ક્ષિતિજો વિસ્તરશે.

મિત્રો, આ સદી મુખ્યત્વે ત્રણ પાયા પર આધારિત રહેશેઃ આઇટી (ઇન્ફર્મેશન ટેકનોલોજી), બીટી (બાયો ટેકનોલોજી) અને ઇટી (એનવાયર્નમેન્ટ ટેકનોલોજી).

આ ત્રણેય પાયા મહત્વપુર્ણ હોવા છતાં ઇટી પ્રત્યે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. પવન, પાણી અને સુર્ય જેવા કુદરતી સ્રોતોમાંથી ઉર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકે છે. મેં સોલર કંપનીઓને એવોર્ડ્સની પહેલ માટે પણ સૂચન પણ કર્યું છે, જેથી પ્રેરણાદાયી સંશોધનને બળ મળી શકે.

ગમે તે કામ હોય પણ તેને માન આપવું જરૂરી છે. કોઇપણ વ્યક્તિ દ્વારા કરાતા કુશળ કામ પ્રત્યે ભરપુર આદર હોવો જોઇએ. આપણા કુશળ કામદારોને આદર ન આપવાની વૃત્તિને અમે દૂર કરવા માગીએ છીએ. આ માટે આપણા કામદારોમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરવાની અસર લાંબાગાળે જોવા મળશે અને તે માટે આપણું રાજ્ય પ્રથમ રહ્યું છે કે જેણે વ્યક્તિત્વમાં વિકાસ પર ભાર મૂકવા પોતાની આઇટીઆઇમાં સોફ્ટ સ્કીલ ટ્રેનિંગ શરૂ કરી છે. કૌશલ્યના વિકાસ સાથે આપણા વિચારો પણ વિસ્તૃત થવા જોઇએ. આપણી કામગીરીને વિશાળ પરિપ્રેક્ષ્યમાં સમજવું જરૂરી છે અને એકવાર આમ થશે પછી કોઇપણ કામ નાનું લાગશે નહીં. ઉદાહરણરૂપે એક ટેકનિશિયન સોલાર ટેકનોલોજી પર કામ કરતો હોય ત્યારે તે આ કાર્યને અન્ય નોકરીઓની જેમ ગણે અને તેના પ્રયત્નો આવનારી પેઢીઓ માટે બદલાવ લાવશે તેમ સમજે તે બે વચ્ચે ઘણું અંતર છે.

ગુજરાતે 20 સ્વામી વિવેકાનંદ સુપિરિયર ટેકનોલોજી સેન્ટર્સ (એસટીસી)ની પણ રજૂઆત કરી છે. આ સંસ્થાઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિશિષ્ટ તાલીમ પુરી પાડશે. ઓટોમોબાઇલ સર્વિસિંગ સંબંધિત એસટીસી આનું ઉદહારણ હોઇ શકે. ગુજરાત ભારતના ઓટો હબ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે ઓટો-સર્વિસિંગ ક્ષેત્રે વિશાળ તકો છે. સમાન કેન્દ્રો સીએનસી (કમ્પ્યુટર ન્યુમેરિકલી કંટ્રોલ્ડ) ટેકનોલોજી એન્ડ સોલર ટેકનોલોજી માટે રહેશે.

મિત્રો, આપણા કેટલાંક પ્રયત્નોના પરિણામ જોવા મળી રહ્યાં છે. આપણે વર્તમાન સપ્તાહને સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહ તરીકે મનાવીશું. એક સપ્તાહના સમયગાળામાં હું પોતે 65,000 યુવાનોને રોજગારી પત્રો (એપોઇન્ટમેન્ટ લેટર) સોંપીશ. આપણા દેશમાં આ ઐતિહાસિક રોજગારીનો કાર્યક્રમ છે. આ યુવાનોની મહાત્વાકાંક્ષા તેમના એકલાની નથી. અમે પ્રત્યેક યુવાનના મનને સખત મહેનત, સમર્પણ અને પ્રેરણા સાથે સંશોધનનું પાવર હાઉસ બનાવવા પ્રતિબદ્ધ છીએ. આ પ્રયાસમાં આઇટીઆઇ સક્રિય ભુમિકા ભજવી શકે છે અને આપણા યુવાનો માટે તકોમાં ઉમેરો કરી શકે છે. સખત પરિશ્રમ કરવાની ઇચ્છાશક્તિ વૈવિધ્યતામાં વધારો કરશે અને તેથી ઉત્સાહ આપોઆપ જોવા મળશે. સ્કીલ+વીલ+ઝીલ=વીનનો મંત્ર ગુજરાતને સમર્થ બનાવશે અને ભારતને નવી ઊંચાઇઓ સર કરવા સક્ષમ બનાવશે.

આપનો,

નરેન્દ્ર મોદી

My speech while handing over appointment letters to youngsters at Ahmedabad

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Marvell to invest $250 million, double India workforce in 3 years

Media Coverage

Marvell to invest $250 million, double India workforce in 3 years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.