મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સતત નવમાં વર્ષે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરતાં ગુજરાતમાં પાયાના પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા સમાજ અને સરકારના સહિયારા પરિશ્રમને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

ગુજરાત પ્રત્યે દિલ્હીની કેન્દ્ર સરકારની દ્વેષભરી નકારાત્મક માનસિકતા અને પેંતરાની પરવા કર્યા વગર ગુજરાતની આવતીકાલને શિક્ષિત અને સ્વસ્થ બનાવવા સમાજશકિતને તેમણે આહ્્‍વાન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી આજે પ્રથમ દિવસે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વરલ, ટાણા અને જાંબાળા ગામોમાં જઇને પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોનું નામાંકન કરાવી સમગ્ર ગ્રામજનોના અનેરા ઉત્સાહ ઉંમગમાં સહભાગી બન્યા હતા.

સમગ્ર ગુજરાતની ૧૮૦૦૦ ગામોની ૩ર૭૭ર પ્રાથમિક શાળાઓમાં આજથી મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ત્રણ દિવસના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જનઅભિયાનનો પ્રારંભ થયો હતો. રાજ્યનું સમગ્ર મંત્રીમંડળ, સનદી અધિકારીઓ પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓની ટીમ ગુજરાતના રર૧૧૦ મહાનુભાવોએ ગામેગામ શાળાઓમાં જઇને બાળકો અને આંગણવાડીના ભૂલકાંને શાળામાં દાખલ કરવાનો જ્ઞાનયજ્ઞ કર્યો હતો.

વરલ ગામે ગ્રામસમાજે શ્રી નરેન્દ્રભાઇ મોદીની અનોખી પુસ્તક તુલા કરી હતી અને મુખ્યમંત્રીશ્રીના વજન બરાબર રૂા.પ૧૦૦૦ની કિંમતના ૩પ૧ પુસ્તકો શાળાના ગ્રંથાલયમાં ભેટ આપ્યા હતા.

ગ્રામજનોના પુસ્તક સંસ્કાર પ્રેમથી ભાવવિભોર બનેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કોઇ વ્યકિતની રૂપિયા, સોના, ચાંદીથી તુલા થાય છે પણ, હિન્દુસ્તાનમાં આ કદાચ પ્રથમ પ્રસંગ છે કે સમાજભાગીદારીથી પહેલીવાર ગ્રંથતુલા થઇ છે. આ જ બતાવે છે કે, સમાજમાં વાંચે ગુજરાત અભિયાનથી પુસ્તકપ્રેમ અને સરસ્વતી જ્ઞાન સાધનાની જાગૃતિ આવી છે. વિચાર-ચિન્તનનું આ બીજારોપણ ગુજરાતની આવતીકાલની સંસ્કારયાત્રાની કેડી બની જશે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આધુનિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં રાજ્ય સરકારે ખર્ચ કરવામાં કોઇ કમી નથી રાખી તેની ભૂમિકા આપી હતી. શાળા સરસ્વતીનું મંદિર બને એ માટે ગ્રામસમાજની ઉદાસિનતા દૂર થાય તેવા પ્રયાસો કરી રહ્યા છીએ અને ગુણોત્સવ દ્વારા આખા દેશમાં બધી જ પ્રાથમિક શાળાઓની ગુણાત્મક સુધારણા માટે ગ્રેડેશન આપનારૂ પણ એકલું ગુજરાત જ છે તેમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતના વિકાસની યાત્રાને અવરોધવા માટેના કેન્દ્રની સરકારના અનેકવિધ પેંતરા અને ગુજરાતના વાંકદેખા નિવેદનજીવી વિપક્ષની આકરી આલોચના મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

“આ સરકારને તો ગુજરાતની આવતીકાલ ધડવાની ચિન્તા છે અને એના માટે આખી સરકાર ગામડાં ખૂંદી રહી છે. આ અમારી તપસ્યા છે અને આ પરસેવો ગુજરાતમાં પાયાના પ્રાથમિક શિક્ષણની સ્થિતિમાં સુધારણા લાવીને જ રહેશે એવો નિર્ધાર વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગાંધીનગરમાં બેસીને નિવેદનો કરવાથી પરિસ્થિતિ બદલી શકવાના નથી. એટલે જ આ સરકારે કૃષિ મહોત્સવ હોય, કન્યા કેળવણી યાત્રા હોય કે ગરીબ કલ્યાણ મેળા હોય-અમારે તો ગરીબના ધરમાંથી ગરીબી, નિરક્ષરતા, બિમારીના રોગચાળા દૂર કરવા છે.” તેમ તેમણે જણાવ્યું હતું.

“દિલ્હીની કેન્દ્ર સરકાર ગુજરાતની વિકાસયાત્રા રોકવા ગમે એટલા ફાટકો બંધ કરે, અવરોધો-વિરોધોના પેંતરા રચે-અમે તો સમાજની સમરસતા અને સંવેદના જગાડવાનું તપ આદર્યું છે. ગુજરાતનું દરેક કુટુંબનું બાળક અભણ ના રહે, શાળાનો અભ્યાસ છોડી ના દે તેવું વાતાવરણ ઉભૂં કરવું છે અને એ માટે સમાજની ઉદાસિનતા દૂર કરવી છે.”

“આઝાદીના ૬૦ વર્ષ સુધી જેમણે પ્રાથમિક શિક્ષણની કાળજી લીધી નહી એટલે આખો દશકો અમારે શિક્ષણની દુર્દશાનું નિવારણ કરવા પાછળ પૂરી તાકાત કામે લગાડી અને ગુજરાતે એક દશકામાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિણામો લાવી દીધાં છે.” તેની વિગતો શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી હતી.

દિલ્હીની કેન્દ્ર સરકારની ગુજરાત પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવાના રાજકીય દ્વેષભાવથી ગુજરાતને હેરાન-પરેશાન કરવાની માનસિક નકારાત્મકતા અને વિકલાંગતાના દ્રષ્ટાંતો આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારત સરકારે સર્વશિક્ષા અભિયાન અન્વયે દેશના અન્ય રાજ્યોને પ્રાથમિક શિક્ષકના પગાર અને વિઘાર્થીના પાઠયપુસ્તકોની કેન્દ્રીય બધી સહાય આપે છે પણ ગુજરાતને જ કાણી પાઇ પણ આપવા તૈયાર નથી. આના પરિણામે ગુજરાત સરકારને રૂા. ૧૮૦૦૦ કરોડનો બોજ સહન કરવો પડે છે.

ગુજરાતમાં વિકલાંગ શિક્ષણ માટેના શિક્ષકોની આખી યોજના કેન્દ્ર સરકારે અણધારી બંધ કરી દીધી અને ૧ર૧૦ જેટલા શિક્ષકો છૂટા કરવાની નોબત આવી અને વિકલાંગોના શિક્ષણના અરમાનો ચૂર થઇ ગયાં એવી દયાહિન દ્વેષવૃત્ત્િા કેન્દ્ર સરકારે અપનાવી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

કેન્દ્રીય માનવ સંસાધન મંત્રીએ અમદાવાદ આવીને ગુજરાતને શિક્ષણ વિકાસ માટે રૂા. ૧૮૬૦ કરોડ ફાળવ્યા છે તેવી જાહેરાત કરી તેને પડકારતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાત સરકારને આવા કોઇ નાણાં મળ્યાં જ નથી તો ગયા કયાં? આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ પોતે વડાપ્રધાનશ્રી અને શ્રી અણ્ણા હજારેને પત્ર લખીને આની તપાસ કરવા માંગણી કરવાના છે તેની જાહેરાત કરતાં જણાવ્યું કે આ ગોરખધંધામાં જે જવાબદાર હોય તેને શિક્ષા કરો પણ ગુજરાતને બદનામ કરવાના પેંતરા બંધ કરો.

કેન્દ્ર સરકારે કપાસની નિકાસબંધી મોસમમાં સૌથી ઊંચા ભાવ ગુજરાતના ખેડૂતોને મળવાના હતા ત્યારે જ કરી અને કપાસના ભાવ નીચા જતાં ખેડૂતો બરબાદ થઇ ગયા તે પછી હવે નિકાસની છૂટ આપીને ખેડૂતોનું અહિત કર્યું છે. વિશ્વના બજારોમાં કપાસના ઊંચા ભાવ મળતા હતા ત્યારે નિકાસ બંધી ઉઠાવી લેવાની ગુજરાતની અનેક વિનંતીઓ કેન્દ્ર સરકારે કાને નહીં ધરીને શા માટે ગુજરાતના ખેડૂતોની દુર્દશા કરી એવો વેધક સવાલ મુખ્યમંત્રીશ્રીએ ઉઠાવ્યો હતો.

ગુજરાત વિકાસમાં પાછળ કેમ રહી જાય એવા પેંતરા કેન્દ્રની કોંગ્રેસ સરકાર કરી રહી છે પણ, ગુજરાત સરકારને તેની પરવા નથી અમે પરિશ્રમનો યજ્ઞ આદર્યો છે ગુજરાતને સમૃધ્ધ અને સંસ્કારી બનાવવું છે એમાં સમાજનો સહયોગ લઇને તપસ્યા કરી રહ્યા છીએ એમ પણ તેમણે જણાવ્યું હતું.

પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા માટે પ્રથમ શૈક્ષણિક સત્રમાં શાળા-પ્રવેશોત્સવ અને બીજા સત્રમાં ગુણોત્સવના અભિયાનો હાથ ધરવામાં આવ્યા તેની સાથોસાથ કુપોષણ સામે લડાઇનું અભિયાન ઉપાડીને આવતીકાલની પેઢી, કન્યા કિશોરી અને સગર્ભા માતાને પોષણક્ષમ આહાર મળે, બાળકોના સ્વસ્થ શારિરીક વિકાસ માટે શાળા આરોગ્ય પરિક્ષણ અભિયાન, બાલભોગ અને મધ્યાન્હ ભોજન યોજના, તિથીભોજન અને આંગણવાડીની નવીનત્તમ અનેક પહેલ કરી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આંગણવાડી અને પ્રાથમિક શાળાના ભૂલકાં, કન્યા-કુમારોને નામાંકન કરાવી રમકડાં, પુસ્તકો તથા સાધનોનું વિતરણ કર્યું અને સમાજની ભાગીદારીને બિરદાવી હતી. સમાજ શકિતનો ઉમળકાભર્યો પ્રતિસાદ જ ગુજરાતને નિરક્ષરતાના કલંકથી મૂકત કરશે અને કુપોષણ સામેની લડાઇમાં જીત થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

ધારાસભ્યશ્રી કેશુભાઇ નાકરાણી અને જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ પણ આ અભિયાનમાં જોડાયા હતા.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 20 ડિસેમ્બર 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology