૧૯૭૫ની કટોકટી સામે જનશક્તિના મહાન વિજયનું સ્મરણ

પ્રિય મિત્રો,

બરાબર ૩૮ વર્ષ પહેલા, આજના જ દિવસે, પ્રજાસત્તાક ભારતને તેના તાજેતરનાં ઇતિહાસની સૌથી કપરી કસોટીનો સામનો કરવો પડ્યો હતો. અહંકાર અને સત્તામાં નશામાં ચૂર બનેલા કેટલાક રાજકારણીઓને જ્યારે લાગ્યુ કે હવે તેઓ પોતાની સત્તા ટકાવી શકશે નહિ, તો રાજીનામુ આપવાનાં બદલે તેમણે દેશનાં લોકશાહી માળખાને જ તોડી પાડવાની કવાયત કરી. 25મી જૂન 1975ની મધ્યરાત્રિએ દેશમાં કટોકટી લાદી દેવામાં આવી અને ભારતીય ઈતિહાસનાં એક અત્યંત કાળા કહી શકાય એવા સમયની શરૂઆત થઈ.

આ કટોકટી સાથે સંકળાયેલી ઘણી યાદો મારા મનમાં છવાયેલી છે. તે સમયે હું 25 વર્ષીય નવજુવાન હતો. મેં હજી હમણાં જ આરએસએસ સાથે કામ કરવાની શરૂઆત કરી હતી. પરંતુ, તે કાળા દિવસો દરમ્યાન મેં જે જોયું તે આજીવન મારા મનમાં અંકિત થઈને રહેશે. લોકોની વ્યક્તિગત સ્વતંત્રાને ક્રૂરતાથી કચડી નાંખવામાં આવી તેને કોણ ભુલી શકે? MISAનો છડેચોક દૂરુપયોગ કરીને રાજકીય વિરોધીઓને નિશાન બનાવવામાં આવ્યા તેને કોણ ભુલી શકે? પ્રચાર માધ્યમોને તાળાબંધી કરવામાં આવી તે કોઇ ભુલી શકે? દેશભરમાં લાખો લોકોએ 19 માસ સુધી કરેલા સખત સંઘર્ષને આપણે કેવી રીતે ભુલી શકીએ? વ્યક્તિગત જોખમની પરવા કર્યા વિના અનેક લોકોએ દેશમાં લોક્શાહી પુન:સ્થાપિત કરવા પોતાનું જીવન સમર્પિત કરી દીધું.

એક જ લક્ષ્ય માટે લડી રહેલા અનેક નેતાઓ અને સંસ્થાઓ સાથે કામ કરવાની ઉત્તમ તક આ કટોકટીકાળે મારા જેવા નવયુવાનોને આપી. જે સંસ્થાઓ સાથે રહીને ઉછર્યા હતા તેના સીમાડાઓ ઓળંગીને કામ કરવા અમે સમર્થ બન્યા. અટલજી, અડવાણીજી, સ્વ. શ્રી. દત્તોપંત ઠેંગડી, સ્વ. શ્રી. નાનજી દેશમુખ જેવા અમારા પરિવારનાં દિગ્ગજ નેતાઓથી લઈને શ્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ જેવા સમાજવાદી અને મોરારજી દેસાઈની નજીક રહેલા શ્રી રવિન્દ્ર વર્મા જેવા કોંગ્રેસી નેતાઓ પણ કટોકટીથી નાખુશ હતાં. વિવિધ વિચારધારાઓ ધરાવતા આ નેતાઓથી અમે પ્રભાવિત થયા. ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ ધીરૂભાઇ દેસાઇ, માનવતાવાદી શ્રી સી.ટી. દરૂ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ શ્રી બાબુભાઇ જસભાઇ પટેલ અને શ્રી ચિમનભાઇ પટેલ તથા અગ્રગણ્ય મુસ્લિમ નેતા સ્વ. શ્રી હબીબ-ઉર-રહેમાન જેવા મહાનુભાવો પાસેથી મને ઘણું શીખવા મળ્યું જે બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનુ છું. સ્વ. શ્રી મોરારજીભાઇ દેસાઇ કે જેમણે અડગ રહીને કોંગ્રેસના એકહથ્થુ સત્તાવાદનો પ્રતિકાર કર્યો અને પક્ષ સુધ્ધા છોડી દીધો, તેમનો સંઘર્ષ અને નિર્ધાર મારી આંખ સામે તરી આવે છે.

એક વિશાળ હિતને ખાતર વિવિધ વિચારધારાઓનો જાણે કે જીવંત સંગમ થઈ રહ્યો હતો. નાત-જાત, ધર્મ-સંપ્રદાયનાં ભેદથી ઉપર ઉઠીને અમે સૌ દેશનાં લોકશાહી મુલ્યોને જાળવવાનાં સમાન ધ્યેય માટે કામ કરી રહ્યા હતા. ડીસેમ્બર ૧૯૭૫ માં અમે વિરોધપક્ષનાં તમામ સંસદસભ્યોની એક અત્યંત મહત્વની બેઠક ગાંધીનગર ખાતે યોજી હતી. આ બેઠકમાં સ્વર્ગસ્થ શ્રી પુરુષોત્તમ માવલંકર, શ્રી ઉમાશંકર જોષી અને શ્રી કૃષ્ણકાંત જેવા સંસદસભ્યો પણ ઉપસ્થિત હતા.

વિવિધ સંસ્થાઓ અને પક્ષનાં લોકો જેમણે કદાચ એકબીજાને પહેલા જોયા પણ નહિ હોય તેઓ દેશહિતનાં એક વિચારને લઈને એકબીજાની નજીક આવ્યા હતા. જેમકે આ એક ઉદ્દેશ્યને લઈને બીએમએસ ડાબેરી મજુર સંગઠનો સાથે કામ કરી રહ્યું હતુ. અમને જુદા-જુદા પક્ષોનાં વિદ્યાર્થી સંગઠનો સાથે નજીકથી કામ કરવા મળ્યુ. આ વિદ્યાર્થી સંગઠનો શાળા-યુનિવર્સિટીમાં કદાચ એકબીજા સાથે રાજકિય રીતે ઝઘડતા હશે પણ જ્યારે દેશની લોકશાહીને બચાવવાની વાત આવી ત્યારે તેઓ સૌ એક થઈ ગયા હતા. કેટલીય સંસ્થાઓ અને લોકો એ જ આર.એસ.એસ.ની સાથે મળીને કામ કરી રહ્યા હતા જેને અગાઉ વર્ષોમાં ઘણા લોકો રાજકીય રીતે અસ્પૃષ્ય માનતા હતા. જાણે કે ૧૯૭૪નાં ગુજરાતનાં નવનિર્માણ આંદોલન અને બિહારનાં જેપી આંદોલન વખતનો જોશ રાષ્ટ્રિય સ્તર ઉપર ફરી જીવંત થઈ રહ્યો હતો.

કટોકટીનાં કારણે વિવિધ રાજકીય સંસ્થાઓ અને નેતાઓ ઉપરાંત બિનસરકારી સામાજિક સંસ્થાઓ સાથે જોડાવાનો અવસર પણ મને મળ્યો. આ બધા દેશમાં જે કાંઈ ચાલી રહ્યુ હતુ તેનાથી વ્યથિત હતા. ગાંધીવાદી લોકો અને સર્વોદય આંદોલન સાથે સંકળાયેલ લોકો સાથેનો મારો અનુભવ ઘણો ઉપયોગી રહ્યો. આવા જ એક ગાંધીવાદી શ્રી પ્રભુદાસ પટવારીનાં ઘેર જુલાઈ ૧૯૭૫ ની એક સાંજે શ્રી જ્યોર્જ ફર્નાન્ડિસને મળવાને તક મને મળી હતી. મને બરાબર યાદ છે જ્યોર્જ સાહેબ પીળા રંગની ફિયાટમાં આવ્યા હતા, તેમણે દાઢી રાખી હતી અને પોતાના ટ્રેડમાર્ક સમો ઈસ્ત્રી વિનાનો કુર્તો પહેર્યો હતો તથા લીલા કપડાથી માથું ઢાંક્યુ હતુ. તેમનો ભેટો શ્રી નાનાજી દેશમુખ સાથે કરાવવાનો અવસર મને મળ્યો હતો. આ બે એવા માણસો હતા જે તત્કાલિન વડાપ્રધાનને ભયથી ધ્રુજાવી દેવાની ત્રેવડ રાખતા હતા.

જ્યારે હું પાછો ફરીને કટોકટીનાં એ સમય સામે જોઉં છું ત્યારે સરમુખત્યારશાહી રાજકારણને ૧૯૭૭ માં ઉગતાની સાથે જ ફગાવી દેનાર ભારતનાં લોકોની દુરંદેશીને સલામ કર્યા વિના રહી શકતો નથી. પ્રિન્ટ મીડિયા અને રેડિયોને સેન્સર કરવામાં આવતા અને માત્ર સરકાર તરફી બાબતો જ રજુ કરી શકાતી છતાં પણ લોકોમાં આવો જુવાળ ઉભો થયો હતો. ઈલેક્ટ્રોનિક મીડિયા હજી ભાખોડિયા ભરી રહ્યું હતું અને સોશિયલ મીડિયા તો હતુ જ નહિ. મને જોકે વિચાર થાય છે કે સોશિયલ મીડિયા એ જમાનામાં પણ હોત તો શું વડાપ્રધાન કટોકટી લાદી શકત? શું કટોકટી આટલા સમય માટે ટકી શકી હોત?

અહીં મારું પુસ્તક ‘આપાતકાલ મે ગુજરાત’ મુકી રહ્યો છું જેમાં મેં કટોકટીકાળનાં મારા સ્મરણો લખ્યા છે. ખાસ કરીને પાના નં ૨૦૦ વાંચજો, જ્યાં જુદી-જુદી રાજકીય સંસ્થાઓએ એકબીજાની નજીક આવીને પરસ્પર વધુ સારી સમજ કેવી રીતે કેળવી તે અંગે વાત કરી છે. તેનો એક અંશ અહીં ટાંકી રહ્યો છું:

“જુદી-જુદી રાજકીય સંસ્થાઓ વચ્ચે એક ખાઈ બનેલી હતી. આ ખાઈ મુખ્યત્વે અલગ-અલગ વિચારધારાઓ અને આકસ્મિક તફાવતોને કારણે તથા એકબીજાનાં ઉદ્દેશ્યોને નકારવાને કારણે પેદા થઈ હતી. “જો તમે મારી સાથે નથી તો મારી વિરોધમાં છો” એવી માનસિકતાને કારણે પણ આવી ખાઈ ગહેરી બનતી હતી. પણ સંજોગોએ આ સંસ્થાઓને રાજકીય મતભેદોથી ઉપર ઉઠીને એકબીજા અંગેની સમજ વધુ ગહેરી બનાવવાનો અવસર આપ્યો.”

મારા ઘણા યુવામિત્રો એવા હશે જેમનો જનમ પણ એ વખતે નહિ થયો હોય. તેમને હું વિશેષ કરીને કહીશ કે તેઓ આ પુસ્તક પર નજર નાંખે, તેનાથી આજે જેને જનસામર્થ્યનાં એક મહાન વિજય તરીકે યાદ કરવામાં આવે છે તે ઘટના અને તેના ઐતિહાસિક સંદર્ભ અંગેની તમારી સમજ વધુ વિસ્તીર્ણ થશે.

 

 

નરેન્દ્ર મોદી

Read : Apatkalme Gujarat

Also Read in Gujarati :Sangharshma Gujarat

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's pace of economic growth shows that its Viksit Bharat dream is not out of reach

Media Coverage

India's pace of economic growth shows that its Viksit Bharat dream is not out of reach
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.