પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે ભારતના સેમિકોન ઇકોસિસ્ટમને ઉત્પ્રેરિત કરવાના હેતુથી ‘સેમિકોન ઇન્ડિયા - 2025’નું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી 3 સપ્ટેમ્બરના રોજ સવારે 9.30 વાગ્યે કોન્ફરન્સમાં પણ ભાગ લેશે, જેમાં તેઓ સીઈઓ રાઉન્ડ ટેબલમાં પણ ભાગ લેશે.
2 થી 4 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સ ભારતમાં એક મજબૂત, સ્થિતિસ્થાપક અને ટકાઉ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમાં સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામની પ્રગતિ, સેમિકન્ડક્ટર ફેબ અને એડવાન્સ્ડ પેકેજિંગ પ્રોજેક્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયારી, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, સંશોધન અને વિકાસ અને કૃત્રિમ બુદ્ધિમત્તામાં નવીનતાઓ, રોકાણની તકો, રાજ્ય-સ્તરીય નીતિ અમલીકરણ, વગેરે પર સત્રો રજૂ કરવામાં આવશે. વધુમાં, આ ઇવેન્ટ ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ (DLI) યોજના હેઠળની પહેલો, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો વિકાસ, આંતરરાષ્ટ્રીય સહયોગ અને ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે ભાવિ રોડમેપને પ્રકાશિત કરશે.
20750થી વધુ ઉપસ્થિતો ભાગ લેશે. જેમાં 48થી વધુ દેશોના 2500થી વધુ પ્રતિનિધિઓ, 150થી વધુ વક્તાઓ, 50થી વધુ વૈશ્વિક નેતાઓ અને 350થી વધુ પ્રદર્શકોનો સમાવેશ થશે. તેમાં 6 દેશોના ગોળમેજી ચર્ચાઓ, દેશ પેવેલિયન અને કાર્યબળ વિકાસ અને સ્ટાર્ટ-અપ્સ માટે સમર્પિત પેવેલિયનનો પણ સમાવેશ થશે.
વિશ્વભરમાં આયોજિત સેમિકોન પરિષદોનો ઉદ્દેશ્ય સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ટેકનોલોજીકલ પ્રગતિ તેમજ વિવિધ દેશોની નીતિઓનો મહત્તમ ઉપયોગ કરીને તેમના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે. ભારતને સેમિકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન અને ટેકનોલોજી વિકાસના કેન્દ્ર તરીકે દર્શાવવાના પ્રધાનમંત્રીના વિઝનને આગળ ધપાવતા, 2022માં બેંગલુરુ, 2023માં ગાંધીનગર અને 2024માં ગ્રેટર નોઇડામાં પરિષદોનું આયોજન કરવામાં આવ્યું હતું.


