આ સંબોધન વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે કર્યું, જેઓ શિખર સંમેલનમાં શારીરિક રીતે ઉપસ્થિત હતા.

મહાનુભાવો,

ભારત પ્રશંસા સાથે યાદ કરે છે કે એસસીઓના સભ્ય તરીકે તેનો પ્રવેશ 2017માં કઝાખ રાષ્ટ્રપતિ પદ દરમિયાન થયો હતો. ત્યારથી, અમે એસસીઓમાં રાષ્ટ્રપતિ પદનું એક સંપૂર્ણ ચક્ર પૂર્ણ કર્યું છે. ભારતે વર્ષ 2020માં કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ ગવર્મેન્ટ મીટિંગની સાથે-સાથે વર્ષ 2023માં કાઉન્સિલ ઑફ સ્ટેટની બેઠકનું પણ આયોજન કર્યું હતું. અમારી વિદેશ નીતિમાં એસસીઓ અગ્રણી સ્થાન ધરાવે છે.

અમે સંગઠનના સભ્ય તરીકે ભાગ લેનારા ઇરાનને અભિનંદન આપીએ છીએ, સાથે જ હું હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ રઇસી અને અન્યના દુ: ખદ અવસાન માટે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.

હું રાષ્ટ્રપતિ લુકાશેન્કોને પણ અભિનંદન આપું છું અને બેલારુસને સંગઠનના નવા સભ્ય તરીકે આવકારું છું.

મહાનુભાવો,

આજે આપણે મહામારીની અસર, ચાલી રહેલા સંઘર્ષો, વધતા તણાવ, વિશ્વાસની ઉણપ અને વિશ્વભરમાં હોટસ્પોટ્સની વધતી સંખ્યાની પૃષ્ઠભૂમિમાં ભેગા થયા છીએ. આ ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય સંબંધો અને વૈશ્વિક આર્થિક વિકાસ પર નોંધપાત્ર દબાણ નાખ્યું છે. વૈશ્વીકરણમાંથી ઉદ્ભવતી કેટલીક સમસ્યાઓને તેઓએ વધુ તીવ્ર બનાવી છે. અમારી સભાનો હેતુ આ ઘટનાક્રમોના પરિણામોને ઘટાડવા માટે સામાન્ય વાતાવરણ બનાવવાનો છે.

એસસીઓ એક સિદ્ધાંત આધારિત સંસ્થા છે, જેની સર્વસંમતિથી તેના સભ્ય રાષ્ટ્રોના અભિગમને વેગ મળે છે. આ સમયે, તે ખાસ કરીને નોંધપાત્ર છે કે આપણે આપણી વિદેશ નીતિઓના આધાર તરીકે સાર્વભૌમત્વ, સ્વતંત્રતા, પ્રાદેશિક અખંડિતતા, સમાનતા, પરસ્પર લાભ, આંતરિક બાબતોમાં દખલ ન કરવી, બળનો ઉપયોગ ન કરવો અથવા બળના ઉપયોગની ધમકી ન આપવા માટે પરસ્પરના આદરનો પુનરોચ્ચાર કરીએ છીએ. અમે રાજ્યની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના સિદ્ધાંતોથી વિપરીત કોઈ પગલાં ન લેવા પણ સંમત થયા છીએ.

આમ કરતી વખતે, આતંકવાદનો સામનો કરવાને સ્વાભાવિક રીતે પ્રાધાન્ય આપવું જોઈએ, જે એસસીઓના મૂળ લક્ષ્યોમાંનું એક છે. આપણામાંથી ઘણા લોકોને પોતાના અનુભવો છે, જે ઘણી વાર આપણી સરહદોની પેલે પાર ઉદ્દભવે છે. ચાલો આપણે સ્પષ્ટ કરીએ કે જો તેને નિયંત્રિત કરવામાં નહીં આવે, તો તે પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે મોટો ખતરો બની શકે છે. આતંકવાદને કોઈ પણ સ્વરૂપ અથવા અભિવ્યક્તિમાં ન્યાયી ઠેરવી શકાતો નથી અથવા તેને માફ કરી શકાતો નથી. આંતરરાષ્ટ્રીય સમુદાયે તે દેશોને અલગ કરવા અને ખુલ્લા પાડવા જોઈએ જે આતંકવાદીઓને આશ્રય આપે છે, સુરક્ષિત આશ્રયસ્થાનો પૂરા પાડે છે અને આતંકવાદને પ્રોત્સાહન આપે છે. સરહદ પારના આતંકવાદને નિર્ણાયક પ્રતિસાદની જરૂર છે અને આતંકવાદને નાણાકીય સહાય અને ભરતીનો મક્કમતાથી સામનો કરવો આવશ્યક છે. આપણે આપણા યુવાનોમાં કટ્ટરવાદને ફેલાતું અટકાવવા માટે પણ સક્રિય પગલાં લેવા જોઈએ. આ વિષય પર ગયા વર્ષે ભારતની અધ્યક્ષતા દરમિયાન જારી કરાયેલું સંયુક્ત નિવેદન આપણી સહિયારી કટિબદ્ધતાને રેખાંકિત કરે છે.

આજે આપણી સમક્ષ બીજી મુખ્ય ચિંતા જળવાયુ પરિવર્તનની છે. અમે ઉત્સર્જનમાં પ્રતિબદ્ધ ઘટાડો હાંસલ કરવા કામ કરી રહ્યાં છીએ, જેમાં વૈકલ્પિક ઇંધણો તરફ બદલાવ, ઇલેક્ટ્રિક વાહનોનો સ્વીકાર અને જળવાયુને અનુકૂળ માળખાગત સુવિધાનું નિર્માણ સામેલ છે. આ સંદર્ભમાં, ભારતના એસસીઓની અધ્યક્ષતા દરમિયાન ઈમર્જિગ ફ્યૂલ પર સંયુક્ત નિવેદન અને પરિવહન ક્ષેત્રમાં ડી-કાર્બનાઇઝેશન પર એક કન્સેપ્ટ પેપરને મંજૂરી આપવામાં આવી હતી.

મહાનુભાવો,

આર્થિક વિકાસ માટે મજબૂત કનેક્ટિવિટીની જરૂર છે. તે આપણા સમાજો વચ્ચે સહકાર અને વિશ્વાસ માટેનો માર્ગ પણ મોકળો કરી શકે છે. કનેક્ટિવિટી અને માળખાગત પ્રોજેક્ટ્સ માટે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે સમ્માન આવશ્યક છે. તેવી જ રીતે બિન-ભેદભાવપૂર્ણ વેપાર અધિકારો અને પરિવહન શાસન વ્યવસ્થા પણ છે. એસસીઓએ આ પાસાઓ પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.

21મી સદી ટેકનોલોજીની સદી છે. આપણે ટેકનોલોજીને સર્જનાત્મક બનાવવી પડશે અને તેને આપણા સમાજોના કલ્યાણ અને પ્રગતિમાં લાગુ કરવી પડશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર રાષ્ટ્રીય વ્યૂહરચના ઘડવા અને એઆઈ મિશનની શરૂઆત કરનારા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. 'એઆઈ ફોર ઓલ' પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા એઆઈ સહયોગ પર રોડમેપ પર એસસીઓ ફ્રેમવર્કની અંદર કામ કરવામાં પણ પ્રતિબિંબિત થાય છે.

ભારત આ ક્ષેત્રના લોકો સાથે ગાઢ સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે. એસસીઓમાં મધ્ય એશિયાની કેન્દ્રીયતાને ઓળખીને અમે તેમના હિતો અને આકાંક્ષાઓને પ્રાથમિકતા આપી છે. તે તેમની સાથે વધુ વિનિમય, પ્રોજેક્ટ્સ અને પ્રવૃત્તિઓમાં પ્રતિબિંબિત થાય છે.

અમારા માટે એસસીઓમાં સહકાર જન-કેન્દ્રિત રહ્યો છે. ભારતે તેની અધ્યક્ષતા દરમિયાન એસસીઓ મિલેટ ફૂડ ફેસ્ટિવલ, એસસીઓ ફિલ્મ ફેસ્ટિવલ, એસસીઓ સૂરજકુંડ ક્રાફ્ટ મેલા, એસસીઓ થિંક-ટેન્ક કોન્ફરન્સ અને સહિયારા બૌદ્ધ વારસા પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતું. અમે સ્વાભાવિક રીતે અન્ય લોકો દ્વારા સમાન પ્રયત્નોને સમર્થન આપીશું.

મને ખુશી છે કે ગત વર્ષે તેના ઉદ્ઘાટન બાદથી એસસીઓ સચિવાલયમાં નવી દિલ્હી હૉલમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વર્ષ 2024માં 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પણ સમાવેશ થાય છે.

મહાનુભાવો,

હું એ બાબત પર ભાર મૂકવા માગું છું કે એસસીઓ આપણને લોકોને સંગઠિત કરવા, જોડાણ કરવા, વિકસવા અને સમૃદ્ધ થવા માટે એક વિશિષ્ટ મંચ પ્રદાન કરે છે, જે વસુધૈવ કુટુમ્બકમના સહસ્ત્રાબ્દી જૂના સિદ્ધાંતનું પાલન કરે છે, જેનો અર્થ થાય છે, 'ધ વર્લ્ડ ઇઝ વન ફેમિલી'. આપણે આ ભાવનાઓને સતત વ્યવહારિક સહકારમાં પરિવર્તિત કરવી જોઈએ. આજે આપણે જે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના છીએ તેનું હું સ્વાગત કરું છું.

હું એસસીઓ સમિટનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ કઝાખ પક્ષને અભિનંદન આપીને સમાપન કરું છું અને એસસીઓના આગામી અધ્યક્ષતા માટે ચીનને અમારી શુભેચ્છાઓ પણ પાઠવું છું.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending

Media Coverage

Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Jharkhand meets Prime Minister
August 03, 2026