#MannKiBaat: PM Modi extends greetings to people of Maharashtra & Gujarat on their respective Statehood days
PM Modi urges children to keep water for animals & birds during summer #MannKiBaat
During summers, many people come to our homes -postmen, milkmen, vegetable sellers. Always offer them water: PM during #MannKiBaat
Summer vacations are about new experiences, new skills and new places: PM Modi during #MannKiBaat
#MannKiBaat: PM Narendra Modi urges everyone to further the use of BHIM App
VIP culture flourished due to red beacons. We are ensuring VIP culture is removed from minds of the select few 'VIPs': PM #MannKiBaat
Sant Ramanujacharya’s contributions for society and his noble thoughts on social equality inspire us even today: PM during #MannKiBaat
Dr. Babasaheb Ambedkar ensured Shramiks lead a life of dignity: PM Modi during #MannKiBaat
New India is not about VIP. It is about EPI- every person is important: PM Modi during #MannKiBaat

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, દરેક ‘મન કી બાત’ પહેલાં દેશના ખૂણે ખૂણામાંથી, દરેક ઉંમરના લોકો તરફથી ‘મન કી બાત’ માટે ઢગલાબંધ સૂચનો આવે છે. આકાશવાણી પર આવે છે, નરેન્દ્ર મોદી એપ્સ પર આવે છે. MyGov દ્વારા આવે છે, ફોન દ્વારા આવે છે, રેકોર્ડેડ સંદેશા દ્વારા આવે છે અને જ્યારે ક્યારેક પણ સમય કાઢીને તે જોઉં છું તો મારા માટે એક સુખદ અનુભવ હોય છે. એટલી વિવિધતાભરી માહિતી મળે છે!! દેશના દરેક ખૂણામાં શક્તિઓનો અંબાર પડેલો છે. સાધકની જેમ સમાજને સમર્પિત લોકોનું અગણિત યોગદાન ! બીજી તરફ કદાચ સરકારની નજર પણ નહીં પડતી હોય એવી સમસ્યાઓનો પણ અંબાર જોવા મળે છે. કદાચ વ્યવસ્થાને પણ આદત થઈ ગઈ હશે, લોકોને પણ આદત પડી ગઈ હશે અને મેં જોયું છે કે બાળકોની જીજ્ઞાસાઓ, યુવાનોની મહાત્વાકાંક્ષાઓ, વડિલોના અનુભવનો નિચોડ, એમ ભાત-ભાતની વાતો સામે આવે છે. દરેક વખતે જેટલા ઈનપુટ્સ ‘મન કી બાત’ માટે આવે છે. સરકારમાં તેનું વિગતવાર વિશ્લેષણ કરાય છે. સૂચનો કેવા પ્રકારનાં છે ? ફરિયાદો શી છે ? લોકોના અનુભવ શું છે ? સામાન્ય રીતે જોવા મળે છે કે માણસનો સ્વભાવ હોય છે, બીજાને સલાહ આપવાનો. ટ્રેનમાં, બસમાં જતા હોઈએ અને કોઈને ઉધરસ આવે તો તરત બીજો આવીને કહેશે કે ‘આમ કર’…. સલાહ-સૂચન આપવાનું જાણે આપણે ત્યાં સ્વભાવમાં છે. શરૂમાં ‘મન કી બાત’ માટે જ્યારે પણ સૂચનો આવતાં હતાં, તેમાં સલાહના શબ્દ સાંભળવા મળતા હતા, વાંચવા મળતા હતા. તો અમારી ટીમને પણ એવું જ લાગતું હતું કે, ઘણા લોકોને કદાચ આ ટેવ હશે, પણ અમે જરા જીણવટથી જોવાની કોશીશ કરી તો હું હકીકતમાં ખૂબ ભાવવિભોર થઈ ગયો. સૂચનો કરનારાં કે મારા સુધી પહોંચવાનો પ્રયાસ કરનારા મોટાભાગના એ લોકો છે જે હકીકતમાં પોતાના જીવનમાં કંઈક ને કંઈક કરે છે. કંઈક સારું થાય એ માટે તેઓ પોતાની બુદ્ધિ, શક્તિ, સામર્થ્ય અને પરિસ્થિતિ પ્રમાણે પ્રયત્નશીલ છે અને આ બાબત જ્યારે ધ્યાનમાં આવી તો મને લાગ્યું કે આ સૂચનો સામાન્ય નથી, એ અનુભવના નિચોડમાંથી નીકળેલાં છે. કેટલાક લોકો એટલા માટે સૂચન કરે છે કે તેમને લાગે છે કે, તેઓ જ્યાં કામ કરે છે ત્યાં અમલ કરાતો વિચાર જો વધુ લોકો સાંભળે અને તેને બહોળું સ્વરૂપ મળી જાય તો ઘણા લોકોને ફાયદો થઈ શકે છે અને એટલા માટે તેમની સ્વાભાવિક ઈચ્છા હોય છે કે ‘મન કી બાત’માં તેનો ઉલ્લેખ થઈ જાય તો સારું. મારી દૃષ્ટિએ આ બધી બાબતો અત્યંત સકારાત્મક છે, તેથી સૌથી પહેલાં તો વધુમાં વધુ સૂચનો જે કર્મયોગીઓનાં છે, સમાજ માટે જેઓ કંઈક ને કંઈક કરી છૂટનારા છે તેમના પ્રત્યે હું આભાર વ્યક્ત કરું છું, એટલું જ નહીં, જ્યારે પણ હું કોઈ વાતનો ઉલ્લેખ કરું છું, તો એવી એવી બાબતો ધ્યાનમાં આવે છે અને બહુ મોટો આનંદ આવે છે. ગયે વખતે ‘મન કી બાત’માં કેટલાક લોકોએ સૂચન કરેલું કે અન્નનો બગાડ થાય છે, તે માટે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી, તો મેં તેનો ઉલ્લેખ કર્યો હતો અને એ ઉલ્લેખ કર્યા પછી નરેન્દ્ર મોદી એમ પર, માય ગવ પર, દેશમાં ચારેય દિશાઓથી અનેક લોકોએ જણાવ્યું કે, કેવા કેવા નવિનતમ વિચારો સાથે અન્નનો બગાડ અટકાવવા માટે તેમણે કેવા કેવા પ્રયોગો કર્યા છે. મેં પણ ક્યારેય વિચાર્યું નહોતું કે આજે આપણા દેશમાં યુવાપેઢી લાંબા સમયથી આ કામ કરી રહી છે. હા, કેટલીક સામાજિક સંસ્થાઓ કામ કરે છે એ તો આપણે વર્ષોથી જાણતા આવ્યા છીએ, પરંતુ મારા દેશના યુવાનો તેમાં લાગેલા છે એ તો મને પછી જ ખબર પડી. કેટલાએ મને વિડીઓ મોકલ્યા છે. કેટલાંય એવાં સ્થાન છે જ્યાં રોટી બેંક ચાલે છે. લોકો આ રોટી બેંકમાં પોતાના તરફથી રોટલી જમા કરાવે છે, શાક જમા કરાવે છે અને જરૂરિયાતવાળા લોકો છે તેઓ ત્યાંથી તેને મેળવે પણ છે. આપવાવાળાને પણ સંતોષ થાય છે. લેવાવાળાને પણ ક્યારેય નીચું નથી જોવું પડતું. સમાજના સહકારથી કેવાં કેવાં કામ થાય છે તેનું આ ઉદાહરણ છે.

આજે એપ્રિલ મહિનો પૂરો થઈ રહ્યો છે, છેલ્લો દિવસ છે. પહેલી મેના દિવસે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે બંને રાજ્યોના નાગરિકોને મારા તરફથી અનેક-અનેક શુભેચ્છાઓ. બંને રાજ્યોએ વિકાસની નવી ઊંચાઈઓ સર કરવાનો લગાતાર પ્રયાસ કર્યો છે. દેશની ઉન્નતિમાં યોગદાન આપ્યું છે. આ બંને રાજ્યોમાં મહાપુરૂષોની અવિરત શ્રૃંખલા અને સમાજનાં તમામ ક્ષેત્રોમાં તેમનું જીવન આપણને પ્રેરણા આપતું રહે છે અને આ મહાપુરૂષોનું સ્મરણ કરતાં કરતાં, રાજ્યના સ્થાપના દિવસે, આઝાદીનાં 75 વર્ષે, એટલે કે 2022માં આપણે આપણા રાજ્યને, આપણા સમાજને, પોતાના શહેરને, પોતાના પરિવારને ક્યાં પહોંચાડીશું તેનો સંકલ્પ લેવો જોઈએ. આ બંને રાજ્યોને મારી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ છે.

એક જમાનો હતો જ્યારે ‘આબોહવા પરિવર્તન’ એ શિક્ષણ-જગતનો વિષય ગણાતો હતો, પરિસંવાદોનો વિષય ગણાતો હતો, પરંતુ આજે, આપણી રોજબરોજની જીંદગીમાં આપણે તેનો અનુભવ પણ કરીએ છીએ અને અચરજ પણ વ્યક્ત કરીએ છીએ. કુદરતે પણ રમતના બધા નિયમ બદલી નાખ્યા છે. આપણા દેશમાં જે ગરમી મે-જૂનમાં પડે છે, તે આ વખતે માર્ચ-એપ્રિલમાં અનુભવવાનો વારો આવ્યો અને ‘મન કી બાત’ વિષે જ્યારે હું લોકોનાં સૂચનો મેળવી રહ્યો હતો ત્યારે મને મોટાભાગનાં સૂચનો આ ગરમીના સમયમાં શું કરવું જોઈએ, તેના પર જ લોકોએ આપ્યાં છે. આમ જૂઓ તો બધી બાબતો પ્રચલિત છે. નવું નથી હોતું, પરંતુ તો પણ જે તે સમયે તેનું પુનઃસ્મરણ ખૂબ કામ આવે છે.

શ્રીમાન પ્રશાંતકુમાર મિશ્ર અને ટી.એસ.કાર્તિક જેવા અનેક મિત્રોએ પક્ષીઓ માટે ચિંતા વ્યક્ત કરી છે. આ મિત્રોએ કહ્યું છે કે, બાલ્કનીમાં, છત પર પાણી મૂકવું જોઈએ અને મેં જોયું છે કે પરિવારનાં નાનાં બાળકો આ કામ બહુ સરસ કરે છે. એકવાર એમને સમજાઈ જાય કે આ પાણી શા માટે ભરવું જોઈએ, પછી એ દિવસમાં 10 વાર જોવા જાય છે કે જે વાસણ રાખ્યું છે તેમાં પાણી છે કે નહીં અને એ પણ જૂએ છે કે પક્ષી આવ્યાં કે નથી આવ્યાં. આપણને થાય છે કે, આ રમત ચાલી રહી છે, પરંતુ હકીકતમાં બાળકના મનમાં સંવેદનાઓ જગાડવાનો આ અદભૂત અનુભવ હોય છે. તમે પણ ક્યારેક જોજો, પશુ-પક્ષી સાથે થોડી આવી પણ લાગણી એક નવા જ આનંદનો અનુભવ કરાવે છે.

થોડા દિવસ પહેલાં ગુજરાતથી શ્રીમાન જગતભાઈએ મને એમનું પુસ્તક મોકલ્યું છે. ‘Save The Sparrows’. અને તેમાં એમણે ચકલીની ઘટી રહેલી વસતી પ્રત્યે ચિંતા તો વ્યક્ત કરી છે જ, પરંતુ તેમણે પોતે એક અભિયાન ઉપાડી લઈને તેના સંરક્ષણ માટે કેવા કેવા પ્રયોગો કર્યા છે, કેવા પ્રયાસો કર્યા છે, તેનું ખૂબ સારું વર્ણન એ પુસ્તકમાં છે. આમ તો આપણા દેશમાં પશુ-પક્ષી, પ્રકૃતિ સાથે સહજીવનની વાતો, તેના રંગે આપણે રંગાયેલા છીએ, તેની વાત થાય છે જ, પરંતુ સામૂહિકરૂપે આવા પ્રયાસોને બળ આપવામાં આવે તે જરૂરી છે. હું જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે દાઉદી વોહરા સમાજના ધર્મગુરુ સૈયદના સાહેબને સો વરસ થતાં હતાં. તેઓ 103 વરસ જીવ્યા હતા અને તેમના સો વરસ નિમિત્તે વોહરા સમાજે બુરહાની ફાઉન્ડેશન દ્વારા ચકલીને બચાવવા માટે એક બહુ મોટું અભિયાન ચલાવ્યું હતું. તેનો શુભારંભ કરાવવાનો મને મોકો મળ્યો હતો. લગભગ 52 હજાર ચકલીની ચણની તાસકો તેમણે દુનિયાના ખૂણેખૂણે વહેંચી હતી. તેને ગીનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું.

કોઈ કોઈ વાર આપણે એટલાં વ્યસ્ત હોઈએ છીએ કે, છાપું નાખનારો, દૂધવાળો, શાકભાજીવાળો, ટપાલી, કોઈપણ આપણા આંગણે આવે છે, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે, ‘ગરમીના દિવસો છે, પહેલાં એને જરા પાણીનું તો પૂછીએ.’

નવયુવાન મિત્રો, થોડી વાતો હું આપની સાથે પણ કરવા ઈચ્છું છું. કોઈ કોઈ વાર મને ચિંતા થાય છે કે, આપણી યુવા પેઢીને એશો-આરામમાં જ જીવન વિતાવવામાં મજા આવે છે. મા-બાપ પણ એક રક્ષાત્મક અવસ્થામાં તેમનું લાલન-પાલન કરે છે. બીજા કેટલાક સામા છેડાના પણ હોય છે, પરંતુ મોટાભાગના આરામની જીંદગીવાળા જ નજરે પડે છે. હવે પરિક્ષાઓ પૂરી થઈ ચૂકી છે. રજાની મજા લેવા માટે યોજનાઓ બની ચૂકી હશે. ઉનાળુ વેકેશન ગરમી હોવા છતાં પણ જરા સારું લાગે છે, પરંતુ હું એક મિત્રરૂપે તમારું વેકેશન કેવું વીતે તેના વિષે થોડીક વાતો કરવા ઈચ્છું છું. મને વિશ્વાસ છે કે કેટલાક મિત્રો જરૂર પ્રયાસો કરશે અને મને જણાવશે પણ ખરા ! શું તમે વેકેશનના આ સમયનો ઉપયોગ મારા સૂચન પ્રમાણે કરશો ! હું ત્રણ સૂચન કરું છું, તેમાંથી ત્રણેયનો અમલ કરો તો બહુ સારી વાત છે, પરંતુ ત્રણમાંથી એકનો અમલ કરવાનો તો પ્રયત્ન કરજો. એ જૂઓ કે નવો અનુભવ થાય. પ્રયત્ન કરજો કે નવું કૌશલ્ય શીખવા મળે. ક્યારે જોયું ન હોય, વિચાર્યું ન હોય, જાણતા ન હોવ, પરંતુ તો પણ ત્યાં જવાનું મન થતું હોય તો ત્યાં જવાનો પ્રયત્ન કરજો. નવું સ્થળ, નવા અનુભવો, નવું કૌશલ્ય. કોઈ કોઈ વાર કોઈ વસ્તુને ટીવી પર જોવી, અથવા પુસ્તકમાં તેના વિષે વાંચવું કે પરિચિતો પાસેથી સાંભળવું અને તે જ વસ્તુનો જાતે અનુભવ કરવો, તે બંનેમાં આસમાન-જમીનનું અંતર હોય છે. હું તમને આગ્રહ કરીશ કે આ વેકેશનમાં તમારી જે પણ જિજ્ઞાસા હોય તે જાણવાની કોશીશ કરજો, નવો પ્રયોગ કરજો. અખતરો હકારાત્મક હોય, થોડો આરામથી બહારનો હોય તો પણ કરજો. આપણે મધ્યમવર્ગના કુટુંબના છીએ, સુખી કુટુંબના છીએ. તો દોસ્તો, શું ક્યારેય તમને મન થાય છે રીઝર્વેશન વિના રેલવેના બીજા વર્ગમાં ટિકીટ લઈને ચડી જઈએ, ઓછામાં ઓછી 24 કલાક મુસાફરી કરીએ. શું અનુભવ મળે છે? એ મુસાફરોની શી વાતો હોય છે? કદાચ આખા વરસમાં જે શીખી નથી શકતા તેટલું એ 24 કલાકની રીઝર્વેશન વિનાની, ગીર્દીવાળી ટ્રેનમાં કે જ્યાં બેસવા-સુવા જગ્યા પણ ન મળે, ઉભા-ઉભા જવું પડે તેમાં શીખવા મળશે, ક્યારેક તો અનુભવ કરો. હું એમ નથી કહેતો કે વારંવાર કરો, એકાદવાર તો અનુભવ કરો. સાંજનો સમય હોય, તમારો ફુટબોલ લઈને કે વોલીબોલ લઈને અથવા રમત-ગમતનું કોઈપણ સાધન લઈને તદ્દન ગરીબ વસ્તીમાં પહોંચી જાવ. એ ગરીબ બાળકો સાથે પોતે રમો, તમે જોજો, પહેલાં કદાચ ક્યારેય ના મળ્યો હોય તેવો રમતનો આનંદ તમને મળશે. સમાજમાં આ પ્રકારનું જીવન વિતાવનારાં બાળકોને જ્યારે તમારી સાથે રમવાની તક મળશે ત્યારે તેમના જીવનમાં કેટલો મોટો બદલાવ આવશે, એ તમે વિચાર્યું છે.?! અને મને ભરોસો છે કે તમે એકવાર જશો તો વારંવાર જવાનું તમને મન થશે. આ અનુભવ તમને ઘણું બધું શીખવશે. કેટલાંય સ્વયંસેવક સંગઠનો સેવાનાં કામ કરતાં રહે છે. તમે પણ ગુગલ ગુરુ સાથે જોડાયેલા છો તેના પર શોધો. આવા કોઈ સંગઠન સાથે 15 દિવસ, 20 દિવસ જોડાઈ જાવ. નીકળી પડો, જંગલોમાં નીકળી પડો. કોઈકોઈ વાર ઘણા સમર કેમ્પ યોજાય છે, વ્યક્તિત્વ વિકાસના કેમ્પ થાય છે, કેટલાય પ્રકારના વિકાસ માટે યોજાય છે, તેમાં ભાગ લઈ શકો છો. પરંતુ સાથે સાથે તમને ક્યારેય એવું લાગતું હોય કે તમે આવા સમર કેમ્પ કર્યા છે, વ્યક્તિત્વ વિકાસનો અભ્યાસક્રમ ભણ્યા છો તો આપ સમાજમાં જેમને આવા કેમ્પમાં ભાગ લેવાની તક નથી મળી એવા લોકો પાસે પહોંચી જાવ અને તમે જે શીખ્યા છો તે પૈસા લીધા વિના એ લોકોને શીખવો. કેવી રીતે વિકાસ કરી શકાય છે તે આપ તેમને શીખવી શકો છો. મને એક વાતની ચિંતા સતાવી રહી છે. ટેકનોલોજી અંતર ઘટાડવા માટે આવી, સીમાઓ ભૂંસી નાખવા માટે આવી, પરંતુ તેનું દુષ્પરિણામ એ આવ્યું કે એક જ ઘરમાં છ જણા એક જ ઓરડામાં બેઠા હોય, પરંતુ અંતર એટલું હોય કે ક્લપના ન કરી શકો. કેમ ? દરેક વ્યક્તિ ટેકનોલોજીથી ક્યાંક બીજે વ્યસ્ત થઈ ગઈ છે. સામૂહિકતા પણ એક સંસ્કાર છે. સામૂહિકતા એક શક્તિ છે. બીજી મેં વાત કરી કૌશલ્ય-સ્કીલની. તમે કંઈક નવું શીખો એવું તમને મન નથી થતું? આજે હરીફાઈનો જમાનો છે. પરીક્ષામાં એટલા ગળાડૂબ રહો છો, સારામાં સારા માર્ક્સ-ગુણ મેળવવા લાગી પડો છો, ખોવાઈ જાવ છો, વેકેશનમાં પણ કોઈ ને કોઈ કોચિંગ ક્લાસ ગોઠવાયેલા રહે છે. આગામી પરીક્ષાની ચિંતા વળગેલી હોય છે. કોઈ કોઈ વાર તો ડર લાગે છે કે, આપણી યુવા પેઢી યંત્ર માનવ-રોબોટ તો નથી બની રહી? યંત્રવચ જીવન તો નથી વિતાવી રહી? !

દોસ્તો જીવનમાં કંઈક બનવાના સપના, એ સારી વાત છે, કંઈક કરી છૂટવાનો ઈરાદો, એ સારી વાત છે અને કરવું પણ જોઈએ. પરંતુ એ પણ જુઓ કે આપની અંદર જે ‘હ્યુમન એલીમેન્ટ’ (માનવીય તત્વ) છે તે તો ક્યાંક કુંઠિત નથી થઈ રહ્યું ને ?, આપણે માનવીય ગુણોથી ક્યાંક દૂર તો નથી જઈ રહ્યા ને? સ્કીલ ડેવેલપમેન્ટમાં આ મુદ્દા પર થોડો ભાર મૂકી શકાય કે શું?. ટેક્નોલોજીથી દૂર, પોતાની સાથે સમય વિતાવવાનો પ્રયાસ. સંગીતનું કોઈ વાદ્ય શીખી રહ્યા છો, કોઈ નવી ભાષાના 5-50 વાક્ય શીખી રહ્યા છો, તમિલ હોય, તેલુગુ હોય, અસમી હોય, બાંગ્લા હોય, મલયાલમ હોય, ગુજરાતી હોય, મરાઠી હોય કે પંજાબી હોય. કેટલી વિવિધતાથી ભરેલો દેશ છે અને નજર કરીએ તો આપણી આસપાસમાં જ કોઈને કોઈ શીખવાડવાવાળું મળી શકે છે. સ્વિમિંગ નથી આવડતું તો સ્વિમિંગ શીખો, ડ્રોઈંગ કરો, ભલે ઉત્તમ ડ્રોઈંગ નહીં આવડે પરંતુ થોડો તો કાગળ પર હાથ અજમાવવાની કોશીશ તો કરો. આપની અંદરની જે સંવેદના છે તે પ્રગટ થવા લાગશે. ક્યારેક નાના-નાના કામ જેને આપણે કહીયે છીયે તે શા માટે આપણે ન શીખીયે. આપને કાર ડ્રાઈવિંગ શીખવાનું મન થાય છે. શું ક્યારેય ઓટો રિક્ષા શીખવાનું મન થાય છે ? આપ સાયકલ તો ચલાવી લ્યો છો પરંતુ ત્રણ પૈડાવાળી સાયકલ, જે લોકોને લઈને જાય છે – ક્યારેય ચલાવવાની કોશીશ કરી છે. આપ જોશો કે આ બધા નવા પ્રયોગ, આ સ્કીલ એવી છે જે આપને આનંદ પણ આપશે અને જીવનને જે એક દાયરામાં બાંધી દીધું છે જેમાંથી તે આપને બહાર પણ કાઢશે. ‘આઉટ ઓફ બોકસ’ કંઈક કરો દોસ્તો. જિંદગી બનાવવાનો આ જ તો એક અવસર હોય છે. અને આપ વિચારતા હશો કે બધી પરીક્ષાઓ પૂરી થઈ જાય, કારકિર્દીના નવા પડાવ પર જઈશ ત્યારે શીખીશ તો એ મોકો નહીં આવે. બાદમાં આપ અન્ય ઝંઝટોમાં પડી જશો અને તેથી જ હું આપને કહીશ કે જો આપને જાદુ શીખવાનો શોખ હોય તો પત્તાનો જાદુ શીખો. આપના યાર-દોસ્તોને જાદુ દેખાડતા રહો. કંઈકને કંઈક એવી વસ્તુ જે આપ નથી જાણતા, તેને જાણવાનો પ્રયાસ કરો. તેનાથી આપને જરૂર લાભ થશે. આપની અંદરની માનવીય શક્તિઓને ચેતના મળશે. વિકાસ માટે ઘણો જ સારો અવસર બની રહેશે. હું મારા અનુભવ પરથી કહું છું કે દુનિયાને જોવાથી એટલું શીખવા અને સમજવાનું મળે છે જેની આપણે કલ્પના ન કરી શકીએ. નવા-નવા સ્થાન, નવા-નવા શહેર, નવા-નવા નગર, નવા-નવા ગામ, નવા-નવા વિસ્તાર, પરંતુ જતા પહેલાં ક્યાં જાવ છો તેનો અભ્યાસ કરવો અને જઈને એક જિજ્ઞાસુની જેમ તેને જોવું, સમજવું, લોકો સાથે ચર્ચા કરવી, તેમને પૂછવું અને જો આ પ્રયાસ કર્યો તો તેને જોવાનો આનંદ કંઈક ઓર જ હશે. આપ જરૂર કોશીશ કરો અને નક્કી કરો, વધુ ટ્રાવેલિંગ ન કરો. એક સ્થાન પર જઈને ત્રણ દિવસ ચાર દિવસ વિતાવો. બાદમાં બીજા સ્થાન પર જાઓ, ત્યાં ત્રણ દિવસ – ચાર દિવસ વિતાવો. તેનાથી આપને ઘણું શીખવાનું મળશે. હું ઈચ્છીશ અને એ પણ સાચું છે કે આપ જ્યારે જઈ રહ્યા હોવ તો મને તેની તસવીર પણ શેર કરો. શું નવું જોયું?, ક્યાં ગયા હતા? આપ ‘હેશટેગ ઈનક્રેડિબલ ઈન્ડિયા’ નો ઉપયોગ કરીને આપના અનુભવોને શેર કરો.

દોસ્તો, આ વખતે ભારત સરકારે પણ આપના માટે સારો અવસર આપ્યો છે. નવી પેઢી તો રોકડમાંથી લગભગ મુક્ત થઈ રહી છે. તેમને કેશની જરૂરિયાત નથી. તેઓ ડિજીટલ કરન્સીમાં વિશ્વાસ કરતા થઈ ગયા છે. આપ તો કરો છો પરંતુ આ જ યોજનાથી આપ કમાણી પણ કરી શકો છો આપે વિચાર્યું છે? ભારત સરકારની એક યોજના છે. જો ભીમ એપ જે આપ ડાઉનલોડ કરતા હશો. આપ ઉપયોગ પણ કરતા હશો. પરંતુ બીજાને તે refer કરો. કોઈ અન્યને જોડો અને તે નવી વ્યક્તિ ત્રણ transaction કરે, આર્થિક કારોબાર ત્રણવાર કરે, તો એ કામ કરવા માટે આપને 10 રૂપિયાની કમાણી થાય છે. આપના ખાતામાં સરકાર તરફથી 10 રૂપિયા જમા થઈ જશે. જો દિવસમાં આપે 20 લોકો પાસેથી કરાવી લીધું તો સાંજ થતાં થતાં આપ 200 રૂપિયા કમાઈ લેશો. વેપારીઓને પણ કમાણી થઈ શકે છે, વિદ્યાર્થીઓને પણ કમાણી થઈ શકે છે. અને આ યોજના 14 ઓક્ટોબર સુધી છે. ડિજીટલ ઈન્ડિયા બનાવવામાં આપનું યોગદાન હશે. આપ new Indiaના એક પ્રહરી બની જશો. તો વેકેશનનું વેકેશન અને કમાણીની કમાણી. Refer and earn.

સામાન્ય રીતે આપણા દેશમાં VIP culture પ્રત્યે નફરતનો એક માહોલ છે પરંતુ તે એટલો ઉંડો છે તેનો મને હમણાં હમણાં અનુભવ થયો. જ્યારે સરકારે એ નક્કી કર્યું કે હવે હિન્દુસ્તાનનો કેટલો મોટો વ્યક્તિ કેમ ન હોય, તે તેની કાર પર લાલ લાઈટ લગાવીને નહીં ફરે. તે એક પ્રકારથી VIP culture નું symbol બની ગયું હતું, પરંતુ અનુભવ કહે છે કે લાલ લાઈટ તો વાહન પર લાગતી હતી, ગાડી પર લાગતી હતી, પરંતુ તે મગજમાં ઘૂસી જતી હતી અને માનસીક રીતે VIP culture ઘર કરી ગયું હતું. હમણાં જ તો લાલ લાઈટ ગઈ છે તેનાથી કોઈ એ દાવો તો નહીં કરી શકે કે મગજમાં જે લાલ લાઈટ ઘૂસી ગઈ છે તે નીકળી ગઈ હશે. મને બહુ રસપ્રદ એક ફોન કોલ આવ્યો. ખૈર, એ ફોનમાં તેમણે આશંકા પણ વ્યક્ત કરી છે પરંતુ અત્યારે આ ફોન કોલથી એવો અંદાજ આવે છે કે સામાન્ય માનવી આ વસ્તુઓ પસંદ નથી કરતો. તેનાથી તેને દૂર હોવાનો અનુભવ થાય છે.

“નમસ્કાર પ્રધાનમંત્રી જી, હું શિવા ચૌબે બોલી રહી છું, જબલપુર મધ્યપ્રદેશથી. હું સરકારના red beacon light ban વિશે કંઈક કહેવા માગું છું. મેં ન્યૂઝપેપરમાં એક લાઈન વાંચી જેમાં લખ્યું હતું, “every Indian is a VIP on a road” આ સાંભળીને મને બહુ ગર્વ થયો અને ખુશી પણ થઈ કે આજે મારો ટાઈમ પણ એટલો જ મહત્વનો છે. મારે ટ્રાફિક જામમાં નથી ફસાવું અને મારે કોઈના માટે રોકાવું પણ નથી. તો હું આપને દિલથી બહુ જ ધન્યવાદ આપવા ઈચ્છું છું આ નિર્ણય માટે. અને આ જે આપે સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું છે તેમાં આપણો દેશ જ સાફ નથી થઈ રહ્યો, આપણાં રસ્તાઓ પરથી VIPની દાદાગીરી પણ સાફ થઈ રહી છે- તો તે બદલ ધન્યવાદ ”

સરકારી નિર્ણયથી લાલ લાઈટનું જવું એ તો એક વ્યવસ્થાનો હિસ્સો છે. પરંતુ મનથી પણ આપણે પ્રયત્નપૂર્વક તેને કાઢવાનું છે. આપણે બધા મળીને જાગૃત પ્રયાસ કરીશું તો નીકળી શકશે. New India નો અમારો concept જ આ છે કે દેશમાં VIP ની જગ્યાએ EPI નું મહત્વ વધે. અને જ્યારે હું VIPના સ્થાને EPI કહી રહ્યો છું તો મારો ભાવ સ્પષ્ટ છે કે – Every Person is Important. દરેક વ્યક્તિનું મહત્વ છે, દરેક વ્યક્તિનું મહાત્મ્ય છે. સવા સો કરોડ દેશવાસીઓનું મહત્વ આપણે સ્વિકાર કરીએ, સવા સો કરોડ દેશવાસીઓનું મહાત્મ્ય સ્વિકાર કરીએ તો મહાન સપનાઓને પૂરા કરવા કેટલી બધી મોટી શક્તિ એક થઈ જશે. આપણે સહુએ મળીને કરવાનું છે.

મારા પ્રિય દેશવાસીઓ, હું હંમેશા કહેતો રહુ છું કે આપણે ઈતિહાસને, આપણી સંસ્કૃતિઓને, આપણી પરંપરાઓને વારંવાર યાદ કરતાં રહીએ. તેમાંથી આપણને ઉર્જા મળે છે, પ્રેરણા મળે છે. આ વર્ષે આપણે સવા સો કરોડ દેશવાસી સંત રામાનુજાચાર્ય જીની 1000મી જયંતિ મનાવી રહ્યા છીએ. કોઈના કોઈ કારણથી આપણે એટલા બંધાઈ ગયા છીએ, એટલા નાના થઈ ગયા છીએ કે વધુમાં વધુ શતાબ્દી સુધીનો જ વિચાર કરીએ છીએ. દુનિયાના અન્ય દેશ માટે તો શતાબ્દીનું બહુ મોટું મહત્વ હોય છે. પરંતુ ભારત એટલું પુરાતન રાષ્ટ્ર છે કે તેના નસીબમાં હજાર વર્ષ અને હજાર વર્ષથી પણ જૂની યાદોને મનાવવાનો અવસર આપણને મળ્યો છે. એક હજાર વર્ષ પહેલાનો સમાજ કેવો હશે? વિચાર કેવા હશે? થોડી કલ્પના તો કરો. આજે પણ સામાજિક રૂઢીઓને તોડવી હોય તો પણ કેટલી મુશ્કેલી આવે છે. એક હજાર વર્ષ પહેલાં કેવું થતું હશે? બહુ ઓછા લોકોને ખબર હશે કે રામાનુજાચાર્યજીએ સમાજમાં જે ખરાબી હતી, ઉંચ-નીચનો ભાવ હતો, છૂત-અછૂતનો ભાવ હતો, જાતિવાદનો ભાવ હતો, તેની સામે બહુ મોટી લડાઈ લડી હતી. સ્વયં તેમના આચરણ દ્વારા સમાજ જેને અછૂત માનતો હતો તેમને ગળે લગાડ્યા હતા. હજાર વર્ષ પહેલા તેમના મંદિર પ્રવેશ માટે તેમણે આંદોલન કર્યું હતું અને સફળતાપૂર્વક મંદિર પ્રવેશ કરાવ્યો હતો. આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે દરેક યુગમાં આપણા સમાજની ખરાબીને ખતમ કરવા માટે આપણા સમાજમાંથી જ મહાપુરુષ પેદા થાય છે. સંત રામાનુજાચાર્યજીની 1000મી જયંતિ મનાવીયે છીએ ત્યારે સામાજિક એકતા માટે, સંગઠનમાં શક્તિ છે – એ ભાવને જગાડવા માટે તેમની પાસેથી પ્રેરણા લઈએ.

ભારત સરકાર પણ કાલે 1 મે ના દિવસે સંત રામાનુજાચાર્યજીની સ્મૃતિમાં એક stamp release કરવા જઈ રહી છે. હું સંત રામાનુજાચાર્યજીને આદરપૂર્વક નમન કરું છું, શ્રદ્ધા-સુમન અર્પણ કરું છું.

મારા પ્રિય દેશવાસીઓ, કાલે 1 મે નું એક અલગ મહત્વ પણ છે. દુનિયાના કેટલાય ભાગોમાં તેને શ્રમિક દિવસ ના રૂપમાં પણ મનાવવામાં આવે છે. અને જ્યારે શ્રમિક દિવસની વાત આવે છે. Labour ની ચર્ચા થાય છે. Labourersની ચર્ચા થાય છે તો મને બાબા સાહેબ આંબેડકરની યાદ આવે તે બહુ સ્વાભાવિક છે. અને બહુ ઓછા લોકોને ખબર હશે કે આજે શ્રમિકોને જે સગવડો મળે છે, જે આદર મળે છે, તેના માટે આપણે બાબા સાહેબના આભારી છીએ. શ્રમિકોના કલ્યાણ માટે બાબા સાહેબનું યોગદાન અવિસ્મરણીય છે. આજે જ્યારે હું બાબા સાહેબની વાત કરું છું, સંત રામાનુજાચાર્ય જીની વાત કરું છું તો 12 મી સદીના કર્ણાટકના મહાન સંત અને સામાજિક સુધારક જગત ગુરુ બસવેશ્વર જી ની પણ યાદ આવે છે. કાલે જ મને એક સમારંભમાં જવાનો અવસર મળ્યો હતો. તેમના વચનામૃતના સંગ્રહોના લોકાર્પણનો એ અવસર હતો. 12મી શતાબ્દીમાં કન્નડ ભાષામાં તેમણે શ્રમ, શ્રમિક તેના પર ગહન વિચાર મૂક્યા હતા. કન્નડ ભાષામાં તેમણે કહ્યું હતું, – “કાય કવે કૈલાસ”, તેનો અર્થ થાય છે – આપ આપના પરિશ્રમ થકી જ ભગવાન શિવના ઘરે કૈલાશની પ્રાપ્તિ કરી શકો છો એટલે કે કર્મ કરવાથી જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો શ્રમ જ શિવ છે. હું વારંવાર શ્રમેવ-જયતેની વાત કરું છું. Dignity of Labourની વાત કરું છું. મને બરાબર યાદ છે કે ભારતીય મજૂર સંઘના જનક અને ચિંતક જેમણે શ્રમિકો માટે ઘણું ચિંતન કર્યું છે એવા શ્રીમાન દત્તોપંત ઠેંગડી કહેતા હતા કે – એક તરફ માઓવાદથી પ્રેરિત વિચાર હતો કે “દુનિયાના મજૂરો એક થઈ જાઓ” અને દત્તોપંત ઠેંગડી કહેતા હતા કે “મજૂરો આવો દુનિયાને એક કરીએ”. એક તરફ કહેવામાં આવતું હતું કે, ‘Workers of the world unite’ ભારતીય ચિંતનથી નીકળેલી વિચારધારાને લઈને દત્તોપંત ઠેંગડી કહેતા હતા કે – ‘Workers unite the world’. આજે જ્યારે શ્રમિકોની વાત કરું છું તો દત્તોપંત ઠેંગડી જીને યાદ કરવા બહુ સ્વાભાવિક છે.

મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક દિવસો બાદ આપણે બુદ્ધ પૂર્ણિમા મનાવીશું. વિશ્વભરમાં ભગવાન બુદ્ધથી જોડાયેલા લોકો ઉત્સવ મનાવે છે. વિશ્વ આજે જે સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યું છે, હિંસા, યુદ્ધ, વિનાશલીલા, શસ્ત્રોની સ્પર્ધા…જ્યારે આ વાતાવરણ જોઈએ છીએ તો ત્યારે બુદ્ધના વિચારો બહુ relevant લાગે છે. અને ભારતમાં તો અશોકનું જીવન યુદ્ધથી બુદ્ધની યાત્રાનું ઉત્તમ પ્રતિક છે. મારું સૌભાગ્ય છે કે બુદ્ધ પૂર્ણિમાના આ મહાન પર્વ પર United Nations દ્વારા vesak day મનાવાય છે. આ વર્ષે તે શ્રીલંકામાં થવા જઈ રહ્યો છે. આ પવિત્ર પર્વ પર મને શ્રીલંકામાં ભગવાન બુદ્ધને શ્રદ્ધા-સુમન અર્પણ કરવાનો એક અવસર પ્રાપ્ત થશે. તેમની યાદોને તાજી કરવાનો અવસર મળશે.

મારા પ્રિય દેશવાસીઓ, ભારતમાં હંમેશા ‘સહુનો સાથ – સહુનો વિકાસ’ એ જ મંત્રને લઈને આગળ વધવાનો પ્રયાસ થયો છે. અને જ્યારે આપણે સહુનો સાથ સહુનો વિકાસ કહીએ છીએ, તો એ માત્ર ભારતની અંદર જ નહીં – વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં પણ છે. અને ખાસ કરીને આપણા પાડોશી દેશો માટે પણ છે. આપણા પાડોશી દેશોનો સાથ પણ હોય, આપણા પાડોશી દેશોનો વિકાસ પણ થાય. અનેક પરિયોજના ચાલે છે. 5 મેના રોજ ભારત ‘દક્ષિણ-એશિયા’ satellite launch કરશે. આ Satelliteની ક્ષમતા તથા તેનાથી જોડાયેલી સુવિધાઓ દક્ષિણ-એશિયાના આર્થિક તથા developmental પ્રાથમિકતાઓને પૂર્ણ કરવામાં ઘણી મદદરૂપ થશે. Natural resources mapping કરવાની વાત હોય કે tele-medicineની વાત હોય educationનું ક્ષેત્ર હોય અથવા ઘણી સારી IT-connectivity હોય, people to people સંપર્કનો પ્રયાસ હોય. સાઉથ એશિયાનો આ ઉપગ્રહ આપણા આખા ક્ષેત્રને આગળ વધારવામાં પૂર્ણ સહાયક બનશે. આખા દક્ષિણ-એશિયા સાથે સહયોગ વધારવા માટે ભારતનું આ એક મહત્વપૂર્ણ પગલું છે – અણમોલ ભેટ છે. દક્ષિણ-એશિયા પ્રતિ આપણી પ્રતિબદ્ધતાનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. દક્ષિણ એશિયાઈ દેશો જે South Asia Satellite થી જોડાયેલા છે, હું એ બધાનું આ મહત્વપૂર્ણ પ્રયાસ માટે સ્વાગત કરું છું, શુભકામના પાઠવું છું.

મારા પ્રિય દેશવાસીઓ ગરમી બહુ છે, આપને સંભાળો, પોતાનાને પણ સંભાળો. ખૂબ-ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ…

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India vehicle retail sales seen steady in December as tax cuts spur demand: FADA

Media Coverage

India vehicle retail sales seen steady in December as tax cuts spur demand: FADA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister welcomes Cognizant’s Partnership in Futuristic Sectors
December 09, 2025

Prime Minister Shri Narendra Modi today held a constructive meeting with Mr. Ravi Kumar S, Chief Executive Officer of Cognizant, and Mr. Rajesh Varrier, Chairman & Managing Director.

During the discussions, the Prime Minister welcomed Cognizant’s continued partnership in advancing India’s journey across futuristic sectors. He emphasized that India’s youth, with their strong focus on artificial intelligence and skilling, are setting the tone for a vibrant collaboration that will shape the nation’s technological future.

Responding to a post on X by Cognizant handle, Shri Modi wrote:

“Had a wonderful meeting with Mr. Ravi Kumar S and Mr. Rajesh Varrier. India welcomes Cognizant's continued partnership in futuristic sectors. Our youth's focus on AI and skilling sets the tone for a vibrant collaboration ahead.

@Cognizant

@imravikumars”