પ્રધાનમંત્રીએ યુએન આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025નો પ્રારંભ કર્યો
પ્રધાનમંત્રીએ સહકારી ચળવળ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનું પ્રતીક કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ લોન્ચ કરી
ભારત માટે સહકારી સંસ્થાઓ સંસ્કૃતિનો આધાર છે, જીવન જીવવાની રીત છે: પીએમ
ભારતમાં સહકારી સંસ્થાઓએ વિચારથી ચળવળ, ચળવળથી ક્રાંતિ અને ક્રાંતિથી સશક્તીકરણ સુધીની સફર કરી છેઃ પીએમ
અમે સહકાર દ્વારા સમૃદ્ધિના મંત્રને અનુસરી રહ્યા છીએ: પીએમ
ભારત તેના ભાવિ વિકાસમાં સહકારી સંસ્થાઓની વિશાળ ભૂમિકા જુએ છે: પીએમ
સહકારી ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા વિશાળ છે: પીએમ
ભારત માને છે કે સહકારી સંસ્થાઓ વૈશ્વિક સહકારને નવી ઉર્જા આપી શકે છે: પીએમ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં આઇસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ ભૂતાનના પ્રધાનમંત્રી મહામહિમ દાશો શેરિંગ તોબગે, ફિજીના નાયબ પ્રધાનમંત્રી મહામહિમ મનોઆ કામિકે, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, ભારતમાં સંયુક્ત રાષ્ટ્રના નિવાસી સંયોજક શ્રી શોમ્બી શાર્પ, આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણના પ્રમુખ શ્રી એરિયલ ગુઆર્કો, વિવિધ વિદેશી દેશોના મહાનુભાવો અને આઇસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024ના દેવીઓ અને સજ્જનોનું સ્વાગત કર્યું હતું.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ આવકાર માત્ર તેમનાં તરફથી જ નહીં, પણ હજારો ખેડૂતો, પશુપાલકો, માછીમારો, 8 લાખથી વધારે સહકારી મંડળીઓ, સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી 10 કરોડ મહિલાઓ અને સહકારી મંડળીઓ સાથે ટેકનોલોજીને સામેલ કરવામાં સામેલ યુવાનોએ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે ભારતમાં સહકારી આંદોલનનું વિસ્તરણ થયું હતું, ત્યારે આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણની વૈશ્વિક સહકારી પરિષદનું ભારતમાં પ્રથમ વખત આયોજન થયું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારતની સહકારી યાત્રાનાં ભવિષ્યને વૈશ્વિક સહકારી પરિષદમાંથી જરૂરી જાણકારી મળશે. તેમણે ઉમેર્યું હતું કે, આનાં પરિણામે વૈશ્વિક સહકારી આંદોલનને ભારતની સહકારી સંસ્થાઓનાં સમૃદ્ધ અનુભવમાંથી 21મી સદીનાં નવા જુસ્સા અને અત્યાધુનિક સાધનો પ્રાપ્ત થશે. શ્રી મોદીએ વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે જાહેર કરવા બદલ સંયુક્ત રાષ્ટ્રનો આભાર માન્યો હતો.

સદીઓ જૂની સંસ્કૃતિ પર ભાર મૂકતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "દુનિયા માટે સહકારી મંડળીઓ એક આદર્શ છે, પણ ભારત માટે તે સંસ્કૃતિનો પાયો છે, જીવનશૈલી છે." ભારતના શાસ્ત્રોમાંથી શ્લોકોનું પઠન કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, આપણાં વેદોમાં એવું કહેવામાં આવ્યું છે કે, આપણે સૌએ સાથે મળીને ચાલવું જોઈએ અને એકતાપૂર્વક બોલવું જોઈએ, જ્યારે આપણાં ઉપનિષદો આપણને શાંતિથી જીવવાનું કહે છે, આપણને સહઅસ્તિત્વનું મહત્ત્વ શીખવે છે, એક એવું મૂલ્ય છે જે ભારતીય પરિવારોનું અભિન્ન અંગ પણ છે અને સહકારી સંસ્થાઓની ઉત્પત્તિની જેમ જ છે.

 

ભારતનો સ્વતંત્રતા સંગ્રામ પણ સહકારી મંડળીઓથી પ્રેરિત હોવાની નોંધ લઈને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેનાથી ન માત્ર આર્થિક સશક્તીકરણ મળ્યું છે, પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે એક સામાજિક મંચ પણ મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધીજીની ગ્રામ સ્વરાજની ચળવળે સામુદાયિક ભાગીદારીને નવી ગતિ આપી હતી અને ખાદી અને ગ્રામોદ્યોગની સહકારી મંડળીઓની મદદથી નવી ક્રાંતિની શરૂઆત કરી હતી. શ્રી મોદીને એ વાતનો આનંદ હતો કે, આજે સહકારી મંડળીઓએ ખાદી અને ગ્રામોદ્યોગને સ્પર્ધામાં મોટી બ્રાન્ડ કરતાં આગળ વધવામાં મદદ કરી છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સરદાર પટેલે દૂધ સહકારી મંડળીઓનો ઉપયોગ કરીને ખેડૂતોને એક કર્યા હતા અને સ્વતંત્રતા સંગ્રામને નવી દિશા આપી હતી. શ્રી મોદીએ કહ્યું હતું કે, "ભારતની સ્વતંત્રતા સંગ્રામની પેદાશ એએમએલ ટોચની વૈશ્વિક ફૂડ બ્રાન્ડ્સમાંની એક છે." તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં સહકારી સંસ્થાઓએ વિચારથી ચળવળ, ચળવળથી ક્રાંતિ અને ક્રાંતિથી સશક્તીકરણ સુધીની સફર ખેડી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે આપણે સહકારીતા સાથે શાસનને એકમંચ પર લાવીને ભારતને વિકસિત દેશ બનાવવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ. "આજે, ભારતમાં 8 લાખ સહકારી સમિતિઓ છે, જેનો અર્થ એ છે કે વિશ્વની દરેક ચોથી સમિતિ ભારતમાં છે." તેમણે ઉમેર્યું હતું કે તેમની શ્રેણી તેમની સંખ્યા જેટલી વૈવિધ્યસભર અને વિશાળ છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓ આશરે 98 ટકા ગ્રામીણ ભારતને આવરી લે છે. તેમણે જણાવ્યું હતું કે, "આશરે 30 કરોડ (ત્રણસો મિલિયન) લોકો એટલે કે દર પાંચમાંથી એક ભારતીય સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલો છે." ભારતમાં શહેરી અને મકાન એમ બંને પ્રકારની સહકારી મંડળીઓનો ઘણો વિસ્તાર થયો છે એ બાબતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ખાંડ, ખાતર, મત્સ્યપાલન અને દૂધ ઉત્પાદન ઉદ્યોગોમાં સહકારી મંડળીઓ મોટી ભૂમિકા ભજવે છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં આશરે 2 લાખ (બે લાખ) હાઉસિંગ કો-ઓપરેટિવ સોસાયટીઓ છે. ભારતનાં સહકારી બેંકિંગ ક્ષેત્રને મજબૂત કરવાની દિશામાં હાથ ધરવામાં આવેલી નોંધપાત્ર હરણફાળનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, અત્યારે દેશભરની સહકારી બેંકોમાં રૂ. 12 લાખ કરોડથી વધારે રકમ જમા થઈ છે, જે આ સંસ્થાઓ પર વધી રહેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "અમારી સરકારે સહકારી બેંકિંગ પ્રણાલીને વધારવા માટે કેટલાક સુધારાઓ અમલમાં મૂક્યા છે, જેમાં તેમને ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના કાર્યક્ષેત્રમાં લાવવા અને થાપણ વીમા કવરેજને વધારીને થાપણદારો દીઠ રૂ. 5 લાખ કરવાનો સમાવેશ થાય છે." શ્રી મોદીએ વધારે સ્પર્ધાત્મકતા અને પારદર્શકતાનાં વિસ્તરણની નોંધ પણ લીધી હતી અને ઉમેર્યું હતું કે, આ સુધારાઓએ ભારતીય સહકારી બેંકોને વધારે સુરક્ષિત અને કાર્યદક્ષ નાણાકીય સંસ્થાઓ તરીકે સ્થાન આપવામાં મદદ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારત તેની ભવિષ્યની વૃદ્ધિમાં સહકારી મંડળીઓની મોટી ભૂમિકા જુએ છે." એટલે તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં સરકારે બહુવિધ સુધારાઓ મારફતે સહકારી સંસ્થાઓ સાથે સંબંધિત સંપૂર્ણ ઇકોસિસ્ટમની કાયાપલટ કરવા કામ કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકારનો પ્રયાસ સહકારી મંડળીઓને બહુહેતુક બનાવવાનો હતો. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ભારત સરકારે આ લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને એક અલગ સહકારી મંત્રાલયની રચના કરી છે. તેમણે ઉમેર્યું હતું કે સહકારી મંડળીઓને બહુહેતુક બનાવવા માટે નવા મોડેલ પેટાકાયદાઓ ઘડવામાં આવ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે સહકારી મંડળીઓને આઇટી-સક્ષમ ઇકોસિસ્ટમ સાથે જોડી છે, જ્યાં સહકારી મંડળીઓને જિલ્લા અને રાજ્ય સ્તરે સહકારી બેંકિંગ સંસ્થાઓ સાથે જોડવામાં આવે છે. તેમણે નોંધ્યું હતું કે, આ સહકારી મંડળીઓ ભારતભરનાં ગામડાંઓમાં વિવિધ કાર્યોમાં સંકળાયેલી છે, જેમાં ભારતમાં ખેડૂતોને સ્થાનિક સોલ્યુશન્સ પૂરાં પાડતાં કેન્દ્રો ચલાવવા, પેટ્રોલ અને ડિઝલનાં રિટેલ આઉટલેટ્સનું સંચાલન, જળ વ્યવસ્થાપનની કામગીરી અને સૌર પેનલની સ્થાપનાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, વેસ્ટ ટુ એનર્જીનાં મંત્ર સાથે આજે સહકારી મંડળીઓ પણ ગોબરધન યોજનામાં મદદરૂપ થઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, સહકારી મંડળીઓ હવે કોમન સર્વિસ સેન્ટર તરીકે ગામડાઓમાં પણ ડિજિટલ સેવાઓ પૂરી પાડી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારનો પ્રયાસ સહકારી સંસ્થાને મજબૂત કરવાનો અને એ રીતે તેમનાં સભ્યોની આવકમાં વધારો કરવાનો છે.

 

શ્રી મોદીએ માહિતી આપી હતી કે, સરકાર 2 લાખ ગામડાઓમાં બહુહેતુક સહકારી મંડળીઓની રચના કરી રહી છે, જ્યાં અત્યારે કોઈ સોસાયટી નથી. તેમણે ઉમેર્યું હતું કે, સહકારી મંડળીઓને ઉત્પાદનથી સેવા ક્ષેત્ર સુધી વિસ્તારવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે ભારત સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના પર કામ કરી રહ્યું છે." તેમણે ઉમેર્યું હતું કે, સહકારી મંડળીઓ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ યોજનામાં ભારતભરમાં વેરહાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતો તેમના પાકનો સંગ્રહ કરી શકે છે, જેનો સૌથી વધુ લાભ નાના ખેડૂતોને થશે.

ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (એફપીઓ)ની રચના દ્વારા નાના ખેડૂતોને ટેકો આપવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમે અમારા નાના ખેડૂતોને એફપીઓ તરીકે સંગઠિત કરી રહ્યા છીએ અને આ સંસ્થાઓને મજબૂત કરવા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડી રહ્યા છીએ." શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આશરે 9,000 એફપીઓની સ્થાપના થઈ ચૂકી છે, જેનો ઉદ્દેશ ખેતરથી લઈને રસોડું અને બજાર સુધી, કૃષિ સહકારી મંડળીઓ માટે મજબૂત પુરવઠો અને મૂલ્ય શ્રુંખલાનું નિર્માણ કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, "અમારો પ્રયાસ કૃષિ ઉત્પાદનો માટે સાતત્યપૂર્ણ કડી ઊભી કરવાનો છે, જે કાર્યદક્ષતા વધારવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે." આ સહકારી મંડળીઓની પહોંચમાં ક્રાંતિ લાવવામાં ડિજિટલ પ્લેટફોર્મની ભૂમિકા પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમની સરકાર સહકારી સંસ્થાઓને તેમનાં ઉત્પાદનોનું વેચાણ કરવા માટે ખુલ્લા નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી) જેવા જાહેર ઇ-કોમર્સ પ્લેટફોર્મ મારફતે સક્ષમ બનાવી રહી છે, જે સુનિશ્ચિત કરશે કે ઉત્પાદનો સૌથી વધુ વાજબી કિંમતે સીધા જ ગ્રાહકો સુધી પહોંચે. શ્રી મોદીએ સરકારી ઇ-માર્કેટપ્લેસ (જીઇએમ)ને તેમની બજારમાં હાજરી વધારવા માટે સહકારી સંસ્થાઓને નવી ચેનલ પ્રદાન કરવા માટે શ્રેય આપ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "આ પહેલો કૃષિનું આધુનિકીકરણ કરવા અને સ્પર્ધાત્મક, ડિજિટલ અર્થતંત્રમાં ખીલવા માટે જરૂરી સાધનો સાથે ખેડૂતોને સશક્ત બનાવવા પર સરકારનાં ધ્યાનને પ્રતિબિંબિત કરે છે."

આ સદીમાં વૈશ્વિક વૃદ્ધિમાં મહિલાઓની ભાગીદારી મુખ્ય પરિબળ બનવાની છે એ બાબતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, કોઈ પણ દેશ કે સમાજ મહિલાઓને જેટલી વધારે ભાગીદારી આપશે, તેટલી જ ઝડપથી તેનો વિકાસ થશે. તેમણે ઉમેર્યું હતું કે, આજે ભારતમાં મહિલા સંચાલિત વિકાસનો યુગ છે અને સહકારી ક્ષેત્રમાં પણ મહિલાઓની મોટી ભૂમિકા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે મહિલાઓ ભારતનાં સહકારી ક્ષેત્રની તાકાત સ્વરૂપે મહિલાઓનાં નેતૃત્વમાં ઘણી સહકારી મંડળીઓમાં 60 ટકાથી વધારે ભાગીદારી ધરાવે છે.

 

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "અમારો પ્રયાસ સહકારી સંસ્થાઓનાં સંચાલનમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો છે." તેમણે ઉમેર્યું હતું કે, સરકારે આ દિશામાં મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી એક્ટમાં સુધારો કર્યો હતો અને મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીના બોર્ડમાં મહિલા ડિરેક્ટરો રાખવાનું ફરજિયાત બનાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વંચિત વર્ગોની ભાગીદારી અને સમાજોને વધુ સમાવિષ્ટ બનાવવા માટે પણ અનામત આપવામાં આવી હતી.

સ્વસહાય જૂથો સ્વરૂપે મહિલાઓની ભાગીદારી મારફતે મહિલા સશક્તીકરણના વ્યાપક અભિયાનનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ નોંધ્યું હતું કે, સ્વસહાય જૂથોની સભ્ય તરીકે ભારતની 10 કરોડ કે 100 મિલિયન મહિલાઓ છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે છેલ્લાં એક દાયકામાં આ સ્વસહાય જૂથોને રૂ. 9 લાખ કરોડ કે રૂ. 9 ટ્રિલિયનની સસ્તી લોન આપી હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, સ્વસહાય જૂથોએ આને કારણે ગામડાંઓમાં પુષ્કળ સંપત્તિનું સર્જન કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, દુનિયાનાં ઘણાં દેશો માટે મહિલા સશક્તીકરણનાં મેગા મોડલ તરીકે તેનું અનુકરણ થઈ શકે છે.

21મી સદીમાં વૈશ્વિક સહકારી આંદોલનની દિશા નક્કી કરવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આપણે સહકારી સંસ્થાઓ માટે સરળ અને પારદર્શક ધિરાણ સુનિશ્ચિત કરવા માટે સહયોગી નાણાકીય મોડલ વિશે વિચારવું પડશે. શ્રી મોદીએ નાની અને આર્થિક રીતે નબળી સહકારી સંસ્થાઓને ટેકો આપવા નાણાકીય સંસાધનો એકત્રકરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આવા વહેંચાયેલા નાણાકીય પ્લેટફોર્મ મોટા પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવામાં અને સહકારી સંસ્થાઓને લોન પૂરી પાડવામાં આવશ્યક ભૂમિકા ભજવી શકે છે. તેમણે ખરીદી, ઉત્પાદન અને વિતરણ પ્રક્રિયાઓમાં સક્રિયપણે ભાગ લઈને પુરવઠા શ્રુંખલામાં વધારો કરવામાં સહકારી મંડળીઓની સંભવિતતા પર પણ પ્રકાશ પાડ્યો હતો.

સમગ્ર વિશ્વમાં સહકારી સંસ્થાઓને નાણાકીય સહાય કરી શકે તેવી વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂકીને શ્રી મોદીએ આઇસીએની તેની વિશાળ ભૂમિકાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, ભવિષ્યમાં તેનાથી આગળ વધવું અતિ આવશ્યક છે. તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વમાં હાલની સ્થિતિ સહકારી ચળવળ માટે મોટી તક રજૂ કરે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દુનિયામાં સહકારી સંસ્થાઓને પ્રામાણિકતા અને પારસ્પરિક સન્માનનો ધ્વજવાહક બનાવવાની જરૂર છે. આ માટે તેમણે ઉમેર્યું હતું કે, નીતિઓમાં નવીનતા લાવવાની અને વ્યૂહરચના ઘડવાની જરૂર છે. સહકારી સંસ્થાઓને આબોહવાને અનુકૂળ બનાવવાનાં મહત્ત્વ પર ભાર મૂકીને શ્રી મોદીએ કહ્યું હતું કે, તેમને સર્ક્યુલર ઇકોનોમી સાથે જોડવું જોઈએ અને સહકારી મંડળીઓમાં સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપવાની તાતી જરૂરિયાત છે.

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ભારત માને છે કે સહકારી સંસ્થાઓ વૈશ્વિક સહકારને નવી ઊર્જા પ્રદાન કરી શકે છે." તેમણે ઉમેર્યું હતું કે, સહકારી મંડળીઓ વૈશ્વિક દક્ષિણના દેશોને, ખાસ કરીને, તેમને જરૂરી પ્રકારનો વિકાસ હાંસલ કરવામાં મદદ કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, એટલે આજે સહકારી સંસ્થાઓનાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટે નવી રીતો અપનાવવી જરૂરી છે અને આજની વૈશ્વિક પરિષદ ખૂબ મદદરૂપ થઈ શકે છે.

ભારતની સર્વસમાવેશક વૃદ્ધિ માટેની કટિબદ્ધતા પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે ભારત સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને અમારો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે આ વૃદ્ધિનો લાભ ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી પહોંચે." શ્રી મોદીએ ભારતની અંદર અને વૈશ્વિક સ્તરે માનવ-કેન્દ્રિત દ્રષ્ટિકોણથી વૃદ્ધિને જોવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, "આપણાં તમામ કાર્યોમાં માનવ-કેન્દ્રિત ભાવનાઓ પ્રબળ હોવી જોઈએ." વૈશ્વિક કોવિડ-19 કટોકટી દરમિયાન ભારતની પ્રતિક્રિયાનો ઉલ્લેખ કરીને તેમણે યાદ કર્યું હતું કે ભારત કેવી રીતે આવશ્યક દવાઓ અને રસીઓ વહેંચીને વિશ્વ સાથે ઊભું હતું, ખાસ કરીને વૈશ્વિક દક્ષિણના દેશો સાથે. કટોકટીના સમયે કરૂણા અને એકતા માટે ભારતની કટિબદ્ધતા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે આર્થિક તર્કે પરિસ્થિતિનો લાભ લેવાનું સૂચન કર્યું હોય, ત્યારે આપણી માનવતાની ભાવનાએ આપણને સેવાનો માર્ગ પસંદ કરવા તરફ દોરી છે."

સહકારી મંડળીઓનાં મહત્ત્વ પર ભાર મૂકીને માત્ર માળખા, નિયમો અને નિયમનો વિશે જ નથી, શ્રી મોદીએ નોંધ્યું હતું કે, તેમાંથી સંસ્થાઓની રચના થઈ શકે છે, જે વધારે વિકાસ અને વિસ્તરણ કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, સહકારી મંડળીઓની ભાવના સૌથી મહત્ત્વપૂર્ણ છે અને આ સહકારી ભાવના આ આંદોલનનું જીવનબળ છે અને સહકારની સંસ્કૃતિમાંથી આવે છે. મહાત્મા ગાંધીને ટાંકીને કે સહકારી મંડળીઓની સફળતા તેમની સંખ્યા પર આધારિત નથી પરંતુ તેમના સભ્યોના નૈતિક વિકાસ પર આધારિત છે, શ્રી મોદીએ કહ્યું હતું કે, જ્યારે નૈતિકતા હશે, ત્યારે માનવતાના હિતમાં યોગ્ય નિર્ણયો લેવામાં આવશે. સંબોધનના સમાપનમાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સહકારી આંતરરાષ્ટ્રીય વર્ષમાં આ ભાવનાને મજબૂત કરવા માટે સતત કામ કરવામાં આવશે.

 

પૃષ્ઠભૂમિ

આઇસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ અને આઇસીએ જનરલ એસેમ્બલીનું ભારતમાં 130 વર્ષ જૂના ઇતિહાસમાં પ્રથમ વખત આયોજન થયું છે, જે વૈશ્વિક સહકારી આંદોલનની ટોચની સંસ્થા ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (આઇસીએ)નાં 130 વર્ષ જૂના ઇતિહાસમાં છે. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (ઇફ્કો) દ્વારા આઇસીએ અને ભારત સરકાર તથા ઇન્ડિયન કોઓપરેટિવ્સ અમૂલ અને ક્રિભકોનાં સહયોગથી આયોજિત ગ્લોબલ કોન્ફરન્સ 25થી 30 નવેમ્બર દરમિયાન યોજાશે.

આ પરિષદની થીમ "કોઓપરેટિવ્સ બિલ્ડ પ્રોસ્પરિટી ફોર ઓલ" એ ભારત સરકારની "સહકાર સે સમૃદ્ધિ" (સહકાર મારફતે સમૃદ્ધિ)નાં વિઝન સાથે સુસંગત છે. આ કાર્યક્રમમાં યુનાઇટેડ નેશન્સ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી)ને હાંસલ કરવામાં વિશ્વભરમાં સહકારી મંડળીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને તકોનું સમાધાન કરવા ચર્ચા, પેનલ સત્રો અને કાર્યશાળાઓ યોજાશે, ખાસ કરીને ગરીબી નાબૂદી, લિંગ સમાનતા અને સ્થાયી આર્થિક વૃદ્ધિ જેવા ક્ષેત્રોમાં.

 

પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રનાં સહકારી વર્ષ 2025ની શરૂઆત કરી હતી, જે "કોઓપરેટિવ્સ બિલ્ડ અ બેટર વર્લ્ડ" એ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે સામાજિક સર્વસમાવેશકતા, આર્થિક સશક્તીકરણ અને સ્થાયી વિકાસને પ્રોત્સાહન આપવામાં સહકારી મંડળીઓની પરિવર્તનશીલ ભૂમિકા પર ભાર મૂકશે. સંયુક્ત રાષ્ટ્રનાં એસડીજીએ સહકારી સંસ્થાઓને સ્થાયી વિકાસનાં મહત્ત્વપૂર્ણ પરિબળો તરીકે માન્યતા આપી છે, ખાસ કરીને અસમાનતા ઘટાડવા, યોગ્ય કાર્યને પ્રોત્સાહન આપવા અને ગરીબી દૂર કરવા માટે. વર્ષ ૨૦૨૫ એ એક વૈશ્વિક પહેલ હશે જેનો હેતુ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ પડકારોને પહોંચી વળવા સહકારી ઉદ્યોગોની શક્તિનું પ્રદર્શન કરવાનો છે.

પ્રધાનમંત્રીએ એક સ્મારક ટપાલ ટિકિટ પણ લોંચ કરી હતી, જે સહકારી આંદોલન પ્રત્યે ભારતની કટિબદ્ધતાનું પ્રતીક છે. સ્ટેમ્પમાં કમળનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે શાંતિ, તાકાત, સ્થિતિસ્થાપકતા અને વૃદ્ધિનું પ્રતીક છે, જે ટકાઉપણા અને સામુદાયિક વિકાસના સહકારી મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. કમળની પાંચ પાંખડીઓ પ્રકૃતિના પાંચ તત્ત્વો (પંચતત્વ)નું પ્રતિનિધિત્વ કરે છે, જે પર્યાવરણીય, સામાજિક અને આર્થિક ટકાઉપણા પ્રત્યે સહકારી મંડળીઓની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડે છે. ડિઝાઇનમાં કૃષિ, ડેરી, મત્સ્યઉદ્યોગ, ગ્રાહક સહકારી મંડળીઓ અને આવાસ જેવા ક્ષેત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ડ્રોન સાથે કૃષિમાં આધુનિક ટેકનોલોજીની ભૂમિકાનું પ્રતીક છે.

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Cabinet approves Rs 4,415 crore upgrade of 233 km NH-347B in Madhya Pradesh

Media Coverage

Cabinet approves Rs 4,415 crore upgrade of 233 km NH-347B in Madhya Pradesh
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
UK Foreign Secretary meets Prime Minister
June 04, 2026

UK Foreign Secretary Yvette Cooper today met Prime Minister Shri Narendra Modi.

The Prime Minister expressed his pleasure upon the meeting and appreciated the deepening of the India-UK partnership in recent times which has unlocked unprecedented growth opportunities for both countries.

The Prime Minister affirmed that the India-UK Vision 2035 will continue to guide the partnership and strengthen joint efforts for the global good.

The Prime Minister posted on X:

"Pleased to meet UK Foreign Secretary Yvette Cooper. Appreciated the deepening of the India-UK partnership in recent times that has unlocked unprecedented growth opportunities for both our countries.

India-UK Vision 2035 will continue to guide our partnership and strengthen our joint efforts for global good.@YvetteCooperMP"