"જ્યારે તેમાં શીખવાનું સામેલ હોય ત્યારે વિજય સુનિશ્ચિત થાય છે"
"જ્યારે દેશની સુરક્ષાની વાત આવે છે, ત્યારે રાજસ્થાનના યુવાનો હંમેશાં બાકીના લોકોથી આગળ રહે છે"
"જયપુર મહાખેલનું સફળ આયોજન એ ભારતના પ્રયાસોની દિશામાં આગામી મહત્ત્વપૂર્ણ કડી છે"
"દેશ નવી વ્યાખ્યાઓ બનાવી રહ્યો છે અને અમૃત કાલમાં એક નવો ક્રમ બનાવી રહ્યો છે"
"વર્ષ 2014થી અત્યાર સુધીમાં દેશનું રમતગમતનું બજેટ લગભગ ત્રણ ગણું વધી ગયું છે"
"દેશમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી રહી છે, અને ખેલ મહાકુંભ જેવા મોટા કાર્યક્રમોનું પણ વ્યાવસાયિક રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે"
"અમારી સરકાર એ વાતનું ધ્યાન રાખે છે કે પૈસાના અભાવે કોઈ પણ યુવક પાછળ ન રહે"
"તમે ફિટ હશો, તો જ તમે સુપરહિટ થઈ જશો"
"રાજસ્થાનનાં શ્રી અન્ન-બાજરા અને શ્રી અન્ન-જુવાર આ સ્થળની ઓળખ છે"
"આજના યુવાનો તેમની બહુ-પ્રતિભાશાળી અને બહુ-પરિમાણીય ક્ષમતાઓને કારણે ફક્ત એક જ ક્ષેત્ર સુધી મર્યાદિત રહેવા માગતા નથી"
"રમતગમત એ માત્ર એક કળા જ નથી, પરંતુ એક ઉદ્યોગ છે"
"જ્યારે પૂરાં દિલથી પ્રયત્નો કરવામાં આવે છે, ત્યારે પરિણામોની ખાતરી થાય છે"
"દેશ માટે આગામી સુવર્ણ અને રજત ચંદ્રક વિજેતાઓ તમારામાંથી બહાર આવશે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે જયપુર મહાખેલને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કબડ્ડી મેચ પણ નિહાળી હતી. જયપુર ગ્રામીણથી લોકસભાના સાંસદ શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ વર્ષ 2017થી જયપુર મહાખેલનું આયોજન કરી રહ્યા છે.

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ આ મેગા કૉમ્પિટિશનમાં મેડલ જીતનારા ખેલાડીઓ, કોચીસ અને પરિવારજનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નોંધ્યું હતું કે, ખેલાડીઓએ માત્ર ભાગ લેવા માટે જ નહીં પરંતુ જીતવા અને શીખવા માટે રમતનાં મેદાનને શોભાવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે તેમાં શીખવાની વાત હોય, ત્યારે જ વિજય સુનિશ્ચિત થાય છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ ખેલાડી ખાલી હાથે રમતગમતનું મેદાન છોડતો નથી.

રમતગમતનાં ક્ષેત્રમાં ભારતનું નામ નવી ઊંચાઈએ લઈ જનારા અનેક પ્રસિદ્ધ ચહેરાઓની આ સ્પર્ધામાં ઉપસ્થિતિનું અવલોકન કરતા પ્રધાનમંત્રીએ રામસિંહ- એશિયન ગેમ્સ મેડાલીસ્ટ, પેરા-ઍથ્લીટ દેવેન્દ્ર ઝાઝરિયા- ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડથી સન્માનિત, સાક્ષી કુમારી- અર્જુન એવોર્ડથી સન્માનિત અને અન્ય વરિષ્ઠ રમતવીરોનું નામ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો કે, ભારતના આ પ્રસિદ્ધ ચહેરાઓ જયપુર મહાખેલમાં યુવાન રમતવીરોને સાથસહકાર આપવા માટે આગળ આવ્યા છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં રમતગમતની સ્પર્ધાઓ અને ખેલ મહાકુંભોની જે શ્રેણીઓનું આયોજન થઈ રહ્યું છે, તે આમાં થઈ રહેલાં મહાન પરિવર્તનોનું પ્રતિબિંબ છે. રાજસ્થાનની ધરતી યુવાનોના જુસ્સા અને જોશ માટે જાણીતી છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઇતિહાસ એ વાતનો પુરાવો છે કે, આ ભૂમિનાં બાળકોએ તેમનાં શૌર્ય સાથે યુદ્ધનાં મેદાનોને રમતગમતનાં મેદાનમાં પરિવર્તિત કરી દીધાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે રાષ્ટ્રની સુરક્ષાની વાત આવે છે, ત્યારે રાજસ્થાનના યુવાનો હંમેશા અન્યો કરતાં આગળ આવે છે." તેમણે આ વિસ્તારના યુવાનોની માનસિક અને શારીરિક ક્ષમતાઓને આકાર આપવા માટે રાજસ્થાનની રમતગમતની પરંપરાઓને શ્રેય આપ્યો હતો. તેમણે દડા, સતોલિયા અને રૂમાલ ઝપટ જેવી પરંપરાગત રમતોનું ઉદાહરણ આપ્યું હતું, જે મકરસંક્રાંતિ દરમિયાન આયોજિત થાય છે અને સેંકડો વર્ષોથી રાજસ્થાનની પરંપરાઓનો ભાગ રહી છે.

પોતાનાં રમતગમતનાં યોગદાન સાથે તિરંગાને નવી ઊંચાઈએ લઈ જનારા રાજસ્થાનના અસંખ્ય રમતવીરો પર ટિપ્પણી કરતાં પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, જયપુરનાં લોકોએ પોતાના સાંસદ તરીકે એક ઑલિમ્પિક મેડલ વિજેતાની પસંદગી કરી છે. તેમણે સાંસદ શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડનાં યોગદાનની નોંધ લીધી હતી અને એ બાબત પર આનંદ વ્યક્ત કર્યો હતો કે, તેઓ સાંસદ રમતગમત સ્પર્ધાઓ સ્વરૂપે પ્રદાન કરીને યુવા પેઢીને પરત આપી રહ્યા છે. પ્રધાનમંત્રીએ વધારે વિસ્તૃત પરિણામો માટે આ પ્રકારના પ્રયાસોને વિસ્તારવા પર ભાર મૂક્યો હતો અને જયપુર મહાખેલનાં સફળ આયોજનને આ પ્રયાસોની દિશામાં આગામી મહત્ત્વપૂર્ણ કડી ગણાવ્યું હતું. જયપુર મહાખેલની સફળતાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આ વર્ષે આ સ્પર્ધાનાં સંસ્કરણમાં 600થી વધારે ટીમો અને 6,500 યુવાનોએ ભાગ લીધો છે. તેમણે 125થી વધુ છોકરીઓની ટીમોની ભાગીદારીની પણ નોંધ લીધી હતી જે એક સુખદ સંદેશ આપે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આઝાદીના અમૃત કાળમાં દેશ નવી વ્યાખ્યાઓ ઘડી રહ્યો છે અને નવી વ્યવસ્થા ઊભી કરી રહ્યો છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આખરે રમતગમતને રાજકીય નહીં પણ રમતવીરના દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, યુવાનો માટે કશું જ અશક્ય નથી અને જ્યારે તેમનું સામર્થ્ય, સ્વાભિમાન, સ્વાવલંબન, સુવિધાઓ અને સંસાધનોની શક્તિ મળે છે, ત્યારે દરેક ઉદ્દેશ સરળ બને છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રકારના અભિગમની ઝાંખી આ વખતનાં બજેટમાં પણ જોઇ શકાય છે. તેમણે માહિતી આપી હતી કે, રમત મંત્રાલયને ચાલુ વર્ષે 2500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જ્યારે વર્ષ 2014 અગાઉ આ આંકડો 800-850 કરોડ હતો. તેમણે કહ્યું હતું કે, "વર્ષ 2014થી અત્યાર સુધીમાં દેશનું રમતગમતનું બજેટ લગભગ ત્રણ ગણું વધી ગયું છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એકલા 'ખેલો ઇન્ડિયા' અભિયાન માટે જ 1000 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે, જે દેશમાં રમતગમતની સુવિધાઓ અને સંસાધનોના વિકાસ પાછળ ખર્ચાશે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતના યુવાનોમાં રમતગમત પ્રત્યેની પ્રતિભા અને જુસ્સાનો કોઈ અભાવ નથી, પણ સંસાધનો અને સરકારનો સાથસહકાર ન મળવાને કારણે અવરોધો ઊભા થયા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રમતવીરો દ્વારા સામનો કરવામાં આવતી આ સમસ્યાઓનું આજે સમાધાન થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ છેલ્લાં 5-6 વર્ષથી આયોજિત કરવામાં આવતા જયપુર મહાખેલનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે ભાજપના સાંસદો દ્વારા દેશના દરેક ભાગમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારો યુવાનોની પ્રતિભા સામે આવી રહી છે.

પ્રધાનમંત્રીએ આ સફળતાઓનો શ્રેય કેન્દ્ર સરકારને આપ્યો હતો, કારણ કે જિલ્લા અને સ્થાનિક સ્તરે રમતગમતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. દેશના સેંકડો જિલ્લાઓમાં લાખો યુવાનો માટે રમતગમતની માળખાગત સુવિધાઓના વિકાસ વિશે માહિતી આપતા પ્રધાનમંત્રીએ રાજસ્થાન રાજ્ય પર પ્રકાશ પાડ્યો હતો, જ્યાં ઘણાં શહેરોમાં રમતગમતની માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે દેશમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીઓની સ્થાપના થઈ રહી છે અને ખેલ મહાકુંભ જેવા મોટા કાર્યક્રમોનું પણ વ્યાવસાયિક રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે." તેમણે નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી તરફ ધ્યાન દોર્યું હતું, જેને ચાલુ વર્ષે મહત્તમ બજેટ ફાળવવામાં આવ્યું છે. તેમણે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને સ્પોર્ટ્સ ટેકનોલોજી સાથે સંબંધિત દરેક શિસ્ત શીખવા માટે વાતાવરણ ઊભું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી યુવાનો માટે આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાની તક ઊભી થશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "અમારી સરકાર ધ્યાન આપે છે કે પૈસાના અભાવે કોઈ પણ યુવાન પાછળ ન રહે." તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર હવે શ્રેષ્ઠ દેખાવ કરનારા ખેલાડીઓને વાર્ષિક રૂ. 5 લાખ સુધીનો ટેકો આપી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્ય સ્પોર્ટ્સ એવોર્ડમાં અપાતી રકમમાં પણ ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. ખેલાડીઓને ઑલિમ્પિક માટે વર્ષોથી તૈયારી કરવાની તક આપતી ટોપ્સ જેવી યોજનાઓનું ઉદાહરણ આપીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર ઑલિમ્પિક જેવી મોટી વૈશ્વિક સ્પર્ધાઓમાં પણ તેના ખેલાડીઓની સાથે સંપૂર્ણ શક્તિ સાથે ઊભી છે.

રમતગમતનાં ક્ષેત્રમાં જ નહીં, પણ રોજિંદાં જીવનમાં પણ ફિટનેસ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ ખેલાડી માટે આ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે. તેમણે કહ્યું હતું કે, "તમે ફિટ રહેશો, તો જ તમે સુપરહિટ થશો." તેમણે ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા જેવાં અભિયાનોનો ઉલ્લેખ કર્યો હતો અને ફિટનેસમાં આહાર અને પોષણની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરીનાં વર્ષ તરીકે ઉજવવાની જાણકારી આપી હતી અને નોંધ્યું હતું કે, રાજસ્થાનમાં બાજરી- શ્રી અન્નની ખૂબ જ સમૃદ્ધ પરંપરા છે. પ્રધાનમંત્રીએ અહીં બાજરીની રાબ અને ચુરમાને યાદ કરતાં કહ્યું હતું કે, "રાજસ્થાનના શ્રી અન્ન-બાજરી અને શ્રી અન્ન-જુવાર આ સ્થળની ઓળખ છે." તેમણે તમામ યુવાનોને અપીલ કરી હતી કે તેઓ શ્રી અન્નને તેમના આહારમાં સામેલ તો કરે જ, સાથે તેના બ્રાન્ડ એમ્બેસેડર પણ બને.

પ્રધાનમંત્રીએ દેશ યુવાનોના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહ્યો હોવાનું ઉજાગર કર્યું હતું અને જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી તેમની બહુ-પ્રતિભાશાળી અને બહુઆયામી ક્ષમતાઓને કારણે માત્ર એક જ ક્ષેત્ર પૂરતી મર્યાદિત રહેવા નથી માગતી. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, એક તરફ રમતગમતની આધુનિક માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, ત્યારે આ બજેટમાં બાળકો અને યુવાનો માટે એક રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરીની પણ દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં વિજ્ઞાન, સંસ્કૃત અને ઇતિહાસ જેવા દરેક વિષય પરનાં પુસ્તકો શહેરથી ગામડે દરેક સ્તરે ઉપલબ્ધ થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "રમતગમત એ માત્ર એક કળા જ નથી, પણ એક ઉદ્યોગ છે." તેમણે ધ્યાન દોર્યું કે રમતગમત સાથે સંબંધિત ચીજવસ્તુઓ અને સંસાધનોનું નિર્માણ કરતા એમએસએમઇ મારફતે મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી રહી છે. તેમણે રમતગમત ક્ષેત્ર સાથે સંબંધિત એમએસએમઇને મજબૂત કરવા માટે બજેટમાં કરવામાં આવેલી ઘણી મહત્વપૂર્ણ ઘોષણાઓ વિશે માહિતી આપી હતી. તેમણે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન એટલે કે પીએમ વિકાસ યોજનાનું ઉદાહરણ આપ્યું હતું, જે મેન્યુઅલ કૌશલ્ય અને હાથનાં સાધનો ધરાવતાં લોકોને ખૂબ મદદરૂપ થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના દ્વારા તેમને આપવામાં આવેલી નાણાકીય સહાયથી આપણા યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે, જેથી તેમના માટે નવાં બજારો ઊભાં થશે.

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, "જ્યારે હૃદયપૂર્વક પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે પરિણામો નિશ્ચિત હોય છે." તેમણે ટોક્યો ઑલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન દેશ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને પ્રકાશિત કરતા કહ્યું કે પરિણામો દરેકની સામે દેખાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જયપુર મહાખેલ દરમિયાન કરવામાં આવેલા પ્રયાસોનાં ભવિષ્યમાં અદ્‌ભૂત પરિણામો મળશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "દેશ માટે આગામી સુવર્ણ અને રજત ચંદ્રક વિજેતાઓ તમારી વચ્ચેથી બહાર આવશે. જો તમે દ્રઢ નિશ્ચયી હશો તો ઑલિમ્પિકમાં પણ તિરંગાની શોભા વધારશો. તમે જ્યાં પણ જશો, દેશનું નામ રોશન કરશો. મને ખાતરી છે કે, આપણા યુવાનો દેશની સફળતાને વધુ આગળ લઈ જશે," એમ પ્રધાનમંત્રીએ સમાપન કર્યું.

આ પ્રસંગે જયપુર ગ્રામીણથી લોકસભાના સાંસદ શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા. 

પશ્ચાદભૂમિકા

આ વર્ષે કબડ્ડી સ્પર્ધા પર ધ્યાન કેન્દ્રિત કરતા મહાખેલની શરૂઆત રાષ્ટ્રીય યુવા દિવસ એટલે કે 12 જાન્યુઆરી 2023ના રોજ થઈ હતી. તેમાં જયપુર ગ્રામીણ લોકસભા મતવિસ્તારનાં તમામ 8 વિધાનસભા ક્ષેત્રોની 450થી વધુ ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ અને વોર્ડના 6400થી વધુ યુવાનો અને રમતવીરોએ ભાગ લીધો છે. મહાખેલનું આયોજન જયપુરના યુવાનોને તેમની રમતગમતની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડે છે અને તેમને કારકિર્દીના વિકલ્પ તરીકે રમતગમતને અપનાવવા માટે પણ પ્રોત્સાહિત કરે છે.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA

Media Coverage

Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Welcomes Release of Commemorative Stamp Honouring Emperor Perumbidugu Mutharaiyar II
December 14, 2025

Prime Minister Shri Narendra Modi expressed delight at the release of a commemorative postal stamp in honour of Emperor Perumbidugu Mutharaiyar II (Suvaran Maran) by the Vice President of India, Thiru C.P. Radhakrishnan today.

Shri Modi noted that Emperor Perumbidugu Mutharaiyar II was a formidable administrator endowed with remarkable vision, foresight and strategic brilliance. He highlighted the Emperor’s unwavering commitment to justice and his distinguished role as a great patron of Tamil culture.

The Prime Minister called upon the nation—especially the youth—to learn more about the extraordinary life and legacy of the revered Emperor, whose contributions continue to inspire generations.

In separate posts on X, Shri Modi stated:

“Glad that the Vice President, Thiru CP Radhakrishnan Ji, released a stamp in honour of Emperor Perumbidugu Mutharaiyar II (Suvaran Maran). He was a formidable administrator blessed with remarkable vision, foresight and strategic brilliance. He was known for his commitment to justice. He was a great patron of Tamil culture as well. I call upon more youngsters to read about his extraordinary life.

@VPIndia

@CPR_VP”

“பேரரசர் இரண்டாம் பெரும்பிடுகு முத்தரையரை (சுவரன் மாறன்) கௌரவிக்கும் வகையில் சிறப்பு அஞ்சல் தலையைக் குடியரசு துணைத்தலைவர் திரு சி.பி. ராதாகிருஷ்ணன் அவர்கள் வெளியிட்டது மகிழ்ச்சி அளிக்கிறது. ஆற்றல்மிக்க நிர்வாகியான அவருக்குப் போற்றத்தக்க தொலைநோக்குப் பார்வையும், முன்னுணரும் திறனும், போர்த்தந்திர ஞானமும் இருந்தன. நீதியை நிலைநாட்டுவதில் அவர் உறுதியுடன் செயல்பட்டவர். அதேபோல் தமிழ் கலாச்சாரத்திற்கும் அவர் ஒரு மகத்தான பாதுகாவலராக இருந்தார். அவரது அசாதாரண வாழ்க்கையைப் பற்றி அதிகமான இளைஞர்கள் படிக்க வேண்டும் என்று நான் கேட்டுக்கொள்கிறேன்.

@VPIndia

@CPR_VP”