

નર્મદા યોજનાને ભૂતકાળમાં અનેક આંટીઘૂટીમાંથી પસાર થવું પડયું છે. પરંતુ આ સરકારે તો કોઇ રાજકીય એજન્ડા વગર ભલે નર્મદા યોજનાની ક્રેડીટ બધી સરકારોને આપીને પણ આ સરકારે નર્મદાનું પાણી ખડૂતોને આપવા જ પોતાની બધી તાકાત કામે લગાડી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આજે દશ વર્ષમાં આ સરકારે ૪૦૦૦ ગામોને ટેન્કરના પાણીના ફેરાથી છોડાવ્યા છે. પીવાના પાણીથી તરસતા માનવીઓ અને સિચાઇથી સુકી તરસી ધરતીની નર્મદા પાણીથી તરસ છીપાવી છે. એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
નર્મદાનું પાણી તો પારસ છે અને તે પરમાત્માના પ્રસાદરૂપે પાણી વપરાશનું મુલ્ય પણ સમજવું પડશે. એની ઉપર ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે નર્મદાનું પાણી હક્કથી મળવાનુ છે. ત્યારે તેની ચોરી કરવાના પાપથી દૂર રહેવા ખેડુતોએ ગ્રામસમાજે જાગૃત અને સંકલ્પબધ્ધ રહેવું પડશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે નર્મદા કેનાલ આવતાં વર્ષોના વર્ષો લાગ્યાં છે અને આ સરકારે હવે ધમધોકાર કેનાલના કામો હાથ ધર્યા છે. ત્યારે કેનાલ બાંધકામ માટે ખેડુતો જમીન સંપાદનના કાર્યમાં પૂરેપુરો સહયોગ આપે તો જ નર્મદા નહેર પૂરી થશે.
મુખ્યમંત્રીશ્રીએ ખેડુતોના હક્કો અને હિતો જાળવવા માટે રાજય સરકારે ખેતીની જમીનના કાયદામાં સુધારા કરીને અને કાળનાણાથી ખેડુતોની કિંમતી જમીન ડૂબાડનારા તત્વોથી ખેડૂતની જમીન સંપતિની રક્ષા કરવાનો સાહસપૂર્વકનો નિર્ણય ગુજરાતની આ સરકારે ૫૦ વર્ષના કૃષિના ઇતિહાસ પહેલીવાર કર્યો છે. તેની વિશદ ભુમિકા તેમણે આપી હતી.

જળસંપતિ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રનાં વિકાસ માટે આધારભૂત બનનારા નર્મદા યોજનાના કેનાલના કામોનો છેલ્લા ૧૫ દિવસમાં આરંભ થયો છે. સૂકી ધરા તેમજ ખેતીને સમૃધ્ધ કરવા તથા શહેરો અને ગામડાની જનતાને પીવાનું પાણી મળે તે માટેના કામોનો આરંભ થયો છે. ભૂતકાળમાં કોઇ સરકારે નથી કર્યુ તેવું નર્મદા પાણી સૌરાષ્ટ્રની ધરતી પર લાવવાનું મહાકાર્ય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આરંભ્યું છે. નર્મદાના પાણી સૌરાષ્ટ્રમાં કયારે મળશે તેવો પ્રશ્ન વર્ષોથી પૂછાતો હતો પરંતુ મુખ્યમંત્રીશ્રીના મક્કમ નિર્ધાર સાથે નર્મદા યોજનાના કામો ઝડપભેર આગળ વધી રહ્યા છે. ઝાલાવાડ અને સૌરાષ્ટ્રમાં વરસાદ અધારિત ખેતી હતી. તે દિવસો હવે ભૂતકાળ બનશે. એમ તેમણે નર્મદા સિંચાઇ યોજનાથી મળનારી પિયત સુવિધાની વિગતો આપતા જણાવ્યું હતું. ભૂતકાળમાં કેન્દ્ર અને રાજય સરકારો નર્મદા યોજનાના કામો ઝડપભેર આગળ ધપાવી શકી નહીં હોવાનું જણાવી તેમણે કહ્યું હતુ કે આને કારણે રાજયનો વિકાસ રુંધાયો તેમજ ખેતી અને પીવાના પાણીની સમસ્યાઓનો કાયમી ધોરણે હલ ન થઇ પરંતુ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા યોજના ઝડપથી કાર્યાન્વિત થાય તે માટે અને ડેમની ઉંચાઇ વધે તે માટે ૭૨ કલાકનાં ઉપવાસ આંદોલન કરતાં ડેમની ઉંચાઇ વધી છે. તેને કારણે પાણી અને સિંચાઇ સુવિધા સમગ્ર ગુજરાતના છેવાડાના ગામોને મળશે.
શિક્ષણમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રમણલાલ વોરાએ જણાવ્યુ હતું કે સ્વર્ણિમ વર્ષના સમાપન પ્રસંગે પંચ શકિતઓ પૈકીની એક જળશકિતનો મહિમા કરતાં મુખ્યમંત્રીશ્રીએ અનેક કાર્યક્રમો પૂર્ણ કરી પંચામૃતના કાર્યક્રમો હાથ ધર્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા માટે એક વખત પીવાના પાણીના સાંસા હતા. ત્યારે સિંચાઇની તો વાત થઇ શકે નહિ તેવી સ્થિતિ હતી. મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારના ખેડૂતોની લાગણી અને માગણી પીછાણી પાણીની સમસ્યા દૂર કરવા નર્મદા ડેમના અને યોજનાના કામો ઝડપથી પૂર્ણ કરવા મક્કમતાપૂર્વક તેઓ આગળ વધી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીનું સ્વપ્ન છે કે સમગ્ર ગુજરાત નંદનવન બને તે માટે બજેટમાં પૂરતી જોગવાઇ કરી છે. નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના ધોષિત કરવી જોઇએ. તેવી તેમણે લાગણી વ્યકત કરી હતી.
આ સમારોહમાં મહેસૂલ મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ, વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી કિરીટસિંહજી રાણા તેમજ સ્વર્ણિમ ગુજરાત ઉજવણી સમિતિના અધ્યક્ષશ્રી આઇ.કે.જાડેજા, ધારાસભ્ય શ્રીમતી વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી બિપીનભાઇ દવે, લિંબડી નગરાપાલિકા પ્રમુખશ્રી પ્રીતિબહેન ભટ્ટ, સુરસાગર ડેરીના અધ્યક્ષશ્રી બાબાભાઇ ભરવાડ, વઢવાણ નગરપાલિકા પ્રમુખશ્રી ભાવનભાઇ ટાંક તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બચુભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ શિલાન્યાસ સમારોહમાં સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષશ્રી ઙો રાજગોપાલન તેમજ મેનેજિંગ ડિરેકટરશ્રી એસ.જગદીશન, સંયુકત વહિવટી સંચાલકશ્રી જી.આર.અલોરીયા વગેરે, ડાયરેકટરશ્રી કે.શ્રીનિવાસ, શ્રી સોનીવાલા, નિગમના નિયામકશ્રીઓ શ્રી મૂકેશભાઇ ઝવેરી તેમજ શ્રી વસંતભાઇ રાવલ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેકટરશ્રી કે. શ્રીનિવાસે સ્વાગત પ્રવચન કર્યુ હતુ અને આભારદર્શન વન પર્યાવરણ રાજય મંત્રીશ્રી કિરીટસિંહજી રાણાએ કર્યુ હતું. તેમણે પાઘડી પહેરાવીને મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યુ હતું.
લિંબડી ખાતે યોજાયેલા આ શિલાન્યાસ સમારોહમાં મોટી સંખ્યામાં ધરતીપુત્રો, ગ્રામજનો ઉમટી પડયા હતા. ગ્રામીણ નારી શકિતએ પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નારી શકિતનું દર્શન કરાવ્યુ હતું.
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને કન્યા કેળવણી નિધિ માટે એંકદરે કૂલ રૂ. ર૮ લાખની ધનરાશીના ચેક સુરેન્દ્રનગર જીલ્લાની વઢવાણ નગરપાલિકા તેમજ સુરસાગર ડેમી તેમજ અન્ય મહાનુભાવો અને કંપનીઓ તરફથી અર્પણ કરવામાં આવ્યા હતા.


