My deepest gratitude for your support and generous wishes

Published By : Admin | September 17, 2012 | 11:45 IST

 

પ્રિય મિત્રો,

આજે ૧૭ મી સપ્ટેમ્બર મારો જન્મદિવસ છે. ઘણીવાર મને આ પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે – ’’મોદીજી, તમે તમારો જન્મદિવસ કેવી રીતે મનાવો છો? આ ખાસ દિવસે તમે શું કરો છો? વગેરે... હકીકત એ છે કે મારા જીવનકાળ દરમ્યાન આ દિવસ અન્ય દિવસોથી ક્યારેય અલગ રહ્યો નથી, એ જ રીતે મારા જીવનનાં પ્રત્યેક દિવસ પણ જન્મદિવસ જેટલા જ ખાસ છે.

મારા યુવા મિત્રો અને શુભચિંતકો મારા પ્રત્યેનાં સ્નેહભાવને લઈને આ દિવસે વિવિધ પ્રકારની સામાજિક સેવાપ્રવૃત્તિઓ કરતા હોય છે. આ દિવસે સમાજસેવાનાં અદભુત કાર્યોનાં આયોજન બદલ હું તેમનો હ્રદયપૂર્વક આભાર માનું છું.

આ વર્ષે ૧૭ મી સપ્ટેમ્બરનો દિવસ મારા માટે વિશેષ રહેશે કારણકે તેના પછીનાં ૧૮ મી સપ્ટેમ્બરનાં રોજ હું ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે લોકોની સેવામાં ૪૦૦૦ દિવસની યાત્રા પૂર્ણ કરીશ. ગુજરાતની સ્થાપના બાદ રાજ્યએ અગાઉ ક્યારેય પણ આટલી લાંબી રાજકીય સ્થિરતા જોઈ નથી. જો એક રાજકીય રીતે સ્થિર, પ્રગતિશીલ અને વાઈબ્રન્ટ સરકાર માત્ર એક દશકા જેટલા સમયમાં કેવા અદભુત પરિણામો આપી શકે એ જોવું હોય તો ગુજરાત એનું જીવંત ઉદાહરણ છે.

ગુજરાતની સફળતા કોઈ એકાદ વ્યક્તિ, કુટુંબ કે થોડા ઘણા લોકોનાં એકાદ જૂથને આભારી નથી. ગુજરાતની ૪૦૦૦ દિવસની સાફલ્યગાથાની પાછળ એક મજબુત ટીમ-સ્પિરિટ અને ’મૈ નહિ, હમ’ ની ભાવના કારણભુત છે.

’સૌનો સાથ, સૌનો વિકાસ’ નાં ગુજરાતનાં મંત્રએ નવી રાજકીય સંસ્કૃતિનાં નિર્માણ માટેની ચેતના પૂરી પાડી છે.

ગુજરાતને વિકાસની નવી ઉંચાઈએ પહોંચાડવા પાછળ મારા છ કરોડ ગુજરાતી ભાઈ-બહેનોનો સહકાર અને યોગદાન અત્યંત મહત્વનું રહ્યું છે. આજનાં આ દિવસે હું ગુજરાતીઓનાં આ જુસ્સાને હ્રદયપૂર્વક નમન કરું છું.

હું ગુજરાત સરકારનાં ૬ લાખથી વધુ કર્મયોગીઓની કર્તવ્યનિષ્ઠા અને પ્રતિબધ્ધતાને પણ બિરદાવું છું, જેમના અથાક પ્રયત્નોને કારણે આપણું રાજ્ય વિકાસની નવી ઉંચાઈએ પહોંચ્યું છે અને હ્રદયમાં ગર્વ તથા મનમાં આશા લઈને ગુજરાતે વૈશ્વિક નકશા પર પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે.

૪૦૦૦ દિવસની આ યાત્રામાં સ્થાપિત હિતો ધરાવતા કેટલાક તત્વો દ્વારા ફેલાવવામાં આવતા અતિશયોક્તિ ભરેલા જૂઠ્ઠાણાઓનો ભોગ પણ મારે બનવું પડ્યું છે અને આવા તત્વોને જ્યારે મારા તરફથી કોઇ પ્રતિક્રિયા નથી મળતી ત્યારે તેઓ વધારે બેબાકળા બની જાય છે. મારું હંમેશથી એવું માનવું રહ્યું છે કે જેટલાં વધારે પથ્થર તેઓ મારી સામે ફેંકશે, ગુજરાત અને તેના લોકોના વિકાસની એટલી જ ઉંચી સીડી હું તેમાંથી બનાવીશ.

અલબત્ત, નકારાત્મક માનસિકતા ધરાવતા તત્વો દ્વારા ફેલાવામાં આવતા જૂઠાણાની સામે બીજી બાજુ મને લોકો તરફથી ઘણી પ્રશંસા, નવા વિચારો અને જ્ઞાનરત્નો મળતાં રહ્યાં છે, જેને કારણે મારો ભરપૂર આંતરિક વિકાસ થયો છે. આજે, હું આપની સામે કેટલાંક પત્રો મૂકવા માગું છું, જેનાથી આ વાત આપોઆપ ખ્યાલ આવી જશે. જૂઠાણાઓની ભરમાર વચ્ચે સત્ય ઓળખવું ઘણું આસાન બની જશે.

આમાંથી બે પત્રો સર્વોચ્ચ અદાલતના જાણીતા ભુતપુર્વ ન્યાયાધિશ અને જાહેર જીવનના એક ગણમાન્ય વ્યક્તિ એવાં ૯૮ વર્ષીય જસ્ટીસ વી.આર. ક્રિશ્ન ઐયરે લખ્યાં છે. આ પત્રોમાં તેમની ઉષ્મા અને સ્નેહભાવ છલકાય છે. આ પત્રો મારા માટે એક ખજાના સમાન છે, જેને હું જીવનભર યાદ રાખીશ.

 

જસ્ટીસ ઐયર લખે છેઃ-

પ્રિય નરેન્દ્ર મોદી,

મને તમારો પત્ર મળ્યો. મારા મતે તમે એક મહાન વ્યક્તિ, એક સર્જનાત્મક વહીવટકર્તા અને માનવતાવાદી છો. હું એક નાનો માણસ છું, મારી પાસે કોઇ સત્તા નથી, હવે ૯૮ વર્ષનો થયો છું અને જીવનના અંતિમ ચરણે પહોંચ્યો છું. મને તમારા પત્રથી અનહદ આનંદ થયો છે અને તમારી અદભુત ઉર્જા અને ધરમૂળ પરિવર્તન માટેના તમારા પ્રયાસોને જોઇને હું ખુશ છું. ભારતનું રાજકીય નેતૃત્વ આવી જ સર્જનાત્મકતાથી કામ કરે અથવા કમસેકમ પ્રત્યેક આંખના આંસુ લુછવાના વિઝન સાથે આગળ વધે તેવી મારી અપેક્ષા છે. જો સૌર અને પવનઉર્જાનો પર્યાપ્ત ઉપયોગ કરવામાં આવે તો ઉર્જાક્ષેત્રે આપણા દેશની ગરીબી ભુતકાળની ઘટના બની જશે. ભારતના કલ્યાણ માટે હું આપના નેતૃત્વની પ્રાર્થના કરું છું. ભગવાન કરે કે આવો દિવસ આવે અને ગાંધીજીના સ્વપ્ન સાકાર થાય.

પ્રિય મોદી, રાજકારણ સિવાય પણ હું ભારતના સામાન્ય માણસની ખુશીઓ માટે તમારી પડખે છું.

આપનો,

વી.આર.ક્રિશ્ન ઐયર

 

અન્ય એક પત્રમાં તેઓ લખે છેઃ

પ્રિય નરેન્દ્ર મોદી,

તમે કુરિયરથી મોકલેલ વિષયસામગ્રી પર નજર નાખ્યા બાદ હવે હું તમને ભારતીય ઇતિહાસના આધુનિક વિકાસના મહાકાવ્યના એક પાત્ર સ્વરુપે જોઉં છું. તમે એક મહાન દેશભક્ત છો અને કોઇ રાજકીય પક્ષથી ઉપરવટ તમારું વ્યક્તિત્વ છે. તમે હાથ ધરેલ રાષ્ટ્રીય મીશનને ચાલુ રાખજો. ભારતના ઉર્જાક્ષેત્રમાં તમે જે ભવ્ય યોગદાન આપ્યું છે તેના ઉલ્લેખ વિના ભારતનો ૨૦મી સદીનો ઇતિહાસ અધૂરો ગણાશે.

આપનો,

વી.આર.ક્રિશ્ન ઐયર

(મૂળ પત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો)

 

અન્ય એક પત્ર વર્ષો સુધી ભારતના સેન્ટ્રલ વિજિલન્સ કમીશનર (સીવીસી) સહિતની સેવાઓમાં નોંધપાત્ર પ્રદાન આપનાર શ્રી એન વિટ્ટલનો છે.

 

શ્રી વિટ્ટલ લખે છેઃ-

માનનીય અને પ્રિય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી,

આ પત્રની સાથે હું મારા પુસ્તક “એન્ડિંગ કરપ્શન? હાઉ ટુ ક્લિન અપ ઇન્ડિયા”ની નકલ મોકલી રહ્યો છું, જેને પેંગ્વિન બુક્સ દ્વારા આ મહિને પ્રકાશિત કરવામાં આવ્યું છે.

જો કોઇ નેતામાં સંપુર્ણ રાજકીય પ્રામાણિકતા અને સુશાસન માટેની પ્રતિબદ્ધતા હોય તો શું હાંસલ કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ તમે દેશ સમક્ષ મૂક્યું છે. તમે બતાવી આપ્યું છે કે નવા વિચારો પ્રત્યે ખુલ્લું મન રાખી તથા રાજકીય હિંમત દાખવીને વિકાસ તથા સુશાસનની સ્થાપના માટે કઠોર છતાં મજબૂત નિર્ણયોથી કેવાં સુંદર પરિણામો મેળવી શકાય છે.

સરકારમાં મારા ૪૨ વર્ષના અનુભવને આધારે મેં દેશના સૌથી મોટા પ્રશ્ન ‘જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર’નાં નિરાકરણ માટે એક નવો દ્રષ્ટિકોણ રજુ કરવાનો પ્રયાસ કર્યો છે.

જો વ્યસ્ત કામકાજની વચ્ચે પણ તમે મારા પુસ્તક પર નજર નાંખશો તો હું તમારો આભારી રહીશ.

આપનો,

એન વિટ્ટલ

(મૂળ પત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો)

 

આ બંને વ્યક્તિવિશેષ પોતાની પ્રામાણિકતા અને મૂલ્યોને કારણે જાણિતા છે. મારા પ્રતિ તેમનાં સ્નેહભર્યા શબ્દો બદલ હું હ્રદયપૂર્વક તેમનો આભાર માનું છું.

મારા જન્મદિવસ પર આપની શુભેચ્છાઓ અને આપના તરફથી સતત મળી રહેલા સહકાર બદલ હું ફરી એક વખત આપનો આભાર માનું છું.

 

જય જય ગરવી ગુજરાત!

 

આપનો,

નરેન્દ્ર મોદી

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian coffee exports reach 140 countries in FY2025–26

Media Coverage

Indian coffee exports reach 140 countries in FY2025–26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.